
ગુજરાતમાં ઉનાળાની શરૂઆત સાથે જ ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે. હવામાન વિભાગે જાહેર કરેલા ગરમીના આંકડા મુજબ રાજ્યના ઘણા વિસ્તારોમાં હીટવેવથી લઈને સિવીયર હીટવેવ જેવી પરિસ્થિતિ નોંધાઈ રહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં તાપમાન સામાન્ય કરતાં ઘણુ વધારે નોંધાયું છે.
આજે બુધવારને 11 માર્ચના રોજ, અમદાવાદમાં 41.4 ડિગ્રી, ડીસામાં 40.7 ડિગ્રી, ગાંધીનગરમાં 40.5 ડિગ્રી, વલ્લભવિદ્યાનગરમાં 42.3 ડિગ્રી, વડોદરામાં 41.6 ડિગ્રી, સુરતમાં 41 ડિગ્રી, ભૂજમા 39.4 ડિગ્રી, નલિયામાં 36.2 ડિગ્રી, અમરેલીમાં 40.9 ડિગ્રી, ભાવનગરમાં 39.4 ડિગ્રી, પોરબંદરમાં 40.2 ડિગ્રી, રાજકોટમાં 41.9 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 41.5 ડિગ્રી, કેશોદમાં 40.7 ડિગ્રી ગરમી નોંધાઈ છે.
વિતેલા 24 કલાક દરમિયાન ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ દમણ, દીવ અને દાદરા નગર હવેલીમાં હવામાન સૂકું રહ્યું હતું. જોકે સૌરાષ્ટ્ર-કચ્છના ઘણા વિસ્તારોમાં સવીર હીટવેવ જેવી સ્થિતિ જોવા મળી હતી, જ્યારે ગુજરાત ક્ષેત્રના કેટલાક જિલ્લાઓમાં હીટવેવ નોંધાઈ હતી. આજે ઉત્તર ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, ડીસા અને આણંદ જિલ્લામાં અનેક વિસ્તારોમાં સિવીયર હીટવેવની સ્થિતિ રહી હતી. ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છના પોરબંદર, રાજકોટ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, જુનાગઢ, ભાવનગર અને કચ્છ જિલ્લામાં પણ અનેક જગ્યાએ ભારે ગરમી અનુભવાઈ હતી. દક્ષિણ ગુજરાતના વડોદરા અને સુરત જિલ્લામાં પણ કેટલાક વિસ્તારોમાં હીટવેવ જેવી પરિસ્થિતિ નોંધાઈ હતી.
અમદાવાદ માટે હવામાન વિભાગે આગાહી કરી છે કે, આકાશ મુખ્યત્વે ખુલ્લું રહેવાની શક્યતા છે. શહેરમાં મહત્તમ તાપમાન લગભગ 41°C અને લઘુત્તમ તાપમાન 24°C આસપાસ રહેવાની શક્યતા છે. મંગળવારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 41.4°C નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 7.2°C વધારે છે, જ્યારે લઘુત્તમ તાપમાન 22.5°C રહ્યું હતું.
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે દિવસ સુધી રાજ્યમાં મહત્તમ તાપમાનમાં ખાસ કોઈ નોંધપાત્ર ફેરફાર થવાની શક્યતા નથી. ત્યારબાદ તાપમાનમાં ધીમે ધીમે 2થી 4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ આગામી સાત દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી.
આગામી 13 માર્ચ સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજયુક્ત હવા રહેવાની શક્યતા છે, જેના કારણે લોકોને ઉકળાટ જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે. હવામાન વિભાગે ચેતવણી ઉચ્ચારી છે કે, આવતીકાલ 12 માર્ચ સુધી સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લામાં સિવીયર હીટવેવની સ્થિતિ રહી શકે છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, વડોદરા અને સુરત સહિતના કેટલાક જિલ્લાઓમાં પણ હીટવેવની અસર જોવા મળી શકે છે.
આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં ગરમ રાતોની સ્થિતિ પણ રહેવાની શક્યતા છે. ગરમીની તીવ્રતા ધ્યાનમાં રાખીને લોકોને બપોરના સમયમાં બહાર ના નીકળવા, પૂરતું પાણી પીવા અને ગરમીથી બચવા જરૂરી તકેદારી રાખવાની સલાહ આપવામાં આવી છે.