ગુજરાતમાં હવામાન વિભાગે (Meteorological Department) કરેલી આગાહી પ્રમાણે અનેક વિસ્તારોમાં વરસાદ (Rain) વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ રાજકોટના (Rajkot) ઉપલેટામાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. દાહોદમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે, તો અમરેલીના બાબરામાં પણ વરસાદી માહોલ છે. રાજકોટના ઉપલેટામાં મોડીરાત્રે ધોધમાર વરસાદ શરુ થયો હતો. ઉપલેટાના ગઢાળા, ખાખી-જાળિયા અને મોજીલા સહિતના ગામોમાં વરસાદ નોંધાઇ રહ્યો છે. ભારે વરસાદના કારણે ખેતરોમાં વરસાદી પાણી ભરાયા છે. તો વરસાદના પગલે અનેક સ્થળે નદી-નાળા પણ છલકાવા લાગ્યા છે.
સારા વરસાદ બાદ રાજકોટ જિલ્લાના 3 ડેમ ઓવરફ્લો થયા છે. જામકંડોરણાનો ફોફળ-1 ડેમ પણ ઓવરફ્લો થયો છે. તો ધોરાજી તાલુકાનો સોડવદર ડેમ પણ ઓવરફ્લો થયો છે. તો જેતપુર તાલુકાનો છપરાવાડી 2 ડેમ પણ ઓવરફ્લો થયો છે. છપરાવાડી ડેમના 2 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા છે અને 5500 ક્યુસેક પાણીની આવક સામે 5500 ક્યુસેક પાણીની જાવક થઇ રહી છે.
બીજી તરફ તરફ દાહોદ જિલ્લાના લીમડી પંથકમાં પણ ભારે વરસાદ વરસ્યો છે. જેના પગલે લીમડીની માછણ નદી બે કાંઠે વહેતી થઇ છે. ભારે વરસાદ થતા માછણ નદી ગાંડીતૂર બની હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. વરસાદ બાદ નદી પર આવેલો કોઝવે પાણીમાં ગરકાવ થઇ ગયો છે. લીમડી–સંજેલીને જોડતા કોઝવે પર પાણી ફરી વળ્યા છે. તો કોઝવે પર પાણી ફરી વળતા રોડ બંધ થઇ ગયો છે.
બીજી તરફ અમરેલી જિલ્લાના બાબરા પંથકમાં પણ વરસ્યો ધોધમાર વરસાદ વરસ્યો છે. જેના પગલે કાલુભાર નદી બે કાંઠે વહેતી થઈ છે. તો બાબરાના નીલવડા રોડ પર આવેલા કોઝવે પર ભરાયા પાણી છે. જેના પગલે નીલવડા, વાકિયા, સુકવડા, લાલકા સહિતના ગામો સંપર્ક વિહોણા થયા છે. તો પાંચાળ પંથકના તાઈવદર ગામની નદીના પુલ પરથી પાણી વહેતા થયા છે.
મહત્વનું છે કે, રાજ્યના વિવિધ વિસ્તારોમાં આગામી 3 દિવસ ધોધમાર વરસાદ પડવાની આગાહી છે. વલસાડ, દમણ, જૂનાગઢ અને ગીરસોમનાથમાં અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતા હોવાથી હવામાન ખાતાએ રેડ એલર્ટ જાહેર કર્યું છે. અમદાવાદ શહેરમાં પણ 3 દિવસ ભારે વરસાદ પડવાનું અનુમાન છે. આજથી 3 દિવસ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સુરત, ડાંગ, નવસારી, તાપી, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, દીવ, અમદાવાદ, આણંદ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ અને બોટાદમાં ભારે વરસાદ વરસી શકે છે.