
બે વર્ષના સૌથી નીચતા સ્તર પર દેશની જીડીપી.. બીજા ત્રિમાસિક ગાળામાં 5.4 ટકા સાથે 18 માસના તળિયે. દ્વારકામાંથી ATSએ જાસુસની ધરપકડ કરી છે. યુવતીની જાળમાં ફસાઈને પાકિસ્તાનને કોસ્ટગાર્ડની માહિતી આપતો હતો. પાટણ નકલી તબીબ કેસમાં સવા લાખમાં વેચલું બાળક મળી આવ્યું. બાળક પાલનપુર સંરક્ષણ ગૃહમાં સલામત. BZ કૌભાંડ મામલે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. ઈડી પણ તપાસમાં જોડાઈ. કૌભાંડનો આંકડો પણ વધી શકે છે, સેલિબ્રિટીઓના રોકાણની પણ તપાસ શરૂ. ખ્યાતિ હોસ્પિટલકાંડ મામલે માલિક કાર્તિક પટેલ દુબઈ અથવા કતારમાં છુપાયો હોવાની શક્યતા. તો ખ્યાતિના પૂર્વ ડૉક્ટરોની પણ આકરી પૂછપરછ. આજથી તાપમાનનો પારો ગગડશે. રાજ્યમાં જોવા મળશે ઠંડીનો ચમકારો. તો 7 દિવસ સુકૂ વાતાવરણ રહી શકે.
પોરબંદરમાં અસામાજિક તત્વોને પોલીસે બરાબરનો પાઠ ભણાવ્યો છે. લીમડા ચોક નજીક મોડી રાત્રે આંતક મચાવનાર શખ્સને ઝડપીને પોલીસે આરોપી પાસેથી જાહેરમાં માફી મંગાવી છે. આરોપી રાજુ રાણાએ નશાની હાલતમાં લીમડા ચોક નજીક જાહેર રસ્તા પર ટ્રાફિકને અટચણ થાય તે રીતે કાર મુકીને આતંક માચાવ્યો હતો. જાહેરમાં આતંક મચાવનાર આરોપી પોલીસના સકંજામાં આવ્યા બાદ બે હાથ જોડીને માફી માંગતો નજરે પડ્યો હતો
આણંદ જિલ્લાના ચાંગા ખાતે આવેલી ‘ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી’ ભારતની પ્રથમ એવી યુનિવર્સિટી બની છે કે. જ્યાં પેપર વગર વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે. હાલમાં યોજાઈ રહેલી વાર્ષિક પરીક્ષામાં ચરોતર યુનિવર્સિટીની 9 કોલેજોના 10 હજારથી વધારે વિદ્યાર્થીઓ પેપરના બદલે પેપરલેસ ડિવાઈસ ટેબલેટ પર પરીક્ષા આપી રહ્યાં છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પેપરલેસ પરીક્ષાના ડિજિટલ એક્ઝામીનેશન સેન્ટરની મુલાકાત લઈને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. પરીક્ષાનો આ નવતર પ્રયોગ વિદ્યાર્થીઓને પણ ખૂબ ગમ્યો છે.
રાજપીપળા પોલીસને વિદ્યાર્થીઓ દ્વારા અરજી મળી હતી કે માં કામલ ફાઉન્ડેશ દ્વારા તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ પાસેથી ત્રણ વર્ષની ફી પેટે 1.74 લાખ જેવી ઊંચી ફી તેમજ 6 હજાર પાંચસો રૂપિયા અલગથી વસૂલ્યા હોવા છતાં સંસ્થા દ્વારા કોર્સ પૂરો કરવામાં ન હતો આવ્યો. એટલું જ નહીં વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની માર્કશીટ કે સર્ટિફિકેટ પણ ન હતા અપાયા. ત્યારે સમગ્ર મામલે… નર્મદા જિલ્લા SP દ્વારા એક એસઆઈટીની રચના કરવામાં આવી હતી. અને તપાસના ધમધમાટ બાદ આરોપી સંચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે.
ગાંધીનગર: ખ્યાતિ હોસ્પિટલના કાંડ બાદ સરકાર એક્શનમાં આવી છે. PMJAY યોજના અંતર્ગત SOP બનાવવા બેઠક બોલાવાઈ. આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં નવી SOP બનશે.
20 દિવસમાં નવી SOP જાહેર કરાશે. દર્દીઓને સારી સારવાર મળી શકે તે હેતુથી બેઠક મળશે. PMJAYનું કાર્ડ કઢાવાથી લઈ પેમેન્ટ સુધીની બાબતોને આવરી લેવાશે. તેમજ દર્દીને કોઈ તકલીફ ન પડે તે માટે અવેરનેસ કેમ્પ પણ યોજાશે. દરેક જિલ્લામાં PMJAY કાર્ડ માટે CDHO થકી વ્યવસ્થા કરવા ચર્ચા કરવામાં આવી.
છોટાઉદેપુર: શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. શાળામાં લંપટ શિક્ષકે 13 વર્ષીય વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલાં કર્યાં. ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે વારંવાર છેડતી કર્યાની ફરિયાદ છે. સમગ્ર મામલે શિક્ષણ વિભાગ દ્વારા ટીમ બનાવીને તપાસ સોંપવામાં આવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ કર્મચારી હિતલક્ષી વધુ એક નિર્ણય લેવાયો છે. રાજ્ય સરકારના કર્મચારી-અધિકારીઓ માટે નિવૃત્ત ગ્રેજ્યુઈટી અને અવસાન ગ્રેજ્યુઈટીની મહત્તમ મર્યાદામાં 25 ટકાનો વધારો કરાયો છે. રુપિયા 20 લાખને બદલે હવે રુ. 25 લાખ મર્યાદા કરવામાં આવી છે. અખિલ ભારતીય સેવાના અધિકારીઓને પણ લાભ મળશે. 1 જાન્યુઆરી, 2024 પછી વય નિવૃત્ત થતા કર્મચારી-અધિકારીઓને તેનો લાભ મળશે.
BZ ગ્રુપની રાજસ્થાનના ડુંગરપુરમાં પણ ઓફિસ નીકળી. ગુજરાતની ઓફિસોમાં દરોડા પડતા રાજસ્થાનની ઓફિસ બંધ થઇ ગઇ. ડુંગરપુરની BZ ઓફિસનું બોર્ડ તૂટેલું જોવા મળ્યું. રણાસણ ઓફિસની ટપાલના દસ્તાવેજ મળી આવ્યા. રાજસ્થાનમાં પણ ઓફિસ મળતા આંતરરાજ્ય કૌભાંડની આશંકા છે.
ગાંધીનગર: 5 દિવસથી બિયારણ માટે ખેડૂતોને વલખા મારવા પડી રહ્યા છે. ગાંધીનગર જીપલાના 30થી વધુ ખેડૂતો બીજ નિગમ કચેરીમાં એકત્ર થયા, બિયારણના પુરવઠામાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ કર્યો. બીજ નિગમની કચેરીમાં ₹ 1500માં બિયારણની બોરી મળે છે. એક જ પ્રકારનું બિયારણ ચિલોડા ખાતે ₹ 2100માં વેચાતું હોવાનો આક્ષેપ છે. સરકારી યોજનાનો લાભ નહીં મળતો હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે, જો કે બીજ નિગમના અધિકારીએ ભ્રષ્ટાચારના આક્ષેપ ફગાવ્યા.
સુરત: સચિનના પાલી ગામમાં ત્રણ બાળકીઓના શંકાસ્પદ મોત થયા છે. શુક્રવારે રાત્રે બાળકીઓએ આઈસ્ક્રીમ ખાધો હતો, જે પછી રાત્રે પાંચ જેટલી બાળકીઓ તાપણા પાસે બેઠી હતી. મોંમાં ધુમાડો જતા બાળકીઓને ઉલટી થવા લાગી હતી. જે પછી પહેલાં ખાનગી અને પછી સિવિલ હોસ્પિટલમાં બાળકીઓને ખસેડાઈ હતી. સારવાર દરમિયાન 8, 12 અને 14 વર્ષની બાળકીઓના મોત થયા છે. PM બાદ જ મોતનું સાચું કારણ સામે આવશે.
બંગાળની ખાડીમાં વાવાઝોડા ફેંગલે વિકરાળ રૂપ ધારણ કર્યું છે. દરિયામાં ભયાવહ મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે. વાવાઝોડાની અસરને પગલે તમિલનાડુમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. સાંજે પોંડિચેરી અને તમિલનાડુ વચ્ચે વાવાઝોડું ટકરાઈ શકે છે. 90 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તમિલનાડુમાં શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. સતર્કતાના ભાગ રૂપે NDRF અને SDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે.
મહેસાણા: ચાઈનીઝ દોરીથી ગળું કપાઈ જતા યુવકનું મોત થયુ છે. અંબલિયાસણ બ્રિજ પર બાઈક પર સવાર યુવકનું ગળું કપાયું. બલિયાસણના 25 વર્ષીય યુવકનું ચાઈનીઝ દોરીને કારણે મોત થયુ છે. યુવક પત્ની સાથે જઈ રહ્યો હતો તે દરમિયાન ઘટના બની.
રાજકોટ: યુવક અને સગીરાના લટકતી હાલતમાં મૃતદેહ મળ્યા છે. 16 વર્ષીય સગીરાનું 21 વર્ષીય યુવકે અપહરણ કર્યું હોવાની વિગત છે. મૃતક સગીરા વિંછીયાના મોટી માત્રા ગામની હોવાનું સામે આવ્યું.
બન્નેએ પ્રેમ પ્રકરણમાં આપઘાત કર્યો હોવાનું પોલીસનું અનુમાન છે. પોલીસે બન્નેના મૃતદેહને પોસ્ટમાર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડાયા.
સાબરકાંઠા: હિંમતનગર પારસ કોર્પોરેશનમાં IT વિભાગનું સર્ચ ચાલી રહ્યુ છે. સતત 14 કલાકથી IT વિભાગની તપાસની કાર્યવાહી. કાર્યવાહી દરમિયાન જ એક શખ્સ ₹3.50 લાખનું આંગડિયું કરવા પહોંચ્યો. ITની ટીમ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી. છેલ્લાં ઘણાં સમયથી મોટી રકમના વ્યવહારો થયાનો ખુલાસો થયો. મોટા વ્યવહારોને ધ્યાનમાં લઈને સર્ચ હાથ ધરાયું.
અમદાવાદમાં છેલ્લા પાંચ દિવસથી રાત્રિ દરમિયાન કોમ્બિંગ આવી રહ્યું છે. જે રીતે છેલ્લા થોડા સમયથી શહેરમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિને લઈને સવાલો થયા હતા ત્યારે હવે પોલીસ પણ સતર્ક બની છે અને શહેરના તમામ વિસ્તારોમાં પેટ્રોલિંગ તેમજ વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત કોઈ વ્યક્તિ નશાની હાલતમાં હોય, રીઢા ગુનેગારો અને અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.
ઠંડીને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી કે ઉત્તર ગુજરાત સહિત મધ્ય ગુજરાતમાં તાપમાનનો પારો ગગડશે. કચ્છમાં પણ ઠંડીનો ચમકારો અનુભવાશે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ તાપમાનનો પારો ગગડશે.
ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લામાં બેફામ બનેલ ખનીજ માફિયા સામે કાર્યવાહી કરવા AAPના ધારાસભ્ય ચૈતર વસાવાએ માગણી કરી છે. ઉમલ્લા નજીક અજાણ્યા વાહનની અડફેટે જીવ ગુમાવનાર TRB જવાનના શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ચૈતર વસાવાએ કહ્યું કે બેફામ ખનીજ વહન કરતા વાહનની અડફેટે લોકો જીવ ગુમાવે છે. ચૈતર વસાવાએ તંત્રના પાંચ દિવસનું એલ્ટીમેટમ આપ્યું છે. જો પાંચ દિવસમાં ઓવરલોડ વાહનો સામે કાર્યવાહી નહીં કરવામાં આવે તો પદયાત્રા યોજીને વિરોધ પ્રદર્શન કરશે.
Published On - 8:03 am, Sat, 30 November 24