Junagadh: એક તરફ કોરોના સ્થિતિને લઈને ધંધા રોજગાર બંધ હતા અને ખાનગી શાળાની ફીમાં કોઈ રાહત નથી, ત્યારે વાલીઓ હવે પોતાના બાળકોને સરકારી શાળા (Govt. School)માં અભ્યાસ માટે મોકલી રહ્યા છે. જૂનાગઢ જીલ્લામાં પ્રાથમિક શાળામાં પ્રવેશકાર્ય શરૂ થઈ ગયું છે, ત્યારે એક હજારથી વધુ વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડીને સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે. પ્રવેશકાર્ય હજુ ચાલુ છે અને જુલાઈ અંત સુધીમાં બે હજાર વિદ્યાર્થીઓ સરકારી શાળામાં પ્રવેશ મેળવે તેવી સંભાવના છે.
રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ગયો છે, હાલ પ્રત્યક્ષ શિક્ષણ ભલે શરૂ થયું ન હોય, પરંતુ ઓનલાઈન શૈક્ષણિક કાર્ય નિયમિત શરૂ થઈ ગયું છે અને પ્રવેશકાર્ય ચાલી રહ્યું છે. ત્યારે જૂનાગઢ જીલ્લામાં નવા સત્રમાં અત્યાર સુધીમાં એક હજારથી વધુ વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડીને સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે.
જૂનાગઢ જીલ્લામાં 730 સરકારી શાળાઓ અને 450 ખાનગી શાળાઓ આવેલી છે. ચાલુ વર્ષે જીલ્લામાં તમામ શાળાઓમાં ધો. 1થી 8માં કુલ 1.40 લાખ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો, તેમાં સરકારી શાળામાં ધો. 1થી 8માં કુલ 70 હજારથી વધુ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો તે પૈકી 1,063 વિદ્યાર્થીઓએ ખાનગી શાળામાંથી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે.
કોરોનાકાળમાં આર્થિક સ્થિતિને લઈને ખાનગી શાળામાં પોતાના બાળકોને અભ્યાસ કરાવવો ઘણાં વાલીઓ માટે સંભવ નથી, વળી ખાનગી શાળાઓ દ્વારા અપાતી સુવિધા અને ફીમાં કોઈ રાહત નથી તેની સામે સરકારી શિક્ષણ લગભગ નિઃશુલ્ક છે અને તેની સામે પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ છે.
સરકારી શાળાઓમાં પાઠ્યપુસ્તકો મળે છે, મધ્યાહન ભોજન, કોમ્પ્યુટર શિક્ષણ અને શિષ્યવૃત્તિનો લાભ પણ મળે છે, આમ ઘણાં કારણો છે કે લોકો હવે સરકારી શાળા તરફ વળી રહ્યા છે અને બાળકો ખાનગી શાળા છોડીને સરકારી શાળામાં પ્રવેશ લઈ રહ્યા છે. કલાસ ટુ અધિકારીઓ પણ સરકારી શાળાનો આગ્રહ રાખી પોતાના બાળકોના એડમિશન કરાવવા આવ્યા અને વાલીઓને તેમના બાળકોને સરકારી શાળામાં પ્રવેશ અપાવે તે રીતે પ્રોત્સાહિત કર્યા.
આ પણ વાંચો : દિલ્હી અને દિલ વચ્ચેનું અંતર સમાપ્ત થાય, જમ્મુ કાશ્મીરના લોકોને થાય ફાયદો, બેઠક બાદ બોલ્યા PM Modi