
ગુજરાતની સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટી (GU)ના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે થયેલી ભ્રષ્ટાચારના આક્ષેપો અને ફરિયાદોને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે. નિવૃત્ત જજ દીપક વ્યાસ દ્વારા આ તપાસ હાથ ધરવામાં આવી છે. નિરજા ગુપ્તાના કાર્યકાળ દરમિયાન થયેલી ભરતી સહિતના વિવિધ મુદ્દાઓને લઈને કરવામાં આવેલી ફરિયાદો અને આક્ષેપોની તપાસ કરવામાં આવશે.
તપાસ દરમિયાન નિરજા ગુપ્તા સામે કરવામાં આવેલી ફરિયાદો તેમજ ભરતી પ્રક્રિયા સાથે સંકળાયેલા દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત અગાઉની તપાસ સમિતિ દ્વારા એકત્ર કરવામાં આવેલા દસ્તાવેજોનો પણ અભ્યાસ કરવામાં આવશે.
નિવૃત્ત જજ દીપક વ્યાસ દ્વારા શરૂ કરવામાં આવેલી તપાસમાં પ્રથમ તબક્કે સંબંધિત દસ્તાવેજોનો અભ્યાસ કરવામાં આવશે. દસ્તાવેજોના અભ્યાસ બાદ જરૂર જણાશે તો ગુજરાત યુનિવર્સિટીના સંબંધિત સ્ટાફ અને અન્ય વ્યક્તિઓનાં નિવેદનો પણ લેવામાં આવશે.
આ તપાસમાં અગાઉની, તપાસ સમિતિ દ્વારા એકત્ર કરવામાં આવેલા દસ્તાવેજો અને તેની કાર્યવાહીનો પણ અભ્યાસ કરવામાં આવશે. જેના આધારે સમગ્ર મામલે આગળની કાર્યવાહી માટે જરૂરી તારણો મેળવવામાં આવશે.
આ મામલે અગાઉ રચવામાં આવેલી તપાસ સમિતિ દ્વારા તૈયાર કરવામાં આવેલા અહેવાલનો કાયદાકીય અભિપ્રાય આવવાનો હજુ બાકી છે. ત્યારે એક તરફ પૂર્વ સમિતિના અહેવાલ અંગે કાયદાકીય અભિપ્રાયની પ્રક્રિયા ચાલી રહી છે, તો બીજી તરફ નિરજા ગુપ્તા સામેની ફરિયાદો અને ભરતી સંબંધિત દસ્તાવેજોની તપાસ ફરી શરૂ થતાં મામલો વધુ ચર્ચામાં આવ્યો છે.
હવે દસ્તાવેજોના અભ્યાસ અને સંબંધિત લોકોના નિવેદનો બાદ તપાસમાં શું તારણ સામે આવે છે તેના પર સૌની નજર રહેશે.