વડતાલના પંચાળામાં સ્વામિનારાયણ ભગવાને યોજેલા પ્રથમ રાસોત્સવને (Maharasostav) વર્ષ 2023માં 200 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે ભુજના નૂતન સ્વામિનારાયણ મંદિર (Swaminarayan Temple) દ્વારા છતરડી વાળા તળાવમાં તેને અનુલક્ષીને શુક્રવારે છઠ્ઠી મેએ મહારાસોત્સવનું આયોજન કરાયું છે. સાંજે 6 વાગ્યાથી શરૂ થનારા આ રાસોત્સવની ભુજ મંદિરના મહંત પુરાણી સ્વામી ધર્મનંદનદાસજી, ઉપમહંત ભગવદ્જીવનદાસજી, પાર્ષદવર્ય કોઠારી જાદવજી ભગત આદિ સંતોની પ્રેરણાથી નરનારાયણદેવ યુવક-યુવતી મંડળ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તળાવને વિવિધરંગી લાઇટોથી સુશોભિત કરાઇ રહ્યું છે.
200 વર્ષ પહેલાં પંચાળમાં યોજાયેલા રાસોત્સવની મનોમન ઝાંખીને નજર સમક્ષ રાખી મંદિરના સંતોએ મહારાસોત્સવનું આયોજન કર્યું છે જેમાં સમગ્ર ભારતના જુદા જુદા શહેરો અને ગામડાઓમાંથી 281 જેટલા ગ્રુપો ભાગ લેશે. આ સાથે 200 સંતો અને 200 સાંખ્ય યોગીબહેનો પણ રમઝટ બોલાવશે. આ ઉત્સવમાં દેશભરના 15 હજાર જેટલા ખેલૈયાઓ ઝુમશે તેની સાથે કચ્છમાં અત્યાર સુધી યોજાયેલા 6 રાસોત્સવની સાથે 51,151 ખેલૈયાઓ રાસ રમ્યા હોય તેવો વિક્રમ સર્જાશે.
મીડીયા સાથેની વાતચીતમાં સ્વામી કપિલમુનિદાસજીએ જણાવ્યું હતુ કે, જાદવજી લાલજી વરસાણીના પુત્ર રવીલાલ વરસાણી પરિવારના યજમાન પદે રાસોત્સવ માટે સ્વામી દેવપ્રકાશદાસજી સાથે કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે.
આ મહારાસોસ્તવમાં ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવા ઈનામોની વણઝાર પણ થશે. પુરૂષ અને મહિલાઓ માટે બેસ્ટ ફેન્સી ડ્રેસ એવોર્ડ, યુવક અને યુવતીઓ માટે અલગ અલગ બેસ્ટ ખેલૈયા એવોર્ડ આપવામાં આવશે. પ્રથમ, દ્વિતીય અને તૃતિય એ રીતે 12 ગ્રુપ સ્પર્ધકોને વિજેતા જાહેર કરી પારિતોષિકો એનાયત કરવામાં આવશે.
આ પહેલા કચ્છ જીલ્લામાં જ માધાપર, માંડવી, રવાપર, રામપર, નારાણપર અને માનકૂવા એમ છ સ્થળે મહારાસોત્સવ યોજાઇ ચૂક્યા છે જેમાં અંદાજીત 36 હજારથી પણ વધુ ખેલૈયાઓએ ભાગ લીધો હતો. ભુજમાં યોજાનારા રાસોત્સવમાં 15 હજારથી વધુ લોકો એકસાથે રાસ લેશે.
Published On - 1:59 pm, Thu, 5 May 22