જુનાગઢમાં ભવનાથમાં દર વર્ષે આયોજિત થતો મહાશિવરાત્રીનો આદ્યાત્મિક મેળો ભાગ્યે જ કોઈ વિવાદનું કેન્દ્ર બને છે પરંતુ આ વર્ષે વિવાદોનો પર્યાય એવી સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર તરીકે જાણીતી કીર્તિ પટેલે મૃગીકુંડમાં સાધુઓ સાથે સ્નાન કરી એક નવો જ વિવાદ છેડ્યો છે.ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે આખરે કીર્તિ પટેલ મૃગીકુંડ સુધી કેવી રીતે પહોંચી?
મૃગીકુંડમાં સાધુઓ સિવાય કોઈ જઈ શક્તુ નથી. ત્યારે આટલા હજારો સાધુઓની વચ્ચે કીર્તિ ત્યા કેવી રીતે પહોંચી. એક ચર્ચા એવી પણ છે કે કીર્તિને જૂનાગઢના ભારતી આશ્રમના સપોર્ટની મૃગીકુંડ પહોંચી હતી. હવે આ મામલે વધુ ખૂલાસા થયા છે. જેમા ખૂલ્યુ છે કે કીર્તિ ભારતી આશ્રમના હરિહરાનંદ બાપુની સેવક છે. કીર્તિ પટલે અને રીબડાવાળા રાજદીપસિંહ વચ્ચે ચાલી રહેલા ઝઘડાનું સમાધાન હરિહરાનંદ બાપુએ જ કરાવ્યું હતું. રાજદિપસિંહ અને કીર્તિની હરિહરાનંદ બાપુ સાથેની તસવીરો પણ સામે આવી છે. સરખેજ આશ્રમના વિવાદ વખતે કીર્તિએ હરિહરાનંદ બાપુને સમર્થન આપ્યું હતું. હરિહરાનંદ અને ઋષિભારતી બાપુના ઝઘડા વચ્ચે પણ કીર્તિએ હરિહરાનંદ બાપુનો પક્ષ લીધો હતો. સમગ્ર મામલે હાલ સંત સમાજના ભેદી મૌનથી અનેક અટકળો સેવાઈ રહી છે. વિવાદ વચ્ચે વહીવટીતંત્ર અને પોલીસને સંત સમાજ ફરિયાદ નોંધાવે તેની રાહ છે.
ભવનાથમાં આયોજિત થતો મહાશિવરાત્રીનો મેળો એ બિલકુલ સામાન્ય મેળો નથી. પાંચ દિવસ સુધી ચાલતા આ મેળામાં લાખો શ્રદ્ધાળુઓ મહાદેવની ભક્તિ માટે આવે છે. આ મેળાને ભજન, ભોજન ભક્તિનો ત્રિવેણી સંગમ કંઈ એમ જ નહીં કહેવાયો હોય. સનાતનની અલખ જગાવનારા નાગા સન્યાસીઓ સહિત વિવિધ અખાડાના સાધુ સંતો દેશભરમાંથી આ મેળામાં આવે છે અને મહાશિવરાત્રીની મધરાત્રે મૃગીકુંડમાં આસ્થાની ડૂબકી લગાવે છે. આ મેળાના સત વિશે કિસ્સાઓ પ્રચલિત છે.
લોકવાયકા છે કે ગિરનારની ગુફાઓમાં કેટલાક નાગા સાધુઓ વસવાટ કરે છે, જેઓ શિવરાત્રિની રવેડીમાં સામેલ થાય છે. અન્યથા આ નાગા સાધુઓ ક્યાંથી આવે છે અને ક્યાં રહે છે તેના વિશે કોઈ સ્પષ્ટ જાણકારી પ્રાપ્ય નથી. ન તે વિશે કોઈ જાણકારો પાસે સ્પષ્ટ માહિતી છે. પરંતુ એટલું સ્પષ્ટ છે કે આ નાગા સાધુઓ મેળામાં સામેલ થાય છે.
આ સાધુઓ ઘોડાં, ગાડીઓ, બગ્ગીઓ અને હાથીઓ ઉપર બેસીને શંખનાદ સાથે વાજતે-ગાજતે સરઘસ સ્વરૂપે મૃગી કૂંડમાં સ્નાન કરવા માટે નીકળે છે, જે ‘રવેડી’ તરીકે ઓળખાય છે. રવેડીમાં અલગ-અલગ અખાડાના મહામંડલેશ્વર, મંડલેશ્વર અને સેંકડો-હજારો સાધુઓ સામેલ થાય છે. જેઓ માર્ગમાં અંગકસરતના દાવ કરે છે. ભભૂત લગાવેલા શરીર અને લાંબા વાળ સાથે તલવારબાજી અને લઠદાવ દેખાડે છે.
આ મેળા વિશે એવુ પણ કહેવાય છે કે કેટલાક સિદ્ધહસ્ત જોગીઓ અને સન્યાસીઓ આ મેળામાં આવતા તો જોવા મળે છે પરંતુ પાછા ફરતા જોવા મળતા નથી. દર વર્ષે મેળામાં લાખો શ્રદ્ધાળુઓ આવે છે પરંતુ ક્યારેય અહીં ભંડારામાં ભોજન ખૂટતુ નથી. પાંચ દિવસ સુધી ચાલતા આ મહાશિવરાત્રિના મેળામાં આવી હર કોઈ મહાદેવની ભક્તિ કરી પૂણ્યનું ભાથુ બાંધે છે. વર્ષોથી જગજુનો ગીરનાર તેનો સાક્ષી છે.
Input Credit- Mohit Bhatt
Published On - 5:27 pm, Tue, 17 February 26