
આજે 24 જુલાઈને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
ખોટું વેરિફિકેશન કરી બેંક એકાઉન્ટ ખોલી આપનાર બેંકના રિલેશનશીપ મેનેજરની ધરપકડ કરવામાં આવી છે. સ્ટેટ સાઇબર ક્રાઇમ દ્વારા અમરેલીના સુમિત સાવલિયાની ધરપકડ કરી છે. શિવ કોર્પોરેશનના બેંક એન્કાઉન્ટમાં 4 કરોડ જેટલી રકમ જમા થઈ હતી. પોલીસ દ્વારા અમેરલીની બેંકમાં તપાસ કરવામાં આવી હતી. શિવ કોર્પોરેશનનું એકાઉન્ટ મયુર ચોલેરા નામનો વ્યક્તિ ઓપરેટ કરતો હતો. એકાઉન્ટમાં સાઇબર ફ્રોડના રૂપિયા હેરફેર કરી કમિશન મેળવતો હતો. શિવ કોર્પોરેશનનું ખોટું સરનામું બતાવી એકાઉન્ટ બનાવ્યું હતું. વેરિફેક્શનમાં ખોટો ફોટો અપલોડ કરવામાં આવ્યો હતો. પોલીસે મયુર ચોલેરા અને સુમિતની ધરપકડ કરી.
વસઈ: મુંબઈ-અમદાવાદ હાઈવે પર સ્થિત કાઠિયાવાડી હોટલો પર ગુજરાતી ભાષામાં લખેલ બોર્ડ, પ્લેટ લગાવવા સામે મનસેએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. મનસે નેતા અવિનાશ જાધવના આદેશને અનુસરીને, વસઈ વિસ્તારમાં મનસે કાર્યકરોએ હાઈવે પર આવેલી કાઠિયાવાડી હોટલોના ગુજરાતીમાં લખેલા હોર્ડિગ્સ, બોર્ડની તોડફોડ કરી હતી.
સુરેન્દ્રનગરના સાયલામાં આવેલ સુદામડા પંથકમાં તસ્કરો વીજપોલ ભાંગીને વીજવાયરની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જેના કારણે આ વિસ્તારનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. સુડામડા વાડી વિસ્તારમાં 20 જેટલા વીજપોલ તોડી વાયરોની ચોરી થવા પામી હતી. ખેડૂતોનો વીજ પુરવઠો ખોરવાતા ઘટના આવી સામે છે. ખેડુતોએ તાત્કાલિક નવા પોલ ઉભા કરી ચોર ગેંગને ઝડપવા માંગ કરી છે. અવાર નવાર તસ્કરો વીજ વાયરો ચોરી કરી જતા હોઇ ખેડુતોના પાક પાણી વગર સુકાઇ જાય છે.
રાજકોટમાં કોઇપણ દસ્તાવેજો વગર આધાર કાર્ડમાં છેડછાડ કરવાનું કૌંભાડ ઝડપાયું છે. આધાર કાર્ડમાં કોઇપણ દસ્તાવેજો વગર સુધારાઓ કરવામાં આવતુ હોવાનું કૌંભાડ ઝડપાયું છે. રાજકોટના રૈયા રોડ પરથી પોલીસે 6 શખ્સોને પકડી પાડ્યા છે.
આધાર કાર્ડ માટેના જનસેવા કેન્દ્રમાં કોઇપણ વ્યક્તિના આધાર પુરાવા વગર ફોટો શોપની મદદથી ફેરફાર કરીને તેનું વેરિફીકેશન કરાવી આપતા હતા. અરજદારો પાસેથી નામ, સરનામું, મોબાઇલ નંબર સહિતની બાબતોના સુધારા માટે 500થી 700 રૂપિયા વસુલતા હતા. પોલીસે 52 જેટલા ડોક્યુમેન્ટ કબજે કર્યા છે.
ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખને લઈને ભાજપના નેતા દિલીપ સંઘાણીએ કરેલ નિવેદનનો જવાબ આપતા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તુષાર ચૌધરીએ કહ્યું કે, અમારી ચિંતા કરવાનુ છોડીને તેમના પક્ષની ચિંતા કરે. ત્યાં હજુ સુધી પ્રદેશ પ્રમુખ પણ પસંદ થયા નથી. તુષાર ચૌધરીએ રાજકીય ચૂંટલી ખણતા કહ્યું કે, દિલીપ સંઘાણીને ભાજપમાં કોઈ પુછતુ નથી તેથી લાઈમલાઈટમાં રહેવા માટે અવારનવાર વિવાદાસ્પદ નિવેદનો કરે છે. સહકારી ક્ષેત્રે દિલીપ સંઘાણીને હવે ભાજપનું સમર્થન મળતુ નથી, તેથી હવાતીયા મારી રહ્યાં છે.
કચ્છમાંના ભચાઉમાં, રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં, રૂપિયા પોણા નવસો કરોડની કિમતના માદક પદાર્થના જથ્થાનો નાશ કરાયો છે. ભચાઉના લાકડિયામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હાજરીમાં ડ્રગ્સનો નાશ કરાયો છે. ગૃહમંત્રીએ પોતાના હાથે ડ્રગ્સના જથ્થાને ભઠ્ઠીમાં નાખીને નશીલા દ્રવ્યના જથ્થાને નાશ કરવાની શરૂઆત કરી હતી.
લૉ ગાર્ડન પાસે આવેલી સ્કૂલમાંથી બે વિદ્યાર્થીનીઓ ગુમ થવાનો મામલે પોલીસને ભાળ મળી છે. સમર્થ સ્કૂલમાં ધોરણ 10 માં અભ્યાસ કરતી બંને વિદ્યાર્થીનીઓની ગુમ થઈ હતી. બંને વિદ્યાર્થીનીઓની પોલીસને ભાળ મળી ગઈ છે. બન્ને વિદ્યાર્થીની મુંબઈથી મળી આવી છે. વિદ્યાર્થીનીઓ સ્કૂલ જવાના બદલે રિક્ષામાં બેસીને જઈ રહી હોવાના સીસીટીવી મળ્યા હતા. જેના આધારે તપાસ કરતા પગેરુ મુંબઈથી મળી આવ્યુ છે. નવરંગપુરા પોલીસ મુંબઈથી બંને વિદ્યાર્થીનીઓને લઈ પરત આવી રહ્યી છે. વિદ્યાર્થીનીના ગુમ થવાના કારણને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે.
રાજ્યમાં છેલ્લા 8 વર્ષથી ફિક્સ પેમાં આઉટસોર્સિંગ એજન્સીથી કામ કરતા કર્મચારીઓ સીએમને પગાર વધારા અંગે રજૂઆત કરી હતી. ફિક્સ પેથી તમામ કર્મચારીઓની 14 માં નાણાં પંચમાં ભરતી થઈ હતી પણ સેલરી વધી નથી. આઉટસોર્સિંગ એજન્સી પગાર આપવામાં વિલંબ કરી રહી છે, જેથી આર્થિક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. અમારા સમકક્ષમાં બીજી થયેલી ભરતીમાં એમને વધુ પગાર આપી રહ્યા છે જ્યારે અમને ઓછો પગાર મળે છે. કેન્દ્ર સરકારની 14માં નાણા પંચની અતિ મહત્વની યોજનામાં જવાબદારી વાળી કામગીરી કરી રહ્યા છે. રાજ્ય સરકારને છેલ્લા ત્રણ વર્ષથી માગણી અંગે અનેક રજૂઆત કરી છે, છતા કોઈ નિરાકરણ નથી આવ્યું. જો સમસ્યાનો ઉકેલ નહીં આવે તો 1 ઓગસ્ટથી હડતાળ પર જવાનું નક્કી કરાયુ છે.
અમદાવાદના નવરંગપુરા સોમલલિત સ્કુલમાં વિદ્યાર્થીનીએ આપધાતનો પ્રયાસ કર્યો છે. ધોરણ 10 માં ભણતી વિદ્યાર્થીનીએ સ્કૂલના 4થા માળેથી છલાંગ લગાવી હતી. વિધિ જૈન નામની વિદ્યાર્થીનીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ. નવરંગપુરા પોલીસ ધટના સ્થળે પહોંચીને વધુ તપાસ શરૂ કરી
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, આગામી 26મી જુલાઈના રોજ, એક દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવશે. ગુજરાત પ્રદેશ કોગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, 2027ની વિધાનસભા ચૂંટણીનો રોડમેપ તૈયાર કરાશે.
દ્વારકા: સંવેદનશીલ વિસ્તારમાં ગેરકાયદે પ્રવેશ કરનારા ઝડપાયા છે. અતિ સંવેદનશીલ પ્રતિબંધિત અભ્યારણ્યમાંથી 6 માછીમારની ધરપકડ કરવામાં આવી છે. સરહદી સુરક્ષા વિસ્તાર ચાક ટાપુમાં ગેરકાયદે પ્રવેશ કર્યો હતો. અભ્યારણ્યમાં બોટ થકી પ્રવેશ કરી માછીમારીનો પ્રયાસ કર્યો હતો. મરીન નેશનલ પાર્ક, દ્વારકા રેન્જ, વન વિભાગે કડક કાર્યવાહી કરી છે.
અમદાવાદઃ આતંકીઓના સોશિયલ મીડિયાના એકાઉન્ટ સામે આવ્યા છે. શરિયત યા શહાદત, મિસ્ટર આતંકી નામથી એકાઉન્ટ બનાવ્યા હતા. શેફુલ્લાહ મુજાહિદ નામે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવ્યું હતું. ચારેય આતંકીઓ 2024થી ભડકાઉ ભાષણોના વીડિયો પોસ્ટ કરતા હતા. સોશિયલ મીડિયાના મારફતે દેશ વિરોધ પ્રવૃત્તિ કરી રહ્યા હતા.
એક રશિયન પેસેન્જર પ્લેન રડાર પરથી ગાયબ થઈ ગયું છે. 50 મુસાફરો સાથેનું આ પ્લેન અંગારા એરલાઇન્સ દ્વારા સંચાલિત છે. રોઇટર્સના અહેવાલ મુજબ, આ પ્લેનનો અમુર પ્રદેશ નજીક સંપર્ક તૂટી ગયો હતો. એર ટ્રાફિક ઓપરેશન્સ રેગ્યુલેટરનું કહેવું છે કે પ્લેન ટિન્ડામાં તેના ગંતવ્ય સ્થાન પર ઉતરાણ કરતા પહેલા ગાયબ થઈ ગયું હતું.
અમદાવાદઃ ચંડોળા તળાવ પર ડિમોલિશન મુદ્દે રાજ્ય સરકારને મોટી રાહત મળી છે્. ડિમોલિશનને પડકારતી અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી. હાઈકોર્ટે રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્રની કામગીરીને યોગ્ય ગણાવી અરજી ફગાવી. અનેક સુનાવણી બાદ પણ અરજદારો યોગ્ય દસ્તાવેજો રજૂ ન કરી શક્યા હોવાનું કોર્ટે નોંધ્યું. રાજ્ય સરકારે ચંડોળા ખાતે રાજ્યનું સૌથી મોટું ડિમોલિશન હાથ ધર્યું હતું. મિની બાંગ્લાદેશ તરીકે ઓળખાતા ચંડોળા તળાવ પર દાદાનું બુલડોઝર ફર્યું હતું. ચંડોળા તળાવમાં ગેરકાયદે રહેતા લોકોએ હાઈકોર્ટમાં અરજી કરી હતી.
2006માં મુંબઈ લોકલ ટ્રેનમાં બોંબ બ્લાસ્ટ કેસમાં સુપ્રીમ કોર્ટે મુંબઈ હાઈકોર્ટના ચુકાદા પર રોક લગાવી છે. 12 આરોપીઓને દોષમુક્ત કરવાના ચુકાદા પર રોક લગાવી. સુપ્રીમ કોર્ટે તમામ 12 આરોપીને નોટિસ ફટકારી છે. હાઈકોર્ટના ચુકાદાને મહારાષ્ટ્ર સરકારે SCમાં પડકાર્યો હતો.
ભરૂચ: ચકચારી મનરેગા કૌભાંડમાં વધુ 4 આરોપીની ધરપકડ થઇ છે. 2 ટેક્નિકલ ખલાસી, 1 તાલુકા વિકાસ અધિકારીની ધરપકડ કરવામાં આવી. 1 નિવૃત્ત તાલુકા વિકાસ અધિકારીની ધરપકડ કરાઈ. અગાઉ કોંગ્રેસના હીરા જોટવા સહિત 6 લોકોની ધરપકડ થઈ છે. અત્યાર સુધી કુલ 10 લોકોની પોલીસે ધરપકડ કરી.
અમદાવાદઃ નર્સિંગ કોલેજના વાઈસ પ્રિન્સિપાલે ચોરી કરી. મહિલા વાઈસ પ્રિન્સિપાલ ઓનલાઈન ગેમિંગમાં પૈસા હારી ગયા હતા. ગેમિંગમાં રૂપિયા હારી જતા મહિલા ચોરીના રવાડે ચઢ્યાં. પોતાની જ કોલેજમાં 8 લાખ રૂપિયાની ચોરી કરી. શુભમ નર્સિંગ કોલેજમાં આ ઘટના બની. ચોરી બાદ CCTV ચેક કરાતાં ભાંડો ફૂટ્યો. ચશ્માની ફ્રેમ, હાથના અંગૂઠા, પગના અંગૂઠાને આધારે શંકા જતા પોલીસે આકરી પૂછપરછ કરતા આરોપી ભાંગી પડી. છેલ્લા 5થી 6 મહિનામાં ઓનલાઈન ગેમિંગમાં લાખો રૂપિયા હારી હતી. મેઘાણીનગર પોલીસે આરોપી વાઈસ પ્રિન્સિપાલની ધરપકડ કરી.
દાહોદ: SBI બેંકમાં 22.79 કરોડનું લોન કૌભાંડ સામે આવ્યુ છે. બેંકના તત્કાલિન મેનેજરે જ છેતરપિંડી આચરી હોવાનો ખુલાસો થયો છે. બોગસ પગાર સ્લીપ અને દસ્તાવેજના આધારે લોન મંજૂર કરી. 19 અરજદારને 22.79 કરોડની લોન મંજૂર કરી બેંક સાથે ઠગાઈ આચરી. સ્ટેશન રોડની બ્રાંચમાં પણ નિયમ વિરૂદ્ધ જઈ લોન મંજૂર કરી. ખોટી રીતે 10 લોકોને 8.27 લાખની લોન આપી હોવાનો ખુલાસો થયો છે. વર્ષ 2022થી 2024 સુધી દાહોદની બ્રાંચનો મુખ્ય બ્રાંચ મેનેજર આરોપી હતો. દાહોદ સ્ટેટ બેંકના મુખ્ય બ્રાંચ મેનેજરે ફરિયાદ નોંધાવી. પોલીસે વડોદરામાં રહેતા તત્કાલિન મેનેજરની ધરપકડ કરી.
રાજકોટઃ હાર્ટ એટેકને કારણે વધુ એકનું મોત થયુ છે. યોગા કર્યા બાદ 52 વર્ષીય વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો. મૂળ છત્તીસગઢના વતની વ્યક્તિનું મોત થયું. અચાનક ખુરશીમાં જ મૃતક ઢળી પડ્યા. રાજનગરમાં આવેલા યોગા સેન્ટરમાં આ ઘટના બની.
બારડોલીઃ સ્કૂલ વાન ચાલકે બાળકી સાથે અડપલાં કર્યા. શાળાએ જ પરત જતી વખતે બાળકીની છેડતી કરી. સ્કૂલ વાન ચાલકે વિદ્યાર્થીનીને શારીરિક અડપલાં કર્યા. ફરિયાદ દાખલ થતાં પોલીસે નરાધમ વાન ચાલકની ધરપકડ કરી. વાન ચાલક નરપત પુરોહિતની ધરપકડ કરાઈ.
પીએમ મોદી યુકે પહોંચી ગયા છે. પીએમએ સોશિયલ મીડિયા હેન્ડલ X પર પોસ્ટ કરીને કહ્યું, હું લંડન પહોંચી ગયો છું. આ મુલાકાત આપણા દેશો વચ્ચે આર્થિક ભાગીદારીને આગળ વધારવામાં ખૂબ મદદરૂપ સાબિત થશે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય આપણા લોકોની સમૃદ્ધિ, વિકાસ અને રોજગારને પ્રોત્સાહન આપવાનો રહેશે.
ગુજરાત ATS ને મોટી સફળતા મળી છે. ગુજરાત ATS એ અલકાયદા સાથે સંકળાયેલા ચાર આતંકીઓને પકડી પાડયા છે. દેશભરમાંથી તપાસ ચલાવી ATS એ ગુજરાતમાં બે, ઉત્તર પ્રદેશમાંથી એક અને દિલ્હીમાંથી એક આતંકીને ઝડપી પાડ્યા છે. પકડાયેલા આતંકીમાંથી મોહમ્મદ ફરદીનની ધરપકડ અમદાવાદના ફતેહવાડીથી કરવામાં આવી છે, જ્યારે સૈફુલ્લાહ કુરેશીની ધરપકડ ભોઈવાડા મોડાસામાંથી કરવામાં આવી છે. જીશાન અલી નોઈડા સેક્ટર 63માંથી અને મોહમ્મદ ફેરની દિલ્હીમાંથી ધરપકડ કરવામાં આવી છે. આ આતંકીઓ ઇન્સ્ટાગ્રામ સહિત સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક અને ભડકાઉ સામગ્રી શેર કરતા હતા. ‘ગઝવા-એ-હિંદ’ને લઈ વીડિયો અને ભાષણો દ્વારા યુવાનોને કટ્ટરપંથી બનાવવાનો પ્રયાસ કર્યો હતો. તેઓ પાસે અલકાયદાનું સાહિત્ય પણ મળ્યું છે.
Published On - 7:39 am, Thu, 24 July 25