નવસારી(Navsari)માં ગણેશ ઉત્સવના સાતમા દિવસે પણ 200 થી વધુ પ્રતિમાનું વિસર્જન પૂર્ણા નદીના કિનારે કરવામાં આવ્યું હતું. માટીની પ્રતિમા નદીમાં અને પીઓપીની પ્રતિમાને કૃત્રિમ તળાવમાં વિસર્જન કરાયું હતું. ગણેશ સંગઠનના આયોજકો દ્વારા પર્યાવરણના જતનનો ખ્યાલ રાખી ઉજવણી કરવામાં આવી રહી છે. તાજેતરમાં વરસેલા વરસાદે ચિંતા જન્માવી હતી જોકે ખાસ કોઈ સમસ્યા અડચણ તરીકે સામે આવી ન હતી. વિજલપોર, જલાલપોરમાં સાડા 4 ઈંચ વરસાદ પડતાં વિજલપોરમાંથી પસાર થતા દાંડી હેરિટેજ રોડ પર પાણી ભરાતા સવારે વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો. જોકે બાદમાં વરસાદ વિરામ લેતા લોકોએ રાહત અનુભવી હતી.
નવસારીમાં ગણેશ મહોત્સવની અતૂટ શ્રદ્ધા સાથે ઉજવણી કરવામાં આવી છે.શ્રીજીની સ્થાપનાના દોઢ દિવસ, પાંચ દિવસ અને મંગળવારે સાતમા દિવસે પણ ગણેશ પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. મંગળવારે ભક્તોએ ડીજે, ઢોલ નગારા સાથે ગણેશજીને આવતા વર્ષે જલ્દી પધારવાના વચન સાથે વિદાય આપી હતી. પ્રતિમાઓનું પૂર્ણા નદીમાં અને કૃત્રિમ તળાવમાં વિસરાજન કરાયું હતું . ધારાગીરી અને જલાલપોર મળી કુલ 200થી વધુ પ્રતિમાનું વિસર્જન કોઈપણ વિઘ્ન વગર કર્યું હતું. માટીની પ્રતિમા નદીમાં અને પીઓપીની પ્રતિમા કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવાનું નક્કી કરાયું છે.
કલેકટર, માર્ગ મકાન વિભાગના અધિકારી, ચીફ ઓફિસર, પાલિકા પ્રમુખ સહિત અગ્રણીઓની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં સર્વાનુમતે ઠરાવ્યું કે પીઓપીની તમામ મૂર્તિ કૃત્રિમ તળાવમાં વિસર્જન થશે. બીજી તરફ માટીની તમામ પ્રતિમા નદીમાં વિસર્જન કરવામાં આવશે. આ માટે નદીની બાજુમાં જ કુત્રિમ તળાવ બનાવવામાં આવ્યું છે.
રાજ્યમાં (Gujarat) આગામી 5 દિવસ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે.લો પ્રેશર એરિયા બનશે તો વરસાદનું જોર વધશે.9 અને 10 સપ્ટેમ્બરે વરસાદનું જોર વધવાની શક્યતા છે.આ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) વરસાદ પડી શકે છે.દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, (navsari) ડાંગ અને તાપીમાં વધુ વરસાદ વરસવાની શક્યતા છે.
નવસારીના દાબુ લો કોલેજના મેદાન ઉપર 1થી 7 સપ્ટેમ્બર દરમિયાન ‘સખી મેળો અને ગુજરાત વિકાસ પ્રદર્શન’નું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં 50 જેટલા સ્ટોલ ઉપર પ્રદર્શન, વેચાણ કરાઈ રહ્યું હતું. વરસાદને કારણે પાણી ભરાઈ જતા સ્ટોલધારકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. આ પ્રદર્શન બે દિવસ વહેલુ 6 તારીખે સવારે જ પૂર્ણ કરી દેવાની ફરજ પડી હતી.
Published On - 8:47 am, Wed, 7 September 22