મહેસાણા (Mehsana)ના વિસનગરમાં શહેર રજપૂત સમાજ તેમજ તાલુકા રજપૂત સમાજ (Rajput Community) દ્વારા ઈનામ વિતરણ અને સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તેજસ્વી વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ અને તેમનું સન્માન કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, જળસંપતિ અને પાણી પુરવઠા મંત્રી ઋષિકેશ પટેલને ખાસ આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે આરોગ્યમંત્રીએ જણાવ્યુ હતુ કે રજપૂત સમાજે આદિ-અનાદિ કાળથી સમાજને સુરક્ષા આપવાનું, સંસ્કૃતિના જતનનું કાર્ય સંપૂર્ણ નિષ્ઠાથી નિભાવ્યુ છે. આજે દેશ માટે કે સમાજ માટે તલવાર (Sword)ની સાથે સાથે પેન (Pen)ની તાકાતની પણ જરૂરિયાત છે તેમ આરોગ્યમંત્રીએ જણાવ્યુ હતુ.
વધુમાં તેમણે ઉમેર્યુ કે 21મી સદી એ ભારતની સદી છે, યુવાનો માટે પોતાની કારકિર્દી બનાવવા માટે આ સદીમાં અનેક સંભાવનાઓ, વિકલ્પો રહ્યા છે. યુવાધન તેમના મનગમતા યોગ્ય માર્ગદર્શન થકી પોતાનું જીવન ઘડતર કરી શકે છે તો સાથોસાથ ઋષિકેશ પટેલે જણાવ્યુ કે આજે દેશમાં સ્ટાર્ટ અપ ઈકોસિસ્ટમ, ઈનોવેશન વગેરેના વાતાવરણનું નિર્માણ થયુ છે. આવનારો સમય એ આ ક્ષેત્રનો જ છે. આથી આ ક્ષેત્રોમાં પણ વિકાસન અપાર સંભાવનાઓ રહેલી છે.
આ ઈનામ વિતરણ અને સન્માન સમારોહ કાર્યક્રમમાં રજપૂત સમાજના તેજસ્વી તારલાઓ, સરકારી નોકરીમાં નિમણુક પામેલા યુવક-યુવતીઓ, તેમજ નિવૃત થયેલા વડીલોનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ઈનામ વિતરણ અને સન્માન કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે ઉત્તર ગુજરાત રજપૂત સમાજના પ્રમુખ જયરાજસિંહ, પાલનપુરના જિલ્લા શિક્ષણ અધિકારી નરેન્દ્રસિંહ ચાવડા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત મોટી સંખ્યામાં રજપૂત સમાજના ભાઈઓ, બહેનો અને વડીલો હાજર રહ્યા હતા. પોતાનું સન્માન થવાથી સમાજના યુવક યુવતીઓ, વિદ્યાર્થીઓ અને વડીલોના ચહેરા પર ખુશીની લાગણી જોવા મળી હતી.
બીજી તરફ આરોગ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિ અને પ્રેરક સંબોધનથી ઉપસ્થિત સહુ કોઈમાં એક નવી ઊર્જાનો સંચાર થયો હતો. ખાસ કરીને યુવાનો માટે તેમની વાતો ઘણી રસપ્રદ અને પ્રેરણારૂપ રહી હતી. આરોગ્યમંત્રીએ યુવાનોને તલવારની તાકાતની સાથોસાથ પેનની તાકાતનું મહત્વ સમજાવ્યું, જે યુવાનોને ઘણુ અસર કરી ગયુ હતુ.
ઈનપુટ ક્રેડિટ- મનિષ મિસ્ત્રી- મહેસાણા