Narmada : ભરૂચમાં સંભવિત પૂરનું જોખમ ટાળવા નર્મદા ડેમના 13 દરવાજા બંધ કરાયા

નર્મદા ડેમમાં (Narmada Dam) ઉપરવાસમાં આવેલા ઓમકારેશ્વર ડેમમાંથી (Omkareshwar Dam) છોડવામાં આવેલા પાણીમાં ઘટાડાને પગલે સવારે 11 કલાકથી નર્મદા ડેમના પાણીની આવકમાં ધરખમ ઘટાડો નોંધાયો છે.

Narmada : ભરૂચમાં સંભવિત પૂરનું જોખમ ટાળવા નર્મદા ડેમના 13 દરવાજા બંધ કરાયા
નર્મદા ડેમના 10 દરવાજા ખોલી છોડાઇ રહ્યુ છે પાણી
| Edited By: | Updated on: Aug 19, 2022 | 3:03 PM

ભરૂચમાં (Bharuch) સંભવિત પૂરનું જોખમ ટાળવા માટે આખરે નર્મદા ડેમના (Narmada Dam) 13 દરવાજા બંધ કરવામાં આવ્યા છે. હાલ 10 દરવાજામાંથી 1 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમમાં ઉપરવાસમાં આવેલા ઓમકારેશ્વર ડેમમાંથી (Omkareshwar Dam) છોડવામાં આવેલા પાણીમાં ઘટાડાને પગલે સવારે 11 કલાકથી નર્મદા ડેમના પાણીની આવકમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. તો છેલ્લા 5 દિવસથી નર્મદા ડેમના 23 દરવાજા ખોલાતા ભરૂચમાં સંભવિત પૂરનું જોખમ તોળાઈ રહ્યું હતું. જોકે 13 દરવાજા બંધ કરાતા આખરે લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે. નર્મદા ડેમની સપાટી 135.46 મીટર નોંધાઈ છે. તો ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં પાણીની આવક 1 લાખ 84 હજાર 556 ક્યુસેક થઈ છે.

નર્મદા ડેમના 13 દરવાજા બંધ કરવામાં આવ્યા

નર્મદા ડેમના 10 દરવાજા ખોલી પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું છે. અગાઉ નર્મદા ડેમના 23 દરવાજા ખોલી પાણી છોડવામાં આવી રહ્યુ હતુ. જો કે હવે ડેમના 13 દરવાજા બંધ કરવામાં આવ્યા છે. ભરૂચ(Bharuch) નજીક નર્મદા નદીનું જળસ્તર આજે સતત ત્રીજા દિવસે ભયજનક સપાટીથી ઉપર વહી રહ્યું છે. જેના પગલે ભરુચમાં પૂરનું જોખન તોળાતુ હતુ. ત્યારે આ જોખમને ઘટાડવા માટે હવે ડેમના માત્ર 10 જ દરવાજા ખોલી પાણી છોડવામાં આવી રહ્યુ છે.ગુજરાતની(Gujarat) જીવાદોરી સમાન નર્મદા ડેમની (Narmada Dam) જળ સપાટી વધતા ખેડૂતોને સિંચાઈના પાણી માટે મોટી રાહત થશે. સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 135.46 મીટર પર પહોંચી છે. જયારે પાણીની આવક 1 લાખ 84 હજાર 556 ક્યુસેક છે.

અસરગ્રસ્ત વિસ્તારના 800 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર

મહત્વનું છે કે છેલ્લા 24 કલાક કરતા વધુ સમયથી ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદાની સપાટી 26.50 ફૂટે સ્થિર છે. નર્મદાની ભયજનક સપાટી 24 ફુટ છે અને જળસ્તર ખતરાના નિશાનની અઢી ફુટ ઉપર નજરે પડી રહ્યાં છે. તંત્રના અંગચેતીના પગલાંઓના કારણે જળસ્તર વધે તે પહેલાજ સંભવિત અસરગ્રસ્ત વિસ્તારના 800 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરી નાખવામાં આવતા નદીના ધસમસતા પ્રવાહ છતાં કોઈ ચિંતાજનક પરિસ્થિતિનું નિર્માણ થયું નથી. જોકે નર્મદાના કાંઠાના ખેડૂત ચિંતાતુર બન્યા છે.

નર્મદા નદીના અંકલેશ્વર કાંઠાના ખેડૂતો ફૂલ અને શાકભાજીની ખેતી કરે છે. નર્મદાના પાણી કોતરો મારફતે સીમમાં પ્રવેશી ગયા છે. ખેડૂતો અનુસાર આ પાણીનો તરત નિકાલ થશે નહિ જેના કારણે ખેતીને નુકસાન થશે. કેટલાક ખેડૂતો તેમના ઉભા પાક ગુમાવવાની પણ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. ફૂલોની ખેતી કરતા પિન્ટુ પટેલે જણાવ્યું હતું કે જળસ્તરમાં એક સ્તર બાદ વધારો થયો નથી જે રાહતના સમાચાર છે. જળસ્તર 28 ફુટ સુધી પહોંચી જાય ત્યારે  કાંઠાના  ગામોમાં ખેતીને વધારે નુકસાન થાય છે.

Published On - 3:01 pm, Fri, 19 August 22