ખેડા (Kheda) જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં જો આપ રણછોડરાયના દર્શન અર્થે જવાનાં હોવ તો પહેલા આ સમાચાર વાચી લેજો. કારણ કે ડાકોર પાલિકાના અણઘડ આયોજનને કારણે તમને રણછોડજી મંદિર (Dakor Temple) સુધી પહોંચવામાં મુશ્કેલી પડી શકે છે. ડાકોરના (Dakor) રણછોડરાય મંદિરની બહાર જ પ્રિમોન્સૂન કામગીરી (Premonsoon operations) માટે ખાડા ખોદી દેવામાં આવ્યા છે. જેના કારણે મંદિરમાં જવા માટે ફરી ફરીને જવુ પડી શકે છે.
ખેડા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર રણછોડજી મંદિરમાં દરરોજ હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો કાળીયા ઠાકોરના દર્શન કરવા ઉમટી પડતા હોય છે. એક તરફ ચોમાસાની ઋતુને ગણતરીના દીવસો બાકી રહ્યાં છે. ત્યારે ડાકોર પાલિકા દ્વારા રણછોડજી મંદિર બહારનો આખો રોડ ખોદી નાખવામાં આવ્યો છે અને પાલિકા તંત્ર દ્વારા રોડ ઊંચો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પાલિકાના સત્તાધીશો જણાવી રહ્યાં છે કે, ચોમાસામાં મંદિર બહાર પાણી ભરાઈ જવાની સમસ્યા હતી તેનો નિકાલ કરવા હાલમાં આ ખોદકામ કરવામાં આવી રહ્યું છે. પરંતુ કોઈ પણ પ્રકારના નક્કર આયોજન વગર કામગીરી કરવામાં આવતા ડાકોર આવતા પ્રવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
મહત્વનું છે કે થોડા દિવસ પહેલા પણ યાત્રાધામાં ડાકોરમાં પુષ્કળ પ્રમાણમાં પાણીનો વેડફાટ જોવા મળ્યો હતો. પાણીની પાઇપ લાઈનમાં ભંગાણ થતા હજારો લીટર પાણીનો વ્યય થયો હતો. ડાકોર મંદિરથી બહાર નીકળવાના દરવાજા પાસે પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળ્યા હતા. નવા રસ્તાનું કામ ચાલતું હોવાના કારણે પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થતા આ દ્રશ્યો સર્જાયા હતા. કોન્ટ્રાક્ટરની બેદરકારીના લીધે પાણીનો વેડફાટ થતો હોવાનો લોકો આક્ષેપ કર્યો હતો.