
ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના 25 નવેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
જામનગરઃ ગ્રેઇન માર્કેટ વિસ્તારમાં યુવક યુવતી વચ્ચે મારામારી થઈ. જાહેરમાં બંને વચ્ચે થઈ છુટ્ટા હાથની મારામારી થઈ હતી. બંને વચ્ચે પહેલા બોલાચાલી થઈ હતી જે બાદ વાત મારામારીમાં પરિણમી હતી. યુવતીએ હાથ ઉપાડતા જ યુવકે યુવતીને રોડ વચ્ચે પછાડી ચાલતી પકડી. ઘટનાના CCTV ફૂટેજ વાયરલ થતા પોલીસે બંનેની શોધ શરૂ કરી. જો કે આ મામલે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.
અમદાવાદઃ સેવન્થ ડે સ્કૂલને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. AMC સેવન્થ ડે સ્કૂલનો પ્લૉટ પરત લેશે. AMC દ્વારા આ અંગેની પ્રોસિજર શરૂ કરવામાં આવશે
સ્કૂલને ત્રણ વાર નોટિસ આપવા છતાં જરૂરી ડોક્યુમેન્ટ આપવામાં આવ્યા નથી. 21 નવેમ્બર સુધીમાં ડોક્યુમેન્ટ આપવાની ડેડલાઇન હતી. સ્કૂલ દ્વારા કોઈ જવાબ રજૂ કરવામાં આવ્યો નથી.
અમરેલી: હામાપુર ગામે સિંહણે બાળકને ફાડી ખાધુ. પર પ્રાંતિય 5 વર્ષના બાળકનો સિંહણ શિકાર કરી ગઈ. બાળક વાડીમાં પાણીની કુંડી પાસે રમતુ હતુ ત્યારે સિંહણ ઉઠાવી ગઈ. બાળકના મૃતદેહને પી.એમ અર્થે બગસરા સિવિલ હોસ્પિટલ ખસેડાયો. અમરેલી વન વિભાગે માનવભક્ષી સિંહણને પકડવાની કામગીરી હાથ ધરી.
ભરૂચ: પાડોશમાં રહેતી યુવતી જોરથી મ્યુઝિક વગાડતી હોવાથી આધેડ તેને સમજાવવા ગયા હતા. તે દરમિયાન બંને વચ્ચે તકરાર થઈ. જે બાદ યુવતીનો મંગેતર આવી જતા તેણે આધેડને ઢીંકાપાટુનો માર માર્યો. બબાલ બાદ બંને પક્ષો ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન ગયા. જ્યાં આધેડની તબિયત લથડ્યા બાદ મોત નિપજતા મામલો હત્યામાં પરિણમ્યો અને પોલીસે મુખ્ય આરોપી મહોમદ સોબાન ઈમ્તિયાઝ શેખને ઝડપી તેની સામે હત્યાનો ગુનો નોંધ્યો.
અમદાવાદ પૂર્વમાં ગૂમ થયેલા લોકોને શોધવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે. પૂર્વ વિસ્તારમાં 15 વર્ષમાં કૂલ 2 હજાર 328 લોકો ગૂમ થયા હતા. પોલીસે એક માસની ડ્રાઈવમાં 328 લોકોને શોધી કાઢ્યા. આ ઝૂંબેશમાં 22 પોલીસ સ્ટેશનની ટીમ જોડાઈ હતી. જેમાં 18 વર્ષથી ઉપરના 194 મહિલા તથા 113 પુરૂષ મળી આવ્યા અને 18 વર્ષથી નાની વયની 8 બાળકીઓ તથા 13 બાળકો મળી આવ્યા.
વડોદરા: પાદરાની કંપનીમાં લાખોની કિંમતના પાવડરની ચોરી ની ઘટના સામે આવી છે. અમી લાઈફ સાયન્સ કંપનીમાં રૂ. 74 લાખથી વધુના પાવડરની ચોરી થઈ છે.
કંપનીમાં કામ કરતા વ્યક્તિએ ચોરી કરી હોવાનું સામે આવ્યુ છે. 9 કિલો જેટલો કિંમતી પાવડર ચોરી તસ્કરો ફરાર થયા છે. DySP, વડુ પોલીસની ટીમ દ્વારા ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરાઈ
વડોદરા: સરકારી યોજનાના નામે છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઈ છે. સાવલી પોલીસે છેતરપિંડી કરતી ગેંગ ઝડપી છે. ગેંગના 3 શખ્સની પોલીસે ધરપકડ કરી છે.
સરકારી લાભની લાલચ આપી વૃદ્ધ મહિલાઓ સાથે ઠગાઈ કરતા હતા. બેંક કર્મચારીની ઓળખ આપી છેતરપિંડી આચરતા હતા. વૃદ્ધ, વિધવા મહિલાઓને સરકારી યોજનાના નામે છેતરતા હતા. ₹ 1,93,000ના સોના-ચાંદીના દાગીના સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.
જામનગરના બચુનગર વિસ્તારમાં અગાઉ એક ગેરકાયદે ફાર્મ હાઉસ તોડી પડાયું હતું. જે બાદ ત્યાં ફરી દબાણ કરવાની પ્રવૃતિની આશંકાના આધારે મનપા કમિશનરે આકસ્મિક તપાસ કરી હતી. ફાર્મ હાઉસના સ્થળે ઘોડાઓ રાખતા અને નવા વૃક્ષો વાવી ફરી ફાર્મ હાઉસ ઉભું કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ હતી. તેમજ જે સ્થળે દરગાહ તોડી પાડી હતી ત્યાં ફરી ધાર્મિક ક્રિયાઓ શરૂ થઈ હતી. આ પરિસ્થિતીની ધ્યાને લઈ ફરી એકવાર ડિમોલિશન કરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.
વડોદરા: તાંદલજા ગામમાં યુવકની હત્યામાં પત્નીએ જ યુવકની હત્યા કરી હોવાનો ખૂલાસો થયો છે. પોલીસે આરોપી પત્નીને સાથે રાખી રિ-કન્સ્ટ્રક્શન કર્યું હતુ.
મૃતકના પરિવારે કુદરતી મોત થયાનું જાણી દફનવિધિ કરી હતી. મૃતકના ભાઈને શંકા થતાં પોલીસને જાણ કરી હતી. પોલીસે મહિલાને સાથે રાખીઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કર્યુ.
BLOના મોતની ઘટના અત્યંત દુઃખદ છે. આ નિવેદન આપ્યું છે રાજ્ય સરકારના પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણીએ પત્રકારોના સવાલ પર જવાબ આપતા જીતુ વાઘાણીએ દાવો કર્યો કે કોઇપણ BLOએ દબાણ હેઠળ કામ કરવાની જરૂર નથી.. અને ઉચ્ચ અધિકારીઓ પણ કામનું દબાણ ન કરે તે માટે રાજ્યના તમામ કલેક્ટરોને સૂચના આપવામાં આવી છે. વાઘાણીએ દાવો કર્યો કે ખુદ મુખ્યપ્રધાને પણ BLOના મોતની ઘટનાને ગંભીરતાથી લીધી છે, અને રાજ્યના ચીફ સેક્રેટરીને સૂચના આપી છે.
ડીસામાં ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ કેસમાં હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી પર સુનાવણી થઈ. ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકાર પાસે વિસ્તૃત અહેવાલ માંગ્યો. અધિકારીઓની જવાબદારી, બેદરકારી સહિતની બાબત મામલે વિસ્તૃત અહેવાલ મંગાવ્યો. ફેક્ટરીના માલિક દીપક ટ્રેડર્સ અને અન્ય લોકોને પણ પક્ષકાર બનાવવા કોર્ટનો આદેશ કરાયો છે. ગુજરાત હાઇકોર્ટે SIT તપાસ મામલે પણ સવાલ કર્યા. આગામી સુનાવણી દરમિયાન SIT ની રિપોર્ટ આપવા કોર્ટે નિર્દેશ કર્યો છે. જો SIT રિપોર્ટ અધ્યયન થયો હોય તો એક્શન ટેકન રિપોર્ટ આપવા પણ કોર્ટના નિર્દેશ છે. 4 સપ્તાહ બાદ વધુ સુનાવણી યોજાશે. પીડિતોને વળતર, બનાવની તપાસ અન્ય તપાસ સંસ્થાને સોંપવાની અરજીમાં માગ કરાઈ છે. સરકારી વકીલની કામગીરી પર કોર્ટે અસંતોષ વ્યક્ત કર્યો છે. કોઈપણ પ્રકારની યોગ્ય જાણ વિના કોર્ટમાં હાજર થતા કોર્ટે નારાજગી દર્શાવી છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આ પ્રક્રિયા થાય છે અને તેમાં પણ આ પ્રકારનું વર્તન કેમ તેવો વેધક સવાલ હાઈકોર્ટ દ્વારા કરાયો છે. કોર્ટે ટકોર કરી કે સરકારી તંત્રનો આ કેસ્યુઅલ અપ્રોચ જણાઈ આવે છે.
સુરતમાં આઉટર રીંગરોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. લગ્નમાંથી બાઈક પર ઘરે આવતા સમયે ટેન્કરની અડફેટે મોત થયુ છે. પરિવારના 2 સભ્યોના મોતથી પરિવારમાં શોકનો માહોલ છે. અમરોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
બુટલેગરો પોલીસની નજરથી છુપાવીને દારૂ ઘૂસાડવાના ગમે એટલા પ્રયાસો કરે, પરંતુ તેમના તમામ કિમીયાનો ભાંડો ફૂટી જાય છે .. અમદાવાદમાં ઇનોવા ગાડીના ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરી કરતા ઝડપાયા છે. ગ્રામ્ય LCB એ ગાડીમાંથી મોટી માત્રામાં દારૂનો જથ્થો પકડ્યો છે. રાજકોટ અમદાવાદ હાઇવે પરથી દારૂની હેરાફેરી ઝડપાઈ છે. 2.50 લાખથી વધુની કિંમતનો 121 નંગ દારૂની બોટલ પકડાઈ છે. ઈનોવા કાર સાથે આરોપી રૂપેશ દાસાની ધરપકડ કરાઈ છે. ઈનોવા ગાડીમાં સીટ નીચે ચોરખાનું બનાવી દારૂ જથ્થો સંતાડ્યો હતો. ગ્રામ્ય LCB ટીમે વધુ તપાસ શરૂ કરી.
વડોદરા: પાદરાની કંપનીમાં લાખોની કિંમતના પાવડરની ચોરી થઇ છે. અમી લાઈફ સાયન્સ કંપનીમાં રૂ. 74 લાખથી વધુના પાવડરની ચોરી. કંપનીમાં કામ કરતા વ્યક્તિએ ચોરી કરી હોવાનું સામે આવ્યું. 9 કિલો જેટલો કિંમતી પાવડર ચોરી તસ્કરો ફરાર થયા છે. DySP, વડુ પોલીસની ટીમ દ્વારા ઘટનાસ્થળે પહોંચી તપાસ શરુ કરી છે.
મહેસાણા જિલ્લામાં કપાસના ખેડૂતો માટે રાહતના સમાચાર છે. ઉનાવા APMC ખાતે કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ ટેકાના ભાવે કપાસની ખરીદીનું કેન્દ્ર શરૂ કર્યુ. ખુલ્લા બજારમાં મળતા ભાવ કરતા CCI દ્વારા ખરીદી કરવામાં આવતા કપાસના ભાવ વધુ હોવાથી ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે. ખુલ્લા બજારમાં વેપારીઓ ખેડૂતો પાસેથી સરેરાશ 1400થી 1500 રૂપિયાના ભાવે કપાસની ખરીદી કરે છે. તેની સામે CCI દ્વારા ખેડૂતોને કપાસના 1622 રૂપિયા ભાવ મળતા ખુશીનો માહોલ છે. હાલમાં ઉનાવા માર્કેટ યાર્ડમાં રોજની 700 થી 800 મણ કપાસનું ખેડૂતોએ વેચાણ શરૂ કર્યુ છે.
બોલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂરના ભાઈ સિદ્ધાર્થ કપૂર 252 કરોડના ડ્રગ કેસમાં પૂછપરછ માટે મુંબઈના ઘાટકોપર એન્ટી-નાર્કોટિક્સ સેલમાં પહોંચ્યા છે.
સુરેન્દ્રનગર: ખીટલા ગામમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ થયો છે. SOG પોલીસે પામર સીમ વિસ્તારમાંથી લીલો ગાંજો ઝડપ્યો,. SOG પોલીસે દરોડા પાડી 180 છોડ ઝડપી પાડ્યા. 550 કિલોથી વધુ ગાંજા સહિત 2.79 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો. પોલીસે એક આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પોરબંદર: રહેણાંક વિસ્તારમાં મકાનમાં આગ લાગી. ગેસ સિલિન્ડરમાં લીકેજ થતા મકાનમાં આગ લાગી. સુભાષનગરમાં મકાનમાં આગ લાગતા 50 વર્ષીય શખ્સને ઈજા પહોંચી. આગને કારણે આસપાસના લોકો ઘરની બહાર દોડી આવ્યાં. ફાયર વિભાગે આગ કાબૂમાં લીધી. આગની ઘટનામાં ઘરવખરી બળીને ખાખ થઇ
જૂનાગઢમાં પોલીસ સ્ટેશનની અંદર જ પોલીસ કર્મી પર હુમલો થયાનો ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ એક આરોપીને નોટિસ બાબતે બોલાવવા માટે પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો હતો. ત્યારે તેના સમર્થનમાં આવેલી એક મહિલા અને ત્રણ પુરુષોએ અચાનક બબાલ કરી દીધી હતી. તે દરમિયાન એક અજાણ્યો યુવક, જે નશાની હાલતમાં હતો, તેણે પણ પોલીસ સામે ઉશ્કેરાટ કરી બબાલ મચાવી હતી. આરોપીને છોડવાની માગ સાથે શખ્સોએ પોલીસ સ્ટેશનમાં જ હંગામો કર્યો હતો. મામલો એટલો વધી ગયો કે શખ્સોએ પોલીસ કર્મીને લાફા ઝીંકી મારવાની ધમકી પણ આપી દીધી હતી.
રાજ્ય સરકાર દ્વારા યોજાનારી ચિંતન શિબિરને લઈને તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. 27 થી 29 નવેમ્બર દરમિયાન વલસાડના ધરમપુર ખાતે યોજાનારી આ મહત્ત્વપૂર્ણ ચિંતન શિબિરમાં રાજ્યના તમામ મંત્રીઓ હાજરી આપશે. 27 નવેમ્બરે મંત્રીઓ અને ઉચ્ચ સ્તરીય અધિકારીઓ ટ્રેન દ્વારા વલસાડ પહોંચશે, જ્યાં સરકારના વિવિધ વિષયો, યોજનાઓ અને ભવિષ્યની નીતિઓ પર ચર્ચા થશે. ત્રણ દિવસ ચાલનારી આ શિબિર બાદ 29 નવેમ્બરે તમામ મંત્રીઓ ફરી ટ્રેન દ્વારા અમદાવાદ પરત ફરશે. રાજ્યની કાર્યપદ્ધતિ વધુ મજબૂત કરવા માટે આ ચિંતન શિબિરને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીનું પ્રવાસીઓમાં અનેરૂ આકર્ષણ જોવા મળે છે. ત્યારે અત્યાર સુધીમાં 2.75 કરોડથી પણ વધુ પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી. ત્યારે ચોમાસા બાદ ક્રુઝ સેવાની ફરીવાર શરૂઆત થતાં પ્રવાસીઓમાં ખુશીનો માહોલ છે. પ્રવાસીઓએ ક્રૂઝમાં કેક કાપી નવી સુવિધાઓની ઉજવણી કરી. ક્રુઝ બોટના લીધે પ્રવાસીઓ હવે જળ માર્ગથી પણ નર્મદા નદી અને કુદરતી નજારાને માણી આનંદ શકશે.
સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા હાઈવે પર એક મોટું ગુનાખોર કાવતરું પોલીસની સતર્કતાથી નિષ્ફળ બન્યું. ATM લૂંટને અંજામ આપવા નીકળેલા 5 આરોપીઓને પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને ઝડપી લીધા હતા. પ્રાપ્ત માહિતી મુજબ આરોપીઓએ SBIના ATMને તોડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ લૂંટ પૂર્ણ થાય તે પહેલા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ આખું કાવતરું એક સાળા બનેવીએ બિહારના શખ્સો સાથે મળીને ઘડ્યું હતું. તેઓ ATM તોડવા માટે ખાસ સાધનો સાથે આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી ATM તોડવાના સાધનો સહિત કુલ ₹2.46 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
અરવલ્લીના મેઘરજ તાલુકાના સંઘ વિતરણ સેન્ટર પર ખેડૂતોએ ખાતર ના મળતા હોબાળો મચાવ્યો છે. વહેલી સવારથી યુરિયા ખાતર લેવા માટે ખેડૂતોની ભીડ જામી હતું. તાલુકા સંઘ ખાતે ગોડાઉન પર આજે રજા હોવાનું બોર્ડ લાગતા ખેડૂતો વિફર્યા. ખેડૂતોએ ગોડાઉનનું લોક તોડતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. યુરિયા ખાતર રાજસ્થાન વગે કરાતું હોવાના ખેડૂતોના આક્ષેપ કર્યો છે. છેલ્લા 15 દિવસથી યુરિયા ખાતર માટે ખેડૂતોના વલખાં. વહેલી સવારથી પુરુષો અને મહિલાઓ મોટી સંખ્યામાં ખાતર મેળવવા લાઇનોમાં ઊભા રહ્યાં હતા. આ સરકારી સ્ટોક હોવાથી રિલીઝ થયા બાદ થશે વહેચણી કરાશે તેમ મેનેજરે જણાવ્યું હતું. હાલ બે ગાડી સરકારી સ્ટોક રિલીઝ કરતા હવે યુરિયા ખાતરની થશે વહેચણી તેમ મેનેજરે કહ્યું છે.
ભાજપના કોર્પોરેટરે, સુરતમાં ખુલ્લેઆમ ગેરકાયદેસર બાંધકામ થતું હોવાની ફરિયાદ ગાંધીનગરમાં કરી છે. કોર્પોરેટર નરેન્દ્ર પાંડવે ગાંધીનગર વિજિલન્સ વિભાગમાં ફરિયાદ કરી છે કે, અવારનવારની રજૂઆત છતા, મનપા અધિકારીઓ કામ નથી કરી રહ્યા. સરકારી જગ્યાએ પણ દબાણ કર્યાનો આક્ષેપ કર્યો છે. દબાણ કરી સરકારી તિજોરીને મોટું નુકશાન પહોચાડ્યું હોવાનો દાવો કર્યો છે.
નવસારીમાં ACBએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. નવસારીનાં ભૂતપૂર્વ મદદનીશ ભૂસ્તરશાસ્ત્રીની ધરપકડ કરવામાં આવી છે. 62.13% અપ્રમાણસર મિલ્કતનો કેસ નોંધાયો. નવસારી ACBએ સંદીપ મધકુર ખોપકર, તત્કાલીન મદદનીશ ભૂતત્વશાસ્ત્રી (હાલ નિવૃત), GIS-2, ખાણ ખનીજ વિભાગની અપ્રમાણસર મિલ્કતનો મોટો ગોટાળો બહાર પાડ્યો. પોલીસ તપાસમાં ખુલ્યું કે 2009 થી 2018 દરમિયાન રૂ. 1,02,46,949 ની અપ્રમાણસર મિલ્કત હોવાનું સામે આવ્યું. કાયદેસર આવકની સરખામણીએ 62.13% વધારે સંપત્તિ. ગેરકાયદેસર રીતે નાણાં મેળવી મિલ્કત તથા વિવિધ રોકાણ કર્યાનો ખુલાસો. પોલીસે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો. સમગ્ર મામલાને લઈ સુરત એસીબીના અધિકારીઓએ વધુ તપાસ શરૂ કરી છે.
જૂનાગઢ મેદરડા નજીક કાર નદીમા ખાબકી. કારમા સવાર પાંચ મિત્રોમાથી બે મિત્રોના ઘટના સ્થળે મોત થયુ છે. અન્ય ત્રણ ઈજાગ્રસ્તને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. મેદરડાના ગઢાળી ગામે મિત્રના લગ્ન પ્રસંગે મિત્રો આવ્યા હતા. ગઈ કાલે લગ્નની ખરીદી કરવા પાંચ મિત્રો કાર લઈને નીકળ્યા હતા. ગઢાળી નજીક વળાંકમા કાર નદીમાં ખાબકી હતી. મહીપાલ કુબાવત અને કીશન કાવાણીનુ ઘટના સ્થળે મોત થયુ છે. ધ્રુવીક પટેલ, વીમલ રાણપરીયા, જયમીક પ્રજાપતિને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. મિત્રના લગ્નનો માહોલ શોકમા ફેરવાયો.
ડીસા-રાધનપુર હાઈવે પર થરા બ્રિજ નજીક સર્જાયો અકસ્માત. ડમ્પર અને ટ્રેઇલર વચ્ચે સર્જાયો અકસ્માત. ડમ્પર ઊભું હતું તે દરમિયાન પાછળથી આવી રહેલું ટ્રેઇલર, ડમ્પરને અથડાયું. અકસ્માતમાં ટ્રેઈલર ચાલકનું ઘટના સ્થળે નીપજયું મોત. ઘટનાની જાણ થરા સ્થળે પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી.
સુરતની સુરભી ડેરીનું પનીર નકલી હોવાનું રિપોર્ટમાં ખુલતા, ડેરીના સંચાલક સામે ગુનો દાખલ કરીને ધરપકડ કરવામાં આવી છે. નકલી પનીર નીકળતા પોલીસે સુરભી ડેરીના સંચાલક શૈલેષ પટેલની સામે ગુનો દાખલ કરીને ધરપકડ કરી છે. લોકોના આરોગ્ય સાથે ચેડાં અને નકલી પનીરને અસલી પનીર કહી વેંચતા છેતરપીંડીનો ગુનો દાખલ કરીને ધરપકડ કરવામાં આવી છે. સુરભી ડેરીના અન્ય માલિક કૌશિક પટેલને ગુનાની ગંધ આવી જતા તે ફરાર થવામાં સફળ થયો છે. સુરતમાં રોજનુ સરેરાશ એક હજાર કિલો નકલી પનીર અસલી કહીને વેંચતા હતા.
સૌરાષ્ટ્રના યાર્ડોમાં મગફળીની મબલખ આવક વચ્ચે સિંગતેલના ભાવમાં વધારો થયો છે. લગ્નની સિઝન અને બારમાસી સિંગતેલ ભરવાની સિઝન વચ્ચે સિંગતેલના ડબ્બાનો ભાવ 210 રૂપિયા વધી ગયો છે. યાર્ડના બજારમાં મગફળીના ભાવ પ્રતિ મણ 200 વધ્યા, તેલમાં તેજીનો ખેલ કરી ભાવ વધારો. 15 કિલો સિંગતેલનો ડબ્બો પહેલા 2415 રૂપિયા હતો જે ગઈકાલે વધીને 2625 ના ભાવે પહોચ્યો હતો. ઓર્ગેનિક અને ઘાણીનું સિંગતેલ 3000 રૂપિયા પ્રતિ ડબ્બે ભાવ પહોંચ્યું છે.
SIR મામલે ભાજપ એક્ટિવ મોડમાં આવી ગયુ છે. ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી એલ સંતોષ દિલ્હીથી ગુજરાત દોડી આવ્યા છે. તેઓ આજે મતદાર યાદી સુધારણી અંગે સંગઠનના કલાસ લેશે. પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે કમલમ ખાતે બેઠકનો દોર યોજાશે. 10 વાગ્યાથી યોજાશે બેઠકનો દોર. કમલમ ખાતે ઉત્તર ઝોનની બેઠક કમલમમાં યોજાશે. બપોરે 1 વાગે બી એલ સંતોષ વડોદરા જવા જશે રવાના. વડોદરા ખાતે મધ્ય ઝોનની બેઠક યોજાશે.
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર કારમાં લાગી આગ. મહુવાના નેશનલ હાઈવે પાસે નેસવડ ચોકડી નજીક પાર્ક કરેલી કારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગને કારણેકાર સંપૂર્ણ બળીને ખાક થઈ ગઈ હતી.
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાશે. રાજ્યભરમાં ટેકાના ભાવે ચાલી રહેલી ખરીદી, રાહત સહાય અંગે સમીક્ષા કરાશે. રાજ્યમાં ખાતરની અછત સંદર્ભે સમીક્ષા થશે. એકતા યાત્રાના કાર્યક્રમ સંદર્ભે પણ થશે ચર્ચા.
રાજ્ય સરકારની આગામી ચિંતન શિબિર પર થશે ચર્ચા. અમદાવાદના સંભવિત કોમનવેલ્થ ગેમ્સની જાહેરાત સંદર્ભે ઔપચારિક ચર્ચા. રાજ્ય સરકારના આગામી કાર્યક્રમો અને નીતિગત વિષયો પર થશે સમીક્ષા.
ખંભાળિયાના તરઘડી ડમ્પિંગ યાર્ડમાં ભીષણ આગ લાગી. ડમ્પિંગ યાર્ડમાં વારંવાર આગ લાગવાના બનાવ બનતા આવ્યા છે. આગને કારણે હવામાં ધુમાડાનું પ્રદુષણ ફેલાયું. આજુબાજૂના ગ્રામ્ય વિસ્તારની હવા અશુદ્ધ થઈ.
વડોદરામાં આજથી 3 દિવસ પાણી કાપ રહેશે. નિમેટાથી આજવા તરફ નવી પાણી લાઇનનું મેનિફોલ્ડ જોડાણની કામગીરીને કારણે પાણી કાપ લાદવામાં આવ્યો છે. આજવાના 6 ટાંકી અને 7 બૂસ્ટરને પાણી SUPPLY બંધ રહેશે. પૂર્વ અને દક્ષિણ વિસ્તારના 5 લાખ લોકો પાણી વિના હાલાકી પડશે. કામગીરી પૂર્ણ થયા બાદ 2 MLD પાણીની ઘટ દૂર થશે.
અમદાવાદના મોટેરામાં આવેલ સરદાર પટેલ સ્પોર્ટસ સંકુલની આસપાસથી દબાણ હટાવવામાં આવશે. અમદાવાદ મહાનગરપાલિકાએ, અચેરના બળદેવનગરમાં રોડ પહોળો કરવા માટે 29 રહેવાસીઓને નોટિસ પાઠવી હતી. જેને સ્થાનિક રહીશોએ હાઈકોર્ટમાં પડકારી હતી. હાઈકોર્ટે, AMCની નોટિસને પડકારતી અરજી ફગાવી દીધી છે. જેના પગલે હવે 2036 ઓલિમ્પિકની યજમાની પહેલા મોટેરામાં યોગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી શકાશે. ઓલમ્પિકની યજમાનીની શક્યતાઓને જોતા AMC દ્વારા અનેક વિસ્તારોમાં દબાણ દૂર કરી રોડ દબાણમુક્ત અને પહોળા કરાઈ રહ્યા છે. મોટેરાના સરદાર પટેલ સ્પોર્ટસ સંકુલ કે જેમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પણ આવી જાય છે, તેની આસપાસ આવનાર 2 વર્ષમાં 4 વિશાળ સ્પોર્ટસ સ્ટેડિયમ તૈયાર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
આણંદના વિદ્યાનગર રોડ પરની 27 દુકાનોને સીલ કરાઈ છે. HR પ્રાઇમ કોમ્પ્લેક્સમાં આવેલ દુકાનોને સીલ કરી દેવાઈ છે. વેરો ના ભરનારા સામે મનપાએ લાલ આંખ કરી છે. રૂ 4.50 લાખનો ટેક્સ બાકી હોવાથી મનપાએ કાર્યવાહી હાથ ધરી. મનપા કમિશનરના આદેશ બાદ બાકી વેરો વસુલવા માટે કાર્યવાહી કડક કરવામાં આવી છે.
પાલીતાણાના મુખ્ય માર્ગ પર ટેમ્પો પલટી જતા 1 નુ મોત થયું છે. ચાલકે કાબૂ ગુમાવતા ટેમ્પો પલટી ખાઈ ગયો હતો. 20 થી 25 લોકોને ઈજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને પાલીતાણાની માનસીજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.
આજે અયોધ્યામાં ઐતિહાસિક ધ્વજારોહણ સમારોહ યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ મંદિરની શિખરે ધ્વજારોહણ કરશે. રામનગરી અયોધ્યામાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર અયોધ્યાને એક અભેદ્ય કિલ્લામાં રૂપાંતરિત કરવામાં આવ્યું છે.
Published On - 7:15 am, Tue, 25 November 25