
ગુજરાતના મંદિરોમાં ચોરી કરવા માટે રાજસ્થાનના મંદિરમાં માનતા રાખતા તસ્કરોની એક અનોખી અને ચોંકાવનારી વાસ્તવિક કહાની સામે આવી છે. અમદાવાદ જિલ્લાના સાણંદ બાયપાસ રોડ પર આવેલા ઉમિયાધામ મંદિરમાં 17 જુલાઈ 2026ની મોડી રાત્રે થયેલી ચાંદીના છત્તર અને ચાંદીની મૂર્તિની ચોરીનો સાણંદ પોલીસે ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે આ ગુનામાં શામેલ લક્ષ્મણ ગુર્જર, કિશન ગુર્જર, મુકેશનાથ કાલબેલિયા, સુરેશનાથ કાલબેલિયા અને અજયનાથ કાલબેલિયા નામના પાંચ આરોપીઓની ધરપકડ કરી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ચોરીનો માસ્ટરમાઈન્ડ લક્ષ્મણ ગુર્જર હતો, જેને ઈન્સ્ટાગ્રામ પરથી ચોરી કરવાનો આઈડિયા મળ્યો હતો. આરોપીઓએ ફિલ્મી સ્ટાઇલમાં સમગ્ર પ્લાન ઘડી કાઢ્યો હતો. ચોરી કરતા પહેલાં ગૂગલ મેપના આધારે મંદિરની રેકી કરી હતી અને ચોરી કર્યા બાદ કોણે ક્યાં ઊભા રહેવું તથા કઈ રીતે ભાગી છૂટવું તેનો રૂટ નક્કી કર્યો હતો.
પોલીસ પોતાના લોકેશન ટ્રેસ ન કરી શકે તે માટે ચોરીની રાત્રે તમામ આરોપીઓએ પોતાના મોબાઈલ ફોન બોપલ બ્રિજની નીચે મૂકી દીધા હતા. ચોરીને અંજામ આપ્યા બાદ ગર્ભગૃહમાંથી ચોરેલો ચાંદીનો મુદ્દામાલ એક સોની વેપારીને વેચીને તમામ આરોપીઓ રાજસ્થાન ભાગી ગયા હતા. સીસીટીવી ફૂટેજ વાયરલ થતાં આરોપીઓએ તે વીડિયો પોતાના ગ્રુપમાં પણ શેર કર્યા હતા.
આ ગેંગની સૌથી વિચિત્ર બાબત એ હતી કે તેઓએ ચોરી કર્યા બાદ જો 10 દિવસ સુધી પોલીસના હાથે નહીં પકડાય તો મંદિર ખાતે 10 હજાર રૂપિયા દાન કરવાની માનતા રાખી હતી. 10 દિવસ સુધી પોલીસ ન પહોંચતા આરોપીઓએ મંદિરમાં જઈને 10 હજાર રૂપિયાનું દાન પણ કરી દીધું હતું!
પોલીસે ટેકનિકલ એનાલિસિસના આધારે સૌથી પહેલા કિશન ગુર્જરને ઇસનપુર વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો, જે અન્ય એક ટાયર ચોરીના ગુનાને અંજામ આપવા પહોંચ્યો હતો. તેના મોબાઈલમાંથી ચોરીના મુદ્દામાલના ફોટા મળી આવતાં પોલીસે અન્ય ચાર આરોપીઓને પણ દબોચી લીધા હતા. માસ્ટરમાઈન્ડ કિશન અગાઉ પણ સાણંદ અને સાબરમતી પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં પકડાઈ ચૂક્યો છે. હાલ પોલીસે ચાંદીનો મુદ્દામાલ ખરીદનાર સોની વેપારીને ઝડપી પાડવા માટે આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.