26 મેના મહત્વના સમાચાર : આણંદ સાયબર ક્રાઈમ પોલીસે, પાકિસ્તાન, યુગાન્ડા અને યુ.એ.ઈ.માં તાર ધરાવતુ 770 કરોડનુ સાયબર કૌંભાડ પકડી પાડ્યું

આજે 26 મેને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

26 મેના મહત્વના સમાચાર : આણંદ સાયબર ક્રાઈમ પોલીસે, પાકિસ્તાન, યુગાન્ડા અને યુ.એ.ઈ.માં તાર ધરાવતુ 770 કરોડનુ સાયબર કૌંભાડ પકડી પાડ્યું
| Edited By: | Updated on: May 26, 2026 | 8:47 PM

આજે 26 મેને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

 

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 26 May 2026 08:46 PM (IST)

    દાહોદ APMC માર્કેટના વેરહાઉસ પાસે આંગડીયા પેઢીના કર્મચારી લૂંટાયો

    દાહોદમાં ધોળાદિવસે આંગડીયા પેઢીના કર્મચારી ની કરોડોની સનસનાટીભરી લૂંટનો કિસ્સો સામે આવ્યો છે. દાહોદ APMC માર્કેટના વેરહાઉસ પાસે લૂંટની મોટી ઘટના. આંગડિયા પેઢીના વ્યક્તિ પાસેથી કરોડોની લૂંટ. નંબર વગરની બે પલ્સર બાઈક પર આવેલા 6લૂંટારૂઓ ફરાર. લૂંટારૂઓએ ઘાત લગાવી હુમલો કરી રૂપિયા ભરેલો થેલો લૂંટી લીધો. ઘટનાથી વિસ્તારમાં ભારે ચકચાર, પોલીસ તંત્ર દોડતું થયું. લૂંટ કરીને ભાગતા લુટારુઓ CCTV કેમેરામાં કેદ. લૂંટારૂઓ કેટલી રકમની લૂંટ ચલાવી તે અંગે હાલ સસ્પેન્સ. ઘટનાસ્થળે સ્થાનિક પોલીસ સાથે DYSP, LCB, SOG સહિતની ટીમો પહોંચી. આરોપીઓની શોધખોળ અને તપાસનો ધમધમાટ શરૂ.

  • 26 May 2026 08:44 PM (IST)

    આણંદ સાયબર ક્રાઈમ પોલીસે, પાકિસ્તાન, યુગાન્ડા અને યુ.એ.ઈ.માં તાર ધરાવતુ 770 કરોડનુ સાયબર કૌંભાડ પકડી પાડ્યું

    આણંદ સાયબર ક્રાઈમ પોલીસની મોટી સફળતા, આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ ગેંગનો પર્દાફાશ કર્યો છે. રૂ.770 કરોડથી વધુનું મસમોટું કૌભાંડમાં પાકિસ્તાન અને યુગાન્ડા કનેક્શન ખુલ્યું છે.  આણંદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનને એક બહુ મોટી સફળતા મળી છે. વિદેશોમાં તાર ધરાવતી અને લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરતી એક ઓર્ગેનાઈઝ્ડ આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઈમ ગેંગના સાગરીતોને પોલીસે ઝડપી પાડ્યા છે. આ ગેંગે ભારતના અલગ-અલગ રાજ્યોના નિર્દોષ લોકો સાથે રૂ. 7702016858 (સાતસો સિત્તેર કરોડથી વધુ) નું મસમોટું સાયબર ફ્રોડ આચર્યું હોવાનું સામે આવ્યું છે. ગેંગ દ્વારા અંદાજે 77.20 કરોડ રૂપિયાની સાયબર હેરાફેરી કરવામાં આવી છે. ભારતના લોકો પાસેથી છેતરીને મેળવેલા નાણાં બાયનાન્સ (Binance) એપ્લિકેશન તેમજ હવાલા મારફતે પાકિસ્તાન, યુગાન્ડા (આફ્રિકા) અને યુ.એ.ઈ. (UAE) જેવા દેશોમાં મોકલવામાં આવતા હતા. આ મહાકૌભાંડને અંજામ આપવા માટે અલગ-અલગ બેંકોના 186 જેટલા ખાતાઓનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો. ​ આ એકાઉન્ટ્સ પર NCCRP પોર્ટલ મારફતે 795 જેટલી ફરિયાદો, અરજીઓ થયેલી છે, જેના આધારે ભારતના વિવિધ રાજ્યોમાં 30 જેટલી FIR પણ રજીસ્ટર થઈ ચૂકી છે.

     


  • 26 May 2026 07:10 PM (IST)

    સુરેન્દ્રનગર 44.3 ડિગ્રીએ તો અમદાવાદ 43.2 ડિગ્રી તાપમાને ધગધગ્યું

    ગુજરાતમાં ફરીથી તાપમાનનો પારો ઉચકાયો છે. આજે સૌથી વધુ ગરમી સુરેન્દ્રનગરમાં 44.3 ડિગ્રી નોંધાઈ છે. જ્યારે અમદાવાદમાં 43.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજકોટમાં 42.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે તો અમરેલીમાં 41.7 ડિગ્રી ગરમી નોંધાઈ છે.ભાવનગરમાં પણ ગરમીનો પારો 42. 2 ડિગ્રીએ અટક્યો છે. ગાંધીનગરમાં 42.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં રાત્રીનું તાપમાન 28.2 ડિગ્રી નોંધાયું હતું.

  • 26 May 2026 06:51 PM (IST)

    ATS એ વાપીના સરી ગામમાંથી એમડી ડ્રગ્સ બનાવવાની ફેકટરી પકડી પાડી, 6 કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યું

    ATS દ્વારા માહિતીના આધારે કાર્યવાહી કરીને એમડી ડ્રગ્સ બનાવવાની ફેકટરી પકડી પાડી છે. વલસાડ જિલ્લાના વાપીના સરી ગામમાં ATSની કાર્યવાહી. રાજેશ મૌર્ય તેના ભાગીદારી અબ્દુલ કલામ અને મેહુલ મકવાણા સાથે મળીને એમડી ડ્રગ્સ બનાવતો હતો. સરી ગામમાં આવેલી ફેક્ટરી ખાતેથી ભંગારના ગોડાઉન માંથી ડ્રગ્સનો જથ્થો મળ્યો. ગોડાઉન માંથી 2.377 કિલોગ્રામ એમ.ડી મળ્યું. 0.658 શંકાસ્પદ ડ્રગ્સનો જથ્થો પણ મળી આવ્યો છે. એટીએસ દ્વારા અબ્દુલ કલામ અને મેહુલ મકવાણાની ધરપકડ કરી. અબ્દુલ કલામ વાપી રહે છે અને મૂળ યુપીનો રહેવાસી છે જ્યારે મેહુલ મકવાણા મૂળ વઢવાણનો રહેવાસી છે. આરોપીઓ છેલ્લા 6 મહિના થી ડ્રગ્સ બનાવવાની શરૂવાત કરી હતી. ડ્રગ્સ કોણ બનાવતું હતું, કઈ રીતે બનાવતા હતા, કોને સપ્લાય કરવાના હતા તેનાથી એટીએસ અજાણ. મુખ્ય આરોપી રાજેશ મોર્યા અને અબ્દુલ કલામ છે. અબ્દુલ કલામ અને મેહુલ બંને સાથે મળીને રો મટિરિયલ લાવ્યા અને પ્રોસેસ કરી રહ્યા હતા. ગોડાઉનમાંથી મળેલા ડ્રગ્સની અંદાજિત કિંમત 6 થી 7 કરોડ જેટલી છે. બંને આરોપી સ્ક્રેપનો ધંધો કરતા હતા એટલે સંપર્કમાં આવ્યા હતા.

  • 26 May 2026 05:48 PM (IST)

    પાલનપુરમાં પતિએ પત્નીને 50 હજારમાં વેચી નાખી, પછી ગુમ થવાની નોંધાવી ફરિયાદ

    બનાસકાંઠાના પાલનપુરમાં એક અજીબ કિસ્સો સામે આવ્યો છે.  પતિએ ખુદ પત્નીને 50 હજારમાં વેચી નાખી. ત્યાર બાદ પોતાની પત્ની  ગુમ થવાની ફરિયાદ પતિદેવે નોંધાવી હતી. નિકેશ પટેલ નામના આરોપી પતિએ, પત્નીને  મિત્રો સાથે મેળવવાનું કહી પત્નીને વેચી દીધી. પત્નીને લઈ જનાર ઇસમોએ તેની પર દુષ્કર્મ ગુજાર્યું ત્યારબાદ થરાદની એક મહિલા અને 3 ઇસમો સાથે સોદો કર્યો. પત્નીને વેચી દીધા બાદ પત્ની ગુમ થઈ હોવાની ફરિયાદ પાલનપુર પોલીસ મથકે નોંધાવી. ગુમ થયાની ફરિયાદ અંગે પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવા લાગ્યા છે. નિકેશ પટેલ પરણિત હોવા છતાં અન્ય સમાજની યુવતીઓને ફસાવી અને ભગાડી હતી. નિકેશ પટેલ પાલનપુરમાં ચોરીના ગુનામાં સંડોવાયેલ છે. પોલીસે આ મામલામા કુલ 7 આરોપીઓની કરી અટકાયત. ધાનેરાના અનાપુરનો રહીશ અને પાલનપુરમાં રહેતા નીકેશ પટેલના ઇતિહાસ ગુનાહિત છે.

  • 26 May 2026 05:23 PM (IST)

    ઓરસંગ નદીમાં સફેદ રેતીના ચાલતા કાળા કારોબાર ઉપર તંત્રની કાર્યવાહી, 13 કરોડનો ફટકાર્યો દંડ

    ઓરસંગ નદીમાં સફેદ રેતીના ચાલતા કાળા કારોબાર ઉપર વહીવટી તંત્રે મોટો સપાટો બોલાવ્યો છે. છોટાઉદેપુર જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનન કરતા રેત માફિયાઓ સામે લાલ આંખ. છોટાઉદેપુરમાં પહેલી વાર સૌથી મોટા દંડની કરવામાં આવી કાર્યવાહી. સંખેડા તાલુકાના રતનપૂર ગામે જિલ્લા વહીવટી તંત્ર દ્વારાઓરસંગ નદીમાં કરી રેડ કરતા ઝડપાઈ રેતી ચોરી. વહીવટી તંત્ર દ્વારા 3.94 લાખ મેટ્રિક ટન બિન અધિકૃત રેત ખનન ઝડપાઈ. રેત માફિયા સામે 13.32 કરોડનો ફટકાર્યો દંડ. ત્રણ હિટાચી મશીનને સીઝ કરવામાં આવ્યા છે. ગોવિંદ ભાઈ ઓડ, સંજય ઠાકોર , ઉર્વશી બા વાઢેર આમ ત્રણ વ્યક્તિઓ સામે કરવામાં આવશે કાયદેસરની કાર્યવાહી.

     

  • 26 May 2026 05:18 PM (IST)

    કવાંટ નસવાડી રોડ પર અકસ્માતમાં દંપતિનુ મોત

    કવાંટ નસવાડી રોડ પર અકસ્માતમાં દંપતિનુ મોત થયુ છે. કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં દંપતિના મોત. માથાના ભાગે ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે જ મોત. નસવાડી પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી. મૃતકને PM અર્થે નસવાડી ખસેડી કાર્યવાહી હાથ ધરાઈ.

  • 26 May 2026 03:19 PM (IST)

    ઓશિયા મોલના માલિકે ફુલેકુ ફેરવ્યું ! અનેક વેપારીઓના કરોડો રૂપિયા ફસાયાનો આક્ષેપ

    અમદાવાદ સ્થિત ઓશિયા મોલના માલિકે ફુલેકુ ફેરવ્યું હોવાનો અને અનેક વેપારીઓના કરોડો રૂપિયા ફસાયાનો આક્ષેપ વેપારીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. ઓશિયા મોલમાં વેપારીઓએ આપેલા માલના પૈસા અટવાયાછે. છેલ્લા 8 મહિનાથી વેપારીઓને માલના પૈસા નહી મળી રહ્યા હોવાનો આક્ષેપ. ઓશિયા મોલ દ્વારા આપેલા ચેક બાઉન્સ થયાનો વેપારીઓએ આક્ષેપ કર્યો છે. અંદાજિત 200 થી વધારે વેપારીઓના કરોડો રૂપિયા ફસાયાની આક્ષેપ.
    વેપારીઓએ ક્રાઈમ બ્રાન્ચમાં કરી અરજી. ઓશિયાના 40 મોલ માંથી 15 મોલ બંધ થયા અને 25 કાર્યરત છે. અમુક મોલની પ્રોપર્ટીના ભાડાના રૂપિયા પણ બાકી હોવાનો વેપારીઓનો આક્ષેપ. ઓશિયા મોલ NCLT માં પહોચી હોવાનું વેપારીઓનો દાવો.

  • 26 May 2026 03:11 PM (IST)

    હિતેશ બારોટ અમદાવાદના મેયર તરીકે મળતી મ્યુનિસિપલની આર્થિક સવલતો નહી લે

    અમદાવાદના નવા નિમાયેલા મેયર હિતેશ બારોટે જાહેરાત કરી છે કે, તેઓ મેયર તરીકે મળવાપાત્ર સરકારી સહાય નહી લે. કોર્પોરેટર તરીકે ચૂટાયા ત્યારથી આજ દિવસ સુધી હિતેશ બારોટ દ્વારા AMC માંથી એક પણ રૂપિયો લેવામાં આવ્યો નથી. અગાઉ કોર્પોરેટર તરીકે અનેક વખત રહ્યા હોવા છતાં કોર્પોરેશનમાંથી આપવામાં આવતા ભથ્થાનો ઈન્કાર કર્યો છે. માનદ વેતન કે ભથ્થા તરીકે આપવામાં આવતી એક પણ રકમ હિતેશ બારોટ દ્વારા લેવાઇ નથી. સ્ટેશનરી ખર્ચ, મોબાઈલ ખર્ચ, મિટિંગનું ભથ્થું કોઈ પ્રકારના ભથ્થા લીધા નથી.

     

     

     

     

     

  • 26 May 2026 03:03 PM (IST)

    ભાજપના ધારાસભ્યે CM ભૂપેન્દ્ર પટેલને લખેલ પત્ર મુજબ કરડ અને મેસરી નદી પરના બ્રિજમાં કોઈ ક્ષતિ કે બેદરકારી નથી- R&B નાં અધિકારી

    વડોદરા જિલ્લાના સાવલીના MLA કેતન ઈનામદારે મુખ્યપ્રધાનને પરથમપૂરા ગામ પાસે કરડ અને મેસરી નદી પરનો બ્રિજની ખસતા હાલત અંગે લખેલા પત્ર બાબતે,  R&B નાં અધિકારીએ ખુલાસો કર્યો છે. માર્ગ અને મકાન વિભાગનાં ડે.એન્જિનિયર દર્શિલ દેવાનીનું નિવેદન સામે આવ્યું છે. બ્રિજનાં નિર્માણમાં કોઇ ક્ષતિ કે બેદરકારી નથી, તેમ ડેપ્યુટી એન્જિનિયરે જણાવ્યું છે. “જૂની ગાઈડલાઈન પ્રમાણે બ્રિજ પર વેરિંગ કોટ કરાયો છે”. “2023 માં બ્રિજ બનાવ્યા બાદ સરકારનો નવો પરિપત્ર આવ્યો”. “હવે નવી ગાઈડલાઈન મુજબ બ્રિજ પર વેરિંગ કોટ કરવામાં આવશે”. “બ્રિજ પર ટ્રાફિકનાં ભારણને કારણે વેરિંગ કોટ ઉખડી ગયો છે”. “ટૂંક સમયમાં બ્રિજને બંધ કરી વેરીંગ કોટ કરવામાં આવશે”.

  • 26 May 2026 02:37 PM (IST)

    કચ્છ: જખૌ નજીકથી શંકાસ્પદ સેટેલાઇટ-બેઝ્ડ ટ્રાન્સપોન્ડર મળી આવ્યું

    કચ્છ જિલ્લાના જખૌ નજીક શંકાસ્પદ સેટેલાઇટ-બેઝ્ડ ટ્રાન્સપોન્ડર મળી આવતા સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ છે. સુલેમાનપીર ટાપુ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ દરમિયાન આ ટ્રાન્સપોન્ડર મળી આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. જખૌ નજીક દરિયામાં આ ઉપકરણ તણાઈને આવ્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, જેના કારણે સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. અગાઉ પણ આ જ વિસ્તારમાંથી મિસાઈલ સેલ અને ચાઈનીઝ ડ્રોન મળવાના કેસ સામે આવી ચૂક્યા છે. સમગ્ર મામલે પોલીસ, સ્ટેટ IB, SOG અને અન્ય સુરક્ષા એજન્સીઓએ સંયુક્ત રીતે તપાસ શરૂ કરી છે.

  • 26 May 2026 02:36 PM (IST)

    વડોદરા: સાવલીના MLA કેતન ઇનામદારે CMને લખ્યો પત્ર

    વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે કરડ અને મેસરી નદી પરના બ્રિજની હાલતને લઈને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. 24 કરોડના ખર્ચે થોડા દિવસ પહેલા જ બનાવાયેલા એપ્રોચ બ્રિજમાં ટૂંકા સમયમાં જ તિરાડો પડતાં તેમની કામગીરી પર પ્રશ્નો ઊભા થયા છે. આ મામલે ધારાસભ્યએ સમગ્ર પ્રકરણની વિજિલન્સ તપાસ કરવાની માંગ કરી છે. સાથે જ જવાબદાર અધિકારીઓ સામે પણ કડક પગલાં લેવામાં આવે તેવી પણ તેમણે માંગ કરી છે. બ્રિજની ગુણવત્તા અને નિર્માણ પ્રક્રિયા અંગે ગંભીર પ્રશ્નો ઉભા થતાં હવે આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે.

  • 26 May 2026 02:20 PM (IST)

    પર્યાવરણની સુરક્ષાને લઈને ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો

    પર્યાવરણની સુરક્ષાને લઈને ગુજરાત હાઇકોર્ટે મહત્વનો ચુકાદો આપતાં જામનગર મરીન સેન્ચ્યુરી વિસ્તારમાં ટાટા કેમિકલ્સ દ્વારા વર્ષોથી છોડવામાં આવતા કેમિકલ વેસ્ટ મામલે કડક વલણ અપનાવ્યું છે. હાઇકોર્ટે નોંધ્યું કે મરીન સેન્ચ્યુરીને “કાળા રણ”માં ફેરવી દેવામાં આવી છે અને તેના કારણે પર્યાવરણને ગંભીર નુકસાન પહોંચ્યું છે. કોર્ટે ટાટા કેમિકલ્સને ગેરકાયદે દબાણકર્તા ગણાવતા પર્યાવરણ વળતર વસૂલવાનો આદેશ આપ્યો છે. સાથે જ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ને ત્રણ મહિનામાં પર્યાવરણને થયેલા નુકસાનનું આકલન કરવા સૂચના આપવામાં આવી છે. નવી પાઇપલાઇન કાર્યરત ન થાય ત્યાં સુધી ઉદ્યોગ બંધ રાખવાનો પણ કોર્ટે આદેશ કર્યો છે. ઉપરાંત કલેક્ટર અને GPCBને તાત્કાલિક પ્રદૂષણ રોકવા કાર્યવાહી કરી ત્રણ અઠવાડિયામાં રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું છે. ટાટા કેમિકલ્સ દ્વારા કરવામાં આવેલી સ્ટે અરજી હાઇકોર્ટે ફગાવી દીધી છે અને હવે મામલે વધુ સુનાવણી 17 જૂને હાથ ધરાશે.

  • 26 May 2026 02:10 PM (IST)

    વડોદરાઃ ઉનાળાની મધ્યમાં પહોંચ્યા બાદ આરોગ્ય વિભાગની ટીમ જાગી

    વડોદરામાં ઉનાળાની મધ્યમાં પહોંચ્યા બાદ આરોગ્ય વિભાગની ટીમ સક્રિય બની છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણીના જગ અને આઈસ ફેક્ટરીઓમાં આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન અધિકારીઓને મોટાભાગની બાબતો નિયમ મુજબ અને સંતોષકારક જણાઈ રહી છે. ફેક્ટરીઓમાં કોઈપણ પ્રકારની ગંભીર ક્ષતિ અધિકારીઓના ધ્યાન પર આવી નથી. સાથે સાથે સંબંધિત દસ્તાવેજોની પણ ચકાસણી કરવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગે પાણીની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે વિક્રેતાઓને પબ્લિક લેબોરેટરીમાં પાણીના નમૂનાઓની તપાસ કરાવવાના આદેશ પણ આપ્યા છે.

  • 26 May 2026 01:52 PM (IST)

    નડિયાદ: મહાનગરપાલિકાને મળ્યાં નવા મેયર

    નડિયાદ મહાનગરપાલિકાને નવા મેયર મળ્યા છે. મનપા બન્યા બાદ પ્રથમવાર નડિયાદ શહેરને મેયર મળતા શહેરમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. મેયર તરીકે વોર્ડ નં-11ના મનીષ પટેલની નિયુક્તિ કરવામાં આવી છે, જ્યારે ડેપ્યુટી મેયર તરીકે વોર્ડ નં-9ના કલ્પેશકુમાર રાવળ ચૂંટાયા છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે વોર્ડ નં-5ના પરાગ બ્રહ્મભટ્ટની વરણી કરવામાં આવી છે. પક્ષના નેતાની જવાબદારી મહિલા નેતા મેઘના શાહને સોંપવામાં આવી છે, જ્યારે દંડક તરીકે પુષ્પા પરમારની બિનહરીફ વરણી કરવામાં આવી છે. નવા હોદ્દેદારોની જાહેરાત સાથે નડિયાદ મહાનગરપાલિકામાં નવી ટીમનું ગઠન પૂર્ણ થયું છે.

  • 26 May 2026 01:50 PM (IST)

    જામનગર મહાનગરપાલિકાના નવા હોદ્દેદારોના નામ જાહેર

    જામનગર મહાનગરપાલિકાના નવા હોદ્દેદારોના નામ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા છે. મહિલા અનામતના કારણે મોનિકા વ્યાસને જામનગરના નવા મેયર તરીકે પસંદ કરવામાં આવ્યા છે, જ્યારે રાકેશ ડેરને ડેપ્યુટી મેયર તરીકે નિમણૂંક આપવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ધીરેન મોનાણીની વરણી કરવામાં આવી છે. શાસક પક્ષના નેતા તરીકે અમર મોદી જાડેજાને જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે દંડક તરીકે પ્રવિણાબેન રુપણિયાનું નામ જાહેર થયું છે. જામનગર મનપામાં ભાજપના નવા સુકાનીઓની જાહેરાત સાથે કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. નોંધનીય છે કે 16 વોર્ડની કુલ 64 બેઠકોમાંથી ભાજપે 60 બેઠકો પર ભવ્ય જીત મેળવી હતી.

  • 26 May 2026 01:50 PM (IST)

    જામનગરઃ જેલમાં બંધ 2 કોર્પોરેટર મનપાની સામાન્ય સભામાં હાજર રહ્યા

    જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભામાં આજે જેલમાં બંધ બે કોર્પોરેટર પોલીસ જાપ્તા વચ્ચે હાજર રહ્યા હતા. કોંગ્રેસના કોર્પોરેટર અલ્તાફ ખફી અને AAPના કોર્પોરેટર અસલમને કડક પોલીસ બંદોબસ્ત સાથે સભામાં લાવવામાં આવ્યા હતા. બંને આરોપીઓને ગઈકાલે રાજકોટની ખાસ કોર્ટ દ્વારા સામાન્ય સભામાં હાજરી આપવા મંજૂરી આપવામાં આવી હતી. કોર્ટની મંજૂરી બાદ આજે ભારે પોલીસ સુરક્ષા વચ્ચે બંને કોર્પોરેટરોએ સામાન્ય સભામાં હાજરી આપી હતી, જેના કારણે સભા દરમિયાન ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો.

  • 26 May 2026 01:03 PM (IST)

    વલસાડ: વાપીમાં ભંગારના ગોડાઉનની આડમાં ડ્રગ્સના રેકેટનો પર્દાફાશ

    વલસાડ જિલ્લાના વાપીમાં ભંગારના ગોડાઉનની આડમાં ચાલી રહેલા ડ્રગ્સના મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. ATS અને SOGની સંયુક્ત ટીમે કુંતા ગામ ખાતે દરોડા પાડી લાખો રૂપિયાનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. તપાસ દરમિયાન AK સ્ટીલ સપ્લાયર્સ નામના ગોડાઉનની ઓફિસમાંથી 2 કિલોથી વધુ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત રૂ. 71 લાખથી વધુ હોવાનું સામે આવ્યું છે.

  • 26 May 2026 12:19 PM (IST)

    ઉત્તમ સુરાણી બન્યા મોરબીના નવા મેયર

    મોરબી મહાનગરપાલિકામાં નવા હોદ્દેદારોની સત્તાવાર વરણી કરવામાં આવી છે. ઉત્તમ સુરાણી મોરબીના નવા મેયર તરીકે નિમાયા છે, જ્યારે ચિરાગ રાણપરાને ડેપ્યુટી મેયર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે જયંતી પડસુંબિયાની વરણી કરવામાં આવી છે. પક્ષના નેતા તરીકે અર્પિતા જાડેજાને જવાબદારી આપવામાં આવી છે, જ્યારે દંડક તરીકે જયેશ દેસાઈની નિમણૂક કરવામાં આવી છે. મોરબી મહાનગરપાલિકામાં નવા સુકાનીઓને જવાબદારી સોંપાતા શહેરની રાજનીતિમાં નવા ચહેરાઓને તક મળી છે, જેના કારણે કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

  • 26 May 2026 12:00 PM (IST)

    સુરત: આરોગ્ય પ્રધાનના વિસ્તારમાંથી જ ઝડપાયા નકલી તબીબો

    સુરત જિલ્લામાં આરોગ્ય પ્રધાનના વિસ્તારમાં જ નકલી તબીબો ઝડપાતા ચકચાર મચી ગઈ છે. કામરેજ પોલીસે કાર્યવાહી દરમિયાન પાંચ જેટલા નકલી તબીબોને ઝડપી પાડ્યા છે. આરોગ્ય પ્રધાન પ્રફુલ પાનસેરીયાની સૂચના બાદ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. કામરેજ પોલીસે કુલ 15 જેટલા ક્લિનિકોમાં તપાસ હાથ ધરી હતી, જેમાંથી 5 ક્લિનિક બોગસ હોવાનું ખુલાસો થયો છે. કોઈપણ પ્રકારના પરવાના વગર લેભાગુ તત્વો દ્વારા ક્લિનિક ચલાવવામાં આવતાં હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે કામરેજ પોલીસે વધુ તપાસ અને કાર્યવાહી શરૂ કરી છે.

  • 26 May 2026 11:23 AM (IST)

    નવસારી મહાનગરપાલિકાના હોદ્દેદારોના નામ જાહેર

    નવસારી મહાનગરપાલિકાના હોદ્દેદારોના નામ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા છે. નવસારી મનપાના પ્રથમ મેયર તરીકે અશોક ધોરાજીયાની વરણી કરવામાં આવી છે, જે છેલ્લા 42 વર્ષથી ભાજપના કાર્યકર્તા તરીકે સક્રિય રહ્યા છે. ડેપ્યુટી મેયર તરીકે કેયુરી દેસાઈની પસંદગી કરવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે મુકેશ અગ્રવાલને જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે શાસક પક્ષના નેતા તરીકે નરેશ પુરોહિતની નિયુક્તિ કરવામાં આવી છે. મનપાના દંડક તરીકે રાકેશ પટેલની વરણી કરવામાં આવી છે. આ સાથે નવસારી મનપાની નવી ટીમની રચના પૂર્ણ થઈ છે.

  • 26 May 2026 10:48 AM (IST)

    અમદાવાદ મનપામાં નવા હોદ્દેદારોની વરણી

    અમદાવાદ મહાનગરપાલિકામાં નવા હોદ્દેદારોની સત્તાવાર વરણી કરવામાં આવી છે. હિતેશ બારોટને અમદાવાદના નવા મેયર તરીકે પસંદ કરવામાં આવ્યા છે, જ્યારે અંજુબેન શાહને ડેપ્યુટી મેયર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે કમલેશ પટેલની વરણી કરવામાં આવી છે, જ્યારે દંડક તરીકે અતુલ મિશ્રાની પસંદગી કરવામાં આવી છે. પક્ષના નેતા તરીકે જશુ ઠાકોરને જવાબદારી આપવામાં આવી છે. આ સાથે મેયર સહિતના તમામ મહત્વપૂર્ણ હોદ્દાઓ પર નવા ચહેરાઓને સ્થાન મળ્યું છે, જેના કારણે અમદાવાદ મનપાની રાજનીતિમાં નવા સમીકરણો સર્જાયા છે.

  • 26 May 2026 09:46 AM (IST)

    અમદાવાદ: આજે મેયર અને ડેપ્યુટી મેયરના નામની થશે જાહેરાત

    અમદાવાદ મહાનગરપાલિકામાં આજે મેયર અને ડેપ્યુટી મેયરના નામોની સત્તાવાર જાહેરાત થવાની છે. નવી ટર્મમાં રોસ્ટર મુજબ આ વખતે પછાત વર્ગ માટે મેયર પદ અનામત રાખવામાં આવ્યું છે. મેયર પદ માટે હિતેશ બારોટ, ધરમશી દેસાઈ, જસુ ઠાકોર અને રાજુ ઠાકોરના નામો ચર્ચામાં છે, જ્યારે ડેપ્યુટી મેયર તરીકે અનુ પટેલ અને ચાંદની પટેલના નામ આગળ ચાલી રહ્યા છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે કમલેશ પટેલ અને પરેશ લાખાણી સહિતના નામોની પણ ચર્ચા જોરમાં છે. આજે યોજાનારી પ્રથમ બોર્ડ બેઠકમાં સ્ટેન્ડિંગ કમિટીના 12 સભ્યો તેમજ AMTSના 8 સભ્યોની નિમણૂક કરવામાં આવશે.

  • 26 May 2026 08:50 AM (IST)

    ગીર સોમનાથ: ગીર ગઢડામાં આધેડ બન્યા હનીટ્રેપનો શિકાર

    ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડામાં હનીટ્રેપનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. અજાણી યુવતીએ ધાર્મિક મેસેજ મારફતે એક આધેડ સાથે ઓળખાણ વધારી સબંધો કેળવ્યા હતા. ત્યારબાદ ચાર શખ્સો પોલીસ બનીને આધેડ પાસે પહોંચ્યા અને યુવતી ડ્રગ્સ કેસમાં સંડોવાયેલી હોવાનું કહી ધમકી આપી હતી. આ મામલે આધેડ પાસેથી રૂપિયા 2 લાખ પડાવાયા હોવાનું સામે આવ્યું છે. દ્રોણેશ્વર ગુરુકુળમાં નોકરી કરતા આધેડે સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે એક મહિલા સહિત ચાર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

  • 26 May 2026 08:35 AM (IST)

    ભારત-કેનેડા વચ્ચે ફ્રી ટ્રેડ ડીલ પર ચર્ચા તેજ

    ભારત અને કેનેડા વચ્ચે ફ્રી ટ્રેડ ડીલને લઈને ચર્ચાઓ તેજ બની છે. કેનેડાના પ્રધાનમંત્રી Mark Carneyએ જણાવ્યું કે ભારત સાથેની ફ્રી ટ્રેડ ડીલ કેનેડા માટે વિશાળ બજારના દ્વાર ખોલી શકે છે અને આ કરાર બંને દેશો માટે ફાયદાકારક સાબિત થશે. ઊર્જા, કૃષિ અને ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં નવા અવસર ઉભા કરવાની દિશામાં બંને દેશો વચ્ચે ચર્ચા ચાલી રહી છે. કેન્દ્રીય મંત્રી Piyush Goyal હાલ ત્રણ દિવસીય કેનેડા પ્રવાસે છે, જ્યાં વેપાર અને આર્થિક સહકાર વધારવા મુદ્દે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ રહી છે. બંને દેશોએ વર્ષ 2030 સુધી દ્વિપક્ષીય વેપારને ત્રણ ગણો વધારવાનો લક્ષ્ય પણ નક્કી કર્યો છે.

  • 26 May 2026 08:07 AM (IST)

    દિલ્હી: સીએનજીના ભાવમાં ફરી ₹2નો વધારો

    દિલ્હીમાં સીએનજીના ભાવમાં ફરી એકવાર ₹2 પ્રતિ કિલોનો વધારો કરવામાં આવ્યો છે. છેલ્લા 12 દિવસમાં આ ચોથી વખત સીએનજી મોંઘું બન્યું છે, જેના કારણે વાહનચાલકો પર વધુ આર્થિક ભાર વધ્યો છે. મિડલ ઈસ્ટમાં વધી રહેલા તણાવ અને ઈરાન સંકટની અસર હવે ભારતમાં પણ જોવા મળી રહી છે, જેના પગલે ગેસના ભાવોમાં વધારો નોંધાયો છે. નવા દર મુજબ હવે દિલ્હીમાં સીએનજીનો ભાવ ₹83.09 પ્રતિ કિલો થયો છે. પેટ્રોલ અને ડીઝલ બાદ હવે સીએનજીના વધતા ભાવથી સામાન્ય જનતા અને ટ્રાન્સપોર્ટ સેક્ટર બંને પ્રભાવિત થયા છે. દિલ્હી-NCR વિસ્તારમાં સીએનજીના નવા દર અમલમાં આવી ગયા છે.

  • 26 May 2026 08:06 AM (IST)

    BSFને ક્રિક વિસ્તારમાં મળ્યા કરોડો રૂપિયાના ડ્રગ્સના પેકેટ

    કચ્છમાં ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. BSFને ક્રિક વિસ્તારમાંથી કરોડો રૂપિયાના બિનવારસી ડ્રગ્સના 11 પેકેટ મળી આવ્યા હતા. ‘અરેબિયન પ્રોડક્ટ’ લખાયેલા અંદાજે 1.2 કિલો વજનના આ પેકેટો જપ્ત કરવામાં આવ્યા છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત કરોડોમાં હોવાનું માનવામાં આવે છે. છેલ્લા ઘણા સમયથી સતત ડ્રગ્સના પેકેટો મળી આવતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર આવી ગઈ છે. સતત મળી રહેલા ડ્રગ્સને ધ્યાનમાં રાખીને સુરક્ષા દળોએ દરિયાઈ વિસ્તારમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે અને સમગ્ર વિસ્તારમાં ચુસ્ત નજર રાખવામાં આવી રહી છે.

  • 26 May 2026 07:37 AM (IST)

    સુરતઃ તળાવમાં ડૂબી જવાથી 2 કિશોરના મોત

    સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મહુવેજ ગામે દુર્ઘટનાજનક ઘટના સામે આવી છે. દાદા સાથે માછીમારી કરવા ગયેલા બે કિશોર તળાવમાં ડૂબી જતા તેમના મોત નિપજ્યા હતા. બંને કિશોર ઊંડા પાણીમાં ગરકાવ થતાં સ્થાનિકોમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં ગામલોકોએ તાત્કાલિક શોધખોળ હાથ ધરી બંનેના મૃતદેહોને બહાર કાઢ્યા હતા. બનાવ અંગે માહિતી મળતા કોસંબા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

Published On - 7:28 am, Tue, 26 May 26

Follow Us