બાગાયતી પાકોને પૂરતા પાણીના અભાવે નુકસાન થવાની ભીતિ વચ્ચે ખેડૂત અને સહકારી અગ્રણી જયેશભાઈ એન. પટેલ (દેલાડ) દ્વારા રાજ્ય સરકાર સમક્ષ કરવામાં આવેલી રજૂઆતને પગલે સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યમાં કૃષિ વિષયક વીજ ફીડરોમાં આપવામાં આવતા વીજ પુરવઠાના કલાકોમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ ખેડૂતોને રોજના 8 કલાક વીજ પુરવઠો આપવામાં આવતો હતો, જે હવે વધારીને 10 કલાક કરવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણયથી સિંચાઈ માટે ખેડૂતોને વધારાની સુવિધા મળશે અને વરસાદના અભાવે પાકને થતા નુકસાનને ઘટાડવામાં મદદ મળશે.
ગુજરાતમાં સતત ત્રીજા દિવસે મેઘરાજાએ જમાવટ કરતાં અનેક વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો છે. રાજ્યના 52 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. જેમાં 7 તાલુકાઓમાં 1 ઇંચથી 3 ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ ખેડા જિલ્લાના ગળતેશ્વરમાં 3 ઇંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જ્યારે પંચમહાલ જિલ્લાના કાલોલ અને ગોધરામાં અઢી-અઢી ઇંચ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
કેરેબિયન દેશ ડોમિનિકન રિપબ્લિકના એક રિસોર્ટમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની ઘટનામાં એક વ્યક્તિના મોતના અહેવાલ સામે આવ્યા છે, જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આગ ફાટી નીકળતા રિસોર્ટમાં રોકાયેલા પ્રવાસીઓમાં નાસભાગ મચી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમોએ સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી અને સત્તાવાળાઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
સાબરકાંઠાના ઈડર વિસ્તારમાં પ્રેમી યુગલને કથિત રીતે તાલીબાની સજા આપવામાં આવી હોવાના આક્ષેપો સામે આવતા ખળભળાટ મચી ગયો છે. યુવકનો આરોપ છે કે ખાનગી હોસ્પિટલમાંથી સાત શખ્સોએ તેનું અપહરણ કરી તેને વડગામ વિસ્તારમાં લઈ જઈ ગોંધી રાખ્યો હતો. ત્યાં તેને બાંધીને ઢોર માર મારવામાં આવ્યો અને તેનું મુંડન પણ કરી દેવામાં આવ્યું હોવાનું જણાવાયું છે. એટલું જ નહીં, યુવકને નપુંસક બનાવવાનો પ્રયાસ કરાયો હોવાનો પણ ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. પોતાના જ સમાજની યુવતી સાથે મૈત્રી કરાર કર્યા બાદ નવ લોકો દ્વારા ત્રાસ અપાયો હોવાનું યુવકે પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં મામલો ચર્ચાનો વિષય બન્યો છે.
મુંબઈમાં પાણીનું સંકટ વધુ ગંભીર બનતું જઈ રહ્યું છે. શહેરને પાણી પૂરું પાડતા 7 જળાશયોમાં માત્ર 9.34 ટકા પાણી જ બચ્યું છે, જેના કારણે આગામી માત્ર 40 દિવસ ચાલે તેટલો જ જથ્થો ઉપલબ્ધ હોવાનું જણાવાયું છે. BMCએ પાણી કાપનો કડક અમલ શરૂ કરી કોમર્શિયલ એકમોમાં 20 ટકા સુધી પાણી કાપ લાગુ કર્યો છે, જ્યારે નવા બાંધકામ પ્રોજેક્ટ્સ માટે પાણીના જોડાણો પર પણ પ્રતિબંધ મૂકાયો છે.
અમેરિકાના ફ્લોરિડાના મિયામી નજીક જંગલમાં ભયંકર આગ લાગતા અનેક એકર વિસ્તાર આગની ઝપેટમાં આવી ગયો છે. આગ ઝડપથી ફેલાતા તંત્ર દ્વારા અનેક મુખ્ય રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી હતી. રસ્તાઓ બંધ થતાં હજારો વાહનચાલકો ટ્રાફિકમાં ફસાઈ ગયા હતા અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આગ પર કાબૂ મેળવવા ફાયર વિભાગ અને અન્ય બચાવ ટીમો સતત કામગીરી કરી રહી છે.
રાજકોટ જિલ્લાના શાપર વેરાવળ વિસ્તારમાં કરોડો રૂપિયાની ચકચારી લૂંટની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ 77 વર્ષીય જીતેન્દ્રસિંહ જાડેજાને બંધક બનાવીને 7 બુકાનીધારી શખ્સોએ લૂંટ ચલાવી હતી. લૂંટારૂઓએ આશરે 2.47 કરોડ રૂપિયાની રોકડ રકમ અને 7 તોલા સોનાના દાગીનાની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી અને સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરીને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. ભોગ બનનાર જીતેન્દ્રસિંહ જાડેજા પેટ્રોલપંપ અને રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
નોર્થ લંડનમાં એક મોટો ટ્રેન અકસ્માત થયો છે. બે ટ્રેનો વચ્ચે અથડામણમાં 50 લોકો ઘાયલ થયા છે.
પીએમ મોદી 20-21 જૂને પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે. આજે, તેઓ હુગલીમાં પશ્ચિમ બંગાળ દિવસની ઉજવણીમાં હાજરી આપશે. પ્રધાનમંત્રી રેલ્વે, કૃષિ, ગ્રામીણ વિકાસ, મત્સ્યઉદ્યોગ અને પશુપાલન ક્ષેત્રોમાં અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન, સમર્પિત અને શિલાન્યાસ કરશે. તેઓ પીએમ-કિસાન યોજનાનો 23મો હપ્તો પણ રજૂ કરશે, જેનો લાભ દેશભરના 94.4 મિલિયનથી વધુ ખેડૂતોને મળશે.
છોટાઉદેપુર જિલ્લામાં ભારજ નદી પર બનાવાયેલો ડાયવર્ઝન ક્ષતિગ્રસ્ત બનતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ડાયવર્ઝનની સ્થિતિ નબળી બનતા ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, જેના કારણે લોકો પગપાળા પસાર થવા મજબૂર બન્યા છે. નેશનલ હાઈવે-56 પરનો બ્રિજ તૂટી જતાં વૈકલ્પિક વ્યવસ્થા તરીકે આ ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું. હવે ભારે વાહનોને બોડેલી અથવા છોટાઉદેપુર જવા માટે આશરે 40 કિલોમીટરનો વધારાનો ફેરો મારવો પડી રહ્યો છે. નોંધનીય છે કે ગત વર્ષે પણ ચોમાસા દરમિયાન આ જ ડાયવર્ઝન ધોવાઈ જતાં પરિવહન વ્યવસ્થા ખોરવાઈ હતી.
અમદાવાદમાં ચોમાસાની શરૂઆત પહેલાં જ પાણી ભરાવાની ચિંતા વધી છે. મનપાએ શહેરમાં પાણી ભરાઈ શકે તેવા 147 સ્થળોની ઓળખ કરી હતી, પરંતુ હજુ પણ 7 સ્થળોએ પ્રિ-મોન્સૂન કામગીરી ચાલુ છે. ઉપરાંત 12 જેટલા સ્થળોએ માત્ર કાગળ પર જ આયોજન હોવાનું સામે આવ્યું છે. મણિનગર, ન્યૂ મણિનગર અને બંધન પાર્ટી પ્લોટ સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. શહેરના 7 સ્થળો એવા પણ છે જ્યાં સામાન્ય વરસાદમાં જ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. હાલ AMC દ્વારા કેચપીટ સફાઈનો બીજો રાઉન્ડ ચાલી રહ્યો છે, છતાં વરસાદ પહેલાં કામગીરી પૂર્ણ થશે કે નહીં તે અંગે પ્રશ્નો ઊભા થયા છે.
NEET-UG રિ-એક્ઝામને લઈને કેન્દ્ર સરકાર અને NTA સંપૂર્ણ એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. પરીક્ષા પહેલાં દેશભરના તમામ પરીક્ષા કેન્દ્રો પર સુરક્ષા અને વ્યવસ્થાઓની ચકાસણી માટે આજે સવારે 9 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી વ્યાપક મોક ડ્રીલ યોજાશે. પેપર લીક અને ગેરરીતિઓને રોકવા માટે અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. NTA દ્વારા તમામ વહીવટી તેમજ સુરક્ષાલક્ષી તૈયારીઓ પૂર્ણ કરાઈ હોવાનું જણાવાયું છે. 21 જૂને યોજાનારી NEET-UG રિ-એક્ઝામમાં દેશભરમાં કુલ 22.79 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેશે.
આજે 20 જૂનને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - 7:30 am, Sat, 20 June 26