આજે 27 મેને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
ગુજરાતના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ વધુ એક રાજકીય પાર્ટીને રામરામ કર્યા છે. પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ કોંગ્રેસ પાર્ટીમાંથી આપ્યું રાજીનામું. હાલમાં યોજાયેલ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગીમાં સોદાબાજી થઈ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધુ છે. ચૂંટણી અગાઉ જ આદિવાસીઓના દિગગજ નેતા છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા ભાજપને છોડી કોંગ્રેસમાં જોડાયા હતા. પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા JDU , ભારતીય ટ્રાયબલ પાર્ટી , ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. તેઓ છેલ્લે કોંગ્રેસમાં હતા. પરંતુ આજે કોંગ્રેસને પણ રામ રામ કરી દીધા છે. આદિવાસી કાર્યકરોની મિટિંગ બોલાવી કોંગ્રેસ આદિવાસી નેતાઓને મહત્વ ના આપતી હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ સાથે છેડો ફાડવાની જાહેરાત કરી છે.
અમદાવાદના ન્યૂ વાટવાના સાંતેજ હોમ્સ ખાતે હત્યાનો બનાવ બન્યો છે. મનીષ શર્મા નામના વ્યક્તિએ ઘર ભાડે આપ્યું હતું. રાજુ, કિશન, રવિકુમાર અને સૂરજ નામના વ્યક્તિ ભાડેથી રહેતા હતા. સવારે આસપાસના લોકોને દુર્ગંધ આવતા મકાનમાલિકને જાણ કરાઈ. બપોરે મકાનમાલિકે પોલીસને જાણ કરતા મામલો સામે આવ્યો. ઘરમાંથી એક વ્યક્તિનો બાંધેલી હાલતમાં મૃતદેહ મળ્યો. વટવા પોલીસ, ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા તપાસ હાથ ધરાઈ છે. ચાર મિત્રોમાંથી કોનો મૃતદેહ છે તેની તપાસ શરૂ કરાઈ. અન્ય ત્રણ લોકો હાલ ફરાર છે, ચારેયના મોબાઈલ પણ સ્વીચ ઓફ આવી રહ્યાં છે.
મહેસાણામાં એક્ટીવા ચોર ઝડપાયો, ચોરીના 15 એક્ટીવા જપ્ત કરવામાં આવ્યા. સતલાસણા વિસ્તારમાંથી પેટ્રોલિંગ દરમિયાન ચોરને દબોચી લેવાયો છે. ડુપ્લીકેટ ચાવીનો ઉપયોગ કરી પાર્ક કરેલા એક્ટીવા ચોરતો હતો આરોપી. મહેસાણા, અમદાવાદ અને ગાંધીનગરમાં મચાવ્યો હતો તરખાટ. ચોરીના 15 એક્ટીવા સાથે આરોપી મહેશ દરજી જેલના સળિયા પાછળ ધકેલાયો. પોલીસે કુલ 3,83,000 રૂપિયાનો મુદ્દામાલ કર્યો રિકવર કર્યો છે. મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમે ચોરીનો ભેદ ઉકેલ્યો.
ગુજરાતમા કમોસમી વરસાદની આગાહી વચ્ચે સુરેન્દ્રનગર, રાજકોટ અને અમદાવાદ કાળઝાળ ગરમીથી ધગધગી ઉઠ્યા છે. રાજ્યમાં સૌથી વધુ ગરમી આજે પણ સુરેન્દ્રનગરમાં નોંધાઈ છે. સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો ઉચકાઈને 44 ડિગ્રીએ પહોચી ગયો છે. જ્યારે અમદાવાદ શહેરમાં ગરમીનો પારો 43.6 ડિગ્રીએ અટક્યો છે. રાજકોટ શહેરમાં પણ આજે 27મી મેના રોજ કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો હતો. રાજકોટમાં ગરમીનું પ્રમાણ 43.3 ડિગ્રી નોંધાયું છે. રાજ્યના હરિયાળા પાટનગર ગાંધીનગરમાં 42.5 ડિગ્રી ગરમી નોંધાઈ છે તો બનાસકાંઠાના ડીસામા 41. 8 ડિગ્રી ગરમી નોધાઈ છે.
કચ્છના અંજારના સિનુગ્રા સાહલ ફાર્મમાં ચાલતા જુગાર ક્લબ પર દરોડા પાડવામાં આવ્યા છે. અંજાર પોલીસ બાતમી આધારે દરોડો પાડી કાર્યવાહી કરી છે. પોલીસે 77.32 લાખના મુદ્દામાલ સાથે 11 આરોપી ઝડપાયા છે.
ભીમજી વાલજીભાઈ વાણીયાની વાડીમાં જુગાર કલબ ધમધમતી હતી. રોકડ, 14 મોબાઈલ , 4 વાહન સહિતનો મુદામાલ કબ્જે કર્યો. એક આરોપી પાસેથી વિદેશી દારૂની બોટલ પણ મળી આવી.
અમદાવાદના પોશ વિસ્તાર એવા નહેરુનગર પાસે ફાયરિંગની ઘટના બની છે. 5 રાઉન્ડ ફાયરિંગ થયાની આશંકા. નિવૃત્ત DySPએ ફાયરિંગ કર્યુ. જમીન વિવાદમાં ફાયરિંગની આશંકા. સેટેલાઈટ પોલીસ ઘટનાસ્થળે પહોંચી.
મહેસાણાની દૂધસાગર ડેરીએ દૂધના ફેટના ભાવમાં વધારો કર્યો છે. પશુપાલકો પાસેથી ખરીદવામાં આવતા દૂધના ફેટના ભાવમાં 25 રૂપિયાનો કર્યો વધારો. કિલો દૂધ ફેટ નો ભાવ 830 થી વધી ને 855 થયો. દૂધસાગર ડેરી દૂધ ઉત્પાદકોને હવે ફેટની સાથે SNFના પણ આપશે વધારાના પૈસા. દૂધ ઉત્પાદકોને ફેટના જે મળતા હતા પૈસા તે સાથે વધારાના SNF ના પણ મળશે પૈસા. ગુજરાતની તમામ ડેરીઓ દૂધ ઉત્પાદકોને ફેટ આધારે ચૂકવે છે પૈસા.
દૂધ ઉત્પાદકોને ફેટ અને SNFના આધારે પૈસા આપનાર દૂધસાગર ડેરી સમગ્ર ગુજરાતમાં પહેલી ડેરી. દૂધના ભાવમાં વધારો કરવાના કારણે અને SNFના વધારે પૈસા ચૂકવવાના કારણે દૂધ ઉત્પાદકોને વાર્ષિક 100 કરોડ રૂપિયાથી પણ વધુનો થશે. ચેરમેન અશોક ચૌધરી અને નિયામક મંડળનો પશુપાલકોના હીતમાં નિર્ણય. દૂધ ઉત્પાદકોના દૂધના ફેટના ભાવોમાં કરાયો વધારો.
આખરે જૂનાગઢની જનતાને ત્રાસરુપ સાબિત થયેસા સાત ફાટક દૂર કરવાની જાહેરાત મનપાના પદાધિકારીઓ કરી છે. રેલવે તંત્રએ નવા સ્ટેશન માટે મંજૂરી આપી દીધી છે. વિસાવદર, અમરેલી ટ્રેન માટે ગ્રોફેડ નવું રેલવે સ્ટેશન બનશે. સ્ટેશનની કનેટિકિવિટી માટે મનપા દ્વારા ઈ બસ સેવા શરૂ કરાશે. સર્વે અને પ્લાનિંગ બાદ પ્રોજેક્ટ સ્ટાર્ટ થશે તેમ મેયરે જણાવ્યું હતું. બીજી તરફ કોંગ્રેસે આ વાતને મનપાની આવનારી ચૂંટણી માટેનો સ્ટંટ ગણાવ્યો છે. ગામના રસ્તાઓ બેહાલ છે એ રિપેર નથી કરી શકતા ને આ નવું કામ લાવ્યા છે તેમ જણાવ્યુ હતું. ટ્રીપલ એન્જિન સરકાર હોવાછતાં 2014 થી આ મંજૂરીની શા માટે રાહ જોઈ રહ્યા હતા ….? તેવો વેધક સવાલ કરાયો છે.
ભાવનગરના મહુવા તાલુકામાં જૂની અદાવતે લીધો હિંસક વળાંક. વડલી ચોકડી નજીક બે જૂથ વચ્ચે ધીંગાણું, 7 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ક્રિકેટ રમવાની બાબતના જૂના મનદુઃખે સર્જાઈ મારામારી. ભરવાડ સમાજ અને કોળી સમાજના લોકો સામસામે આવી જતા મામલો મારામારી સુધી પહોંચ્યો. ધોકા, પાઇપ અને તિક્ષ્ણ હથિયારો વડે હુમલાના આક્ષેપ. ઈજાગ્રસ્તોને મહુવા જનરલ હોસ્પિટલ બાદ હનુમાન હોસ્પિટલ ખસેડાયા. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો. બનાવના પગલે મહુવા પોલીસે વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરી.
મહીસાગરમાં ભાજપના પૂર્વ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન સહિત 4 સામે લૂંટ અને મારામારીનો ગુનો દાખલ કરાયો છે. વિરપુરમાં ફેસબુક સ્ટોરી મૂકવાની અદાવતમાં આધેડ પર પાઇપ-લાકડીઓ વડે ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો. જેના માટે જિલ્લા પંચાયત પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન પિનાકીન શુક્લ સહિત 4 સામે ફરિયાદથી હડકંપ મચી ગયો છે. રાત્રિના સમયે ભદ્રેશકુમાર સુથારના ઘરમાં ઘૂસી આરોપીઓએ ભારે મારઝૂડ કરી હતી. લોખંડની પાઇપ અને દંડાના હુમલામાં ઇજાગ્રસ્ત આધેડના પગમાં ટાંકા આવ્યા હતા. હુમલાખોરો આધેડનું લેપટોપ અને મોબાઈલ મળી કુલ રૂપિયા 25,000ની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. વિરપુર પોલીસે જાહેરનામા ભંગ અને લૂંટનો ગુનો નોંધી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. ભાજપના દિગ્ગજ નેતા અને મહીસાગર જિલ્લા પંચાયત પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન પિનાકીન શુક્લ, ગૌરાંગ જોશી અને ચિરાગ બામણીયા સહિત ચાર શખ્સો સામે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ભદ્રેશકુમાર સુથાર નામના આધેડ અગાઉ પિનાકીન શુક્લની ઓફિસે કામ કરતા હતા. રાત્રિના સમયે આરોપીઓએ ઘરમાં ઘૂસી ‘ફેસબુક પર ફોટા કેમ મૂકે છે તેમ કહી ગાળો આપી હતી અને લોખંડની પાઇપ તથા લાકડીઓ વડે ઢોર માર માર્યો હતો.
મહેસાણા વિજાપુરના તાતોસણ ગામે ખેતર ખેડતા સમયે ટ્રેક્ટરમાં ભભૂકી આગ. વાયરિંગમાં સ્પાર્ક થતાં આઈશર ટ્રેક્ટર બળીને ખાક થયું છે. ખેતર ખેડતી વખતે અચાનક આગ લાગતા સર્જાયો અફરાતફરીનો માહોલ
ફાયર વિભાગની ટીમે કલાકોની ભારે જહેમત બાદ આગ પર મેળવ્યો કાબૂ. ડ્રાઈવરની સમયસૂચકતાથી બચાવ થતા મોટી જાનહાનિ ટળી. ખેતર ખુલ્લું હોવાથી પાક બચી ગયો, પરંતુ ટ્રેક્ટર ખાક થતાં ખેડૂતને નુકસાન થયું. પાલિકાના ફાયર વિભાગે તાત્કાલિક પહોંચીને કામગીરી હાથ ધરી હતી.
આશરે 3 વર્ષ પહેલા અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર પુરપાટ ઝડપે કાર દોડાવીને કેટલાક લોકોને મોતને ઘાટ ઉતારનાર તથ્ય પટેલને આજે સુપ્રીમ કોર્ટે રેગ્યુલર જામીન પર મુક્ત કરવાનો આદેશ કર્યો છે. તથ્ય પટેલ અને તેના પિતા સતત જામીન મેળવવા માટે અવારનવાર કોર્ટના દ્વાર ખખડાવતા રહ્યાં હતા. જો કે, 2 વર્ષ અને 10 મહિના બાદ, સુપ્રીમ કોર્ટે તથ્ય પટેલના રેગ્યુલર જામીન મંજૂર કર્યાં છે.
Gujaratના કચ્છ દરિયાકાંઠે ગુજરાત ATS, Indian Coast Guard અને કચ્છ SOGની સંયુક્ત કાર્યવાહીમાં 1 હજાર કરોડથી વધુ કિંમતનું અંદાજે 118 કિલો કોકેઈન ઝડપાયું છે. મુન્દ્રા પોર્ટના CT3 ટર્મિનલ નજીક “યુરોપ” નામના જહાજ પર દરોડા દરમિયાન શખ્સોએ 6 થેલીઓ દરિયામાં ફેંકી દીધી હતી, જેમાંથી 5 થેલીઓ કબજે કરવામાં આવી હતી. તપાસ દરમિયાન 5 થેલીઓમાંથી કુલ 115 પેકેટ મળી આવ્યા હતા, જેનું કુલ વજન અંદાજે 118 કિલો હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસ મુજબ આ ડ્રગ્સનો જથ્થો બ્રાઝિલથી ગુજરાત લાવવામાં આવી રહ્યો હતો અને ત્યારબાદ તેને દિલ્હી પહોંચાડવાનો પ્લાન હતો. સમગ્ર મામલે ત્રણ શખ્સોની અટકાયત કરવામાં આવી છે, જ્યારે એજન્સીઓ દ્વારા વધુ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
અમરેલી સહિત ગીર વિસ્તારમાં વન વિભાગમાં કરાર આધારિત ફરજ બજાવતા 12 વેટરનરી તબીબોએ રાજીનામા આપતા ચિંતા વધી છે. 10 વર્ષથી વધુ અનુભવ ધરાવતા આ તબીબોએ નવી ભરતી પ્રક્રિયામાં તેમના અનુભવને પ્રાધાન્ય ન અપાતા રોષ વ્યક્ત કર્યો છે. Gir National Parkના પશ્ચિમ અને પૂર્વ વિસ્તાર, સક્કરબાગ ઝૂ તેમજ શેત્રુંજી વિસ્તારના તબીબો પણ રાજીનામું આપનારાઓમાં સામેલ છે. કરારની શરતો મુજબ એક મહિનાનો નોટિસ પિરીયડ પૂર્ણ થયા બાદ તમામ તબીબો આગામી 15 જૂનથી સત્તાવાર રીતે ફરજ પરથી છૂટા થશે. આ રાજીનામાઓ બાદ સિંહોની સારવાર અને આરોગ્ય વ્યવસ્થા અંગે મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે, ખાસ કરીને હાલમાં સિંહોમાં CDV અને બેબીસિયા જેવી ગંભીર બીમારીઓના સંકટ વચ્ચે વન વિભાગ માટે આ સ્થિતિ પડકારરૂપ બની છે.
Vadodaraના સનફાર્મા રોડ વિસ્તારમાં 6 શખ્સોએ યુવકનું અપહરણ કરી કારમાં લઈ જઈ મારપીટ કરી હોવાની ઘટના સામે આવી છે. આરોપીઓએ યુવકને નિર્વસ્ત્ર કરી તેનો વીડિયો બનાવ્યો હતો તેમજ મોબાઇલ અને 2 હજાર રૂપિયા પણ લૂંટી લીધા હતા. મિત્રનો મોબાઇલ પરત માંગતા આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. ડરી ગયેલો યુવક બે દિવસ સુધી મિત્રના ઘરે રહ્યો હતો, જ્યારે Vadodara Policeના આટલાદરા પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
વડોદરાના બાજવા ગામ વિસ્તારમાં ધોળાદિવસે ગેસ સિલિન્ડર ચોરીની ઘટના સામે આવી છે. ગેસ એજન્સી બહાર ઉભેલા ટેમ્પોમાંથી બાઈક પર આવેલા બે ગઠિયાઓ ગેસ સિલિન્ડર ચોરી ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસે CCTV ફૂટેજના આધારે આરોપીઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.
Ahmedabadમાં CNGના ભાવમાં થયેલા વધારા બાદ રિક્ષા ચાલક એકતા યુનિયનમાં ભારે રોષ ફેલાયો છે. યુનિયને CNGના વધારેલા ભાવ પાછા ખેંચવા અથવા રિક્ષાના ભાડામાં વધારો કરવાની માગ કરી છે. રિક્ષા ચાલકોનું કહેવું છે કે છેલ્લા ત્રણ વર્ષથી ભાડામાં વધારો થયો નથી, જ્યારે મોંઘવારી સતત વધી રહી છે. સાથે જ 31 મે સુધી નિર્ણય નહીં લેવાય તો 1 જૂનથી ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે.
બુધવારે એક મહત્વપૂર્ણ નિર્ણયમાં, સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે ચૂંટણી પંચને એસઆઈઆર કરાવવાનો સંપૂર્ણ અધિકાર છે. કોર્ટે બિહારમાં મતદાર યાદીઓની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર) પ્રક્રિયાને પડકાર ફેંક્યો હતો, જેમાં કમિશનની એસઆઈઆર કરાવવાની સત્તાઓને સમર્થન આપ્યું હતું. આ અરજીઓમાં દાવો કરવામાં આવ્યો હતો કે બંધારણની કલમ 326, જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1950 અને તેના હેઠળ બનાવેલા નિયમો હેઠળ કમિશન પાસે આટલા મોટા પાયે એસઆઈઆર કરાવવાની સત્તાનો અભાવ હતો.
Gujaratમાં પેટ્રોલ, ડીઝલ અને CNGના ભાવ અને પુરવઠાને લઈને કેબિનેટ પ્રધાન Rishikesh Patelએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે CNGનું પ્રોડક્શન ગુજરાતમાં જ થાય છે અને રાજ્યમાં હાલમાં પેટ્રોલ-ડીઝલનો જથ્થો પૂરતી માત્રામાં ઉપલબ્ધ છે, જેથી નાગરિકોએ કોઈપણ પ્રકારની ગભરાટ કરવાની જરૂર નથી. તેમણે વધુમાં કહ્યું કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો વૈશ્વિક પરિસ્થિતિઓના કારણે થઈ રહ્યો છે અને તેનો સીધો અસર સ્થાનિક બજાર પર પડે છે. આવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવે વૈકલ્પિક ઊર્જા સ્ત્રોતો તરફ વધુ ધ્યાન આપવું જરૂરી બની ગયું છે. પ્રધાનના જણાવ્યા અનુસાર રાજ્ય સરકાર તરફથી ઇંધણ પુરવઠાની સતત સમીક્ષા કરવામાં આવી રહી છે અને પુરવઠા ચેઇન પર કડક નજર રાખવામાં આવી રહી છે. વધતા ભાવોના સંદર્ભમાં સરકાર ઇલેક્ટ્રિક વાહનો (EV) અને CNG આધારિત પરિવહન તરફ વળવાની નીતિને પ્રોત્સાહન આપી રહી છે, જેથી લાંબા ગાળે પર્યાવરણ અને ખર્ચ બંનેમાં સંતુલન લાવી શકાય.
Amit Shah આજથી ત્રણ દિવસના Gujarat પ્રવાસે આવી રહ્યા છે. તેઓ પોતાની લોકસભા બેઠક વિસ્તાર ઉપરાંત સરહદી વિસ્તારોની પણ મુલાકાત લેશે. અમિત શાહ આજે મોડી રાત્રે Ahmedabad પહોંચશે. 28 મેના રોજ તેઓ વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કરશે તેમજ કમલમ ખાતે પ્રદેશ અધિકારીઓ સાથે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજશે. ત્યારબાદ Bhujમાં રાત્રી રોકાણ કરીને હરામી નાળા વિસ્તારમાં BSF ચોકીનું ઉદ્ઘાટન કરશે. પ્રવાસ દરમિયાન સરહદી વિસ્તારોની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા બેઠક પણ યોજાશે, ત્યારબાદ તેઓ દિલ્હી જવા રવાના થશે.
Rajasthanના અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ભારે પવન સાથે વરસાદ વરસતા લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી છે. Sikarના ખંડેલા વિસ્તારમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો, જ્યારે Jhunjhunuના નવલગઢમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. હવામાન વિભાગ દ્વારા Jaipur અને Dausaમાં આંધી સાથે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉપરાંત ભરતપુર, ડીગ, કરૌલી અને ધૌલપુર જિલ્લામાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. કેટલાંક વિસ્તારોમાં 50થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
Gandhinagarમાં મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં આજે મહત્વપૂર્ણ કેબિનેટ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યમાં આવનારા ચોમાસાને ધ્યાનમાં રાખીને પૂર્વ તૈયારીઓ તેમજ ખેડૂતો માટેના આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ પાણી પુરવઠા, સિંચાઈ વ્યવસ્થા, કાયદો અને વ્યવસ્થા સહિતના વિવિધ વહીવટી મુદ્દાઓ પર પણ વિચારણા હાથ ધરાઈ હતી. આ ઉપરાંત Narendra Modiના શાસનના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આયોજિત થનારા કાર્યક્રમોની તૈયારીઓ અંગે ચર્ચા થઈ હતી. પેટ્રોલ-ડીઝલના જથ્થા અને વેચાણ સંબંધિત મુદ્દાઓ પર પણ બેઠકમાં મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
કર્ણાટકની રાજધાની Bengaluruના કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આજે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. બેંગલુરુથી Chennai જવા તૈયાર થયેલ IndiGoના વિમાનના એન્જિનમાંથી અચાનક ધુમાડો નીકળતા એરપોર્ટ પર ભાગદોડ મચી ગઈ હતી. પાયલોટે સમયસૂચકતા દાખવી વિમાનને રન-વે પર જ રોકી દીધું હતું, જેના કારણે મોટી જાનહાની ટળી હતી. ઘટનાની જાણ થતાં જ એરપોર્ટની ફાયર ટીમ અને સુરક્ષા અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી.
Published On - 7:30 am, Wed, 27 May 26