કેરળના વાયનાડમાં ભૂસ્ખલનમાં મૃત્યુઆંક વધીને થયો 140ને પાર થયો છે. હજુ 400થી વધુ કાટમાળમાં ફસાયાની આશંકા છે. હવે સેનાએ મોરચો સંભાળ્યો છે. પેરિસ ઓલમ્પિકમાં તીરંદાજીમાં ભજન કૌર ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી છે. હોકીમાં ભારતે આયર્લેન્ડને હરાવ્યું છે. તો મનુ-સરબજોતે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. અમદાવાદમાં પીઝામાંથી જીવાત નીકળી,તો રાજકોટમાં ઈન્સ્ટન્ટ ખીરના પેકેટમાંથી ધનેડા નીકળ્યા છે. તો વડોદરામાં દુકાનદારે વાસી પેંડા પધરાવ્યા હોવાની ઘટના સામે આવી છે. રાજ્યના 146 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં સારો એવો વરસાદ વરસ્યો છે. અબડાસામાં સૌથી વધુ 4 ઈંચ જેટલા વરસાદી પાણી ભરાયા છે. રાજ્ય પર 3 વરસાદી સિસ્ટમ સક્રિય છે. આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. આગામી શૈક્ષણિક સત્ર માટે FRC દ્વારા કોલેજોની ફી જાહેર કરાઈ. રાજ્યની 611 ટેકનિકલ કોલેજોમાં ફી વધારો મંજૂર કરાયો છે.
અમદાવાદમાં ગુજરાત સરકારના નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનામાં બેદરકારી દાખવનાર શાળાઓને જિલ્લા શિક્ષણાધિકારીએ નોટીસ ફટકારી છે. શાળાના વિદ્યાર્થીઓને ફાયદો કરાવનાર સરકારી યોજના સામે બેદરકારી દાખવનાર, અમદાવાદ શહેરની 35 શાળાઓ પાસે જિલ્લા શિક્ષણાધિકારીએ કારણદર્શાવો નોટીસ પાઠવી છે.
પોરબંદરના ઓડદરની હોટેલ દાણાપાણી હોટેલમાં સરકારી તંત્રે ડીમોલેશન હાથ ધર્યું છે. સરકાર દ્વારા 15 વર્ષના ભાડા પટ્ટા પર ફળ, ઝાડ ઉછેરવા આપેલી જગ્યામાં, ગેરકાયદે બાંધકામ કરી દાણાપાણી હોટેલ બનાવી દેવાઈ હતી. 10 હજાર ચો. મીટરની જગ્યા પર નિયમોનુસાર ફળ ઝાડનો ઉછેર કર્યો નહોતો. જિલ્લા કલેકટરના હુકમથી, આજે સરકારી તંત્રે જેસીબીની મદદથી દાણાપાણી હોટેલને તોડી પડવામાં આવી હતી.
ગુજસેલના તત્કાલિન કેપ્ટન અજય ચૌહાણની મુશ્કેલી વધી રહી છે. કેપ્ટન અજય ચૌહાણે, અમદાવાદની સીટી સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. સેશન્સ કોર્ટે કેપ્ટન અજય ચૌહાણના આગોતરા જામીન અરજી નામંજૂર કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજસેલના કાર્યકાળ દરમિયાન કેપ્ટન અજય ચૌહાણ સામે અનેક પ્રકારની ગેરરીતિ આચરી હોવાના આક્ષેપ થયા હતા. કેપ્ન અજય ચૌહાણ સામે એન્ટી કરપ્શન બ્યુરોમાં ગુનો નોંધાયો છે.
ઈસનપુરની ખાનગી શાળામાં બુરખો પહેરીને પ્રવેશ કરી રહેલા વાલીને રોકવામાં આવતા વિવાદ સર્જાયો છે. લીટલબર્ડ સ્કૂલમાં બે વર્ષથી બાળક ભણી રહ્યો છે પરંતુ પહેલીવાર વાલીએ બુરખો પહેરીને પેરેન્ટ્સ-ટીચર મિટિંગમાં હાજર રહેવાનો પ્રયાસ કર્યો હતો. સ્કુલના સિક્યોરિટી ગાર્ડે, બુરખો હટાવીને ચહેરો બતાવવા અન્યથા શાળામાં પ્રવેશ નહીં આપવામાં આવે તેમ કહેતા સમગ્ર મામલે વિવાદ સર્જાયો હતો. વાલીનું કહેવું છે કે, મહિલા સિક્યોરિટી બુરખો હટાવીને ચહેરો બતાવવાનું કહે તે સ્વાભાવિક છે. આ વિવાદના પગલે જિલ્લા શિક્ષણાધિકારીએ ઈસનપુરની લીટલબર્ડ સ્કૂલને નોટીસ ફટકારી છે.
ગ્રાન્ડ હયાત હોટલમાંથી એક ગ્રાહકે સંભાર મંગાવ્યો હતો. જેમાંથી વંદો નીકળ્યો હોવાની વાત સામે આવી છે. વસ્ત્રાપુરમાં આવેલ હોટલ ગ્રાન્ડ હયાતના સંભારમાંથી વંદો નીકળવાની ફરિયાદ મળતા જ, હોટલ ગ્રાન્ડ હયાતનું રસોડુ સીલ કરી દેવામાં આવ્યું છે.
અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય બહાર પથ્થર મારાના કેસમાં, કોંગ્રેસના નેતા પ્રગતિ આહીરના આગોતરા જામીન હાઈકોર્ટે મંજૂર કર્યાં છે. કોંગ્રેસ નેતા પ્રગતિ આહીરની આગોતરા જામીન અંગેની અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી હતી. ગુજરાત હાઈકોર્ટે, પ્રગતિ આહીરના આગોતરા જામીન અરજી મંજૂર કરવા સાથે 5 ઓગસ્ટે એલિસબ્રિજ પોલીસ સ્ટેશને હાજર થવા આદેશ કર્યો છે.
સુરત શહેરમાં ગેમઝોન શરુ કરવા માટે વિવિધ શરતો અને નિયમોના સમાવેશ સાથેનું એક જાહેરનામુ શહેર પોલીસ કમિશનરે બહાર પાડ્યું છે. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ, ગુજરાતભરમાં ગેમ ઝોન બંધ કરાવી દેવાયા હતા. સુરત શહેર પોલીસ કમિશનરે, ગેમ ઝોનને લઈને બહાર પાડેલા જાહેરનામામાં કુલ 63 પાનાનો સમાવેશ થાય છે. જેમણે ગેમ ઝોન શરૂ કરવુ હોય તેમણે લાયસન્સ ફરીથી લેવું પડશે. એક્સપર્ટનો અભિપ્રાય પણ ફરજિયાત પણે લેવાનો રહેશે. ગેમઝોન માલિકે ફરજિયાત પણે થર્ડ પાર્ટી લાયેબિલીટી ઇન્સ્યોરન્સ લેવો પડશે. દરેક ગેમ ઈન્સ્ટોલ કરતા પહેલા તેની મંજૂરી સંચાલકોએ લેવી પડશે. ગેમ ઝોનમાં આવતા લોકોની સુરક્ષા બાબતે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. જો સુરક્ષા બાબતે કોઈ ચૂંક જણાશે તો ગેમ ઝોન માલિક સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે.
અમરેલી પંથકમાં ફરી વરસાદ શરૂ થયો છે. સાવરકુંડલા શહેર અને આસપાસના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. લાંબા વિરામ બાદ વરસાદ શરૂ થતાં ખેડૂતો ખુશ છે.
કેરળના વાયનાડ જિલ્લામાં કુદરતનું રૌદ્ર સ્વરુપ જોવા મળી રહ્યુ છે. મંગળવારે સવારે ભારે વરસાદ બાદ ઘણી જગ્યાએ ભૂસ્ખલન થયું હતું.જેમાં મૃત્યુનો આંક સતત વધી રહ્યો છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 158 લોકોના મોત થયા છે
મહેસાણા : જર્જરિત બસ સ્ટેશનની છત તૂટી પડતાં યુવકનું મોત થયુ છે. કડીના દેઉસણા ગામમાં આ ઘટના બની છે. ગાંધીનગરના વાવોલથી સાસરીમાં પત્નીને લેવા માટે યુવક આવ્યો હતો. છતના કાટમાળમાં દટાઇ જતાં યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયુ છે.
પાટણ સિદ્ધપુર હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. સરસ્વતી નદીના બ્રીજ પર અકસ્માતમાં 3ના મોત થયા છે. કાર બ્રીજના ડિવાઇડર સાથે ટકરાતા અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં ૩ના મોત થયા છે. જ્યારે 2 ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા છે.
વડોદરાની ખાનગી શાળાઓ સામે NSUIએ વિરોધ કર્યો છે. શાળા સંચાલકો બેફામ ફી ઉઘરાવતા હોવાનો આક્ષેપ થઇ રહ્યો છે. કોમ્પ્યુટર લેબ બંધ હોવા છતાં ફી ઉઘરાવી હોવાનો આક્ષેપ છે. NSUIએ DEOને પત્ર લખીને રજૂઆત કરી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની વરસાદ અંગે આગાહી આપી છે. જે મુજબ આગામી 4 દિવસ રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શકયતા છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શકયતા છે. મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ અને ઝાપટાની શકયતા છે. પંચમહાલના ભાગોમાં પણ હળવાથી ભારે વરસાદની આગાહી છે. બનાસકાંઠામાં પણ હળવાથી ભારે વરસાદની વકી છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં હળવાથી ભારે વરસાદની સંભાવના છે. સાબરકાંઠામાં પણ વરસાદની શક્યતા છે.
ગીર સોમનાથઃ હરમડીયા જૂનાગઢ એસટી બસનો અકસ્માત થયો છે. અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાની થઇ નથી. ગીર ગઢડાના હરમડિયા જૂનાગઢ વચ્ચે આ એસ ટી બસ દોડે છે. અરીઠિયા ગામ નજીક ટ્રક સાથે અકસ્માત થયો હતો.
બનાસકાંઠા: અસામાજિક તત્વોના આતંકને લીધે અંબાજી સંપૂર્ણ બંધ છે. અસામાજિક તત્વોએ આરોગ્ય પ્રધાનના ભાઇના મેડિકલ સ્ટોર પર હુમલો કર્યો હતો. પોલીસ દ્વારા હજુ સુધી માત્ર બે આરોપી જ પકડવામાં આવ્યા. હજુ બે આરોપી પોલીસ પકડથી દૂર છે. અંબાજીમાં લુખ્ખા તત્વોનો આતંક વધતા વેપારીઓમાં ભારે રોષ છે. અસામાજિક તત્વો વેપારીઓને હેરાન કરતા હોવાથી લોકોમાં રોષ છે. અંબાજીના વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળી દુકાનો બંધ પાળ્યો
રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કહેર વચ્ચે રાજકોટમાં વધુ એક પોઝિટિવ કેસ સામે આવ્યો છે..ગોંડલના ત્રણ વર્ષના બાળકનો ચાંદીપુરાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બાળક હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સિવિલ હોસ્પિટલમાં કુલ 8 દર્દી સારવાર હેઠળ છે, જેમાંથી 4ના રિપોર્ટ પોઝિટિવ છે જ્યારે 2 દર્દીના રિપોર્ટ નેગેટિવ, ઉપરાંત બે કેસ શંકાસ્પદ છે.
રાજકોટ: ફાડગંદ ગામેથી SOGએ બોગસ ડૉક્ટર ઝડપ્યો છે. ભાડાના મકાનમાં ક્લિનિક ચલાવતો શખ્સ ઝડપાયો છે. 1 વર્ષથી ડૉક્ટર બનીને તે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો હતો. SOGએ હોસ્પિટલના સાધનો, દવાઓ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
રાજકોટઃ જન્માષ્ટમી લોકમેળાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આ વર્ષે લોકમેળાનું વીમા કવચ 7.50 કરોડ રૂપિયા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. લોકમેળા અમલીકરણ સમિતીમાં નિર્ણય લેવાયો છે. લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી 5 કરોડનો વીમો વધારી 7.50 કરોડ કરાયો છે. એમ્બ્યુલન્સ અને ફાયર ફાઈટરો 3ને બદલે 5 રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. લોકમેળામાં એન્ટ્રી ગેટ રાત્રે 11:30 વાગ્યે બંધ કરી દેવામાં આવશે. સિક્યોરિટી સ્ટાફ જે 100 રહેતો તે વધારી 125 કરવામાં આવ્યો.
આજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક યોજાશે. બેઠકમાં રાજ્યની વર્તમાન પરિસ્થિતિ મુદે ચર્ચા થશે. અતિભારે વરસાદને લઈ થયેલી તારાજી અંગે ચર્ચા થશે. ભારે વરસાદથી ખેતરોમાં થયેલ નુકસાન અંગે પણ ચર્ચા થઈ શકે. રાજ્યમાં આરોગ્યની પરિસ્થિતિ મુદ્દે પણ ચર્ચા થશે. ચાંદીપુરાના વધતા કેસ અંગે પણ કેબિનેટ બેઠકમાં થશે ચર્ચા.
દેહ વ્યાપારની બાતમી આધારે અમદાવાદ અને ગાંધીનગરમાં 30 સ્પા અને જાણીતી હોટલ પર CID ક્રાઈમે સામુહિક દરોડા પાડ્યા છે. 14 સ્થળો પરથી વિદેશી યુવતી સાથે ગ્રાહકો મળી આવ્યા છે. વિદેશી યુવતીઓ પાસે દેહ વ્યાપાર કારાવવામાં આવતો હોવાની બાતમી હતી. રશિયા અને નાઇઝિરિયાની યુવતીઓ પાસે દેહ વ્યાપાર કરાવાતો હતો. અમદાવાદ અને ગાંધીનગરના સ્પા અને જાણીતી હોટેલોમાં દરોડા પાડવામાં આવ્યા.
ગુજરાત કોંગ્રેસ બે ભાગમાં ન્યાયયાત્રા યોજશે. ઓગસ્ટના બીજા સપ્તાહમાં મોરબીથી પ્રથમ યાત્રા યોજાશે. મોરબીથી રાજકોટ, ચોટીલા અને વિરમગામના રૂટ પર યાત્રા ફરશે. મોરબી હોનારત, રાજકોટ ગેમઝોન, થાનના પીડિતો માટે યાત્રા કાઢવામાં આવશે. ન્યાય યાત્રામાં જોડાવવા રાહુલ ગાંધીને આમંત્રણ અપાશે. બીજા તબક્કામાં સુરતથી ન્યાયયાત્રા યોજવામાં આવશે.
કેરળના વાયનાડ જિલ્લામાં મંગળવારે સવારે ભારે વરસાદ બાદ ઘણી જગ્યાએ ભૂસ્ખલન થયું હતું. ભૂસ્ખલનને કારણે થતા ભયાનક અકસ્માતોમાં મૃત્યુની સંખ્યા સતત વધી રહી છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 143 લોકોના મોત થયા છે અને 128 લોકો ઘાયલ થયા છે. સેંકડો લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની શક્યતાને કારણે મૃત્યુઆંક વધવાની આશંકા છે.
Published On - 7:32 am, Wed, 31 July 24