Porbandar : સુદામાપુરી પોરબંદરનો શુક્રવારે 1032 મો સ્થાપના દિવસ હતો. જે નિમિતે પોરબંદરના અશમાવતી ઘાટ પર તોરણ બાંધી બારૂ ખુલ્લું મુકવામાં આવ્યું હતું. તેમજ વેપાર શરૂ કરવામાં આવ્યો હતો. પોરબંદરની પૌરાણિકતા સાબિત કરતું ઘુમલીનું તામ્રપત્ર હાલ જામનગરના મ્યુઝિયમમાં છે.
જેમાં પોરબંદરની સ્થાપના જેઠવા વંશના રાજાઓએ વિક્રમ સંવત 1045માં શ્રાવણી પુનમ અને શનિવારના દિવસે સવારે સાડા નવ વાગ્યે કરી હોવાનો ઉલ્લેખ છે. તાજેતરમાં આર્કીયોલોજી વિભાગને પોરબંદરના રંગબાઈ ગામના દરિયા પાસેથી લોથલ સંસ્કૃતિથી પણ જુના અવશેષો મળી આવ્યા છે. જે સાબિત કરે છે કે, પોરબંદર ભારતમાં એક માત્ર લોથલથી પણ જુનું જીવંત બંદર છે.
વિશ્વને શાંતિ અને અહિંસાનો સંદેશ આપનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની માતૃભૂમિ એટલે પોરબંદર. ગુલાબદાસ બ્રોકર અને રતિભાઈ છાયા જેવા કવિ-લેખકો આ નગરીની દેણ છે. ગુજરાતી ભાષામાં વનસ્પતિ શાસ્ત્રના ગ્રંથની ભેટ આપનાર જયકૃષ્ણ ઈન્દ્રજી અને નૃત્ય કળામાં માહિર સવિતાદીદી મહેતા પોરબંદરના છે. ભારતની પ્રથમ ક્રિકેટ ટીમના કેપ્ટન એવા નટવરસિંહજી પોરબંદરના છેલ્લા મહારાજા છે. એશિયાની પ્રથમ ક્રિકેટ સ્કૂલ દુલીપ સ્કૂલ ઓફ ક્રિકેટ અને ભારતનું બીજું પ્લેનેટોરીયમ પોરબંદરની શાન છે. આવી તો અનેક વિવિધતાઓ આ શહેરમાં છે.
આ પણ વાંચો : Tips : જો તમે પણ તેલનો વારંવાર ઉપયોગ કરો છો તો ચેતી જજો, થઇ શકે છે મોટું નુકસાન
Published On - 7:21 am, Sat, 21 August 21