ગુજરાતમાં 59.26 લાખ હેક્ટરમાં ખરીફ વાવેતર પૂર્ણ, કપાસ અને મગફળી ખેડૂતોની પ્રથમ પસંદ

કઠોળ પાકોના વાવેતરમાં પણ આ વર્ષે સુધારો નોંધાયો છે. ગત વર્ષની સરખામણીએ કઠોળનું વાવેતર 2.52 લાખ હેક્ટરથી વધીને 2.85 લાખ હેક્ટર થયું છે. જેમાં તુવેરનું 1.94 લાખ હેક્ટર (76%) અને અડદનું 70,772 હેક્ટર (86%) વિસ્તારમાં વાવેતર નોંધાયું છે. જ્યારે મગનું વાવેતર હાલમાં 11,900 હેક્ટર (21%) સુધી પહોંચ્યું છે.

ગુજરાતમાં 59.26 લાખ હેક્ટરમાં ખરીફ વાવેતર પૂર્ણ, કપાસ અને મગફળી ખેડૂતોની પ્રથમ પસંદ
| Updated on: Jul 29, 2026 | 6:04 PM

ગુજરાતમાં સારા વરસાદ બાદ ચાલુ ખરીફ સિઝન-2026 દરમિયાન વાવેતરની કામગીરીમાં નોંધપાત્ર તેજી જોવા મળી રહી છે. કૃષિ વિભાગે જાહેર કરેલા ખરીફ વાવેતરના તાજા આંકડા મુજબ, રાજ્યમાં અત્યાર સુધીમાં 59.26 લાખ હેક્ટર વિસ્તારમાં, એટલે કે સામાન્ય વાવેતર વિસ્તારના આશરે 70 ટકા વિસ્તારમાં વાવેતર પૂર્ણ થઈ ગયું છે. કપાસ અને મગફળીનું વાવેતર સૌથી વધુ નોંધાતા ખેડૂતોનો ઝુકાવ ફરી એકવાર તેલીબિયાં અને રોકડિયા પાકો તરફ જોવા મળ્યો છે.

રાજ્યમાં કપાસનું અંદાજે 20 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે, જે તમામ પાકોમાં સૌથી વધુ છે. જ્યારે 17.50 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં મગફળીનું વાવેતર પૂર્ણ થયું છે. બંને પાકો મળીને રાજ્યના કુલ ખરીફ વાવેતરમાં 63 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે.

સામાન્ય વાવેતર વિસ્તારની સરખામણીએ સોયાબીનનું 99 ટકા વાવેતર પૂર્ણ થઈ ચૂક્યું છે, જે લગભગ 2.79 લાખ હેક્ટર વિસ્તારમાં નોંધાયું છે. ઉપરાંત મગફળીનું 91 ટકા, મકાઈનું 90 ટકા, અડદનું 86 ટકા અને કપાસનું 84 ટકા વાવેતર પૂર્ણ થયું છે. આ આંકડાઓ દર્શાવે છે કે વરસાદની અનુકૂળ પરિસ્થિતિને કારણે ખેડૂતો સમયસર વાવેતર તરફ આગળ વધ્યા છે.

કઠોળ પાકોના વાવેતરમાં પણ આ વર્ષે સુધારો નોંધાયો છે. ગત વર્ષની સરખામણીએ કઠોળનું વાવેતર 2.52 લાખ હેક્ટરથી વધીને 2.85 લાખ હેક્ટર થયું છે. જેમાં તુવેરનું 1.94 લાખ હેક્ટર (76%) અને અડદનું 70,772 હેક્ટર (86%) વિસ્તારમાં વાવેતર નોંધાયું છે. જ્યારે મગનું વાવેતર હાલમાં 11,900 હેક્ટર (21%) સુધી પહોંચ્યું છે.

ધાન્ય પાકોની વાત કરીએ તો રાજ્યમાં અત્યાર સુધીમાં 8.39 લાખ હેક્ટર (61%) વિસ્તારમાં વાવેતર નોંધાયું છે. તેમાં 4.63 લાખ હેક્ટરમાં ડાંગર અને 2.54 લાખ હેક્ટરમાં મકાઈનું વાવેતર થયું છે. ડાંગરની રોપણી હજુ ચાલુ હોવાથી આગામી દિવસોમાં તેમાં વધુ વધારો થવાની સંભાવના છે.

અન્ય પાકોમાં દિવેલા (એરંડા)નું 52,655 હેક્ટર, તલનું 7,597 હેક્ટર, ઘાસચારાનું 5.21 લાખ હેક્ટર (51%), શાકભાજીનું 1.71 લાખ હેક્ટર (64%) અને બાજરાનું 1.06 લાખ હેક્ટર (60%) વિસ્તારમાં વાવેતર નોંધાયું છે. કૃષિ નિષ્ણાતોના જણાવ્યા મુજબ ઓગસ્ટ દરમિયાન એરંડાના વાવેતરમાં વધુ વધારો થવાની શક્યતા છે.

સારા વરસાદ અને અનુકૂળ હવામાનને કારણે રાજ્યમાં ખરીફ સિઝનની શરૂઆત ખેડૂતો માટે ઉત્સાહજનક રહી છે. આગામી દિવસોમાં વરસાદની સ્થિતિ યથાવત રહે તો કુલ વાવેતર વિસ્તાર સામાન્ય સ્તર સુધી પહોંચી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

અમદાવાદ સહિત ગુજરાતમાં ફરી મેઘમહેરનો આવશે દોર, 31 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ, 1 ઓગસ્ટે ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ

Published On - 5:49 pm, Wed, 29 July 26

Follow Us