RAJKOT :શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ વર્ષે જન્માષ્ટમી પર્વ પર પરંપરાગત શોભાયાત્રા માટેની મંજૂરી માંગવામાં આવી હતી, પોલીસે મંજૂરી આપતા આ વર્ષે જન્માષ્ટમીના શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પરથી નીકળશે. જો કે આ શોભાયાત્રા દરમિયાન કોરોનાની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવું પડશે.પોલીસ દ્વારા રથયાત્રાનો રૂટ અડધો કરી દેવામાં આવ્યો છે.શોભાયાત્રામાં 200 લોકોની મર્યાદા અને માત્ર 5 વાહનોને મંજૂરી આપવામાં આવી છે.
શોભાયાત્રા માં 1237 પોલીસ જવાનો તૈનાત રહેશે
રાજકોટ ડીસીપી ઝોન-2 મનોહરસિંહ જાડેજાએ કહ્યું હતુ કે શોભાયાત્રામાં કોરોનીની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવું ફરજીયાત રહેશે. શહેરમાં શોભાયાત્રા દરમિયાન લોકોની ભીડ એકઠી ન થાય તે માટે 1200 પોલીસ તૈનાત રહેશે જેમાં 2 DCP, 8 ACP, 15 PI, 42 PSI, 8 મહિલા PSI 441 પોલીસ જવાનો, મહિલા પોલીસ 122, SRP ટુકડી 2,હોમગાર્ડ 162, TRB 331 તૈનાત રહેશે. આ શોભાયાત્રાના રૂટમાં 7 જેટલા સંવેદનશીલ પોઇન્ટ પણ નક્કી કરવામાં આવ્યા છે જેને લઇને વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
આ રહેશે શોભાયાત્રાનો રૂટ
આ શોભાયાત્રા સવારે 8 વાગ્યે કિસાનપરા ચોકથી ધર્મસભાના આયોજન બાદ નીકળશે ત્યાંથી જિલ્લાપંચાયત ચોક, ફૂલછાબ ચોક, હરિહર ચોક, લીમડા ચોક, ત્રિકોણબાગ, માલવિયા ચોક, ભુતખાના ચોક, કેનાલ રોડ, રામનાથ પરા જેલ, ચુનારવાડા ચોક, ચંપકનગર, સંતકબીર રોડથી બાલક હનુમાન મંદિર ખાતે સમાપન થશે.
કોરોનાના કારણે ગત વર્ષે બંધ રહી હતી શોભાયાત્રા
રાજકોટમાં ગત વર્ષે કોરોનાની મહામારીને કારણે આ યાત્રા નીકળી શકી ન હતી.ગત વર્ષે કોરોનાના કેસને લઇને સંક્રમણ ફેલાય તેવી શક્યતા હોવાને કારણે પોલીસ અને આયોજકોએ શોભાયાત્રા રદ્દ કરી હતી. જો કે આ વખતે કોરોનાના કેસમાં નિયંત્રણ આવતા રાજ્ય સરકારના કોરોનાના જાહેરનામાંને અનુલક્ષીને 200 લોકોની પરવાનગી આપવામાં આવી છે. સામાન્ય રીતે રૈયા ચોકડી ખાતે મોટી સંખ્યામાં લોકો એકઠા થતા હોય છે. જેના કારણે આ વખતે રૈયા ચોકડી તરફનો રૂટ ટૂંકાવી દેવામાં આવ્યો છે, જ્યારે મવડી ચોકડીથી જે યાત્રા નીકળતી હતી તે પણ હવે કિસાનપરા ચોક ખાતેથી નીકળશે.
જન્માષ્ટમીના પર્વ પર જાહેર સ્થળોએ વિશેષ બંદોબસ્ત
જન્માષ્ટમી પર્વ પર શહેરના જાહેર સ્થળો જેવા કે ન્યારી ડેમ, રેસકોર્ષ ગાર્ડન, આજી ડેમ, પ્રદ્યુમન પાર્ક ઝુ સહિતના વિસ્તારોમાં લોકોની ભીડ થવાની શક્યતા છે, જેને લઇને પોલીસ દ્રારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.પોલીસે લોકોને પણ અપીલ કરી છે કે જાહેર સ્થળોએ કોરોની ગાઇડલાઇનનું પાલન કરે અને પોલીસને સહયોગ આપે.