માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીને બે વર્ષની સજા, હાલોલની કોર્ટે સજા ફટકારી, સોલંકી સહિત 26 લોકો દોષિત જાહેર
અન્ય આરોપીઓને પણ 2 વર્ષની સજા અને 3 હજારનો દંડ ફટકારાયો છે. જુગારધામ પ્રકરણમાં 4 વિદેશી મહિલાઓ પણ સામેલ હતી. કોર્ટે રિસોર્ટનો પરવાનો રદ્દ કરવાનો પણ હુકમ કર્યો છે.
પંચમહાલ (Panchmahal) જિલ્લામાં હાલોલ તાલુકાના શિવરાજપુરના જીમીરાં રિસોર્ટમાંથી જુલાઈ 2021માં માતરના ધારાસભ્ય (MLA) અને 7 મહિલાઓ સહિત 26 લોકો જુગાર રમતા ઝાડપાવવાના કેસમાં માતરના ધારાસભ્ય કેશરીસિંહ સોલંકી (Keshrishinh Solanki) સહિત 26 લોકોને હાલોલ એડી.ચીફ જ્યુડિશિયલ કોર્ટે દોષિત જાહેર કર્યા છે. અન્ય આરોપીઓને પણ 2 વર્ષની સજા અને 3 હજારનો દંડ ફટકારાયો છે. જુગારધામ પ્રકરણમાં 4 વિદેશી મહિલાઓ પણ સામેલ હતી. કોર્ટે રિસોર્ટનો પરવાનો રદ્દ કરવાનો પણ હુકમ કર્યો છે.
પંચમહાલ એલ.સી.બી. પોલીસને જિલ્લાના શિવરાજપુર ખાતે આવેલા ઝીમીરા રિસોર્ટમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીના આધારે રેડ કરતા પોલીસ પણ રિસોર્ટના દ્રશ્યો જોઈ ચોકી ઉઠી હતી. રિસોર્ટમાંથી પોલીસે ખેડા જિલ્લાના માતર વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય કેશરીસિંહ સોલંકી સહિત અન્ય 18 નબીરાઓ તેમજ 3 નેપાળી મહિલાઓ સહિત 7 મહિલાઓને દારૂ તેમજ જુગારની મહેફિલ માણતા ઝડપી પાડ્યા હતા.
ઝડપાયેલા કુલ 26 વ્યક્તિઓ પૈકી મોટાભાગના ઈસમો અમદાવાદના હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસે બનાવની જગ્યાએથી 3.80 લાખની રોકડ, 1.11 કરોડની વૈભવી કાર તેમજ 9 જેટલી વિદેશી દારૂની બોટલ તેમજ જુગારમાં વપરાતા પ્લાસ્ટિકના કોઈન પણ મોટી સંખ્યામાં કબ્જે કર્યા હતા.
પોલીસે ધારાસભ્ય સહિત ઝડપાયેલા તમામના મોડી રાત સુધી નિવેદનો મેળવવાની કાર્યવાહી કરી તેમની સામે પાવાગઢ પોલીસ મથકે સમગ્ર મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ મુદ્દે ધારાસભ્ય કેશરીસિંહે જણાવ્યું હતું કે, હું તો દર્શન કરવા ગયો હતો મારા પર લાગેલા આક્ષેપ ખોટા છે. હું દારૂ પીતો જ નથી.
પોલીસે રિસોર્ટના માલિક સામે પણ કાર્યવાહી માટેની તજવીજ હાથ ધરી છે, તો બીજી તરફ સમગ્ર મામલે ગુજરાતભરનું રાજકારણ પણ ગરમાયુ છે. દારૂબંધી કડક કરનાર ભાજપ સરકારના જ ધારાસભ્ય આ પ્રકારની પ્રવૃત્તિમાં ઝડપતા રાજકીય ભુકંપ આવ્યો છે, ત્યારે ભાજપ દ્વારા ધારાસભ્ય કેશરીસિંહ સોલંકી સામે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તે જોવુ રહ્યું.
ભાજપના ધારાસભ્ય કેસરી સિંહનાં જુગારકાંડ મામલે તત્કાલિન નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલએ જણાવ્યું કે, ધારાસભ્ય કેસરી સિંહને આ મામલે નોટિસ આપીને પ્રદેશ સંગઠન દ્વારા ખુલાસો માગવામાં આવ્યો છે અને શિસ્ત વિષયક પગલા પણ પ્રદેશ કક્ષાએ લેવામાં આવશે. જોકે ત્યાર બાદ પ્રદેશ સ્તરેથી તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી.