
આજે 21 જુલાઈને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ તરીકે અમિત ચાવડા આવતીકાલ મંગળવારે પદગ્રહણ કરશે. પદગ્રહણ પહેલા અમિત ચાવડા દિલ્હીમાં છે. પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા સાથે LOP ડો. તુષાર ચૌધરી પણ દિલ્હી પહોંચ્યા છે. દિલ્હીમાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતૃત્વ સાથે મુલાકાત કરી હતી. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી.
સુરત એરપોર્ટ પરથી દાણચોરી ઝડપાઈ છે. દુબઇથી આવેલા બે મુસાફરને, 28 કિલો સોનાની પેસ્ટ સાથે ઝડપી પાડ્યા છે. 28 કિલો સોનાની પેસ્ટમાં અંદાજે 23 કિલો શુદ્ધ સોનું હતું. એરપોર્ટના CISF ની વિજિલિયન્સ ટીમે દાણચોરી ઝડપી પાડી હતી. દુબઇથી સુરત આવેલી એર ઈન્ડિયાની ફ્લાઇટ IX -174 માં બે મુસાફરો સોનુ લાવ્યા હતા. ફ્લાઇટમાંથી આવેલા બે મુસાફરોનું વર્તન શંકાસ્પદ જણાતા તેમને અટકાવી તપાસ કરાતા દાણચોરી હાથ લાગી હતી. CISF અને કસ્ટમ અધિકારીએ બંને મુસાફરોની તલાશી લીધી હતી. બંને મુસાફરોએ ચાલાકીપૂર્વક પોતાના શરીર પર 28 કિલો સોનાની પેસ્ટ છુપાવી જતા હતા. કસ્ટમ વિભાગે 28 કિલો સોનાની પેસ્ટ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદ શહેરમાં ડામરના રોડની સાથે સાથે વ્હાઈટ ટોપિંગ રોડ પણ તુટી ગયા હોવાની ફરિયાદ અમદાવાદ મહાનગરપાલિકાની આજે મળેલ સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા કરવામાં આવી હતી. આ સમયે, પૂર્વ ચેરમેન મહાદેવ દેસાઈએ હાસ્યાસ્પદ જવાબ આપતા કહ્યું કે, વિપક્ષની નજર લાગી હોવાથી અમદાવાદના વ્હાઈટ ટોપિંગ રોડ તુટ્યા છે. ચોમાસામાં રોડ તુટી જવાની છેલ્લા 50 દિવસમાં 10 હજારથી વધુ ઓનલાઇન ફરિયાદો આવી છે. મહાદેવ દેસાઈના આવા હાસ્યાસ્પદ જવાબ બાદ મહાનગરપાલિકાના વિપક્ષના નેતાએ આક્ષેપ કર્યો છે કે, ભ્રષ્ટાચાર અને નિષ્ફળતા છુપાવવા માટે નજર લાગ્યાના જવાબો અપાઈ રહ્યા છે.
ભરૂચના અંકલેશ્વરમાં સમી સાંજના સમયે ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થવા પામ્યું છે. વાલિયા રોડ પર આવેલ કોસમડીની સિદ્ધિ વિનાયક સોસાયટીમાં વરસાદી પાણી ભરાયા હતા. લોકોના ઘરમાં વરસાદી પાણી ભરાઈ જતા ભારે હાલાકી ભોગવવી પડી છે. વાહનો પણ પાણીમાં ડૂબી ગયા હતા.
ગુજરાતમાં આજે સવારના 6 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધીના 14 કલાકમાં રાજ્યના 124 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જે પૈકી 14 તાલુકામાં એક ઈંચ કે તેથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે 110 તાલુકામાં એક ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ ખેડા જિલ્લાના કપડવંજમાં પોણાપાંચ ઈંચ વરસાદ નોંધાયો છે. ભાવનગરના તળાજામાં ત્રણ ઈંચ, સાબરકાંઠાના તલોદમાં પોણા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે.
મુંબઈ લોકલ ટ્રેન બ્લાસ્ટ કેસ અંગે મહારાષ્ટ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. લોકલ ટ્રેન બોમ્બ બ્લાસ્ટના આરોપીઓને નિર્દોષ જાહેર કરવાના બોમ્બે હાઈકોર્ટના નિર્ણયને, મહારાષ્ટ્ર સરકાર સુપ્રીમ કોર્ટમાં પડકારશે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ જાહેરાત કરી છે.
અમદાવાદના છેવાડાના મણીપુરમાં ચડ્ડી બનીયાન ધારી તસ્કરો ત્રાટક્યા હતા. જો કે સિક્યુરિટી ગાર્ડની સતર્કતાથી ચોરી થતા અટકી છે. ચડ્ડી બનિયાન ધારી ગેંગ સીસીટીવીમાં કેદ થઈ છે. મણીપુર ગામમાં જલધારા 319 અને હરિઓમ સોલટેર બંગલોમાં ચોરીના ઇરાદે આવ્યા હતા. ચડ્ડી બનિયાન ગેંગના ત્રણ શખ્સોએ જલધારા સોસાયટીના 35 નંબરના મકાનનું તાળું તોડ્યાનો પ્રયાસ કર્યો હતો. મકાનમાં રહેતા પરિવાર બહારગામ ગયો હોવાથી તાળું તોડવાની કોશિશ કરી હતી. સિક્યુરિટી ગાર્ડને અવાજ આવતા તરત જ ટોર્ચ કરી ચેક કરતા, સીબીડી નાસી ગયા હતા. તસ્કરોએ સિક્યુરિટી ગાર્ડ ઉપર પથ્થરમારો કર્યો હતો. સોસાયટી નજીક રેલવે ટ્રેક હોવાથી તસ્કરો દિવાલ સુધી ટ્રેક તરફ ભાગી ગયા. બોપલ પોલીસે સીસીટીવી આધારે તપાસ આદરી છે.
અમદાવાદના SG હાઇવે પર YMCA ક્લબથી કર્ણાવતી ક્લબ તરફનો રોડ 6 મહિના સુધી બંધ રહેશે. 100 મીટર જેટલો એક સાઈડનો રોડ બંધ રહેશે. ફ્લાયઓવર બનાવવાની કામગીરી ચાલી હોવાથી લેવાયો નિર્ણય. રોડ બંધ રહેતા વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરી શકશે. સાણંદ સરખેજ તરફથી આવતા વાહન- ટ્રાફિક YMCA ક્લબ તરફથી ડાબી બાજુ વાળી ભગવાન સર્કલથી જમણી બાજુ વળી ઝવેરી સર્કલ થઈ કર્ણાવતી ક્લબ થઈ એસજી હાઇવે ઉપર અલગ-અલગ માર્ગ ઉપર જઈ શકશે. ઇસ્કોનથી સરખેજ તરફ જતો રોડ વાહન વ્યવહાર માટે ચાલુ રાખવામાં આવશે.
કેનેડા રીટર્ન 25 વર્ષીય યુવતીએ નર્મદા કેનાલમાં ઝંપલાવીને આત્મહત્યા કરી હોવાનુંં સામે આવ્યું છે. મહેસાણાના કડીની નર્મદા કેનાલમાં પડી કરી આત્મહત્યા. મહેસાણાના કડીના રંગપુરડા નજીક કેનાલ ખાતે આ ઘટના બની છે. 25 વર્ષીય પટેલ નિમિષા મયુરકુમારના લગ્ન જીતનાના ચાલાસણ થયા હતા. પતિ મયુર કુમાર સ્ટુડન્ટ વિઝા પર કેનેડા સ્થાયી થયા હતા. લગ્ન બાદ નિમિષા પટેલ પણ કેનેડા સ્થાયી થઈ હતી. ત્રણ મહિના પહેલા નિમિષા પટેલ કેનેડાથી પરત આવી હતી. ત્રણ મહિનાથી નિમિષા પટેલ પિયરમાં રહેતી હતી. માનસિક બીમારીથી નિમિષા પટેલ કંટાળ્યા હોવાની માહિતી સામે આવી છે. આજે ઘરેથી ચાલતા નીકળી જઈ રંગપુરડા નજીક કેનાલમાં ઝંપલાવી દીધું હતું. માનસિક બીમારીની ઘણા સમયથી દવા ચાલતી હોવાની પણ પ્રાથમિક માહિતી સામે આવી છે.
અમદાવાદના સાણંદમાં ગ્લેડ વન ગોલ્ફ એન્ડ રિસોર્ટમાં દારૂની મહેફીલ માણતા ઝડપાયેલા આરોપીઓને પોલીસે જામીન મુક્ત કર્યા છે. દારુની મહેફીલ માણતા પકડાયેલા આરોપીઓની, કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને જામીનમુક્ત કરાયા હતા. 13 યુવકોને પોલીસે જામીન મુક્ત કર્યા છે. દારૂની મહેફીલ માણનાર યુવકો મીડિયાના કેમેરા જોઈને ભાગ્યા હતા. મ્હો પર રૂમાલ બાંધીને કેમેરાથી મો છુપાવી આરોપી અને તેના પરિજનો ભાગ્યા હતા. પોલીસે જે સમયે દરોડા પાડ્યા ત્યારે ત્યાં 26 યુવતી હતી, તેમના મેડિકલ સેમ્પલ લઈને રાત્રે નોટિસ આપી જવા દીધી હતી.
ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીએ, પૂર્વ ધારાસભ્યને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. માતરના પૂર્વ ધારાસભ્ય કેશરીસિંહ સોલંકીને ખેડા જિલ્લા ભાજપ દ્વારા પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અમુલના સહકારી આગેવાનો અને ખેડા પોલીસ અંગે ગમે તેવા વિષયો પર ફેસબુક લાઈવ કરતા હતા. જેને લઈને ભાજપ પાર્ટી દ્વારા આ શિક્ષાત્મક પગલું લેવામાં આવ્યું છે.
પોરબંદરમાં મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલ હરીશ પોસતરીયા એ ભૂરા મુંજા પાસેથી વર્ષ 2012 માં 75 લાખ લીધા હતા ભૂરા મુંજા નું 2016 ભૂરા મુંજાના મૃત્યુ બાદ હિરલબા જાડેજાએ પઠાણી ઉઘરાણી શરુ કરી ફરિયાદીની 16 કરોડની ફેક્ટરી 50 % કિંમતમાં વેચી અને ત્રણ મોટી મિલકત જેમાં બંગલા અને મકાન પણ વેચી વ્યાજ ચૂકવ્યા તેમ છતા પૂરું નહીં પાડતા ફરિયાદી રહીશે તેમની 18 ફિશિંગ બોટ માંથી 13 ફિશિંગ બોટો વેચી વ્યાજ ચૂકવેલ. આજે આખો પરિવાર થરથર ધ્રૂજે છે. હાલ તમામ ભાડાના મકાનોમાં રહે છે. ફરિયાદીનો ભાણેજ ધંધાકીય વ્યવહાર ચલાવે છે. પરંતુ હીરલબાની દાદાગીરી સામે કોઈ ફરિયાદ કરવા તૈયાર થતુ નથી. છતાં હિંમત કરી ગઈકાલે સાંજે પોલીસમાં ફરિયાદ નોંધાવી અને ધમકી આપતા હોવાનો ઓડિયો પુરાવા રૂપે આપ્યા છે. જો કે હિરલ બા આજે પણ જૂનાગઢ જેલમાં છે. હીરલ જાડેજા સામે હથિયાર ધારા, અપહરણ, સાયબર ફ્રોડ સહિતના અનેક ગુન્હા નોંધાયેલ છે
સાબરકાંઠાની સાબર ડેરીના ભાવફેરની વિરોધમાં પોલીસ પર હુમલો કરવાના મામલે પકડાયેલા 47માંથી 41 આરોપીઓના જામીન કોર્ટે મંજૂર કર્યાં છે. પોલીસ પર હુમલો કરવાના કેસમાં પકડાયેલા 47 પશુપાલકોમાંથી 41 આરોપીઓનો જામીન પર છુટકારો થશે. સેશન્સ કોર્ટે 41 આરોપીઓને શરતી જામીન મંજૂર કર્યા છે. 15 હજાર રુપિયાના જાત મુચરકા પર જામીન મંજૂર કરાયા છે. હિંમતનગર સબજેલમાં બંધ 41 આરોપીઓને હવે મુક્ત કરાશે.
અમદાવાદમાં ટ્રાફિક પોલીસને બદલે પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ પણ હવે રિક્ષા ચાલકોને આરટીઓના નિયમોના ભંગ બદલ કાર્યવાહી કરતા, રિક્ષા ચાલકો આવતીકાલ મંગળવારે એક દિવસની હડતાળ પાડશે. અમદાવાદ સ્થિતિ વિવિધ 9 ઓટોરિક્ષા ચાલક એસોસિએશને આજે પોલીસને આવેદનપત્ર આપીને રિક્ષા ચાલકો સામે પોલીસ સ્ટેશનના પોલીસ દ્વારા કરાયેલ કાર્યવાહી અટકાવવાની માંગ કરી છે. અમદાવાદ રીક્ષા ચાલક રોજગાર બચાવો આંદોલન દ્વારા હડતાળની જાહેરાત કરાઈ છે. શહેર પોલીસ દ્વારા રીક્ષાઓ ડીટેઇન કરવાની કાર્યવાહી સામે રીક્ષા ચાલકોનો રોષ છે. પોલીસ માત્ર રીક્ષા ચાલકો સામે જ કાર્યવાહી કરતી હોવાનો યુનિયનનો આક્ષેપ છે. ટેક્સી, ડમ્પર, બાઇક, ટ્રાવેલ્સ સામે પોલીસ કાર્યવાહી ના કરતી હોવાનો દાવો. પોલીસે પકડેલી રીક્ષા કોઇ પણ પ્રકારના દંડ વિના છોડી દેવાની માંગ. અલગ-અલગ 9 એશોસીએશન અને યુનિયન હડતાળમાં જોડાશે.
આજથી શરુ થયેલા સંસદના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે લોકસભામાં વિપક્ષે ઓપરેશન સિંદૂર અને પહેલગામ આતંકી હુમલા મુદ્દે ચર્ચા કરવાની માગ સાથે કાર્યવાહી ખોરવી નાખી હતી. સરકાર તરફે સંસદીય બાબતોના પ્રધાન તેમજ રક્ષાપ્રધાને પણ ચર્ચા કરવા સરકાર તૈયાર હોવાનું જણાવ્યું હતુ. આમ છતા વિપક્ષે સતત સૂત્રોચ્ચાર કરીને ચોમાસુ સત્રના પહેલા દિવસની કાર્યવાહી લગભગ ખોરવી નાખી હતી. જો કે, આગામી સપ્તાહે સંસદમાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા થશે. લોકસભામાં 16 કલાક જ્યારે રાજ્યસભામાં 9 કલાક ઓપરેશન સિંદૂર પર ચર્ચા થશે.
વડોદરાના સાવલી પોલીસ સ્ટેશન પી. આઇ. જયેન્દ્રસિંહ ગોહિલ અને બીટ જમાદાર ઘનશ્યામ વિરુદ્ધ માનવ અધિકાર પંચ ગૃહરાજ્યમંત્રીને લેખિત ફરિયાદ કરવામાં આવી છે. પરથમપુરા ગામના યુવકને બેરહમી પૂર્વક માર મારવાના પ્રકરણમાં માનવ અધિકાર પંચ, ગૃહરાજ્યમંત્રી સહિત અન્યોને પી. આઇ. જયેન્દ્રસિંહ ગોહિલ અને બીટ જમાદાર ઘનશ્યામ વિરુદ્ધ લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે.
મુંબઈઃ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી છે. ભીના રનવે પર ઉતર્યા બાદ વિમાન લપસ્યું. વિમાનમાં સવાર તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર સુરક્ષિત છે. એર ઈન્ડિયાનું વિમાન કોચીથી મુંબઈ આવ્યું હતું.
ખેડા: કપડવંજમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી. ત્રણ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદ વરસતા કપડવંજ પાણી પાણી થયુ છે. વાહનચાલકો અને સ્થાનિકોને હાલાકી થઇ રહી છે.
સંસદમાં વિપક્ષે કરેલા સવાલના જવાબમાં રાજ્યસભામાં ગૃહના નેતા અને કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ કહ્યું, “ખડગેજીએ ઓપરેશનની વિસ્તૃત વિવરણ પર ચર્ચા શરૂ કરી જે નિયમોની વિરુદ્ધ છે. અમે ઓપરેશન સિંદૂરની ચર્ચા કરીશું. આઝાદી પછી ઓપરેશન સિંદૂર જેવું ઓપરેશન ક્યારેય થયું નથી.” કોંગ્રેસના વડા ખડગેના બોલવા પર તેમણે કહ્યું, “આ શું છે? કંઈપણ રેકોર્ડ પર રહેશે નહીં અને ફક્ત અમે જે કહીશું તે રેકોર્ડ પર રહેશે.”
રાજકોટ: સરકારી જમીનના નકલી સનદના કૌભાંડના મામલામાં ગોંડલના ત્રાકુડા ગામના પૂર્વ તલાટીની ધરપકડ કરવામાં આવી છે. વર્તમાન તલાટીએ પૂર્વ તલાટી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે પૂર્વ તલાટીની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે. સરકારી જમીન બારોબાર વેચી 70 લાખનું કૌભાંડ આચર્યાનો ખુલાસો થયો છે. કૌભાંડમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠાઃ બનાસ નદીમાં ડૂબી જવાથી 2 યુવકના મોત થયા છે. આબુરોડ નજીક કીવરલી ગામમાં માઉન્ટ આબુથી બનાસ નદીમાં નાહવા યુવકો આવ્યા હતા. ઊંડા પાણીમાં ડૂબી જવાથી 2 યુવકના મોત થયા છે. રેસ્ક્યૂ ટીમે યુવકના મૃતદેહને નદીમાંથી બહાર કાઢ્યા.
અમદાવાદઃ જોધપુર વિસ્તારમાં ફ્લેટની બાલ્કની ધરાશાયી થઇ. સૂર્ય સાગર ફ્લેટમાં વહેલી સવારે બની દુર્ઘટના. ફ્લેટની બાલ્કની ધરાશાયી થતા વાહનોને નુકસાન પહોંચ્યુ છે. દુર્ઘટનામાં સદનસીબે જાનહાનિ ટળી છે.
ચોમાસુ સત્ર શરૂ થાય તે પહેલાં, પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, “આ ચોમાસુ સત્ર વિજય ઉજવણી છે. આખી દુનિયાએ ભારતની લશ્કરી શક્તિનું સ્વરૂપ જોયું. ઓપરેશન સિંદૂરમાં ભારતીય સેના દ્વારા નિર્ધારિત લક્ષ્ય 100 ટકા પ્રાપ્ત થયું. ઓપરેશન સિંદૂર હેઠળ, આતંકવાદીઓના આકાઓના ઘરો 22 મિનિટમાં જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા.
Under #OperationSindoor, the houses of the masters of terrorists were razed to the ground within 22 minutes: #PMModi#ParliamentSession #MonsoonSession #ParliamentSession2025 #TV9Gujarati pic.twitter.com/sYC6SBxuAx
— Tv9 Gujarati (@tv9gujarati) July 21, 2025
દિલ્લીઃ આજથી સંસદના ચોમાસુ સત્રનો પ્રારંભ થશે. સંસદનું ચોમાસુ સત્ર 21 ઓગસ્ટ સુધી ચાલશે. સંસદનું ચોમાસુ સત્ર હંગામેદાર બનવાના અણસાર છે. પહેલગામ હુમલો,પ્લેન ક્રેશ, સહિતના મુદ્દાઓ વિપક્ષ ઉઠાવશે. પાકિસ્તાન સાથે યુદ્ધ વિરામ સહિતના મુદ્દાઓ ગુંજશે. બિહારમાં મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનનો મુદ્દો પણ ઉઠશે.
સુરતઃ નવા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ટર્મિનલની સીલિંગ તૂટી છે. ગતરોજ ટર્મિનલની સીલિંગની કેટલીક શીટ તૂટી પડી હતી. વહેલી સવારનો સમય હોવાથી મોટી દુર્ઘટના ટળી છે. શીટ તૂટી પડતા તાત્કાલિક સમારકામ શરૂ કરવામાં આવ્યું. એરપોર્ટના બાંધકામની ગુણવત્તા સામે સવાલ ઉભા થયા છે.
મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં વર્ષ 2006માં એક હૃદયદ્રાવક આતંકવાદી ઘટના જોવા મળી હતી. આ આતંકવાદી હુમલો 7/11 મુંબઈ ટ્રેન બ્લાસ્ટ કેસ તરીકે ઓળખાય છે. આ ટ્રેન બ્લાસ્ટ કેસમાં આજે એક મોટો નિર્ણય આવ્યો છે. બોમ્બે હાઈકોર્ટે તમામ 12 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. કોર્ટે કહ્યું છે કે ફરિયાદ પક્ષ તેમની સામેનો કેસ સાબિત કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે. ચાલો જાણીએ કે આ ઘટના શું હતી અને કોર્ટે કયા આધારે આ નિર્ણય આપ્યો છે.
વૈષ્ણો દેવી માર્ગ પર બાણગંગા નજીક ભૂસ્ખલન થયું છે. અકસ્માતમાં કેટલાક મુસાફરો ઘાયલ થયાના અહેવાલ છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે, ઘાયલોને કટરા હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે.
રાજકોટ: મહિલા કોલેજ અંડરપાસમાં 5 કાર અને 1 બસ વચ્ચે અકસ્માત સર્જાયો. એકસાથે 6 વાહનો અથડાતા ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઇ. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઇ નથી. એક કારે અચાનક બ્રેક મારતા અકસ્માત સર્જાયનું સામે આવ્યું છે.
રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે. સવારે 10 વાગ્યા સુધી 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ છે. ભરૂચ, સુરત, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયુ છે. અમદાવાદ, ગાંધીનગર, ખેડામાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. અરવલ્લી, મહિસાગર, જામનગર, મોરબીમાં ભારેની આગાહી છે.
વડોદરા જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. કરજણ શહેર સહિતના પંથકમાં વરસાદી માહોલ છવાયો છે. ધાવટ, કુરાલી, વેમાર, નારેશ્વર સહિત કરજણ તાલુકા પંથકના ગામડાઓમાં વરસાદ વરસ્યો. કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યાં છે.
અમદાવાદઃ હાઈપ્રોફાઈલ બર્થડે પાર્ટીમાં પોલીસે દરોડા પાડ્યા હતા. બર્થડેની ઉજવણીમાં દારૂની મહેફીલ જામી હતી. સાણંદના મોટી દેવતી નજીક રિસોર્ટમાં દારૂની મહેફીલમાં દરોડા પાડવામાં આવ્યા હતા. 16 પુરુષ અને 26 મહિલા નશાની હાલતમાં ઝડપાયા. પાર્ટીમાં 100 લોકો હાજર હતા. તમામના મેડિકલ રિપોર્ટની કાર્યવાહી કરવામાં આવી. રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા પ્રતીક સાંઘીની બર્થ ડે પાર્ટી હતી.
પોરબંદર કુતિયાણા પૂર્વ ધારાસભ્ય ભૂરા મુંજાના કથિત પત્ની હિરલબા જાડેજા પર ગાળીયો કસાતો જાય છે. હાલ સાયબર ફ્રોડ, અપહરણ અને ધમકી આપવાનાં કેસમાં હિરલબા જૂનાગઢ જેલમાં છે. ત્યારે હરીશ રામજી મોતીવરસ નામના વ્યક્તિએ ઉંચું વ્યાજ વસૂલવાની ફરિયાદ નોંધાવી છે. આરોપ છે કે હિરલબા જાડેજાએ રૂ.75 લાખ જેવી રકમ વ્યાજે આપી ફરિયાદીની મિલકત ગીરવે રાખી 3 ટકા વ્યાજ વસુલ્યાની ફરિયાદ, રૂ. 75 લાખ સામે 4 કરોડ જેટલી રકમ પડાવ્યા પછી પણ પઠાણી ઉઘરાણી કરતી હોવાની ફરિયાદ નોંધાઇ.
કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.0ની નોંધાઇ. ભૂકંપનું કેન્દ્ર બિંદુ ખાવડાથી 20 કિમી દૂર નોંધાયુ.
Published On - 7:26 am, Mon, 21 July 25