
રાજકોટ શહેરના રહેવાસીઓના સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપવા માટે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા એક વ્યાપક અને કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. છેલ્લા ત્રણ દિવસમાં આરોગ્ય વિભાગે પાંચ ખાદ્ય એકમોને સીલ કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા વેપારીઓ સામે લાલ આંખ કરી છે. આ કાર્યવાહી દરમિયાન અખાદ્ય ખોરાક, સ્વચ્છતાનો સદંતર અભાવ, અને ખાસ કરીને પનીરમાં મોટા પાયે ભેળસેળનો પર્દાફાશ થયો છે.
આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કરવામાં આવેલી તપાસમાં વિવિધ વિસ્તારોમાં કાર્યરત ખાદ્ય એકમોમાં ગંભીર અનિયમિતતાઓ સામે આવી હતી. ખોડિયાર ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં આવેલી રેડીસન ફૂડ પ્લેનેટ (જેને બેકરી તરીકે પણ ઓળખવામાં આવે છે), સાધુ વાસવાણી રોડ પર આવેલી ઓમ ફેમિલી રેસ્ટોરન્ટ (ચાઇનીઝ અને પંજાબી વાનગીઓનું વેચાણ કરતી), ભીલવાસ ચોકમાં આવેલી નકલંગ દુગ્ધાલય, મોરબી રોડ ઉપર આવેલ પ્રકાશ પ્રવીણ હરસોડા પેઢી અને પોપટપરામાં આવેલી રાધિકા ડેરી ફાર્મ પેઢીને સીલ કરવામાં આવી છે. આ તમામ એકમોમાં પનીરના ઉપયોગમાં ભેળસેળ અને અખાદ્ય વસ્તુઓ મળી આવી હતી.
ખાસ કરીને, પનીર બનાવવા માટે લાયસન્સ પ્રાપ્ત ન હોય તેવા એસિટિક એસિડનો ઉપયોગ થતો હોવાનું અને કોઈપણ પ્રકારના ફૂડ લાયસન્સ વિના બિનઆરોગ્યપ્રદ હાલતમાં ઉત્પાદન યુનિટ ચાલતા હોવાનું સામે આવ્યું છે. ઘણા કિસ્સાઓમાં, “એનાલોગ પનીર” એટલે કે ભેળસેળવાળું પનીર શુદ્ધ દૂધ ઉત્પાદન તરીકે વેચવામાં આવતું હતું, જે સીધા જ લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
આ ઝુંબેશના ભાગરૂપે, આરોગ્ય વિભાગે કુલ 1,094 કિલો અખાદ્ય અને વાસી ખોરાકનો સ્થળ પર નાશ કર્યો છે. આ ઉપરાંત, 26 જેટલી પેઢીઓને સ્ટોરેજ લાયસન્સ અને સ્વચ્છતા અંગેની કડક નોટિસ ફટકારવામાં આવી છે, જેથી તેઓ તાત્કાલિક ધોરણે જરૂરી સુધારા કરી શકે. સમગ્ર કાર્યવાહી દરમિયાન વિભાગે કુલ ₹1,24,700નો દંડ પણ વસૂલ્યો છે.
આરોગ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ડ્રાઇવનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં ખાદ્ય સુરક્ષા પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. સાથે સાથે, ફૂડ બિઝનેસ ઓપરેટરો દૂધની બનાવટો, ખાસ કરીને પનીરનો, સુચારુ અને શુદ્ધ રીતે ઉપયોગ કરે તે સુનિશ્ચિત કરવાનો પણ છે.
રાજ્યભરમાં પનીરને લઈને ચાલી રહેલી ડ્રાઇવના ભાગરૂપે છેલ્લા 15 દિવસથી રાજકોટમાં આ કાર્યવાહી સઘન રીતે ચાલી રહી છે અને આગામી સમયમાં પણ આવા એકમો સામે કડક પગલાં ભરવામાં આવશે તેવી પૂરી શક્યતા છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારા કોઈપણ વેપારીને બક્ષવામાં આવશે નહીં, તેવો સ્પષ્ટ સંદેશ આ કાર્યવાહી દ્વારા આપવામાં આવ્યો છે.
અંબાલાલ પટેલની મોટી આગાહી, 3 થી 6 જુલાઈ ગુજરાતમાં ધોધમાર વરસાદ અને પૂરની શક્યતા! જુઓ Video