Godhra, Panchmahal : છેલ્લા સવા વર્ષ દરમિયાન વૈશ્વિક મહામારી કોરોનાએ સમગ્ર વિશ્વને પોતાના ભરડામાં લીધા છે, અસંખ્ય લોકોએ આ બીમારીના કારણે પોતાના જીવ ગુમાવ્યા છે, તો લાખોની સંખ્યામાં કોરોનાના દર્દીઓ હાલ સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં પોતાનો ઈલાજ કરાવી રહ્યા છે. કોરોના મહામારીના આ કાળમાં અનેક લોકો દ્વારા સેવાઓ તેમજ દાતાઓએ પોતાની યથા શક્તિ પ્રમાણે લોકોની મદદ કરી રહ્યા છે, જયારે કેટલીક સેવાકીય સંસ્થાઓ, હોસ્પિટલોને મોટું દાન અને દવા આપી આ બીમારીના ખપ્પર માંથી લોકોને ઉગારવા માટેના પ્રયાસ કરવામાં આવ્યા છે. નાત-જાત-પાત ધર્મ કોઈ પણ ભેદભાવ વગર માનવ સેવા એજ પ્રભુ સેવાના ઉમદા હેતુ સાથે અનેક દાતાઓએ મદદ ના હાથ લંબાવ્યા છે .
જયારે આ કપરા સમયમાં સરકારી હોસ્પિટલોમાં ફરજ બજાવનારા આરોગ્ય કર્મી તેમજ કાયદો અને વ્યવસ્થા ની જવાબદારી નિભાવનાર પોલીસ કર્મી સહીતના કોરોના યોદ્ધાઓ ને કોરોના વોરિયર્સ નો દરજ્જો આપવામાં આવ્યો અને તેઓને સન્માનિત પણ કરવામાં આવ્યા છે. આ સમય દરમિયાન કેટલાક એવા કોરોના યોદ્ધાઓના કિસ્સા પણ સામે આવ્યા જેઓએ પોતાની તેમજ પોતાના પરિવારની જરા પણ ચિંતા કર્યા વિના સૌથી કપરી પરિસ્થિતિનો સામનો કરી એક ધારી સેવા આપી રહ્યા છે.
આજે એક એવા કોરોના યોદ્ધાની વાત જે કોરોના વોરિયર્સે માત્ર દસ દિવસના સમયગાળા દરમિયાન પોતાના ઘરના મોભી સહીત પરિવારના પાંચ સભ્યો ગુમાવ્યા તેમ છતાં માનવ સેવા બજાવવા માટે ફરજ ઉપર હાજર જોવા મળ્યા. વાત ગોધરા ખાતેની ઈમરજન્સી સેવા 108 માં એમ્બ્યુલન્સના પાયલોટ તરીકે ફરજ બજાવતા પ્રવીણ ભાઈ બારીયા (Pravin Bariya 108 pilot) ની છે. મૂળ મોરવા હડફ તાલુકાના ખાનપુર ગામના વતની છે, અને છેલ્લા 12 વર્ષથી 108 ઇમર્જન્સી સેવામાં પાયલોટ તરીકે ફરજ બજાવે છે. ત્યારે હાલ પાછલા ત્રણ વર્ષ થી તેઓ ગોધરા માં ફરજ બજાવે છે. છેલ્લા બે વર્ષ થી કોરોના મહામારી વચ્ચે પ્રવીણભાઈ એક પણ રજા લીધા વિના સતત સેવા આપી રહ્યા છે.
ત્યારે આ તરફ થોડા દિવસો પહેલા પ્રવીણભાઈના માતા અને પિતા કોરોનાની ચપેટમાં આવ્યા હતા. પ્રવિણભાઈએ હિંમત ન હારી અને પોતાના માતા પિતાને ઈલાજ માટે હોસ્પિટલ દાખલ કર્યા અને માતા પિતા ના ઈલાજ વચ્ચે પણ પોતાની ફરજ સેવા કાર્ય યથાવત રાખી હતી. પિતાની જે હોસ્પિટલ સારવાર ચાલી રહી હતી દરમિયાન 21 એપ્રિલના નારોજ પિતા સબુરભાઈ જેસીંગ ભાઈ બારીયા અવસાન પામ્યાં હતા. પ્રવીણ ભાઈ એ આ દુઃખ ની ઘડી પાર નથી કરી ત્યાંજ 25 એપ્રિલ ના રોજ કોરોના નો ઈલાજ કરાવી રહેલ માતા કમળા બેન તેમજ પ્રવીણભાઈ ના સગા કાકા કાકી અને કાકા નો પુત્ર એમ ચાર લોકો અવસાન પામ્યાં હતા. એક જ દિવસમાં માતા સહિત પરિવાર ના ચાર સભ્યો ના અવસાનને લઇ પ્રવીણભાઈ ના જીવન માં આભ તૂટી પડ્યો હતો. પોતાના પિતાની ચિતા ઠન્ડી થઈ નથી ત્યાંજ કોરોનામા મૃત્યુ પામેલ માતા અને સગા કાકા કાકી તેમજ કાકાના દીકરાને ચિંતાને મુખાગ્ની આપવાનો વારો આવ્યો હતો.
આટલા ટૂંકા ગાળા માં પોતાના પરિવારજનો ગુમાવનારના માથે આભ તૂટી પડ્યો પરંતુ મજબૂત મનોબળ ધરાવતા આ 108 ઇમર્જન્સી સેવાના પાયલોટ પ્રવીણ ભાઈ એ માનવસેવાનો ધર્મ સર્વોપરી ગણાવી પોતાના પરિવારના સભ્યોની અત્યેષ્ઠ ક્રિયા પતાવી પુનઃ પોતાની ફરજ પર હાજર થઈ ગયા હતા. કોરોના મહામારીએ તેમના માતા પિતા તેમજ પરિવારના અન્ય ત્રણ સભ્યોના જીવ લીધા ત્યારે અન્ય કોઈ કોરોના દર્દી ઇમર્જન્સી સેવા ના અભાવે પોતાનો જીવ ન ગુમાવે અને સમયસર તેઓને સારવાર મળી રહે તેં માટે કઠિન ઘડી અને કપરી પરિસ્થતિઓ વચ્ચે પ્રવીણભાઈ ફરી પોતાના ફરજ ઉપર હાજર થયા છે. આમ પ્રવીણ ભાઈએ માનવતાનું એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે.
Published On - 8:17 pm, Wed, 5 May 21