
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળમાં કરોડો રૂપિયાના વિકાસના કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. કોંગ્રેસની આગેવાનીમાં રચાયેલ INDIA ગઠબંધનની બેઠક યોજાશે. આ બેઠકમાં લોકસભાના આગામી ચોમાસુ સત્રની રણનીતિ ઘડાશે. બ્રિટિશરો સામે 1857ના બળવાની આગેવાની લેનાર મંગલ પાંડેની આજે જન્મજયંતિ છે. BCCI પ્રમુખ અને ભારતના પૂર્વ ક્રિકેટર રોજર બિન્નીનો આજે જન્મદિવસ છે. 1983માં ઈંગ્લેન્ડમાં વિશ્વકપ વિજેતા ટીમના તેઓ કપિલદેવની સાથે મુખ્ય બોલર હતા. ભારતીય ક્રિકેટ કોમેન્ટેટર હર્ષા ભોગલેનો આજે જન્મદિવસ છે તેઓ 64 વર્ષના થયા છે.
રાજકોટના ગોંડલમાં આવેલા ત્રાકુડા ગામની જમીનના કૌભાંડ મુદ્દે જિલ્લા કલેક્ટરે સ્પષ્ટતા કરી છે. કલેક્ટરે કહ્યું કે, પૂર્વ તલાટી ધર્મેશ હાપલિયાએ કૃત્ય કર્યું છે. તેણે ખોટી રીતે દસ્તાવેજ બનાવ્યા હતા. જેને લઇ તેની ધરપકડ કરાઇ છે. જોકે ભોગ બનનાર કોઇ વ્યક્તિએ સંપર્ક કર્યો નથી. હાલ, પોલીસ દ્વારા તેની પૂછપરછ ચાલુ છે. કલેક્ટરે આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની વાત કરી છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, ગોંડલમાં નકલી કચેરી પકડાઇ હોવાની વાત પણ ખોટી છે.
ભાવનગર પોલીસે શહેર અને જિલ્લામાં છેલ્લા 3 વર્ષનાં સમયગાળામાં થયેલી ચોરીનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે 5 જેટલા ઘરફોડ ચોરીનાં આરોપીને રૂ. 1 લાખ રોકડ અને સોના ચાંદીના ઝડપી પાડ્યા. શહેરમાં દર 40 થી 50 દિવસના ગાળામાં એક ચોરીની ઘટના સામે આવે છે. હાલમાં જ શહેરમાં સરદાર પટેલ, જ્ઞાનમંજરી, ઓજ અને નૈમીશારાય સહિતનાં વિસ્તારમાં ચોરીની ફરિયાદ નોંધાઇ હતી. પોલીસ પકડમાં રહેલા આરોપીઓએ 10 જેટલા ગુનાની કબુલાત કરી છે.
લોકમેળા અંગે જિલ્લા કલેક્ટર અને ક્રાઇમ બ્રાન્ચના DCP સહિતના અધિકારીઓએ એક બેઠક યોજી હતી. જેમાં રાઇડ્સ સંચાલકો પણ હાજર રહ્યા હતા. ત્યારે, અગાઉની SOPથી નારાજ સંચાલકો માટે હવે નવી SOP જાહેર કરી છે. મહત્વનું છે, મેળાનું યોગ્ય રીતે સુચારૂ આયોજન થાય અને દુર્ઘટના ટાળી શકાય તે માટે તંત્ર કામગીરી કરી રહ્યું છે.
અમદાવાદ મનપા તંત્રની ઘોર બેદરકારી વધુ એક વાર છતી થઈ છે. AMCની સંકલન બેઠકમાં થયો ચોંકાવનારો ખુલાસો થયો કે શહેરની બે મહત્વપૂર્ણ જગ્યાઓ કાલુપુર શાકમાર્કેટ અને જમાલપુર ફૂલબજારની ફાઈલ ગુમ છે. આ બાબતે વેજલપુરના ધારાસભ્યા અમિત શાહ દ્વારા મ્યુનિસિપલ કમિશનરનું ધ્યાન દોરવામાં આવ્યું. સામે પક્ષે ફાઈલ ગુમ થઈ હોવાની અધિકારીઓની કબૂલાત કરી છે. ફાઈલ ગુમ થતા આ જગ્યાના લીઝ સ્ટેટસ અંગે કોઈ માહિતી જ નથી. લીઝની મુદ્દત પૂર્ણ થઈ ગઈ કે કેમ કે પછી લીઝ રીન્યુ કરવાની છે કે કેમ મનપા તંત્રને કોઈ જ માહિતી જ નથી. આ ઉપરાંત લાલ દરવાજા પાસેની અંડરગ્રાઉન્ડ માર્કેટ પણ જર્જરિત હાલતમાં છે. ત્યારે અધિકારીઓએ જર્જરિત બજારો અંગે તપાસ કરવાનું રટણ કરવામાં આવ્યું હતું.
વાનરોના સતત વધતા ત્રાસથી લોકો પરેશાન થયા છે કારણ કે, અવારનવાર લોકો પર હુમલા થઇ રહ્યા છે. ત્યારે, શાળામાં ભણતા બાળકોને લઇ પણ વાલીઓ ખૂબ ચિંતિત છે. લોકોની માગ છે કે, ખેડા વન વિભાગ દ્વારા આતંકી વાનરોને ઝડપીને પાંજરે પૂરવામાં આવે.
રસ્તા પરના ખાડાએ પાટણમાં લીધો છે વૃદ્ધનો ભોગ. પાટણમાં રસ્તે પડેલા ખાડામાં પટકાતા વૃદ્ધને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. રસ્તા પર ખાડાની અનેક ફરિયાદ છતાં તંત્રના પેટનું પાણની નથી હલી રહ્યું, તેવા સંજોગોમાં ખાડા મોતનું કારણ બનતા સ્થાનિકોમાં રોષની લાગણી ફેલાઇ છે. સ્થાનિકોની માગ છે કે તંત્ર વહેલીતકે રસ્તાની મરામત કરાવે.
2 દિવસ પહેલા એક મીડિયાકર્મી સાથે બાઉન્સરે કરેલી ગેરવર્તણૂંક બાદ બાઉન્સરોનો મુદ્દો ગરમાયો છે. અમદાવાદ મનપાના વિપક્ષ નેતાએ અધિકારીઓ સામે આક્ષેપ કરતા કહ્યું કે, જનતાના ટેક્સના રૂપિયાથી પોતાની માટે બાઉન્સર રાખે છે અને બાઉન્સરો લોકો સાથે ગેરવર્તણૂંક કરે છે. અધિકારીઓ પારદર્શિતાથી કામ નથી કરતા પ્રાથમિક સુવિધા આપતા નથી અને પછી, જનતાના આક્રોશથી બચવા બાઉન્સરો રાખે છે જાણે કોઇ કાળું ધન સંતાડ્યું હોય. વિપક્ષે આક્ષેપ કર્યા કે, મનપાએ 12 એજન્સીઓના 1851 સિક્યુરિટી રાખ્યા છે અને વર્ષ 2016થી 2024 સુધી 244 કરોડ રૂપિયાની ચૂકવણી કરી ચૂકી છે. તો મેયરે તેમના આક્ષેપ ફગાવતા કહ્યું, કે જરૂરિયાત માટે બાઉન્સર રખાય છે. જો તેમણે ગેરવર્તણૂંક કરી હશે તો કાર્યવાહી થશે.
સરદાર પટેલ અંગે રાજ ઠાકરેની વાંધાજનક ટિપ્પણીને ભાજપે વખોડી છે. રાજ ઠાકરે પર પ્રહાર કરતા ભાજપ નેતા ઋતવીજ પટેલે કહ્યું કે બન્ને રાજ્યના લોકો વર્ષોથી સંપીને રહે છે. રાજ ઠાકરેએ સસ્તી પ્રસિદ્ધિ માટે સરદાર પટેલનું અપમાન કર્યું છે. તો બીજી તરફ કોંગ્રેસે પણ સરદાર પટેલના અપમાન મુદ્દે નારાજગી વ્યક્ત કરી છે. કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોષીએ કહ્યું કે સરદાર પટેલ કોઈ જાતિ કે રાજ્યના નહીં પરંતુ સમગ્ર દેશના છે અને પોતાના અંગત સ્વાર્થ માટે તેમના નામનો ઉપયોગ કરવો એ બિલકુલ યોગ્ય નથી. તો બીજી તરફ પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા કહ્યું કે પોતાની રાજનીતિ ચમકાવવા માટે રાજઠાકરેએ મહાપુરુષોનું અપમાન કર્યું.
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા ભાષા વિવાદમાં રાજ ઠાકરેએ હવે સરદાર પટેલ પર મોટો આરોપ લગાવ્યો છે. રાજ ઠાકરે એ ગુજરાત અને ગુજરાતીઓને ટાર્ગેટ કરતા કહ્યુ કે મે એક પુસ્તકમાં વાંચ્યુ કે સરદાર પટેલે મુંબઈને મહારાષ્ટ્રમાં ન ભેળવવાનું કહ્યુ હતુ. આ સાથે તેમણે પૂર્વ PM મોરારજી દેસાઈ પર આરોપ લગાવ્યો કે મોરારજી દેસાઈએ મરાઠીઓ પર ગોળીઓ વરસાવી હતી. કેટલાક ગુજરાતી વેપારીઓ અને નેતાઓનો ભેદભાવનો પ્લાન છે. મુંબઈ અન મહારાષ્ટ્રમાં ભેદભાવ લાવવાનો પ્લાન છે. ત્યારે ભાષા વિવાદમાં રાજ ઠાકરેએ ફરી એકવાર ગુજરાત, ગુજરાતીઓ અને સરદાર પટેલને ટાંકીને વધુ એક નવા વિવાદનો મધપૂડો છંછેડ્યો છે.
જૂનાગઢ ખાતે જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વિસાવદર મતવિસ્તારને લગતા 35 પ્રશ્નો રજૂ કર્યાં હતા. જેમાં ખાસ કરીને ખેડૂતોને પડતી મુશ્કેલીઓ, ગામડાઓમાં સ્મશાનની દુઃખદાયક સ્થિતિ, યુવાનો માટે લાયબ્રેરી સહીતની જરૂરી સુવિધા અંગે ખાસ રજૂઆત કરી હતી. ભેંસાણ-સુરત અને વિસાવદર-સુરતની એસટી બસ શરૂ કરવા પણ માંગ કરાઈ હતી. છોડવડી ગામે પ્રોપર્ટી કાર્ડની સમસ્યા, માલધારીઓને ચરાવવા ના વાડા કે જગ્યા માટે અરજી અંગે જાણકારી મેળવી હતી.
ક્યાંક કોઝ વે તૂટેલા છે તો ક્યાંક વરસોથી પુલની કામગીરી ચાલી રહી છે તે અંગે પણ રજૂઆત કરી હતી. ગામડાઓમાં વીજ ફોલ્ટની સમસ્યા, કુબારાવની ગામનું હક્કપત્રક 2006 તલાટી મંત્રીએ ગુમ કરી દીધું છે જે અંગે હક્ક પત્રક માટે ખેડૂતોને થતી મુશ્કેલીઓ રજૂ કરી હતી.
ઉપરવાસમાં પડેલા નોંધપાત્ર વરસાદને પગલે, સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાંથી પાણી આવક વધતા ડેમની જળસપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાંથી 75,329 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જ્યારે 39,522 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે. નર્મદા ડેમમાં હાલ પાણીનો જથ્થો 1553.16 મિલિયન ક્યુબીક મીટર છે. હાલ નર્મદા ડેમની સપાટી 121.85 મીટરે પહોંચી છે. નર્મદા ડેમના દરવાજા 121.92 મીટરે છે. નર્મદા ડેમમાં દરવાજા પાણી પહોંચવાની તૈયારી પણ હાલ દરવાજા ખોલવામાં નહી આવે. ડેમમાં જળસંગ્રહ માટેની મહત્તમ સપાટી 138.68 મીટર છે. છેલ્લા 24 કલાકમાં 30 સેમીનો વધારો થયો છે.
કચ્છના અંજારમાં મહિલા ASIની હત્યા કરાઈ છે. અંજારની ગંગોત્રી સોસાયટી-2 ના રહેવાસી 25 વર્ષીય મહિલા ASI અરુણાબેન નટુભાઈ જાદવની હત્યા કરવામાં આવી છે. અંજારમાં પુરુષ મિત્ર દ્વારા ગળુ દબાવી હત્યા કરવામાં આવી છે. આરોપી યુવક દિલીપ ડાંગચિયા મણિપુર CRPFમાં ફરજ બજાવે છે. અરુણાબેન મૂળ સુરેન્દ્રનગરના રહેવાસી હતા.હત્યા અંગે અંજાર પોલીસે તપાસ શરૂ કરી.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિવિધ સ્મશાનગૃહની કામગીરી આઉટ સોર્સિંગથી કરવા માટે કરેલો ઠરાવ અંગે પ્રજામાં પક્ષની છબી ખરડાઈ છે. આથી આ નિર્ણયે ફેર વિચારણા કરવા માટે વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે પત્ર લખ્યો છે. વડોદરામાં આવેલ 31 સ્મશાન એજન્સીને સોંપવા મુદ્દે ફરી વિચારણા કરવા પત્રમાં ઉલ્લેખ કરાયો છે. સ્મશાનમાં લોકો પોતાના મૃતક સ્વજનની લાગણી સાથે જોડાયેલી હોય છે, આ નિર્ણથી તેમની લાગણીને ઠેસ પહોંચે છે તેવો પણ પત્રમાં ઉલ્લેખ કરાયો છે. આઉટ સોર્સિંગ કરેલા સ્મશાન બાબતે ફરી વિચાર કરવા માટે કમિશનરને પત્ર લખ્યો છે.
જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી ભરતી સંબંધિત કેસની તપાસના સંદર્ભમાં કાઉન્ટર-ઇન્ટેલિજન્સ કાશ્મીર (CIK) યુનિટ કાશ્મીર ખીણના ચાર જિલ્લાઓના 10 અલગ અલગ સ્થળોએ સર્ચ ઓપરેશન ચલાવી રહ્યું છે. આ સર્ચ ઓપરેશનની કાર્યવાહી પુલવામાનો એક, શ્રીનગરમાં એક અને બડગામના બે જિલ્લાઓમાં કરવામાં આવી રહી છે.
બનાસકાંઠાના દાંતા સરકારી હોસ્પિટલમાં વરસાદી પાણી ઘુસ્યા છે. દર વર્ષે વધારે વરસાદ આવતા, દાંતામાં આવેલ સરકારી હોસ્પિટલમાં પાણી ભરાઈ જાય છે. સરકારી હોસ્પિટલ ખાડામા હોવાથી વરસાદી પાણી, હોસ્પિટલ પરિસર અને અંદર સુધી ઘુસી જાય છે. દાંતાના સમાજસેવી આગેવાનો તાત્કાલિક હોસ્પિટલ પહોચ્યા. સીવિલ પરિસરમાં પાણીમાં વાહનો ડૂબેલા જોવા મળ્યા. છેક અંદર સુધી પાણી આવી ગયું છે. ડોક્ટરની ચેમ્બર અને દર્દીના વૉર્ડમાં પાણી ઘુસ્યા છે.
સુરતમાં ભાજપના બે કોર્પોરેટર સામે ફોજદારી કેસ નોંધવા કોર્ટે હુકમ કર્યો છે. ભાજપના બે કોર્પોરેટરોએ મહાનગરપાલિકાની સામાન્ય સભામાં, વિપક્ષના નેતાએ રૂપિયા 11 લાખ લીધી હોવાનો આક્ષેપ કર્યો હતો. જેને વિપક્ષના નેતાએ બદનક્ષીનો કેસ કરીને પડકાર્યો હતો. આ કેસ સંદર્ભે આક્ષેપ કરનાર ભાજપના બે કોર્પોરેટર સામે ફોજદારી કેસ નોંધવા કોર્ટે હુકમ કર્યો છે. ભાજપના કોર્પોરેટર અશોક ધામી અને કનુ ગેડિયાએ કર્યા હતા આક્ષેપ.
બનાસકાંઠાના પાલનપુરમાં ભારે વરસાદથી માર્ગો પર પાણી ભરાઈ જવા પામ્યા છે. માર્ગ ઉપર ઘૂંટણ સમા પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી સર્જાઈ છે. પાલનપુર બનાસ ડેરી રોડ પર ભરાયા પાણી. પાલનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરમાં જવાના રસ્તે પાણી ભરાતા મુશ્કેલીઓ સર્જાઈ છે. વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો હતો અને તેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.
અમદાવાદના ગોમતીપુર વિસ્તાર અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો છે. હાથમાં દંડા લઈને વાહનોમાં તોડફોડ કરી હતી. પટેલ પરમાનંદની ચાલીમાં સમગ્ર ઘટના બની. સમગ્ર બનાવનો વીડિયો થયો વાયરલ. સાગર બિરાડે, સંજય બિરાડે, કરણ બિરાડે, મનસુખ અને અજાણ્યા વ્યક્તિ સામે ફરિયાદ દાખલ થઈ છે. વહેલી સવારે છ વાગે આસપાસ આરોપીઓએ વાહનોમાં તોડફોડ કરી હતી. ચારથી વધુ વાહનોને નુકસાન પહોંચાડ્યું. વીડિયો વાયરલ થતા પોલીસે ગુનો દાખલ કર્યો.
જૂનાગઢના માંગરોળના મેખડી ગામે બે જૂથ વચ્ચે મારામારી થવા પામી હતી. જેમાં મહિલા સહિત આઠ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. 108 મારફત કેશોદ સરકાર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવાયા હતા. વધુ સારવાર માટે તમામને જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા છે.
નવસારીના જલાલપોરના આટ ગામે બાળકને સાપ કરડતા મોત થયું છે. રૂપનતળાવ વિસ્તારમાં રહેતા બાળકને રમતી વખતે કરડ્યો હતો સાપ. સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યા સારવાર દરમિયાન બાળકનું મોત થયું હતું.
ઉત્તરાખંડના પહાડી જિલ્લા ચમોલીમાં આજે સવારે અચાનક ધરતી ધ્રુજી ઉઠી, જ્યારે રિક્ટર સ્કેલ પર 3.3 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. આ ભૂકંપ હળવો હતો, પરંતુ લોકોમાં થોડા સમય માટે ભયનું વાતાવરણ હતું. ભૂકંપની ઊંડાઈ લગભગ 10 કિલોમીટર માપવામાં આવી હતી, જે સપાટીની ખૂબ નજીક માનવામાં આવે છે. પરંતુ માત્ર ભારતમાં જ નહીં, આ ભૂકંપીય ગતિવિધિની અસર દક્ષિણ એશિયાના અન્ય ભાગોમાં પણ જોવા મળી. અફઘાનિસ્તાન, મ્યાનમાર અને તિબેટમાં પણ ધરતી પલટી ગઈ અને આંચકા નોંધાયા.
Published On - 7:21 am, Sat, 19 July 25