આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભાઈ મોહમ્મદ તાહિર અનવરનું શંકાસ્પદ પરિસ્થિતિમાં મોત થયાનું સામે આવ્યું છે. ભારતીય જાસૂસી સંસ્થાઓએ તેના મોતની પુષ્ટિ કરી છે, પરંતુ મોત કયા કારણોસર થયું તે અંગે હજી સુધી કોઈ સત્તાવાર ખુલાસો કરવામાં આવ્યો નથી. તાહિર આતંકી સંગઠનમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવતો હતો અને જૈશની વિવિધ આતંકી ગતિવિધિઓમાં ખૂબ જ સક્રિય માનવામાં આવતો હતો.
અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલા ચામુંડાનગરમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટની ગંભીર ઘટના સામે આવી છે. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે ઘરના પાંચ સભ્યો ગંભીર રીતે દાઝી ગયા હતા. ઈજાગ્રસ્તોને સ્થાનિકોની મદદથી તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. વિસ્ફોટના કારણે ઘરના દરવાજા તૂટી પડ્યા હતા અને આસપાસના બે મકાનોના બારી-બારણાના કાચ પણ તૂટી ગયા હતા. ઘટના બાદ ફાયર વિભાગે તાત્કાલિક આગ પર કાબૂ મેળવી તપાસ હાથ ધરી છે.
રાજકોટ શહેરમાં યુનિવર્સિટી રોડ પર આવેલા સનન્વય સુલક એપાર્ટમેન્ટમાં સાયબર ક્રાઈમ PSI એન.કે. પંડ્યાની સર્વિસ રિવોલ્વરમાંથી અચાનક ફાયરિંગ થતા ખળભળાટ મચી ગયો હતો. પ્રાથમિક માહિતી મુજબ રિવોલ્વર સાફ કરતી વખતે ગોળી છૂટી જવાની ઘટના બની હોવાનું જણાવાયું છે. આ ફાયરિંગમાં PSI તેમજ તેમની સાથે રહેલી એક મહિલાને ઇજા પહોંચી હતી. સમગ્ર મામલે પોલીસે સઘન તપાસ હાથ ધરી છે અને ઘટનાના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.
બનાસકાંઠાના અંબાજી નજીક ત્રિશુળિયા ઘાટ પર પથ્થરના પાવડરથી ભરેલી ટ્રકનો અકસ્માત સર્જાયો હતો. ટ્રક અંબાજીથી બોટાદ જતી હતી ત્યારે અચાનક બ્રેક ફેઈલ થતા ડ્રાઈવરનો કાબૂ ગુમાયો, પરંતુ ઘાટમાં લગાવેલા ક્રેશ બેરિયરના કારણે મોટો દુર્ઘટના ટળી અને ચાલકનો જીવ બચી ગયો. અકસ્માત દરમિયાન ટ્રકની કેબીનનો પાછળનો ભાગ તૂટી જતા પાવડર રસ્તા પર વિખેરાઈ ગયો હતો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાત લેશે અને સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે અને ₹20,000 કરોડથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે.
આજે 31 માર્ચને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - 7:14 am, Tue, 31 March 26