ખાદ્યતેલના ભાવોમાં ભડકો, એક જ દિવસમાં સીંગતેલમાં 70 અને કપાસિયા તેલમાં 110 રૂપિયાનો ભાવ વધારો

સીંગતેલના ભાવ વધતા મોટાભાગના લોકો કપાસિયા તેલ તરફ વળ્યા હતા પરંતુ હવે કપાસિયા તેલના ભાવ પણ ભડકે બળવા લાગ્યાં છે..જેને લઇ લોકોને કયુ તેલ વાપરવું તે એક સવાલ છે.

ખાદ્યતેલના ભાવોમાં ભડકો, એક જ દિવસમાં સીંગતેલમાં 70 અને કપાસિયા તેલમાં 110 રૂપિયાનો ભાવ વધારો
Edible Oil Price rise (Symbolic Image)
| Edited By: | Updated on: Mar 04, 2022 | 9:40 AM

ખાદ્યતેલના (Edible oil)સતત વધી રહેલા ભાવ લોકોનું તેલ કાઢી રહ્યાં છે. ફરી એકવાર ખાદ્યતેલના ભાવમાં વધારો ઝીંકાયો છે. ભાવ વધારાની સાથે જ સીંગતેલ (groundnut oil) અને કપાસિયા તેલ (Cottonseed oil) 2500 રૂપિયાને પાર પહોંચ્યું છે. જેને કારણે ગૃહિણીઓનું બજેટ (Budget) ખોરવાયુ છે.

ખાદ્ય તેલના ભાવોમાં વધારો

મધ્યમવર્ગની મુશ્કેલીઓમાં એક પછી એક વધારો થતો જઇ રહ્યો છે. કોરોના (Corona)ની મહામારીમાં પડેલા આર્થિક સંકટના મારમાંથી હજુ તો જનતા માંડ બહાર આવી રહી હતી. ત્યાં હવે મધ્યવર્ગ પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. સીંગતેલના ભાવમાં એક જ દિવસમાં 70 રૂપિયાનો વધારો થયો છે. જેને લઇ સીંગતેલનો ડબ્બો 2520 રૂપિયા પર પહોંચ્યો છે. તો કપાસિયા તેલના ભાવમાં પણ એક જ દિવસમાં 110 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. જેને લઇ કપાસિયા તેલના ડબ્બાના ભાવ 2550 રૂપિયાને પાર પહોંચ્યાં છે.

ઘર ચલાવવુ બન્યુ મુશ્કેલ

કોરોનાકાળમાં થયેલા લોકડાઉનમાં આર્થિક માર સહન કર્યા પછી હવે જનતાએ મોંઘવારીનો માર પણ સહન કરવો પડી રહ્યો છે. હવે ખાદ્યતેલના ભાવોમાં પણ વધારો થતા લોકોએ જાયે તો જાયે કહીં જેવી સ્થિતિનો અનુભવ થઇ રહ્યો છે. પેટ્રોલ-ડીઝલ, ગેસ અને શાકભાજીના ભાવોમાં અધધ વધારા પછી ખાદ્યતેલના ભાવોમાં પણ સતત વધારો થતો રહયો છે. ત્યારે મધ્યમ વર્ગના પરિવારોએ હવે ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યુ છે.

હજુ પણ ભાવ વધારાની શક્યતા

વેપારીઓના જણાવ્યા અનુસાર સીંગતેલમાં હજુ ભાવ વધવાની શકયતા પૂરેપૂરી છે. સીંગતેલમાં સતત ભાવ વધારો થવાને કારણે હાલ સીઝનમાં લોકોને મોંઘા ભાવનું તેલ ખરીદવું પડી રહ્યું છે. બીજી બાજુ યાર્ડમાં મગફળી અને કપાસની આવક ચાલુ છે.

મહત્વનું છે કે સીંગતેલના ભાવ વધતા મોટાભાગના લોકો કપાસિયા તેલ તરફ વળ્યા હતા પરંતુ હવે કપાસિયા તેલના ભાવ પણ ભડકે બળવા લાગ્યાં છે..જેને લઇ લોકોને કયુ તેલ વાપરવું તે એક સવાલ છે. સતત વધતા ભાવને કારણે લોકોનું બજેટ ખોરવાઇ રહ્યું છે. એટલું જ નહીં આગામી સમયમાં હજી પણ લોકોને મોંઘવારીનો માર સહન કરવો પડી શકે છે.

આ પણ વાંચો-

BAPSના વડા પૂજ્ય મહંતસ્વામી મહારાજે રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત થાય તે માટે કરી પ્રાર્થના

આ પણ વાંચો-

અમદાવાદના વૈજ્ઞાનિકે શોધ્યુ ન્યૂક્લિયર રેડિએશન પ્રુફ બંકર, યુદ્ધના સમયે જાનહાનિ ટાળવા અનોખો પ્રયાસ