આજે 19 એપ્રિલને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
રાજકોટના કાગવડ પાસેના હેવન રિસોર્ટમાં કરૂણાંતિકા સર્જાાઈ. પરિવાર સાથે આવેલો 33 વર્ષીય યુવક પાણીમાં ડૂબી ગયો. સ્વિમિંગ પુલમાં નહાતી વખતે અચાનક બેભાન થતાં યુવાનનું મોત થયુ. યુવકને CPR આપીને હોસ્પિટલ લઈ જવાયો. હોસ્પિટલમાં તબીબે યુવકને મૃત જાહેર કર્યો. યુવક રવિવારની રજા માણવા ગયો હતો.
મૃતક ગોંડલના નવાગામનો રહેવાસી હતો.
દાહોદઃ કાર અને કન્ટેનરના અકસ્માતમાં 3 બાળકોના મોત થયા છે. કન્ટેનરને કારે પાછળથી ટક્કર મારતા અકસ્માત થયો. પાવાગઢ દર્શન કરી મધ્યપ્રદેશ પરત જતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. દાહોદના ભીટોડી હાઈવે પર આ અકસ્માત સર્જાયો હતો. 3 લોકોના મોત અને 9 લોકો ઈજાગ્રસ્ત થયા.
અમદાવાદ: ઈન્ફ્લુએન્સરને રોડ પર શૂટિંગ કરવું ભારે પડ્યું છે. ઈન્ફ્લુએન્સર વિરૂદ્ધ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. સી.જી. રોડ પર જાહેરમાં ખાનગી કંપનીની જાહેરાત બનાવી. અકસ્માત થયો હોવાનું ખોટું દ્રશ્ય ઉભું કરી ભીડ એકઠી કરી હતી. જાહેરાતનું શૂટિંગ કરવા લોકોને પણ રસ્તા પર ઉભા રાખ્યા હતા.
ઈન્ફ્લુએન્સરે બનાવેલી જાહેરાત વાયરલ થતાં જ કાર્યવાહી કરવામાં આવી. ટ્રાફિકમાં અડચણ ઉભી કરતા પોલીસે કાર્યવાહી કરી છે.
મોટર વ્હીકલ એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે.
સુરત : ચૂંટણી પહેલા AAPમાં હવાલા કૌભાંડનો પર્દાફાશ થયો છે. ત્યારે AAPના હવાલા કૌભાંડમાં ક્રાઇમ બ્રાન્ચે મોટો ખુલાસો કર્યો છે. AAPના પૂર્વ પ્રધાન સત્યેન્દ્ર જૈનના PA આકાશ મિશ્રાની પૂછપરછ કરાઈ છે. આકાશ દિલ્હીથી સુરત ફન્ડીંગ માટે આવતા પૈસાનો હવાલો સંભાળતો હતો. ક્રાઇમ બ્રાંચના DCP ક્રાઇમ ભાવેશ રોજીયાએ જણાવ્યુ હિમાંશુ પાહુજાએ આકાશને કરોડો રૂપિયા હવાલાથી મોકલ્યા. સુરતની આંગડિયા પેઢીમાં 1.25 કરોડથી વધુની રકમ મોકલવામાં આવી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને ફંડિંગ કરવામાં આવ્યું. ગુજરાતનાં અન્ય મહાનગરોમાં આ જ રીતે નાણાં મોકલાયાની આશંકાને આધારે તપાસ કરાઈ.
સુરતના AAPના અનેક નેતાઓ સુધી તપાસનો રેલો પહોંચવાની શક્યતા છે.
અમદાવાદના ધંધુકામાં હિન્દુ યુવકની હત્યા મામલે લોક સાહિત્યકાર દેવાયત ખવડે સરકારને અપીલ કરી છે. હિન્દુ વિરોધી તત્વોને સરકાર વહેલીતકે સજા આપે.
તેમણે કહ્યુ આજે ભરવાડ સમાજ છે, તો કાલે બીજો કોઈ સમાજ હશે. આ સાથે ખવડે કહ્યુ ભરવાડ સમાજ સાથે ઊભા રહેવાની પૂરી તૈયારી છે.
ગીર સોમનાથ: પોલીસે 3 શંકાસ્પદ બોટ ઝડપી પાડી છે. કદવાર હીરાકોટ બંદરેથી 3 બોટને SOGએ ઝડપી પાડી છે. રજિસ્ટ્રેશન, ટોકન વગર ગેરકાયદે માછીમારી કરાતી હતી. ઓનલાઈન એન્ટ્રી વગર જ બોટ દરિયામાં સંચાલિત હતી. SOGએ બોટના માલિકો સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
AAPના કથિત હવાલા કૌભાંડ અંગે ડેપ્યુટી CM હર્ષ સંઘવીએ કહ્યુ કે AAPના દિલ્લીના નેતાના PAનું હવાલા કૌભાંડ પકડાયું છે. છેલ્લા એક વર્ષથી દર મહિને હવાલાના રૂપિયા ગુજરાત આવતા હતા. ગુજરાતના લોકોને ઝઘડાવવામાં આ રૂપિયા વપરાતા હતા. વધુમાં તેમણે ઉમેર્યુ કે AAPના આ હવાલા કૌભાંડ અંગે હજુ મોટા ખુલાસા થશે. ઇમાનદારીની વાતો કરતા લોકોની વાત ખુલી ગઈ છે. હર્ષ સંઘવીએ સવાલ કર્યા કે શું આ વિચારો સાથે તેઓ ગુજરાતમાં કામ કરવા આવ્યા છે. ગુજરાતના ભોળા નાગરિકોને ફસાવવાનો પ્રયાસ કરાયો છે.
અમદાવાદ: ભાજપ ઉમેદવારોનો લોકોએ હુરિયો બોલાવ્યો છે. વોર્ડ નં.22 ઈન્ડિયા કોલોનીમાં ભાજપ વિરૂદ્ધ બેનર લાગ્યા છે. ભાજપે 5 વર્ષમાં કોઈ કામગીરી ન કર્યાનો લોકોનો આક્ષેપ છે. ડી-કોલોની, પારસી ભઠ્ઠાની ચાલી આસપાસના વિસ્તારમાં રોષ ફેલાયો છે. પ્રચાર સમયે ભાજપ ઉમેદવારો સામે લોકોએ રોષ ઠાલવ્યો છે.
રોડ-રસ્તાની સમસ્યાને લઈ સ્થાનિકોએ ઉગ્ર રજૂઆત કરી છે. લોકોએ હુરિયો બોલાવતા ભાજપ નેતાઓએ ચાલતી પકડી. પ્રચાર કર્યા વગર જ ભાજપ ઉમેદવારોએ પરત ફરવું પડ્યું
અમદાવાદ: ધંધુકામાં હિન્દુ યુવાનની ચાકુ મારી હત્યા કરનારા રિઝવાન મણીયાર અને સમીર એમદાનીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી સમીરને મૃતક ધર્મેશ સાથે ઝઘડો થયો હતો. ઓવરટેક કરવા બાબતે ઝઘડા બાદ મામલો બિચક્યો હતો. આરોપી રિઝવાને ધર્મેશને છરી મારતા મોત નિપજ્યું હતું. બંને આરોપી રિઝવાન અને સમીર છૂટક મજૂરી કરે છે. પોલીસ બંને આરોપીને આવતીકાલે કોર્ટમાં રજૂ કરશે. ધંધુકામાં હિંદુ યુવકની હત્યાનાં કેસમાં SITની રચના કરવામાંઆવી છે. 4 સભ્યોની SIT દર અઠવાડિયે રિપોર્ટ આપશે. SITમાં Dy SP પ્રકાશ પ્રજાપતિ અને LCB PI રઘુ કરમઠીયાનો સમાવેશ કરાયો છે. PSI કરણ વિહોલ અને એસ.એચ ઝાલાનો SITમાં સમાવેશ કરાયો છે. કેસ ચાલે ત્યાં સુધી SIT ટીમ તપાસમાં જોડાયેલી રહેશે.
અમદાવાદઃ નશામાં ધૂત યુવકનો વીડિયો વાયરલ થયો છે. છરી લઈને યુવક જાહેરમાં અપશબ્દો બોલતો અને લોકોને ધમકાવતો નજરે પડ્યો છે. યુવક છરી બતાવી લોકોને ડરાવતો હોવાનો વીડિયો વાયરલ થયો છે. પોલીસને પણ અપશબ્દો બોલી યુવકે દાદાગીરી કરી છે. વીડિયો વાડજના રામાપીરના ટેકરા વિસ્તારનો હોવાની આશંકા છે. વાયરલ વીડિયોના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી
26 એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે જુનાગઢમાં ગિરનાર અને ભવનાથના સાધુ સંતોએ લોકોને મતદાન કરવાની અપીલ કરી છે. સાધુ-સંતોના મત મુજબ સારા પ્રતિનિધિને ચૂંટીને સ્થાનિક વિસ્તારો અને ગ્રામ્ય લેવલે સારો વિકાસ થાય તે માટે તમામ મતદારને મતદાન કરવાની અપીલ કરાઈ છે. ત્યારે ભવનાથના અવધૂત આશ્રમના મહંત મહાદેવગીરી બાપુએ પણ લોકશાહીના પર્વની ઉજવણી કરીને સારો જનપ્રતિનિધી ચૂંટવા માટે અપીલ કરી છે. મહત્વનું છે કે ચૂંટણી તે લોકશાહીનો પર્વ છે. ત્યારે લોકશાહીના આ પર્વની ઉજવણી કરવી તે દરેક નાગરિકની ફરજ છે. ત્યારે ગોરક્ષનાથ આશ્રમના મહંત શેરનાથ બાપુએ પણ તમામ લોકોને અચૂક મતદાન કરવાની અપીલ કરી છે.
આજથી તાલાલા ગીરના મેંગો માર્કેટમાં કેસર કેરીની હરાજીનો પ્રારંભ થયો છે. જેમાં કેસર કેરી માટે પ્રખ્યાત તાલાલામાં હરાજીના શ્રીગણેશ થયા છે. પરંપરા મુજબ હરાજીમાં કેરીનું પ્રથમ બોક્સ ગૌશાળાની ગાયોને અર્પણ કરવામાં આવ્યું. જેના માટે 11 હજાર એકસો અગિયાર રૂપિયાની બોલી લાગી. જ્યારે બીજા બોક્સ માટે રૂ. 9,000 અને ત્રીજા બોક્સ માટે રૂ. 6,000 ની બોલી લાગી. ત્યારે કેરીના વેપારીઓનું અનુમાન છે કે આગામી દોઢથી પોણા બે મહિના સુધી કેરીની આવક યથાવત રહેશે.
મહત્વનું છે કે હાલમાં સરેરાશ 10 કિલોના કેરીના બોક્સનો ભાવ ક્વોલિટી મુજબ રૂ,600થી રૂ. 1200 સુધી રહ્યા છે. પરંતું કેરી પકવતા ધરતીપુત્રો અને બગીચાના માલિકોનું કહેવું છે કે સતત બદલાતા વાતાવરણના કારણે કેરીના પાકમાં વ્યાપક નુક્સાન સહન કરવાનો વારો આવે છે. ત્યારે દર વર્ષ કરતાં આ વર્ષે કેરીના ઓછા ભાવ મળતાં ખેડૂતો માટે કપરી પરિસ્થિતિ ઉભી થઈ છે.
અમરેલી: રાજુલામાં રેસ્ક્યૂ કરેલી સિંહણે વનવિભાગના કર્મી પર હુમલો કર્યો. રામપરા નજીક સિંહોની સુરક્ષા માટે ડી.વોર્નિંગ દરમિયાન બની હુમલાની ઘટના બની. ઉનાળામાં સુરક્ષા વધારવા માટે ડી વોર્નિંગ માટે રેસ્કયુ બાદ સિંહણે હુમલો કર્યો. લક્ષ્મી નામથી ઓળખાતી જાણીતી સિંહણે કર્મી પાછળ દોડી હુમલો કર્યો. વન વિભાગના કર્મી પર હુમલો થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો
ગીર સોમનાથના શિક્ષકોને વધારાની કામગીરી સોંપાતા વિરોધ થયો છે. સોમનાથ સ્વાભિમાન પર્વમાં રૂટ સુપરવાઈઝરનું કામ સોંપાયું છે. તંત્રએ સોંપેલી કામગીરી સામે શૈક્ષિક મહાસંઘે વાંધો ઉઠાવ્યો છે. વસ્તી ગણતરી, ચૂંટણી, ચાલુ પરીક્ષા કાર્ય વચ્ચે આ કામ સોંપ્યું છે. આવા આદેશ શિક્ષણની ગંભીરતા સામે સવાલ ઉભા કરે છે. શૈક્ષિક મહાસંઘે સવાલ કર્યો છે કે શું શિક્ષકોને હવે કંડક્ટર કમ ગાઈડની ભૂમિકા ભજવવાની છે? શું રાજ્ય સરકાર પાસે આ કામગીરી માટે પ્રવાસન વિભાગ નથી? “અગાઉ રાષ્ટ્રહિત સિવાયની કામગીરી ન સોંપવા વાત થઈ હતી.
અમદાવાદ: પ્રચારમાં નીકળેલા ભાજપ ઉમેદવારે સખત વિરોધનો સામનો કરવો પડ્યો. ઉમેદવાર મૌલિક પટેલનો સ્થાનિકોએ ઉગ્ર વિરોધ કર્યો. સ્થાનિક મહિલાએ ઉમેદવારો અને કાર્યકર્તાઓનો ઉધડો લીધો. અગાઉ કરેલા વાયદાઓ પૂરા ન કરતાં સ્થાનિકોએ રોષ ઠાલવ્યો. જેવી રીતે આવ્યા છો તેવી જ રીતે પાછા જતાં રહો તેવું નિવેદન આપ્યું. રસ્તા અંગે અનેક રજૂઆતો છતાં કામ ન કર્યું હોવાનો સ્થાનિકોનો આરોપ છે. સ્થાનિકોએ ઉમેદવારોનો વિરોધ કરતો વીડિયો વાયરલ કર્યો.
અમદાવાદઃ વર્ગ-1ના અધિકારી વાસી ખોરાકનો શિકાર બન્યા છે. ઝેપ્ટો કંપનીના પાઉ પર ફંગસ જોવા મળી છે. મોટેરાની ઝેપ્ટો બ્રાંચના પાઉ વાસી હોવાનો ખુલાસો થયો છે. વાસી પાઉ મુદ્દે ફરિયાદ કરતા સ્ટોર માલિકની દાદાગીરી સામે આવી છે. અધિકારીએ દુકાન પર પોલીસ બાલાવી ફરિયાદ નોંધાવી છે. અધિકારીએ AMC વિરૂદ્ધ પણ ફરિયાદ નોંધાવી છે. અધિકારીની ફરિયાદ બાદ કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી.
વડોદરાઃ ખડગેના વિરોધમાં લાગેલા બેનર સામે ચૂંટણી પંચમાં આચારસંહિતા ભંગની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. MLA યોગેશ પટેલના નામ સાથે લાગેલા બેનર મુદ્દે ફરિયાદ કરાઈ છે. વિશ્વામિત્રી બચાવો સમિતિ દ્વારા ફરિયાદ નોંધાવાઇ છે. આચારસંહિતાના અમલ વચ્ચે 10 દિવસથી બેનર યથાવતનો દાવો કરાયો છે. ફરિયાદી શૈલેષ અમીન હોર્ડિંગ્સ દૂર કરવાની માગ કરી છે.
ઉત્તરાખંડઃ ચારધામ યાત્રાનો આજથી પ્રારંભ થયો છે. ગંગોત્રી અને યમુનોત્રીના કપાટ ખુલ્યા છે. PM મોદીના નામની પહેલી પૂજા કરવામાં આવી છે. 22 એપ્રિલે કેદારનાથ અને 23 એપ્રિલે બદ્રીનાથના કપાટ ખુલશે. અત્યાર સુધીમાં 18 લાખથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં ચૂંટણી લડતા રાજકારણીઓના વિરોધ ના લાગ્યા બેનરો. પ્રમુખસ્વામી સોસાયટીમાં નેતાઓએ પ્રવેશ કરવો નહીં એવા લગાવ્યા બેનર. ભાજપના કોઈપણ નેતાઓએ સોસાયટીમાં પ્રવેશ કરવો નહીં. વોર્ડ નંબર 12 માં આવેલી પ્રમુખસ્વામી સોસાયટીમાં નેતાઓએ પ્રવેશ નહીં કરવો તેવા લગાવાયા બેનરો. વોટ લેવા પાંચ વર્ષમાં એક વાર આવવું કોઈ પણ જાતનું કામ કરવું નહીં તેવું લખી કરાયા વિરોધ. અગાઉ પણ આ સોસાયટી દ્વારા વિસ્તારની સમસ્યાઓને લઈને વિરુદ્ધ દર્શાવવા માટે બેનરો લગાવ્યા હતા.
વડોદરાના વોર્ડ 10માં ભાજપના ઉમેદવારોનો ઉગ્ર વિરોધ કરાઈ રહ્યો છે. મકરંદ દેસાઈ રોડ પર ઠેર-ઠેર વિરોધના પેમ્ફલેટ ફેંકાયા છે. ઉમેદવાર નીતિન દોંગા અને અવની સ્ટેમ્પવાલા સામે જનતામાં રોષ વ્યાપી રહ્યો છે. માસ્ક મેને વિરોધ દર્શાવી પેમ્પલેટ રોડ પર ફેંક્યા. છેલ્લા ઘણા દિવસથી આ પ્રકારના વિરોધ પ્રદર્શન ક્રાંતિકારી સેના દ્વારા કરવામાં આવી રહ્યા છે.
રાજકોટ ખાતે કોંગ્રેસ સેવાદળ ગુજરાત અધ્યક્ષે મહિલા અનામત બિલ અંગે ભાજપ ઉપર કર્યો પ્રહાર. બહેનોના સપના કોંગ્રેસ નહીં ભાજપ તોડી રહી છે, દેશને પ્રથમ મહિલા વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ કોંગ્રેસે આપેલ છે. ગાંધીજી ઇચ્છતા કે મહિલા અને ખેડૂતોને સન્માન મળે. 2023 વાળું બિલ તાત્કાલિક બિલ પાસ કરવામાં આવે તો કોંગ્રેસ સાથે છે. 2024 સુધીમાં એ બિલ લાગુ કેમ ના કર્યું.
તમિલનાડુ અને બંગાળમાં ઇલેક્શનમાં ફાયદો લેવા માટે આ બિલ લાગુ કરવું હતું. મહિલા અનામતના નામે સીમાંકન કરીને ભાજપ ફાયદો લેવા માંગે છે. કોંગ્રેસ, મુસ્લિમ અને પાકિસ્તાન વિના ભાજપ એક પણ મુદે ભાષણ આપી શકે નહીં.
સુરતના કામરેજના ચોર્યાસી ગામે કથિત ટોલનાકું ઊભું કરવામાં આવ્યું છે. નેશનલ હાઈવે 48 ઉપર ટોલ ના દેવો પડે તે માટે વાહન ચાલકો ટોલ નાકા પહેલા વળાંક લઈને આ રસ્તે ચાલતા હતા. કેટલાક સ્થાનિક ઇસમો દ્વારા રસીદ પણ આપવામાં આવતી હતી. સમગ્ર બાબતની ફરિયાદ કામરેજ પોલીસને મળતા કામરેજ પોલીસ હરકતમાં આવી છે. કામરેજ પોલીસે હાલ કથિત ટોલ નાકું બંધ કરાવ્યું. કથિત ટોલ નાકાથી પાસ થનાર વાહનોને રસીદ પણ આપવામાં આવતી હતી. ગામના વિકાસ માટે આ ટોલ શરૂ કરાયાનું સ્થાનિક સૂત્રો જણાવી રહ્યા છે. હાઈવે ના વાહનો વધુ પસાર થતા હોવાથી ગામના રસ્તાઓ ખરાબ થઈ ગયા છે તેમ સ્થાનિક સૂત્રોએ જણાવ્યું હતું. વારંવાર રજૂઆત કરી છતાં જવાબદાર તંત્ર દ્વારા કામગીરી ના કરાતા આ ટોલ નાકું શરૂ કરાયું છે. પોલીસ તંત્ર ક્યાં પ્રકારની કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર રહેલી છે.
કચ્છ ભરૂડીયા એકલધામ મહંત યોગી દેવનાથ બાપુએ અમદાવાદ જિલ્લાના ધંધુકામાં હિન્દુ યુવાનની કરાયેલ હત્યા અંગે પ્રતિક્રિયા આપી છે. મહંત યોગી દેવનાથ બાપુએ કહ્યું કે, જો ગુજરાતમાં પણ યોગી આદીત્યનાથની સરકાર વાળી થઈ હોત તો આજે ધંધુકામાં ધર્મેશ જીવતો હોત. જેહાદીઓનાં મનોબળ તોડવા એન્કાઉન્ટર કરવા ખુબ જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું. જો જેહાદીઓના એન્કાઉન્ટર નહીં થાય તો હિન્દુઓની હત્યાઓ સરેઆમ થતી રહેશે.
ચોટીલાની બે હોટલોમાં વેશ્યાવૃત્તિ ચાલતી હોવાનું સાબીત થતા, ચોટીલાના પ્રાંત અધિકારીએ આ હોટલોને એક વર્ષ માટે સરકાર હસ્તક લેવાનો હુકમ કર્યો છે. યાત્રાધામ ચોટીલામાં હાઇવે પર આવેલ બાલાજી હોટલ અને સિટી પેલેસ હોટલમાં વેશ્યાવૃત્તિ ચાલતી હોવાથી પ્રાંત અધિકારીની ટીમે દરોડાની કાર્યવાહી કરી હતી. રેડ દરમિયાન હોટલમાથી ગેરકાયદેસર અનૈતિક પ્રવૃત્તિઓ ચાલતી ઝડપાઇ હતી. જેથી પ્રાંત અધિકારી ચોટિલા હરેશ મકવાણાએ બન્ને હોટલોને કલોઝ કરી હોટલનો કબ્જો સરકાર હસ્તક લેવાનો હુકમ કર્યો હતો. હોટલમાં રેડ કરતા યુવતી સહિત ગ્રાહકો ઝડપાયા હતા અને હોટલ સંચાલકો એ હોટલમાં વેશ્યાવૃત્તિ ચાલતી હોવાની કબૂલાત આપી હતી.
છોટાઉદેપુરના નસવાડી તાલુકાના લિન્ડા ગામના ડુંગરી ફળિયામાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપના પ્રચાર માટે પહોંચેલા ધારાસભ્યને, સ્થાનિક મતદારોએ આડા હાથે લીધા હતા. ધારાસભ્ય અને મતદારો વચ્ચે ઉગ્ર બોલાચાલી થવા પામી હતી. આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે પડતી મુશ્કેલીઓ લઈને મતદારે રજૂઆત કરતા ધારાસભ્યને પણ મતદારોએ વેધક સવાલો કરી નાખતા ઉગ્ર બોલાચાલી થવા પામી હતી. સમગ્ર મામલાનો વીડિયો ગ્રામજનોએ વાયરલ કર્યો છે. ધારાસભ્ય અભેસિંહ તડવી મત માંગવા જાય છે, ત્યારે વિનમ્ર પણે મત માંગવાની જગ્યાએ મતદારો સાથે કરી જીભાજોડી.
ગુજરાતના અનેક શહેરોમાં દાદાના હુલામણા નામે જાણીતા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનું બુલડોઝર ફરી વળ્યું છે. અમદાવાદ જિલ્લાના ધંધુકામાં પણ હવે દાદાનું બુલડોઝર ફરી વળશે. ધંધુકામાં ગેરકાયદેસર દબાણો હટાવવા માટે પોલીસ સહિતના વિભાગો સક્રિય થયા છે. દબાણ દૂર કરવા માટે આવશ્યક એવા તમામ વિભાગોનું થઈ રહ્યું છે સંકલન અને ચર્ચા. નિયમ મુજબ ગેરકાયદે દબાણકર્તાઓને નિમય અનુસારની નોટિસ આપીને તમામ ગેરક્યાદેસર સ્ટ્રક્ચર તોડી પડવામાં આવશે.
સાબરકાંઠાના ઈડરના રાણી તળાવ પાસે સ્કોર્પિયો કાર અકસ્માત બાદ આગમાં લપેટાઈ. ઈડર-અંબાજી સ્ટેટ હાઇવે રોડ પર સ્કોર્પિયો કારને નડ્યો અકસ્માત. ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો. સ્કોર્પિયો કાર રોડ સાઈડ ટી સ્ટોલમાં ઘૂસી જતા આગમાં લપેટાઈ. અકસ્માતમાં ટી સ્ટોલ પણ આગમાં ખાખ થઈ ગયો. સ્થાનિકોએ ફાયર બ્રિગેડ ટીમને જાણ કરતા ઘટના સ્થળે દોડી આવી હતી. કારમાં સવાર લોકો સમયસર બહાર નીકળી જતા કોઈ જાનહાની નહીં
સુરતના યુવક સાથે લેન્સકાર્ટની તાલિમ દરમિયાન ગંભીર ઘટના બની હોવાનો આક્ષેપ કરાયો છે. સુરતના ઝીલ સોઘાસિયા નામના યુવાનને મુંબઈમાં લેન્સકાર્ટની ટ્રેનિંગ દરમિયાન શીખા (ચોટલી) અને તિલક દૂર કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. યુવાને હિન્દુ ધાર્મિક ચિહ્નો દૂર કરવાનો ઇન્કાર કરતા, તેને ટ્રેનિંગમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યો હોવાનો દાવો છે. યુવાને કંપનીની આ નીતિ સામે કાનૂની કાર્યવાહી શરૂ કરી છે. મુંબઈમાં ટ્રેનિંગ દરમિયાન એક યુવાને ધાર્મિક ભેદભાવનો આક્ષેપ કર્યો યુવકે. સુરતના યુવકે ઇન્ટરવ્યૂ દરમ્યાન શીખા અને તિલક દૂર કરવા કહેતા તેણે ઇન્કાર કર્યો. ખાનગી કંપની દ્વારા તેને બહાર કાઢવામાં આવ્યો હોવાનો દાવો કર્યો. યુવાને હવે કંપની સામે કાનૂની કાર્યવાહી શરૂ કરી છે. નોકરીમાં સમાનતા અને અધિકારો અંગે ચર્ચા તેજ થઈ છે. આ ઘટના બાદ કોર્પોરેટ સેક્ટરમાં ધાર્મિક ચિહ્નો પહેરવાની સ્વતંત્રતા અને ભેદભાવ મુક્ત વાતાવરણ અંગે સવાલો ઉભા થયા છે.
સુરતમાં ભાજપના ઉમેદવારનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. ચૂંટણી પ્રચાર દરમિયાન વોર્ડ નંબર 29 ના ઉમેદવાર નો વિરોધ થયો છે. અલથાણ ખાતે આવેલી સોહમ સોસાયટીના લોકોએ ભાજપ ઉમેદવાર ધર્મેશ પટેલનો કર્યો વિરોધ. પ્રચાર કરવાની પહેલા ઉમેદવારને પરત ફરવું પડ્યું. સ્થાનિક લોકોએ ઉમેદવાર અને ભાજપ કાર્યકારોનો બરોબરનો ઉધલો લીધો. સ્થાનિકોએ ઉમેદવારને પૂછ્યા સવાલ.
રસ્તા બનાવવા માટે કેટલી અરજી આપી છે છતાં કેમ ના બન્યા તેના માંગ્યો જવાબ. પાંચ વર્ષમાં પહેલી વખત જોવા મળ્યા. તમારો વોર્ડ નંબર છે તમારે ધ્યાન રાખવાનું હોય કે લોકોને શું મુશ્કેલી પડે છે.
સુરતમાં, ગોલ્ડ સ્કીમના નામે વેપારી સાથે રૂપિયા 26 લાખની છેતરપિંડી કરનાર ઝડપાયો. સુરત સાયબર ક્રાઇમ સેલ પોલીસે આરોપી ઘનશ્યામ ઠક્કરને ઝડપી પાડ્યો છે. આરોપીના બેન્ક એકાઉન્ટમાં છેતરપિંડીના રૂપિયા 1.72 લાખ ટ્રાન્સફર થયા હતા. જે બેન્ક એકાઉન્ટ સાયબર ફ્રોડ કરનાર ટોળકીને ભાડે આપ્યું હતું. છેતરપિંડી કરનાર ટોળકીએ ઘોડદોડ રોડના વેપારીને સાયબર ક્રાઇમનો શિકાર બનાવ્યો હતો.
સુરતના બારડોલી તાલુકા પંચાયત ચૂંટણીની અસ્તાન બેઠકની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે. તાલુકા પંચાયતના અસ્તાન બેઠકના કોંગ્રેસના ઉમેદવારનું અવસાન થયું છે. કોંગ્રેસમાંથી ધર્મેશ રાઠોડે ઉમેદવારી નોંધાવી હતી. ધર્મેશ રાઠોડ કોંગ્રેસના વર્ષો જુના યુવા નેતા હતાં. તબિયત નાદુરસ્ત થતાં સુરત ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. ગત રોજ રાત્રે સુરતથી ફરી બારડોલી સરદાર હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. હવે અસ્તાન બેઠક પર ઉમેદવાર નું અવસાન થતાં ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે.
ગુજરાતમાં આજે PSI કેડરની 858 જગ્યા માટે લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં 1.10 લાખ ઉમેદવારો પરીક્ષા આપશે.
અમરેલીમાં 2.8 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલીથી 41km દૂર નોંધાયું છે.
ધંધુકામાં યુવાનીન કરપીણ હત્યા થયા બાદ, કેટલીક આગજનીની ઘટના બની છે. આખા અમદાવાદ જિલ્લામાંથી પોલીસના ધાડે ધાડે ઉતારી દેવામાં આવ્યા છે. આમ છતા સમગ્ર ધંધુકામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. પોલીસે મોડી રાત્રે ઘંઘુકાના સંવેદનશીલ વિસ્તારોમાં કોમ્બિગ હાથ ધર્યું હતું. ધંધુકાના એન્ટ્રી પોઈન્ટ પર ચેકિંગ પોઈન્ટ ઊભા કરવામાં આવ્યા છે. એસપી, dysp, એલસીબી, sog સહિતની ટીમ દ્વારા કોમ્બિંગ કરવામાં આવ્યું છે. હાઇવે પર આવતા જતા વાહનોનું પણ પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યાં છે.
Published On - 7:18 am, Sun, 19 April 26