રાજકોટ સિવિલની ઘોર બેદરકારી, સારવાર માટે આવેલા વૃદ્ધાને પોસ્ટમોર્ટમ રૂમ પાસે ધકેલી દીધા- Video

રાજકોટ સિવિલની લાલિયાવાડીની વધુ એક ઘટના સામે આવી છે. સિવિલમાં સારવાર માટે આવેલા એક વૃદ્ધાને તબીબોએ પોસ્ટમોર્ટમ રૂમ પાસે મોકલી દીધા હતા. જો કે હેલ્પ ડેસ્કના ધ્યાને આ વાત આવતા ફરી વૃદ્ધાને ફરી દાખલ કરવામાં આવ્યા હતા.

| Edited By: | Updated on: Sep 07, 2024 | 6:58 PM

રાજકોટ સિવિલ હોસ્પિટલના સ્ટાફની માનવતા જાણે મરી પરવારી હોય તેવા દૃશ્યો સામે આવી છે. કોરોના સમયે અને એ અગાઉ પણ રાજકોટ સિવિલની અનેકવાર લાલિયાવાડી સામે આવી ચુકી છે. અહીંનો સ્ટાફ જાણે મફતનો પગાર વસુલવા આવતા હોય તેવુ અવારનવાર જોવા મળે છે. સ્ટાફ દ્વારા ઉદ્ધતાઈભર્યુ વર્તન કરવુ, સરખા જવાબ ન આપવા, દર્દીઓને ધક્કા ચડાવવા જેવી અનેક બાબતે તો આ હોસ્પિટલ કુખ્યાત હતી જ. હવે વધુ એક માનવતાને પણ શરમાવે તેવી ઘટના સિવિલ હોસ્પિટલમાં બની.

વૃદ્ધાને વોર્ડમાં દાખલ કરવાને બદલે પોસ્ટમોર્ટમ રૂમ પાસે ધકેલી દેવાયા

આ સિવિલમાં 108 દ્વારા એક વૃદ્ધાને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ તેમની સાથે કોઈ સગા હાજર ન હતા ત્યારે વૃદ્ધાની મદદ કરવાને બદલે તેમને સારવાર માટે વોર્ડમાં દાખલ કરવાને બદલે પોસ્ટમોર્ટમ રૂમ પાસે ધકેલી દેતા હોસ્પિટલની ઘોર બેદરકારી છતી થઈ છે અને સાબિત થઈ રહ્યુ છે કે અહીંના સ્ટાફમાં દર્દીઓ પ્રત્યે કોઈપણ પ્રકારની સંવેદના કે માનવતા કે મદદ કરવાની વૃતિ જોવા નથી મળતી. 70 વર્ષના વૃદ્ધા સાથે આ પ્રકારનો અમાનવીય વ્યવહાર ખરેખર અત્યંત શરમજનક કહી શકાય. જો કે બાદમાં સિવિલ હોસ્પિટલના હેલ્પ ડેસ્કના ધ્યાને આ વાત આવતા ફરી વૃદ્ધાને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. શું સિવિલના સ્ટાફમાં ખરેખર માનવતા મરી પરવારી છે. આ ઘટના બાદ લોકો હોસ્પિટલ અન તબીબો પર કેવી રીતે વિશ્વાસ કરશે?

સિવિલના RMOએ CCTV તપાસી યોગ્ય કાર્યવાહીની આપી બાંહેધરી

આ સમગ્ર વિવાદ સામે આવ્યા બાદ સિવિલના RMOએ અત્યંત શરમજનક કહી શકાય તેવી આ ઘટના માટે જવાબદારો સામે તપાસના આદેશ આપ્યા છે અને કાર્યવાહી કરવાની પણ બાંહેધરી આપે છે.CCTV ફુટેજના આધારે તપાસ પણ હાથ ધરાઇ છે અને, જેની બેદરકારી સામે આવશે તેની સામે કાર્યવાહી કરવાની વાત કરાઇ છે.

કોંગ્રેસે જવાબદારોને છૂટા કરવાની કરી માગ

આ ઘટનાથી સમગ્ર રાજકોટમાં હડકંપ મચી ગયો છે. આ મામલે હવે રાજનીતિ પણ તેજ થઈ છે અને કોંગ્રેસ પણ મેદાને આવી છે. કોંગ્રેસ સવાલ ઉઠાવ્યો છે કે, CCTV જોતા વાર કેટલી લાગે? શા માટે કાર્યવાહીના નામે માત્ર નાટક થાય છે? કોંગ્રેસે ભૂતકાળની ઘટનાને પણ ટાંકી. ભૂતકાળમાં તત્કાલીન આરોગ્યમંત્રી અશોક ભટ્ટે રાજકોટના કિસ્સામાં 30 મિનિટમાં તબીબને છૂટા કરી દીધા હતા, તો અત્યારે તપાસને નામે શું નાટક કેમ રહ્યા છે?

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 6:48 pm, Sat, 7 September 24