જુનાગઢ શહેરમાં કુલ 7 રેલવે ફાટક છે. જે દિવસ દરમિયાન 7થી 8 વાર ચાલુ-બંધ થાય છે. જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. રેલવે ફાટકના કારણે ઉનાળાની ગરમી હોય કે પછી ચોમાસાનો વરસાદ એ બધુ સહન કરીને વાહનચાલકોએ રાહ જોવી પડે છે. ત્યારે જુનાગઢમાં રેલવે ફાટકની જગ્યાએ બ્રિજ બનાવવાની માગણી સાથે લોકોએ સહી ઝૂંબેશ શરૂ કરી છે. સ્થાનિકોનો આરોપ છે કે વારંવાર રજૂઆત કરવા છતાં ફાટકની સમસ્યા ઉકેલાઈ નથી. જો રેલવે ફાટકની જગ્યાએ બ્રિજ નહીં બને તો આગામી સમયમાં આંદોલન વધુ ઉગ્ર બનશે.
પૂર્વ ધારાસભ્ય અને સામાજિક અગ્રણી મહેન્દ્ર મશરૂના જણાવ્યા અનુસાર વર્ષોથી જુનાગઢવાસીઓ આ ફાટકની સમસ્યાથી ત્રાહિમામ છે.
અવારનવાર આ ફાટક બંધ કરવા અંગે રજૂઆતો થઈ છે. સરકારને ઉદ્દેશીને પણ તેમણે કહ્યુ કે આ સહી ઝુંબેશ દરમિયાન થયેલી હજારો સહીઓને ધ્યાને લઈ લોકો માટે ત્રાહિમામ બનેલા આ ફાટકો દૂર કરવામાં આવે. વર્ષોથી આ માગણી કરવામાં આવી રહી છે. શહેરના અનેક જનપ્રતિનિધિ દ્વારા આ માગ ઉઠાવવામાં આવી છે. પરંતુ નિષ્ઠુર રેલવે તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરાતી નથી.
આ તરફ સહી ઝુંબેશ શરૂ કરનાર સામાજિક અગ્રણી રાધેભાઈ સોલંકીએ જણાવ્યુ કે સવારે 8 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધીમાં 8 વખત ફાટક બંધ થાય છે. જેના કારણે ટ્રાફિકજામની સમસ્યા વધુ ઘેરી બને છે. લોકોની માગ છે કે આ ફાટકો બંધ કરી રેલવે સબસ્ટેશન પ્લાસવા પાસે બનાવવા આવે તો લોકોની સમસ્યાનો તો અંત આવશે જ સાથે વેપાર ઉદ્યોગ પણ વધશે.
Input Credit- Vijaysinh Parmar- Junagadh