મહાકાળી માતાજીના દેશ-વિદેશમાં ફેલાયેલા ભક્તો હવે સરળતાથી પાવાગઢનો ડુંગર ચડીને માના ચરણોમાં માથું નમાવી શકશે. પાવાગઢમાં રોપ-વે બાદ હવે પ્રવાસીઓની વધારે સુગમતા માટે ડુંગર ખોદીને 210 ફૂટની લિફ્ટ બનાવવાનું કાર્ય હાથ ધરાયું છે. 3 માળ કરતા પણ ઉંચી લિફ્ટનો ઉપયોગ કરીને શ્રધ્ધાળુઓ ફક્ત 40 સેકન્ડમાં જ મંદિરના દ્વારે પહોંચી જશે. લિફ્ટમાં એકસાથે 12 ભક્તો ઉપર-નીચે આવી જઈ શકશે. પાવાગઢ ડુંગર પર લિફ્ટ બનતા જ વૃદ્ધો, બાળકો અને મહિલાઓને દર્શન કરવામાં સરળતા રહેશે. શ્રદ્ધાળુઓ માટે લિફ્ટનો ચાર્જ પણ નજીવો રાખવામાં આવશે. પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડે રાજ્ય સરકારની મંજૂરી મેળવ્યા બાદ લિફ્ટ બનાવવાનું કામ પૂરજોશમાં હાથ ધર્યું છે.
દેશની પવિત્ર 52 શક્તિપીઠ પૈકી એક પાવાગઢમાં મહાકાળી માતાજીના દર્શન માટે રોજ હજારો શ્રદ્ધાળુઓ પહોંચે છે. નવરાત્રિ દરમિયાન ભક્તોની સંખ્યા અનેકગણી વધી જાય છે. ત્યારે પાવાગઢ ડુંગરની કાયાપલટ કરીને શ્રદ્ધાળુઓ માટે સંખ્યાબંધ સુવિધાઓ વધારવા માટેની તૈયારી કરવામાં આવી છે. યાત્રાધામ વિકાસ પ્રધાન પૂર્ણેશ મોદીએ કહ્યું કે પાવાગઢ બસ સ્ટેશનથી માત્ર અડધો કલાકમાં જ માતાજીના દર્શન થાય તેવી વ્યવસ્થાઓ વિકસાવવામાં આવી રહી છે. 130 કરોડ રૂપિયાના ખર્ચે ફેઝ-3માં લિફ્ટ, બે હેલિપેડ અને વૉક-વે સહિતના વિકાસકાર્યો વિકસાવવાનું ચાલુ છે. પાવાગઢમાં ફેઝ-1માં પાથ-વે ટોઈલેટ બ્લોક, પોલીસ બુથ, વોટર હટ, સીટિંગ પેવેલિયન તૈયાર કરાયા છે. પાવાગઢમાં 2374 પગથિયા લાંબા કરવાનું નિર્માણ પૂર્ણ કરાયું છે. જે બાદ ફેઝ-2માં મંદિર પરિસરનું વિસ્તૃતીકરણ કરાયું છે. હવે પાવાગઢમાં ડુંગર ખોદી 210 ફૂટની લિફ્ટનું નિર્માણ કરાશે. ગબ્બરને અડીને આવેલા પર્વતને ખોદી લિફ્ટ બનાવવામાં આવશે. જેનાથી માત્ર 40 મીનિટમાં ગબ્બર પર પહોંચી શકાશે.
યાત્રાધામ પાવાગઢ ખાતે અત્યારે 350 પગથિયાં સુધી રોપ વેની સુવિધા ઉપલબ્ધ છે. આ લિફ્ટનો ઉપયોગ કરીને યાત્રિકો માત્ર 7.5 મિનિટમાં જ 350 પગથિયાં સુધીનું અંતર કાપીને દૂધિયા તળાવ સુધી પહોંચી શકે છે. દુધિયા તળાવથી યાત્રિકોને મંદિર સુધી પહોંચવામાં બીજા 350 પગથિયાં ચડીને જવું પડે છે. જોકે યાત્રીકો સીધા જ મંદિર સુધી પહોંચી શકે તે માટે પાવાગઢ ડેવલપમેન્ટ ફેઝ-3ની શરૂઆત કરી દેવામાં આવી છે. અત્યારે આ 350 પગથિયાનાં અંતર કાપવા માટે મટીરિયલ રોપવે શરૂ કરી દેવામાં આવી છે. મંદિરના રિનોવેશનનું કામ ચાલી રહ્યું હોવાથી આ માટિરિયલ રોપવે મારફત બાધકામ મટિરિયલનું વહન કરવામાં આવે છે. આ કામગીરી પૂર્ણ થયા બાદ પોસેન્જર રોપવેને નીચેથી ઉપર સુધી લંબાવી દેવામાં આવે છે. ત્યાર બાદ ગબ્બરના કુલ 700 પગથિયાંનું અંતર માત્ર 15 મિનિટમાં કાપી શકાશે.
Published On - 2:22 pm, Fri, 13 May 22