
સુરેન્દ્રનગરના ખોરાળી રોડ પર આવેલી શિવ દર્શન સોસાયટીમાંથી પાણીની ગંભીર સમસ્યા સામે આવી રહી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, સોસાયટીમાં છેલ્લા એક મહિનાથી પીવાનું પાણી જ નથી આવી રહ્યું. માત્ર આ એક નહીં પરંતુ આસપાસની બીજી સોસાયટીઓમાં પણ આવી જ દયનીય સ્થિતિ છે. ઘરમાં નળ તો છે પણ તેમાં પીવાનું પાણી ગાયબ છે. શિવ દર્શન સોસાયટીમાં આશરે 2500 જેટલા લોકો રહે છે પરંતુ તેમની પાણીની આ પ્રાથમિક જરૂરિયાત સામે તંત્ર તદ્દન બેધ્યાન બન્યું છે.
પીવાનું પાણી ન મળવાને કારણે સ્થાનિક લોકો મોંઘા ભાવના ટેન્કરો મંગાવવા મજબૂર બન્યા છે, જ્યારે ઘરના બીજા કોઈ વપરાશ માટે બોરના ખારા પાણીનો ઉપયોગ કરવો પડે છે. આ ખારા પાણીના કારણે સોસાયટીના રહીશોમાં ચામડીના રોગો ફેલાઈ રહ્યા છે, જે એક ચિંતાનો વિષય બન્યો છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે ઉમેદવારોએ આ વિસ્તારમાં આવીને મોટા-મોટા વચનો આપ્યા હતા કે, પાણીની સમસ્યા કાયમ માટે ઉકેલી દેવાશે. જો કે, ચૂંટણી પૂરી થતાં જ “રાત ગઈ… વાત ગઈ…” જેવો ઘાટ સર્જાયો છે. સ્થાનિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે, સુરેન્દ્રનગર મહાનગરપાલિકા નિયમિત પાણી વેરો (ટેક્સ) ઉઘરાવે છે, તો પછી લોકોને પાણી કેમ નથી આપતી? આ બાબતે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
આ સમસ્યાથી પરેશાન થઈને રોષે ભરાયેલા સ્થાનિકો મહાનગરપાલિકાની કચેરીએ આવેદન પત્ર આપવા પહોંચ્યા હતા. એક તરફ પાણી પુરવઠા વિભાગના ઈજનેર આ બાબતે ગોળગોળ જવાબો આપતા નજરે પડ્યા; તો બીજી તરફ સ્થાનિકોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે, જો આ સમસ્યા વહેલી તકે નહીં ઉકેલાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
સ્થાનિક લોકોનું કહેવું છે કે, અગાઉ જ્યારે અહીં નગરપાલિકા હતી ત્યારે પણ કામ નહોતા થતા. આશરે દોઢ વર્ષ પહેલાં સુરેન્દ્રનગર, વઢવાણ, દૂધરેજ અને જોરાવરનગરને ભેગા કરીને ‘મહાનગરપાલિકા’ (મનપા) બનાવવામાં આવી હતી. લોકોને આશા હતી કે, હવે મોટી ગ્રાન્ટ આવશે અને પાયાની સુવિધાઓ મળશે પરંતુ મનપા બન્યા પછી પણ લોકોની આ આશા સાવ ઠગારી નીવડી છે.