કોરોનાના કારણે હજી પણ કેટલકક પ્રતિબંધો યથાવત છે. ત્યારે રથયાત્રા કાઢવી કે કેમ તેના પર મોટો પ્રશ્ન હતો. ત્યારે આજે સુરતમાં પણ ઇસ્કોન મંદિરથી નીકળતી રથયાત્રાને મંજૂરી આપવામાં આવી છે.
દર વર્ષે જહાંગીરપુરા ખાતે આવેલા ઇસ્કોન મંદિરેથી જગન્નાથજીની રથયાત્રા કાઢવામાં આવે છે. પણ છેલ્લા એક વર્ષમાં કોરોનાં મહામારીને કારણે આ યાત્રા પર બ્રેક લાગી હતી. જોકે અમદાવાદની જેમ સુરતમાં પણ રથયાત્રા કાઢવા માટે પરવાનગી માંગવામાં આવી હતી. જેને આજે મંજૂરી મળી ગઈ છે.
ઇસ્કોન મંદિરના વૃંદાવન પ્રભુ મહારાજના જણાવ્યા પ્રમાણે તેમને રથયાત્રા અંગે ફક્ત મૌખિક પરમિશન જ આપવામાં આવી છે. અને તેઓ લેખિત પરવાનગીની રાહ જોઈ રહ્યા છે. છેલ્લા 27 વર્ષથી ઇસ્કોન મંદિર દ્વારા રેલવે સ્ટેશનથી જહાંગીરપુરા સુધી 27 કિમીની યાત્રા કાઢવામાં આવતી હતી.
પરંતુ આ વખતે કેટલાક સુચનોને ધ્યાનમાં રાખીને રથયાત્રા કાઢવામાં આવશે. યાત્રામાં ફક્ત 150 જેટલા વ્યક્તિઓને જોડાવાની પરવાનગી આપવામાં આવી છે. અને આ યાત્રા ફક્ત પાલનપુર પાટિયા સુધી જ કાઢવામાં આવશે. ઇસ્કોન દ્વારા ગુજરાત ગેસ સર્કલ સુધી રથયાત્રા કાઢવાની પરવાનગી માંગી હતી. પણ આ પરવાનગી મળી શકી નથી.
ઇસ્કોનના મહાપ્રભુ દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું છે કે જો લિખિતમાં પરવાનગી આપવામાં નહિ આવે તો મંદિર પરિસરમાં જ રથ ફેરવીને ભક્તોને પ્રસાદી આપવામાં આવશે.
નોંધનીય છે કે દર વર્ષે સુરતમાં ઇસ્કોન મંદિર સહિત અન્ય નાની મોટી પાંચ જેટલી રથયાત્રા નીકળે છે. જેમાં સુરતના ઇસ્કોન મંદિર દ્વારા કાઢવામાં આવતી રથયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાય છે. રથયાત્રાની સાથે સાથે રોડ પર પણ જગન્નાજીના એક દર્શન માટે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડે છે.
પરંતુ આ વખતે જો રથયાત્રાની પરવાનગી આપવામાં આવે છે તો આખી રથયાત્રાનું સંચાલન કઈ રીતે કરવું તેમજ કોરોનાની ગાઈડલાઈનનો પણ ભંગ ન થાય તે બાબતે મેનેજમેન્ટ પણ કેવી રીતે કરવું તે બાબતે પણ હજી વિચારણાઓ ચાલી રહી છે.
આ પણ વાંચો: Surat Corporation: કોર્પોરેશનનાં ચાર પદાધિકારીઓ માટે 77 લાખનાં ખર્ચે પાંચ ઈનોવા કારની દરખાસ્ત બાદ વિવાદ સળગ્યો
આ પણ વાંચો: સુરતમાં પક્ષીપ્રેમીઓનો કાબિલ-એ-દાદ પ્રયાસ: પક્ષીઓને રહેવા અનોખી રીતે બનાવ્યા 2500 નેસ્ટ બોક્સ