Rajkot : શહેરમાં આઇટીના મેગા ઑપરેશનની કાર્યવાહીનો આજે ત્રીજો દિવસ છે. જેમાં RK ગ્રુપમાંથી 100 કરોડના બેનામી વ્યવહાર મળી આવ્યા છે. આઇટીની તપાસમાં 5 કિલો સોનાના દાગીના મળી આવ્યા છે. તથા RK ગ્રુપ સહિતના અન્ય ગ્રુપ દ્વારા કરાતી કાચી ચિઠ્ઠીના વ્યવહારો અંગે એક વર્ષ પહેલા જ સર્ચ ઓપરેશન કરવાનું નક્કી થયું હતુ. સતત 36 કલાકથી આઇટીની ટીમ તપાસ કરી રહી છે.
રાજકોટના અનેક વેપારી, ઉદ્યોગપતિ, કોન્ટ્રાકટરની સાથે વ્યવહાર ખુલ્યા આર.કે. ગ્રુપ ની પ્રોપર્ટી ખરીદનારનું એક લિસ્ટ તૈયાર કરવામાં આવશે. સાથે જ આર.કે. ગ્રુપ સાથે લેવડ-દેવડ કરનારાઓને આઇટી વિભાગ દ્વારા નોટિસ પાઠવવામાં આવશે. આઇટીની તપાસમાં નોટબંધીના વ્યવહારો પણ મળી આવ્યા છે. તપાસમાં ખુલ્યું છેકે અલગ અલગ પદ્ધતિથી ટેક્સ ચોરી કરવામાં આવતી હતી.
આર.કે. ગ્રુપના સર્વાનંદ સોનવાણી સહિત સાતેય ભાઇના રહેણાંક અને ઓફિસોમાં તપાસ યથાવત છે. આર.કે. ગ્રુપ, ત્રિનિટી ગ્રુપ, જાગનાથ માર્બલ, સીમરન ઇલેક્ટ્રોનિક્સના ઓફિસોમાં મેગા સર્ચ ઑપરેશન હાથ ધરાયું છે. સાથે જ પ્રફુલ ગંગદેવ, હરિસિંહ સૂચરીયાના રહેણાંક સ્થળ પણ તપાસ યથાવત રાખવામાં આવી છે. આઇટીના સર્ચ ઓપરેશનમાં 300 અધિકારીઓની ટીમ રોકાઈ છે.
જાણો આર.કે. ગ્રુપ વિશે
આરકે ગ્રુપના માલિક સર્વાનંદ સોનવાણી અને કમલ સોનવાણી છે. જગદિશ સોનવાણી સહિત 6 ભાઇઓ છે. આર કે ગ્રુપ ફાયનાન્સના વ્યવસાય સાથે જોડાયેલા છે. દાણાપીઠમાં RK ફાયનાન્સ પેઢી આવેલી છે. અનાજ -કઠોળનું પણ મોટું કામકાજ છે. RK ટ્રેડિંગના નામે હડમતાળામાં ફૂડ પ્રોસેસિંગ યુનિટ આવેલું છે. કુવાડવા રોડ પર 1 થી લઇને 11 સુધી ઇન્ડસ્ટ્રીયલ ઝોન તૈયાર કર્યા છે. અનેક ફાર્મહાઉસ પ્રોજેક્ટ પણ તૈયાર કર્યા છે. પહેલા જમીન, મકાન અને પ્લોટીંગનું કામ કરતા હતા. જો કે છેલ્લા ઘણાં વર્ષોથી બિલ્ડીંગ તૈયાર કરે છે. મોટાભાગે ભાગીદારી પેઢીમાં કામ કરે છે.જેથી દરોડામાં તેની ભાગીદારી પેઢી પર પણ દરોડા હાથ ધરવામાં આવ્યા છે.
ઇન્કમટેક્સની રડારમાં આર.કે. ગ્રુપ
ઇન્કમટેક્સ વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે છેલ્લા ઘણાં સમયથી આર.કે ગ્રુપ આઈટીના સર્વેલન્સમાં હતું. આર.કે. ગ્રુપ અનેક રોકડ અને બેનામી હિસાબો પર ઈ ન્કમટેક્સ વિભાગની વોચ હતી. જે સ્થળોએ રોકડ અને દસ્તાવેજો રાખવામાં આવ્યા હતા ત્યાં જ દરોડા પાડવામાં આવ્યા. બિલ્ડર અને તેના ભાગીદારોની પેઢીમાં દરોડા પહેલા એકાઉટન્ટન્ટોની ઓફિસોમાં દરોડા કરવામાં આવ્યા. અત્યાર સુધીમાં 4 કરોડ રોકડા, 6 જેટલા એકાઉન્ટ સીઝ કરવામાં આવ્યા છે. આ સાથે જ મિલ્કતો લે વેચ માટે કાચી ચિઠ્ઠીઓ કબ્જે કરાઇ છે.
છેલ્લા 20 દિવસમાં 150 કરોડના સોદા
ઇન્કમટેક્સ વિભાગના સૂત્રોના કહેવા પ્રમાણે આર.કે. ગ્રુપ છેલ્લા ઘણાં સમયથી આઇટીના નિશાના પર હતા.તેમાં પણ આ ગ્રુપ દ્વારા છેલ્લા 20 દિવસમાં માધાપર ચોકડી અને અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં 150 કરોડની જમીનના સોદા કર્યા હતા, જેના કારણે આઇટીની નજરે ચડ્યાં હોવાનું માલૂમ પડ્યું છે.
Published On - 8:39 am, Thu, 26 August 21