ઈન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ મ્યુઝિયમ દ્વારા આ વર્ષના મ્યુઝિયમ દિવસની થીમ “સંગ્રહાલયો, ટકાઉપણું અને સુખાકારી” રાખવામાં આવી છે. મહત્વનું છે કે 18 મે, 2023ના દિવસે આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ તરીકે ઉજવણી થવાની છે. ત્યારે કચ્છ મ્યુઝિયમ એ ગુજરાતમાં આવેલું સૌથી જુનુ મ્યુઝિયમ છે. ભુજ શહેરમાં હમીરસર તળાવના કિનારે ઈટાલિયન ગૌથિક શૈલીમાં તૈયાર થયેલી કચ્છ મ્યુઝિયમની ઈમારત પ્રથમ દ્રષ્ટિએ જ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિઓ પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા કચ્છ મ્યૂઝિયમની સારસંભાળ અને રખ રખાવની કામગીરી કરવામાં આવે છે. વર્ષ 2001માં આવેલા વિનાશકારી ભૂકંપ બાદ 20 ફેબ્રુઆરી, 2008ના રોજ હાલના વડાપ્રધાન અને તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના વરદ હસ્તે કચ્છ મ્યૂઝિયમનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. અને આજે લાખો પ્રવાસીઓ કચ્છમાં ફરવા આવે ત્યારે અચુક આ સ્થળની મુલાકાત લે છે.
કચ્છ મ્યુઝિયમની સ્થાપનાના ઈતિહાસ પર નજર કરીએ તો કચ્છના રાજા મહારાવ ખેંગારજી ત્રીજા દ્વારા આચાર્ય જે.ડી.એસ્પેરેન્સના માર્ગદર્શન હેઠળ સ્કૂલ ઓફ આર્ટના ભાગરૂપે 1 જુલાઈ, 1877ના રોજ તેની સ્થાપના કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી 1884માં રાવ ખેંગારજીના લગ્નપ્રસંગે કચ્છની કળા અને હસ્તકલાનું એક વિશાળ પ્રદર્શન યોજવામાં આવ્યું. જ્યારે પ્રદર્શન પૂર્ણ થયું ત્યારે આ કલાકૃતિઓને ક્યાં સ્થળે સંગ્રહિત કરવી એ પ્રશ્ન ઉભો થયો. આ કલાકૃતિઓના સંગ્રહ માટે એક અલગ ઈમારતી જરૂરિયાત ઉભી થતા બોમ્બેના તત્કાલિન ગવર્નર સર જેમ્સ ફર્ગ્યુસન દ્વારા કચ્છ મ્યુઝિયમની વર્તમાન બિલ્ડીંગનો શિલાન્યાસ કરવામાં આવ્યો.
કચ્છમાં ખેંગારજી ત્રીજાના શાસન દરમિયાન કચ્છ મ્યુઝિયમનો જન્મ ગુજરાતના અન્ય મ્યુઝિયમના ચળવળના ઈતિહાસમાં એક સીમાચિન્હરૂપ અવસર તરીકે સ્થાપિત થયો. બોમ્બેના તત્કાલિન ગવર્નરના પ્રયાસોને લીધે મહારાજા દ્વારા આ મ્યુઝિયમનું નામ ફર્ગ્યુસન મ્યુઝિયમ રાખવામાં આવ્યું હતું. સમય જતાં બોમ્બેમાંથી ગુજરાતને એક સ્વતંત્ર રાજ્ય બનાવવામાં આવ્યું ત્યારે આ મ્યૂઝિયમને ફરીથી લોકો માટે ખોલવામાં આવ્યું અને તેનું નામ કચ્છ મ્યૂઝિયમ રાખવામાં આવ્યું.
આ મ્યૂઝિયમને ખાસ પ્રકારના લાલ રંગની રેતીના પથ્થરમાંથી બનાવવામાં આવ્યું છે. વર્ષ 2001 મા આવેલા ભૂકંપના લીધે કચ્છમાં અનેક ઈમારતો જમીનદોસ્ત થઈ ગઈ. કચ્છ મ્યુઝિયમને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું. ગુજરાત સરકારના પ્રયાસોથી ભૂકંપ બાદ કચ્છ મ્યુઝિયમની ઈમારતનું નવીનીકરણ કરવામાં આવ્યું. ભૂકંપની સ્થિતિ પછી મ્યૂઝિયમના વિકાસને ધ્યાનમાં રાખીને બાજુમાં આવેલી આલ્ફ્રેડ હાઈસ્કૂલની ઈમારતને પણ રાજ્ય સરકાર હસ્તગત કરવામાં આવી.
ઈ.સ. 1795માં ટીપુ સુલતાન દ્વારા રંગપટ્ટણની વિશાળ તોપ હૈદરી કચ્છી લશ્કરના વડા જમાદાર ફતેહ મહમ્મદને ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. ભેટમાં મળેલી આ તોપ કચ્છ મ્યુઝિયમ પરિસરમાં પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. રસપ્રદ કહાની એવી છે કે, ટીપુ સુલતાને કચ્છના ઊંચી નસ્લના ઘોડાઓ લેવા માટે આ તોપ ભેટમાં આપી હતી. આ ઉપરાંત અનેક બહુમૂલ્યો વસ્તુઓનો સંગ્રહ મ્યુઝિયમમાં કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : કચ્છમા મોડી રાત્રે ભૂકંપનો ઝટકો, કેન્દ્રબિંદુ ખાવડાથી 39 કિ.મી નોર્થ ઈસ્ટ
કચ્છ મ્યુઝિયમ ફક્ત વસ્તુઓના સંગ્રહ કરવા માટે જ નથી પણ આગામી પેઢીમાં સાંસ્કૃતિક વારસાના જતન પ્રત્યે જાગૃતતા આવે તે દિશામાં કામ કરી રહ્યું છે. કચ્છ મ્યુઝિયમ ઈ.સ.પૂર્વે 2500 થી લઈને 21મી સદી સુધીની વિવિધ પ્રાચીન વસ્તુઓ અને કલાના અવશેષોનો ખજાનો ધરાવે છે. ગુજરાતમાં આવા બહુ ઓછા સ્થળો છે.
કચ્છ જિલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 5:44 pm, Wed, 17 May 23