દુનિયાભરમાં કોરોના મહામારીના કારણે લાખો લોકોના મોત થયાં છે ત્યારે આવા રોગચાળામાંથી બચવા માટે યોગ (Yoga) ને લોકો સૌથી મહત્ત્વના જીવનરક્ષક તરીકે જોવા લાગ્યા છે. માત્ર ભારત જ નહીં વિદેશમાં પણ મોટી સંખ્યામાં લોકો યોગ તરફ વળી રહ્યા છે ત્યારે દેશમાં વધુને વધુ લોકો યોગને પોતાના નિત્યક્રમમાં ઉતારે તે માટે સરકાર દ્વારા પણ પ્રયાસો કરાઈ રહ્યા છે. આ માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ અંગે જાગૃતિ ફાલવવા વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે. આવા જ એક કાર્યક્રમનું પંચમહાલ (Panchmahal) જિલ્લાના ગોધરા (Godhra) માં આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા ગોધરાની ન્યુ ઈરા હાઇસ્કુલ ખાતે યોગ શિબિર યોજાઇ હતી. જેમાં સ્વાસ્થ્ય પ્રત્યે પોતાના જ શરીર માટે માણસે જાગૃત રહેવા અને યોગ એ શરીરની સાહજિક કુદરતી પ્રક્રિયા છે જે જાગૃત થશે તો નિશ્ચિત વ્યક્તિ આયુષ્યમાન બનશે તે સમજાવાયું હતું. પૂજ્ય ગુરુદેવ રામ શર્મા આચાર્યજી સપ્તક્રાંતિ અંતર્ગત સ્વાસ્થ્ય આંદોલનનો જ આ એક ભાગ છે એમ ગાયત્રી પરિવારના વરિષ્ઠ કાર્યકર્તા અને ઇન્ટરનેશનલ લાયન્સ ક્લબ સાથે જોડાયેલા ડૉકટર ઈન્દ્રવદન એન પરમારે જણાવ્યું હતાં.
ડૉકટર ઈન્દ્રવદને જણાવ્યું હતું કે રાજ્ય સરકારના આજના આ કાર્યક્રમમાં ગોધરા શહેર તથા આજુબાજુના ગામડાઓમાંથી ખૂબ સારી સંખ્યામાં યોગ પ્રેમી ભાઈ-બહેનો તથા આરોગ્ય મંત્રી નિમિષાબેન સુથાર ઉપસ્થિત રહ્યા હતા. સુંદર રીતે આજે યોગ શિબિર સંપન્ન થઈ છે. યોગ સંચાલન શિશપાલજી દ્વારા કરવામાં આવ્યું હતું. ગાયત્રી પરિવાર ગોધરામાંથી ઉપઝોનસહ સંયોજક બચુભાઇ ત્રિવેદી, તાલુકાસંયોજક શિવનદાસ કલવાણી, પંચમહાલ જિલ્લા ગાયત્રી પરિવાર સંગઠન ગોધરા ગાયત્રી પરિવાર વરિષ્ઠ કાર્યકર્તા આદરણીય ઈન્દુભાઈ પરમાર, મદદનીશ શિક્ષક ઉત્તર બુનિયાદી વિદ્યાલય ડેમલી સમર સિંહ બારીયા, નિવૃત્ત ટીડીઓ તથા રમેશભાઇ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
રાષ્ટ્રને જગતગુરુ બનાવવા માટે સ્વાસ્થ્ય આંદોલન અંતર્ગત આ કાર્યક્રમ ગાયત્રી પરિવારના એક સૂત્ર સ્વાસ્થ્ય આંદોલન અંતર્ગત થયો હતો. જેમાં રાષ્ટ્રને તંદુરસ્ત રાખવા અને ઊંચે ઉઠાવવા માટે યોગનો તંદુરસ્તીની પ્રક્રિયામાં ખૂબ સુંદર પ્રયોગ કરવા અંગે માર્દદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં ગાયત્રી પરિવાર અને લાયન્સ ક્લબના સેવાભાવી સભ્યોએ સાથ સહયોગ આપ્યો હતો. ઉપસ્થિત લોકોએ રાષ્ટ્રને જગતગુરુ બનાવવા માટે સંકલ્પ લીધો હતો.