Mehsana: મહેસાણા જિલ્લાના વિસનગરના વતની 33 વર્ષીય મહેન્દ્રભાઇ બાધેલને માર્ગ અકસ્માતમાં (Road accident) ગંભીર પ્રકારની ઇજાઓ થતા હાથ પગના હલન-ચલનની ક્રિયા બંધ થઇ ગઈ હતી. અમદાવાદ, ગાંધીનગર જિલ્લાની વિવિધ હોસ્પિટલમાં નિદાન અર્થે ગયા બાદ પણ સ્થિતિમાં સુધાર જોવા મળી રહ્યો ન હતો. અંતે વિસનગરની આવેલી નૂતન મેડિકલ કોલજ અને રીસર્ચ સેન્ટરમાં સારવાર અર્થે પહોંચ્યા હતા. ઉત્તર ગુજરાતમાં (North Gujarat) વર્ષોથી ઇમરજન્સી સહિતની અધતન સારવાર માટે વિખ્યાત નૂતન મેડિકલ કોલેજના નિષ્ણાંત તબીબોની ટીમે દર્દીની તપાસ હાથ ધરી હતી.
હોસ્પિટલના સ્પાઇન સર્જન અને અમદાવાદ સિવિલ હોસ્પિટલના પૂર્વ સુપ્રીટેન્ડન્ટ ડો. જે.વી.મોદી અને તેમની ટીમે મહેન્દ્રભાઇ બાધેલની સર્જરી હાથ ધરી હતી. અમદાવાદ સિવિલમાં અનેક જરૂરિયાતમંદ અને પીડીત દર્દીઓની સ્પાઇન અને ઓર્થોપેડિક સર્જરી કરીને પોતાની તબીબી નિપૂણતાથી અગણ્ય દર્દીઓને નવજીવન આપનારા ડૉ. જે.વી.મોદીએ ફરી એક વખત પોતાની તબીબી નિપૂણતા અને કોઠા સુઝના પરિમામે પેરાલિસીસ થઇ ગયેલ મહેન્દ્રભાઇની સર્જરી હાથ ધરીને તેને નવજીવન બક્ષ્યું છે.
ડૉ. જે.વી.મોદીએ નૂતન હોસ્પિટલના ડૉ. વિજય ચૌધરી, ડૉ. સચિન પટેલ અને ડૉ. ધ્રુવ પટેલ તેમજ ડૉ. એન્જલના સહયોગથી દર્દીના કરોડરજ્જુ અને ગળાના ભાગમાં થયેલ ગંભીર ઇજાનું નિદાન કરીને સર્વાઇકલ ઓપરેશન સર્જરી હાથ ધરી. સફળ સર્જરીના પરિણામે આજે મહેન્દ્રભાઇના હાથ પગનું હલન-ચલન પૂર્વવત બન્યું છે.
ખાનગી હોસ્પિટલમાં અંદાજીત 1.50 લાખના ખર્ચે થતુ ઓપરેશન નૂતન મેડિકલ કોલેજમાં આયુષ્માન યોજના હેઠળ સંપૂર્ણપણે વિના મૂલ્યે ઉપલબ્ધ બન્યું. મહેન્દ્રભાઇની શારિરીક સ્થિતિ પૂર્વવત બનતા તેમના પરિવારજનોએ નૂતન મેડિકલ કોલેજના પ્રમુખ પ્રકાશભાઇ પટેલ અને ટ્રસ્ટીગણ સહિત સરકારનો હ્યદયપૂર્વક આભાર માન્યો હતો.
Published On - 9:59 pm, Thu, 19 May 22