
વર્ષો જૂનો અને દાયકાઓથી અનિર્ણિત રહેલો નર્મદા જળ વિવાદ આખરે ઉકેલાઈ ચૂક્યો છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની હાજરીમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ – એમ ચાર રાજ્યો વચ્ચે એક ઐતિહાસિક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત અન્ય રાજ્યોના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ મહત્વપૂર્ણ કરાર દ્વારા વિસ્થાપિતોના પુનર્વસન, જમીન સંપાદન બાદના વળતર અને જળ વહેંચણી જેવા જટિલ મુદ્દાઓનો શાંતિપૂર્ણ અને સર્વસંમતિથી ઉકેલ લાવવામાં આવ્યો છે. ચારેય રાજ્યોના હિતોને ધ્યાનમાં રાખીને આ ઐતિહાસિક નિર્ણય પર મહોર મારવામાં આવી છે. આ સમગ્ર પ્રક્રિયા સંવાદ અને સહમતિના પાયા પર આધારિત હતી, જેના પરિણામે લાંબા સમયથી અટવાયેલા પ્રશ્નોનો નિકાલ થયો છે.
રાજકીય નિષ્ણાત અજયભાઈ ઉમટના મતે, આ સમજૂતી શક્ય બનવા પાછળ “ડબલ એન્જિન સરકાર”નો મોટો ફાળો છે. અગાઉ, વિવિધ રાજ્યોમાં અલગ-અલગ પક્ષોની સરકારો હોવાને કારણે યોગ્ય સંકલન સાધવું મુશ્કેલ બનતું હતું. જોકે, કેન્દ્રમાં અને મોટાભાગના સહભાગી રાજ્યોમાં ભાજપની સરકાર હોવાથી એક સમાન વિચારધારા અને લક્ષ્ય સાથે આગળ વધવું સરળ બન્યું. અમિત શાહે જળ ક્ષેત્રે “સહકારી સંઘવાદ”નો પહેલીવાર સફળ પ્રયોગ કર્યો છે અને જળ સુરક્ષાને મજબૂત કરવા માટે આ ઐતિહાસિક પહેલ કરી છે.
આ કરાર એક “વન ટાઇમ સેટલમેન્ટ” તરીકે અમલમાં મૂકવામાં આવ્યો છે. આર્થિક ચૂકવણી અને ખર્ચ વહેંચણી અંગેના તમામ વિવાદોનો આમાં સમાવેશ થાય છે. ભૂતકાળમાં, મધ્યપ્રદેશમાં દિગ્વિજયસિંહની સરકાર દરમિયાન વિસ્થાપિતો અને વળતરને લઈને વિવાદ વધુ વકર્યો હતો. તે સમયે પેમેન્ટ બાકી રહેવા અને વ્યાજ પર વ્યાજ લાગવા જેવી સમસ્યાઓ હતી. પરંતુ હવે, ચારેય રાજ્યો અને કેન્દ્રમાં સમાન પક્ષની સરકારો હોવાથી આર્થિક નાણાની ચૂકવણી અને ખર્ચ વહેંચણીના વિવાદોનું નિરાકરણ લાવવામાં આવ્યું છે.
જળ વહેંચણીના મુદ્દે પણ રાજ્યો વચ્ચે સકારાત્મક સમજૂતી થઈ છે. અત્યાર સુધી, જળરાશિનું પ્રો-રેટા પ્રમાણે વહેંચણી થતી હતી, જેમાં મધ્યપ્રદેશને સૌથી વધુ અને રાજસ્થાનને ઓછું પાણી મળતું હોવાનું દેખાતું હતું. જોકે, નવા કરાર હેઠળ રાજ્યોએ મોટું મન રાખીને એ સ્વીકાર્યું છે કે જો કોઈ રાજ્યને સહેજ વધારે કે ઓછું પાણી મળે તો તેનાથી વિવાદ કરવો નહીં. અમિત શાહે પણ ભારપૂર્વક જણાવ્યું કે જ્યાં નર્મદાનું પાણી પહોંચ્યું છે, ત્યાં જમીન ફળદ્રુપ બની છે, જમીનનું મૂલ્ય વધ્યું છે અને ખેડૂતોની કિસ્મત બદલાઈ છે. આ સમજૂતીથી પાણીનો મહત્તમ ઉપયોગ સુનિશ્ચિત થશે અને ખેડૂતોને તેનો સીધો લાભ મળશે. આ કરાર ખરેખર ભારતના સંઘીય માળખામાં સહકાર અને વિકાસનું પ્રતિક બની રહેશે.
વડોદરા સ્ટેશન પર પ્લેટફોર્મ વિસ્તરણના કામને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવ