
ખેડૂતો માટે એક સારા સમાચાર છે. કેમકે તેમની માથાઝીંક ઓછી થવા જઈ રહી છે. ખેડૂતોએ હવે પાણી પત્રક માટે તલાટી પાસે રૂબરૂ જવું નહિ પડે બલકે ઘરે બેઠા તેમની વિગતો સરકાર પાસે પહોંચી જશે. રાજ્ય સરકારે બીજી બધા ક્ષેત્રની જેમ ખેતીના રેકોર્ડમાં પણ સૌ પ્રથમવાર ડિજિટલ ક્રોપ સર્વેનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. જેના કારણે ખેડૂતોએ પોતાના પાક વિશેની નોંધણી કરાવવા ધક્કા ખાવાનો વારો નહીં આવે. આ ડિજીટલ ક્રોપ સરવે છે શું ? અને કેવી રીતે કામ કરશે ?
હવે ખેડૂતોએ આ કામ માટે ગામના તલાટી પાસે જવાની જરૂર નહિ પડે. અત્યાર સુધી તો ખેડૂતોએ પાણીપત્રક માટે એટલે કે કયા પાકની કેટલા વિસ્તારમાં ખેતી કરી છે તેની માહિતી તલાટીને રૂબરૂ જઈને આપવી પડતી હતી. પરંતુ સરકારે એજન્સીને સરવેની કામગીરી સોંપી છે. અને આ એજન્સી માટે ગામના યુવાનો જ સ્માર્ટ ફોન પર ડિજિટલ ક્રોપ સરવેની કામગીરી કરી રહ્યા છે.
સર્વેયરો દ્વારા 582052 સર્વે નંબરોમાં થયેલા વાવેતરની ડિજિટલ રીતે ગણતરી કરવામાં આવી રહી છે. સર્વેયરો જે તે સર્વે નંબરમાં જઈ પાકનો ફોટો લઈ એપ્લિકેશનમાં અપલોડ કરી રહ્યા છે. GPS ટેકનોલોજી આધારિત આ ગણતરીમાં ફોટો અપલોડ થતા ખેડૂતનું નામ તેની જમીનનો સર્વે નંબર અને કયા પાકનું કેટલું વાવેતર કર્યું છે, તેના ડેટા એપમાં ઓટોમેટીક અપલોડ થઈ જાય છે.
આ પ્રોજેક્ટથી થકી પ્રથમ તબક્કે વાવેતર વિસ્તારની ચોકસાઈ મેળવવાનો આશય છે. સર્વેયરોએ અપલોડ કરેલા ડેટાને જે તે ગામના ગ્રામ સેવકો દ્વારા ખરાઈ કરવામાં આવશે. તેમજ તલાટી દ્વારા આખરી મંજૂરી આપવામાં આવશે. આ પ્રોજેક્ટમાં શિયાળું સીઝનના મુખ્ય છ પાકોને આવરી લેવામાં આવ્યા છે. આ સર્વેમાં તમાકુ, રાઈ વરિયાળી તેમજ અજમા સહિતના અન્ય પાકોને આવરી લેવામાં આવશે.
ડિજિટલ ક્રોપ સર્વેના આ પાયલોટ પ્રોજેક્ટમાં પ્રથમ તબક્કે મહેસાણા ઉપરાંત અરવલ્લી, નર્મદા, ડાંગ, વલસાડ અને પોરબંદર જિલ્લાને આવરી લેવાયો છે. સફળ થયા બાદ તબક્કાવાર અન્ય જીલ્લામાં પણ શરૂ થઈ શકે છે.
Published On - 5:06 pm, Mon, 15 January 24