Surat Civil Hospital : સુરતની સિવિલ હોસ્પિટલ (Civil) ફરી એકવખત વિવાદમાં આવી છે. સુરતની સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં (postmortem room) ઉંદરોના ત્રાસની ફરિયાદ અવારનવાર સામે આવતી રહે છે. ત્યાં આજે એક વૃદ્ધાના મૃતદેહને ઉંદરોએ કોતરી ખાધાનો આક્ષેપ પરિવારજનોએ કર્યો હતો.
સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા એક વૃદ્ધાનું મોત થયા બાદ તેમનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ઉંદરોએ મૃતકના પગ કોતરી ખાધા હતા. જયારે આ બાબતની જાણકારી વૃદ્ધાના પરિવારજનોને થઇ ત્યારે તેમની લાગણી દુભાતા તેઓએ સિવિલ હોસ્પિટલના સત્તાવાળાઓ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. અડાજણ વિસ્તારમાં રહેતા 60 વર્ષીય લક્ષ્મીબેન ગઈકાલે ઘરમાં પડી ગયા હતા. જેથી તેમને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી.
વધુ સારવાર માટે તેમને સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. જ્યાં ગઈકાલે મોડી રાત્રે તેમનું મોત નીપજ્યું હતું. આજે સવારે તેમનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે સિવિલના પીએમ રૂમમાં મુકવામાં આવ્યો હતો. તે દરમ્યાન ઉંદરોએ તેમનો એક પગ કોતરી ખાધો હતો. તે જોઈને તબીબો પણ ચોંકી ગયા હતા. આ વાતની જાણ જયારે તેમના પરિવારજનોને થઇ ત્યારે તેઓએ સિવિલ હોસ્પિટલના સત્તાવાળાઓ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. અને વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા હતા.
બીજી બાજુ સિવિલ હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ પહેલા પણ પોસ્ટમોર્ટમ રૂમમાં સાફસફાઈ અને ઉંદરોના ત્રાસ બાબતે ઘણી ફરિયાદો સામે આવી હતી. જે માટે સિવિલ સત્તાધીશોનું ધ્યાન પણ દોરવામાં આવ્યું હતું. પરંતુ આજદિન સુધી આ ફરિયાદ પર ગંભીર રીતે ધ્યાન આપવામાં આવ્યું નથી અને સફાઈ (cleaning) તેમજ વ્યવસ્થાના અભાવે તેનું કોઈ કાયમી નિરાકરણ મળી શક્યું નથી. જો કે આવી ઘટનાઓને અંતે પરિવારજનોના રોષનો ભોગ પીએમ રૂમ ખાતેના ફરજ પરના કર્મચારીઓને બનવું પડે છે.
છાશવારે બનતી આવી ઘટનાઓ અંગે સિવિલ સત્તાધીશોનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પણ તેમના તરફથી કોઈ પ્રત્યુતર મળી શક્યો નથી. જોકે આવી ઘટનાથી મોતનો પણ મલાજો જળવાતો ન હોય પરિવારજનોએ સિવિલ સત્તાધીશો આ બાબતે પૂરતું ધ્યાન આપે અને આવી ફરિયાદ દૂર કરે તેવી માંગણી કરવામા આવી છે.