
ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં હોળી એ મહત્વનો તહેવાર ગણાય છે. રાજ્યના છોટાઉદેપુર જિલ્લામાં હોળી બાદ યોજાતા આદિવાસી સમાજના મેળાઓમાં એક અનોખી અને કઠિન પરંપરા જોવા મળે છે. આ પરંપરા છે “બળવો” બનવાની અગ્નિ પરીક્ષા. આદિવાસી સમાજમાં બળવો બનવા માટે યુવાનોને ઘણી કઠિન રીતિ-રિવાજોમાંથી પસાર થવું પડે છે. ખાસ કરીને ચિસાડિયા ગામે યોજાતા બળવાના મેળામાં આ પરંપરા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. જેને નિહાળવા દૂર દૂરથી લોકો આવતા હોય છે.
છોટાઉદેપુર જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં હોળી બાદ આદિવાસી સમાજના મેળાઓ યોજાય છે. આ મેળાઓમાં બળવો બનવા ઈચ્છતા યુવાનોને પોતાની શ્રદ્ધા અને હિંમત સાબિત કરવી પડે છે. ઘણા મેળાઓમાં હોળીના અંગારાઓ પર ચાલવાની પરંપરા હોય છે. આ પરીક્ષા પાર કર્યા બાદ ચિસાડિયા ગામે યોજાતા મેળામાં તેમની આગળની કઠિન વિધિ થાય છે.
ચિસાડિયા ગામે બળવો બનવા માટેની સૌથી કઠિન પરીક્ષા લેવામાં આવે છે. અહીં બળવો બનનારા ઉમેદવારની પીઠના ભાગે લોખંડના હૂક લગાવવામાં આવે છે. જો આ પ્રક્રિયા દરમિયાન યુવાનની પીઠમાંથી લોહી નીકળે તો તેને નાપાસ ગણવામાં આવે છે. આ પરંપરા ખૂબ જ કઠિન માનવામાં આવે છે અને ઘણા યુવાનો આ પરીક્ષામાં નિષ્ફળ પણ જાય છે.
જો ઉમેદવાર આ પરીક્ષા સફળતાપૂર્વક પાર કરે તો તેને લાકડામાંથી બનાવેલ વિશેષ આડા સ્થંભ પર બાંધી દેવામાં આવે છે. ત્યાર બાદ લોકો તેને આડુ અવળું ગોળ ગોળ પાંચ ચક્કર ફેરવે છે. આ સમગ્ર વિધિ જોવા માટે મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ભેગા થાય છે. પાંચથી સાત વર્ષ સુધી આ વિધિઓ પૂર્ણ કર્યા બાદ જ સમાજ કોઈ વ્યક્તિને “બળવો” તરીકે સ્વીકાર કરે છે.
આ રીતે આદિવાસી સમાજમાં બળવો બનવું માત્ર માન-સન્માનની વાત નથી, પરંતુ શ્રદ્ધા, હિંમત અને કઠિન પરંપરાઓની અગ્નિ પરીક્ષામાંથી પસાર થવાનો એક અનોખો પરંપરા છે.
Published On - 4:00 pm, Sun, 8 March 26