સૌરાષ્ટ્રમાં આ વર્ષે મગફળનુ મોટી માત્રામાં વાવેતર કરાયુ હોવાથી, આ વર્ષે સૌરાષ્ટ્રમા મગફળીનો બમ્પર પાક થવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. આ સંજોગોમાં ખેડૂતોને મગફળીના સારો ભાવ મળી રહે તે માટે ગુજરાત સરકારે, સિગતેલ આરોગ્યવર્ધક હોવાનુ અભિયાન ચલાવીને લોકો વધુને વધુ સિગતેલનો વપરાશ કરે તેવા પ્રયાસો હાથ ધરવા જોઈએ, તેવો પત્ર સોમાના ટુંકા નામે ઓળખાતા સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસોસિએશને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને લખ્યો છે.
ચીનને બદલે અન્ય દેશમાં નિકાસ માટે પ્રયાસ કરવો
સોમાએ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને લખી જણાવ્યું છે કે સીગતેલ અને સીગદાણાની નિકાસ ચીનમાં વધુ થાય છે. પરંતુ વર્તમાન સ્થિતિને ધ્યાને લઈને નિકાસ કરવામાં પારાવાર મુશ્કેલીઓ આવી શકે તેમ છે. આ સંજોગોમાં ગુજરાત સરકારે સીગતેલ અને સીગદાણાની નિકાસ માટે અન્ય દેશ તરફ નજર દોડાવવી પડશે.
સીગતેલ-સીગદાણાની નિકાસ માટે પ્રોત્સાહક સબસિડી આપવી
દેશમાંથી કૃષિપેદાશની નિકાસ માટે સરકાર દ્વારા પ્રોત્સાહન સ્વરૂપે 6થી10 ટકા ઈન્સેન્ટીવ આપવામાં આવે છે. એકમાત્ર સીગદાણા કે સીગતેલની નિકાસમાં ઈન્સેન્ટીવ આપવામાં આવતુ નથી. સીગતેલ અને સીગદાણાની નિકાસમાં ઈન્સેન્ટીવ મળે તેવા પ્રયાસ કરવા.
સીગદાણાનો ઉપયોગ કરતા ઉદ્યોગો સૌરાષ્ટ્રમાં સ્થપાય
સીગદાણાનો અનેક ચીજવસ્તુમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પીનર બટર, પીનર ફ્લોર, ચોકલેટ અને કેટલાક શક્તિવર્ધક પાવડરમાં સીગદાણાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આવા ઉદ્યોગો સૌરાષ્ટ્રમાં સ્થપાય તો ખેડૂતોને સારો ભાવ મળી રહે તેમ છે.
સીગતેલનો વપરાશ વધારવા ઝુંબેશ જરૂરી
આરોગ્ય માટે સીગતેલ કોઈ નુકસાનકારક ના હોવાનું સાબિત થયુ છે. તેને આધાર બનાવીને સરકારે સહકારી ક્ષેત્રોની મદદથી પ્રચાર ઝુંબેશ શરૂ કરવી જોઈએ. જો ઝુંબેશને કારણે સીગતેલનો વપરાશ વધે તો પણ ખેડૂતોને મગફળીનો સારો ભાવ મળી રહે તેમ છે.