આજે 24 ફેબ્રુઆરીને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો
વડોદરાના મોકસી ગામે ડ્રગ્સ ઝડપાવા મુદ્દે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. SOGએ સાવલી તાલુકાના મોક્સી ગામે દરોડા પાડ્યા હતા. સીમમાં આવેલા ખેતરમાં શેડની આડમાં ફેક્ટરીમાંથી સિન્થેટિક ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. ડ્રગ્સ સહિત કુલ 3 કરોડ 30 લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. જેમાં 3 કિલો 379 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ તેમજ મટીરીયલ પણ ઝડપ્યું. જગદીશ મહિડા અને પ્રેમચંદકુમાર મહતોની ધરપકડ કરાઈ છે. જેમાંથી જગદીશ મહિડાની CID ક્રાઈમે 2014માં NDPSના ગુનામાં પણ ધરપકડ કરી હતી.
લાલભાઈ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે સેલિબ્રિટી ક્રિકેટ લીગ મેચનું આયોજન કરવામાં આવ્યું છે. મહેમાન તરીકે ઉપસ્થિત રહેવાનું આમંત્રણ વન પર્યાવરણ પ્રધાન મુકેશ પટેલને આપવામાં આવ્યું હતું. મુકેશ પટેલ જ્યારે સ્ટેડિયમમાં પહોંચ્યા ત્યારે આવકારવા માટે સ્ટેડિયમના ગેટ ઉપર કોઈ ઉભું ન હતું તેનાથી મુકેશ પટેલ નારાજ થઈ ગયા હતા. મુકેશ પટેલ ગુસ્સામાં સ્ટેડિયમની બહાર નીકળી ગયા હતા અને આયોજક સાથે ફોન પર વાત કરતા સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે, એક વ્યક્તિ સ્વાગત માટે ઊભું ન હોય કે આવકારવા માટે ઊભું ન હોય તે ચાલે નહીં
સોશિયલ મીડિયામાં હથિયારો સાથેની રિલ પોસ્ટ કરીને રોફ જમાવવાનો પ્રયાસ કરનારા શખ્સો સામે પોલીસની કાર્યવાહી..છરી, બંદૂક સાથે રિલ બનાવી સોશિયલ મીડિયા પર ધાક જમાવવાનો પ્રયાસ કરનારા સામે પોલીસે પગલા લીધા છે. અમદાવાદમાં 22 વ્યક્તિ હથિયાર સાથે ફોટો-વીડિયો પોસ્ટ કર્યા હતા, જેમાંથી 11 શખ્સ સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે. વોટ્સએપ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ પર હથિયારો સાથે ફોટો વીડિયો પોસ્ટ કરવામાં આવ્યા હતા. જાહેર સ્થળો પર હથિયારો સાથે ફરતા વ્યક્તિઓ વિરુદ્ધ પણ પોલીસે ઝુંબેશ શરૂ કરી છે
દેવાધી દેવ મહાદેવના પર્વ મહાશિવરાત્રિને હવે માત્ર 2 દિવસ જ વાર છે. ત્યારે જુનાગઢમાં મહાશિવરાત્રિના મેળામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. આજે શિવરાત્રિના મેળાના 3 દિવસે ભાવિ ભક્તો ભવનાથ મહાદેવના દર્શને ઉમટ્યા છે. ભવનાથ પંથક શિવમય માહોલમાં છે. લાખોની સંખ્યામાં ભાવિકો ભવનાથ તળેટીમાં આવી પહોંચ્યા છે.
શિવરાત્રિના મેળામાં શાહી સ્નાન અને શાહી રવેડી મુખ્યત્વે આકર્ષણનું કેન્દ્ર હોય છે. મહાશિવરાત્રિના મેળામાં સંતો દ્વારા મૃગીકુંડમાં શાહી સ્નાનનું અલગ જ મહત્વ છે. એવું મનાઈ છે કે શાહી સ્નાન સમયે અનેક અલૌકિક જીવ ભગવાન શિવ રૂપે જ ભવનાથમાં આવે છે. શિવ રૂપે સંતો દ્વારા મૃગી કુંડામાં શાહી સ્નાન કરવામાં આવે છે.
મહાશિવરાત્રિના ત્રીજા દિવસે જ લોકોની મોટી સંખ્યામાં ભીડ ભવનાથ મહાદેવના દર્શને આવી રહ્યા છે. ત્યારે હજુ પણ આગામી 2 દિવસમાં ભાવિ ભક્તોની સંખ્યામાં વધારો થવાની શક્યતા છે. ખાસ મહાશિવરાત્રીના અવસરે ભાવિકોનું ઘોડાપૂર ભવનાથ પંથકમાં ઉમટી પડશે.
આણંદ જિલ્લાના પેટલાદના ધર્મજ ગામમાં કમળાએ મચાવ્યો છે કાળો કહેર. ગામનું એવું કોઇ ઘર નથી જે આ કમળાથી બચી શક્યું હોય. સમગ્ર ગામમાં હાહાકાર મચી ગયો છે. બિમારી પાછળ અન્ય કોઇ નહીં પરંતુ ધર્મજની ગ્રામ પંચાયત જ જવાબદાર છે. કમળો પાણીજન્ય રોગ છે. એટલે દૂષિત પાણી પીવાથી આ રોગ થાય છે. છેલ્લા 48 કલાકથી ખુબ જ સ્થિતિ વણસી ગઇ છે. છેલ્લા એક અઠવાડિયામાં પાણીની લાઈનમાં 23 લીકેજ મળ્યા છે. પંચાયત દ્વારા 13 લીકેજ રીપેર કરાયા છે. જ્યારે અન્ય 10 લીકેજ રિપેરની કામગીરી ચાલુ છે. એટલે સ્પષ્ટ છે કે પંચાયતે કોઇ ધ્યાન આપ્યું નહીં. ગામની પીવાના પાણીની લાઇનમાં દૂષિત પાણી લોકોના ઘરે સુધી પહોંચી ગયું. લોકોએ પાણી પીધું અને તેઓ થઇ ગયા બીમાર.
સુરતના લસકાણા ચાર રસ્તા પાસે પૂરપાટ હંકારતા કારચાલકે વારા ફરતી બે બાઈકને ટક્કર માર્યા બાદ કાર BRTS રોડમાં ઘૂસીને પલ્ટી થતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બે બાઇકચાલક યુવકને હોસ્પિટલે ખસેડાતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતાં. જ્યારે એક યુવતીને ગંભીર ઇજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી, જેનું આજે મોત નીપજ્યું છે. અમરેલીના સગા ભાઈ-બહેનના મોતથી પરિવારમાં ભારે શોક છે. જ્યારે અન્ય યુવકના મોતથી ત્રણ સંતાને પિતાની છત્રછાયા ગુમાવી છે. હાલ આ મામલે લસકાણા પોલીસે સાપરાધ મનુષ્યવધની કલમ હેઠળ ગુનો નોંધી કારચાલકની ધરપકડ કરી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતો અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે અકસ્માતનું એપી સેન્ટર બન્યો છે. અહીં છેલ્લા 24 કલાકમાં અકસ્માતની બે ઘટનાઓ ઘટી છે. જેમા ગઈકાલે થયેલા અકસ્માતમાં 6 લોકોના મોત નીપજ્યા છે. રસ્તાની ડિઝાઈન અને ડીવાઈન્ડરોના કારણે અકસ્માતો થતા હોવાનો ગ્રામજનોનો આરોપ છે. ચોરણીયા નજીક અને આજુબાજુના હાઇવે પર આવેલા ગામડાઓના લોકોને અવર-જવર વધુ હોય છે આવા સમયે અકસ્માતની ભીતિ વધી જાય છે. હાઈવે નિર્માણ કામગીરી સામે ગ્રામજનોએ સવાલ ઉઠાવ્યા છે. યોગ્ય નકશા મુજબ કામ ન થયાનો ગ્રામજનોનો આરોપ. રસ્તા પર યોગ્ય રીતે ડિવાઈડર બનાવવા ગ્રામજનોની માગણી
સુરતના ગોધ રોડ વિસ્તારમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં સ્કૂલ વાન ચાલકની બેદરકારીને કારણે અકસ્માત થયો. સ્કૂલ વાન ચાલકે બાળકીને ઘસડી જેના કારણે બાળકીને ગંભીર ઈજાઓ પહોંચી છે અને હાલ બાળકીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ઘટનાને લઈને તે સમયે સ્થળ ઉપર પણ મોટા પ્રમાણમાં લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. પરિસ્થિતિ એવી સર્જાઈ કે સ્થળ પર દોડધામ થઈ ઉઠી અને તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી બાળકીને ખસેડી હતી.
તેલંગાણાના મંત્રી જુપલ્લી કૃષ્ણા રાવે જણાવ્યું હતું કે શ્રીશૈલમ લેફ્ટ બેંક કેનાલ ટનલની અંદર ફસાયેલા 8 લોકોના બચવાની સંભાવના ઘણી ઓછી છે, કારણ કે ટનલ કાદવ અને કાટમાળથી ભરેલી છે. બચાવ ટીમ માટે બચાવ અને રાહતની કામગીરી વધુ મુશ્કેલ બની છે.
ભાગેડુ લલિત મોદીને ભારતમાં લાવવું હવે વધુ મુશ્કેલ બનશે કારણ કે ભાગેડુએ હવે પેસિફિક મહાસાગરના નાના દેશ વનુઆતુની નાગરિકતા મેળવી લીધી છે. તે હવે ભારતનો નાગરિક નથી અને તેના પ્રત્યાર્પણ માટે મુશ્કેલીઓ વધી શકે છે કારણ કે વનુઆતુની ભારત અથવા અન્ય કોઈ દેશ સાથે પ્રત્યાર્પણ સંધિ નથી.
હવામાન વિભાગે આગાહી કરી છે કે, ગુજરાતમાં હવે ઉનાળાની ગરમીનો અહેસાસ થશે. કાળઝાળ ગરમીમાં શેકાવા માટે તૈયાર રહેવા હવામાન વિભાગનું કહેવું છે. આગામી પાંચ દિવસ, ગુજરાતમાં વાતાવરણ સૂકુ રહેશે. હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ વિસ્તારોમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. યલો એલર્ટને પગલે, સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ગરમી અને બફારાના પ્રમાણમાં વધારો થશે. આગામી દિવસોમાં તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે. હાલ પવનની દિશા ઉત્તરથી ઉત્તર પૂર્વથી છે. અમદાવાદનું મહત્તમ તાપમાન 35 ડિગ્રી અને લઘુતમ તાપમાન 19 ડિગ્રી નોંધાયું છે.
બનાસકાંઠાના લાખણીના મડાલ ગામેથી અફીણનુ વાવેતર ઝડપાયુ છે. બનાસકાંઠા SOG એ બાતમીના આધારે માદક પદાર્થ અફીણ ડોડાનું વાવેતર ઝડપી પાડ્યું છે. સગા બે ભાઈઓના ખેતરમાંથી અફીણ ડોડાનું વાવેતર ઝડપાયું છે.
બાબુ ઠાકોરના ખેતરમાં રાયડા પાકની આડ માં 1.742 કિલ્લો ગ્રામ અફીણ ડોડાનું વાવેતર SOG એ ઝડપ્યું છે. નથાજી ઠાકોરના ખેતરમાં એરંડા પાકની આડમાં 9.312 કિલો ગ્રામ અફીણ ડોડાનું વાવેતર પકડાયું છે. બંને ભાઈઓ વિરુદ્ધ થરાદ પોલીસ મથકે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટમાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. રેલનગર વિસ્તારમાંથી 15 વર્ષની સગીરાને વિધર્મી શખ્સ લઈને ફરાર થઇ ગયો હોવાનો બનાવ બન્યો છે. ટ્યુશનમાં જવાનું કહીને ઘરેથી નીકળેલી સગીરને વિધર્મીએ પ્રેમ પ્રકરણમાં ફસાવી અપહરણ કર્યું હતું. પડધરીના સાહિલ સંધાર નામનો વિધર્મી શખ્સ અપહરણ કરી ગયો હોવાની ફરિયાદ પ્રદ્યુમનનગર પોલીસ મથકે નોંધાઈ છે. ઘરેથી વિધર્મી સાથે ભાગેલી સગીરાએ માતાને મેસેજ કરી લખ્યું, હું સાહિલ સાથે છું અને ખુશ છું.
ગુજરાત વિધાનસભા સત્રના આજે ચોથા દિવસે, કોંગ્રેસના ધારાસભ્યોએ PMJAY કૌભાંડ ખ્યાતિ હોસ્પિટલ, રાજકોટ CCTV કાંડ, મહિલા સુરક્ષાના મુદ્દે નાટ્યસ્વરૂપે વિરોધ દર્શાવ્યો હતો. જમાલપુર ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા ડોક્ટર ના પરિવેશમાં આવીને વિરોધ નોંધાવ્યો હતો.
સત્યાગ્રહ છાવણી ખાતે ગુજરાત રાજ્યના VCE ( વિલેજ કોમ્પ્યુટર સાહસિક-વિલેજ કોમ્પ્યુટર એંત્ર્યોપ્રિન્યોર) કર્મચારીઓના ધરણાં પ્રદર્શન યોજાયા છે. સરકારે આપેલી બાંહેધરી પૂર્ણ ના થતા VCE આંદોલનના માર્ગે ચાલ્યા છે.
છેલ્લા ઘણા સમયથી કમિશન પ્રથા બંધ કરવા, પગાર ધોરણ લાગુ કરવાની માંગ કરી રહ્યાં છે ગ્રામપંચાયતના કોમ્પ્યુટર ઓપરેટર્સ. લઘુત્તમ વેતન ધારો લાગુ કરવા, E-ગ્રામ પોલિસી બદલી કરવાની માંગણી કરાઈ છે. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી VCEનું શોષણ થઈ રહ્યું હોવાની ફરિયાદ કરાઈ છે. ગુજરાતના મંત્રીઓ પણ માની રહ્યાં છે કે એક સમયે ગામમાં
તલાટી ન હોય તો ચાલશે પણ ગ્રામપંચાયતના કોમ્પ્યુટર ઓપરેટર્સ ન હોય તો કામ થાય નહીં. જો કે ગાંધીનગર પોલીસે ધરણા પર બેઠેલા તમામ વીસીઈ કર્મચારીઓની અટક કરી છે.
હજીરાની AMNS કંપનીને રૂપિયા 106 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. હજીરાની સરકારી જમીન ઉપર કબજો કરવા બદલ રૂપિયા 106 કરોડનો દંડ કરાયો છે. આ સાથે જ દંડની રકમ 90 દિવસમાં ભરપાઈ કરવા અલ્ટિમેટમ આપ્યું છે. 90 દિવસમાં દંડ ભરપાઈ નહીં કરે તો પોતાના ખર્ચે ડિમોલિશન કરવાનું રહેશે. કંપનીએ છેલ્લા 34 વર્ષથી અંદાજિત 6.30 લાખ ચોરસમીટર સરકારી જમીન ઉપર ગેરકાયદે કબજો કરવામાં આવ્યો હોવાનુ સામે આવ્યું છે.
આજે ભારે વેચવાલીને પગલે, ભારતીય શેરબજારમાં કડાકો બોલી ગયો હતો. બીએસઈ સેન્સેક્સમાં 700 પોઈન્ટનો જ્યારે નિફ્ટીમાં 200 પોઈન્ટનો કડાકો થયો હતો.
સુરતના રાંદેર વિસ્તારમાં કેનેડાના વિઝા મેળવી આપવાના બહાને 5 લાખથી વધુની ઠગાઈ થઈ છે. ત્રણ લોકો સાથે 5.40 લાખની ઠગાઈ આચરવામાં આવી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. વિઝા નહીં આપીને રૂપિયા પાછા આપવા માટે હાથ અધ્ધર કર્યા હતા. ઠગ બાજ ઝૈદ મુલ્લા સઇદ મુલ્લા વિરુદ્ધ નોંધાઈ રાંદેર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદના ખોખરા વિસ્તારમાં છબીલદાસની ચાલીમાં પથ્થરમારાનો બનાવ બન્યો છે. ચેમ્પિયન્સ ટ્રોફીની દુબઈમાં રમાયેલ મેચમાં પાકિસ્તાન સામે ભારતની જીત બાદ ફટાકડા ફોડીને કરાઈ રહેલ ઉજવણી દરમિયાન પથ્થરમારો થયો હતો.
ફટાકડા ફોડતા સમયે રસ્તામાંથી પસાર થઈ રહેલ વ્યક્તિ સાથે માથાકૂટ થવા પામી હતી. પથ્થરમારામાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો. ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. પોલીસે સીસીટીવીના આધારે પથ્થરમારો કરનારાઓની ઓળખ કરવાના પ્રયાસો હાથ ધર્યાં છે.
જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના શીલ ગામે સીમમાં એક આધેડ વયની વ્યક્તિ ઉપર સિંહે હુમલો કર્યો હતો. સિંહના હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ આધેડને સારવાર અર્થે માંગરોળની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વન વિભાગે હુમલાખોર સિંહને પાંજરે પુરવા માટે પ્રયાસ આદર્યો છે.
સુરતના લસકાણા મેન રોડ પર કાર ચાલકે ત્રણ બાઈકને અડફેટે લીધી હતી. જેમાં ઈજાગ્રસ્ત થયેલા બે લોકોના મોત થયા છે. જ્યારે કાર ચાલક ઉપરાંત અન્ય એક ઈજાગ્રસ્તને ગંભીર અવસ્થામાં સારવારઅર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રાજેશ ગજેરા અને મહેશ લાઠીયાનું મોત થયું છે. કાર ચાલક અર્જૂન વિરાણી હોવાનું અને તે ડાયમન્ડ ફેકટરીમા મેનેજર હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં કાર ચાલક દ્વારા બ્રેકના બદલે એક્સીલેટર દબાઈ જતા અકસ્માતની ઘટના બની હતી. જો કે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અમેરિકા દ્વારા પનામા મોકલવામાં આવેલા 12 ભારતીય નાગરિકો રવિવારે સાંજે લેટિન અમેરિકન દેશમાંથી ભારત પરત ફર્યા હતા. અધિકારીઓએ માહિતી આપી હતી કે, દેશનિકાલ કરાયેલા લોકો નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યા છે. પનામાથી દેશનિકાલ બાદ પરત ફરી રહેલા ભારતીયોની આ પ્રથમ બેચ છે. એવું માનવામાં આવે છે કે આ 12 ભારતીયો એ 299 ઇમિગ્રન્ટ્સમાં સામેલ છે, જેમને અમેરિકાએ થોડા દિવસો પહેલા પનામા મોકલી દીધા હતા.
Published On - 7:31 am, Mon, 24 February 25