કોરોના કાળ હળવો થતા પ્રવાસીઓ નર્મદા (Narmada) જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે. નર્મદા જીલ્લાનું પ્રાકૃતિક સૌન્દર્ય ચોમાસાની સિઝન બાદ સોળે કળાએ ખીલી ઉઠે છે. ચોમાસા દરમિયાન નિનાઈ ધોધ (ninai waterfall) પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ત્યારે નર્મદા વનવિભાગ દ્વારા પણ પ્રવાસીઓ માટે સુવિધાઓ ઉભી કરવામાં આવી છે . હાલ કોરોના મહામારીના પગલે આ વિસ્તારના પ્રવાસન સ્થળોની વન વિભાગે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી દીધું છે.
સાતપૂળાની ગીરીમાળામાંથી ખળખળ વહેતી નદી-ઝરણાં અને વન આચ્છદીત કુદરતી પ્રકુતિને કારણે નર્મદા જીલ્લાને મીની કાશ્મીરનું બિરૂદ મળ્યું છે. નર્મદા જીલ્લાના કુદરતી સૌદર્યમાં વધારો કરતો રાજપીપળા શહેરની નજીક નિનાઈ ધોધ આવેલો છે. આ ધોધનો નજારો જોઈ પ્રવાસીઓ આનંદ માણવા ઉમટી રહ્યાં છે. ગુજરાતનો નાનકડો વનવાસી જિલ્લો એટલે નર્મદા જિલ્લોએ જ્યાં સૌથી વધુ અને મોટો વન વિસ્તારો આવેલા છે.
સાતપુડા અને વિધ્યાંચલની ગિરીમાળાઓ વચ્ચે કુદરતી સૌન્દર્ય બારેમાસ સોળે કળાએ ખીલી ઉઠે છે. જેને કારણે જ ગુજરાતના કાશ્મીરનું ઉપનામ નર્મદા જિલ્લાને મળ્યું છે. ડેડીયાપાડાના ઘનઘોર સાતપુડાની વનરાજી વચ્ચે 70 મીટર ઉંચેથી નીચે પડતા જળધોધ સુંદરતામાં વધારો કરે છે. જેને નિનાઈ ધોધ તરીકે ઓળખવામાં આવે છે.
ગુજરાતમાં આવેલા અનેક પ્રવાસન સ્થળોમાં નર્મદા જિલ્લાને પ્રવાસીઓ વધુ પસંદ કરે છે. કોરોનાની બીજી લહેરમાં લોકો ઘરમાં પુરાઇને કંટાળ્યા હતા. હવે સંક્ર્મણ ઓછું થતા સરકારે ધીમે-ધીમે પ્રવાસન સ્થળો ખોલ્યા છે. જેને લઈ હાલ નર્મદાના ડેડીયાપાડામાં આવેલ નિનાઈ ધોધ જોવા પ્રવાસીઓ ઉમટી રહ્યાં છે.
આ સાથે જ પ્રવાસીઓ અહીં ધોધની મજા લૂંટી રહ્યા છે. પ્રવાસીઓ કુદરતી નજારો નિહાળવા માટે નર્મદા જિલ્લામાં ઉમટી રહ્યાં છે. આ ધોધ જોવા માટે માત્ર ચોમાસાની ઋતુમાં જ 1 લાખ કરતા વધુ પ્રવાસીઓ આવે છે. જોકે આ ધોધ જોવા માટે પ્રવાસીઓ 270 જેટલા પગથિયાં ઉતારવા અને ચઢવા પડે છે. જેને કારણે પ્રવાસીઓ ચઢતા ચઢતા થાકી જતા રસ્તા પર આરામ કરવો પડે છે. પરંતુ આ ધોધનો નજારો જોવા માટે પ્રવાસીઓ ઉત્સુક છે.