ઉંમર ભલે રહી નાની પણ સપના છે આકાશને આંબવાના. મહેસાણા (Mehsana) ની નાનકડી તન્વીના આ સપના ટૂંક સમયમાં જ સાકાર થવાના છે. વાત છે એ દીકરીની જેનો ઉલ્લેખ પીએમ મોદી (PM Modi) એ આજે ‘મન કી બાત’ (Mann ki baat) કાર્યક્રમમાં કર્યો હતો. આજે પીએમ મોદીના મન કી બાત કાર્યક્રમનો 90મો એપિસોડ હતો. જેમાં તેમણે મહેસાણાની નાનકડી તન્વી પટેલનો ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ મન કી બાતમાં કહ્યું કે- ઈન-સ્પેસ કાર્યક્રમ અંતર્ગત હું મહેસાણાની શાળામાં ભણતી દીકરી તન્વી પટેલને મળ્યો હતો. તે બહુ જ નાના સેટેલાઈટ પર કામ કરી રહી છે, જે આગામી મહિનાઓમાં સ્પેસમાં લોન્ચ થવા જઈ રહ્યો છે. તન્વીએ મને ગુજરાતી ભાષામાં સરળતાથી પોતાના વિશે અને આ પ્રોજેક્ટ વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, તન્વીની જેમ દેશના અંદાજે 750 સ્કૂલના વિદ્યાર્થીઓ, અમૃત મહોત્સવમાં આવા જ 75 સેટેલાઈટ પર કામ કરી રહ્યાં છે. ખુશીની વાત એ છે કે, તેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ દેશના નાના શહેરોમાંથી આવે છે.
આ એજ યુવા છે, જેમના મનમાં આજથી થોડા વર્ષો પહેલા સ્પેસ સેક્ટરની છબી કોઈ સિક્રેટ મિશન જેવી હતી. પરંતુ દેશમાં સ્પેસ રિફોર્મ્સ કરાયું, અને એજ યુવા હવે પોતાના સેટેલાઈટ લોન્ચ કરી રહ્યાં છે.. મહત્વનું છે કે કેટલાક દિવસ પહેલા અમદાવાદની એક દિવસની મુલાકાતે આવેલી પીએમ મોદીએ ઈન-સ્પેસ એજન્સીનું ઉદ્ઘાટન કર્યું હતું.. ઈન-સ્પેસ એ અવકાશ વિભાગ હેઠળની નોડલ એજન્સી છે..જે અવકાશી સંશોધન અને વેપારક્ષેત્રે ખાનગી ઉદ્યમીઓને પ્રવેશવાની તથા આગળ વધવાની તક પૂરી પાડે છે..
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતના 90મા એપિસોડમાં દેશવાસીઓને સંબોધિત કર્યા. તેમણે ઈન્દિરા ગાંધીના શાસન દરમિયાન લાદવામાં આવેલી ઈમરજન્સી માટે કોંગ્રેસની ઘણી ટીકા કરી હતી. આ સિવાય તેમણે ઘણા સકારાત્મક મુદ્દાઓ પર વાત કરી. તેમણે સ્પેસ પ્રોગ્રામમાં દેશની વધતી જતી સિદ્ધિઓ માટે ઘણા સ્ટાર્ટઅપ્સની પ્રશંસા કરી હતી. પીએમ મોદીએ ક્રિકેટર મિતાલી રાજ, ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપરાનું નામ લેતા ખેલાડીઓ વિશે પણ વાત કરી. આ ક્રમમાં, વડાપ્રધાને હિમાચલ પ્રદેશની અનોખી સાયકલ રેલીની ચર્ચા કરી હતી. આ માઉન્ટેન બાઈકિંગ સાયકલ રેલીનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે જો આપણું વાતાવરણ સ્વચ્છ રહે, આપણા પર્વતો અને નદીઓ, સમુદ્રો સ્વચ્છ રહે તો આરોગ્ય પણ સારું રહે છે. તેમણે લોકોને આવા પ્રયાસો વિશે લખતા રહેવા અપીલ કરી હતી.