
આજે 18 નવેમ્બરને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
કામરેજ RFO સોનલ સોલંકી પર ફાયરિંગ કરવા વપરાયેલ બાઈક પોલીસે શોધી કાઢ્યું છે. ગુનામાં વપરાયેલ KTM બાઇક પોલીસે શોધી કાઢીને કબજે કર્યું છે. આ બાઈક મહારાષ્ટ્રના ભીમા શંકર નજીક ખીણમાંથી પોલીસે શોધ્યું છે. તેમજ સોનલ સોલંકીની અકસ્માતગ્રસ્ત કારમાંથી GPS પણ મળી આવ્યું છે. આ કેસમાં RFO સોનલ સોલંકી પર તેના પતિ RTO ઇસ્પેક્ટર નિકુંજ ગૌસ્વામી એ ફાયરિંગ કરાવ્યું હતું. આરોપી પતિ RTO ઇસ્પેક્ટર નિકુંજ ગૌસ્વામી અને ઈશ્વરપુરી ગૌસ્વામી પોલીસ રિમાન્ડ પર છે. સોનલ સોલંકી છેલ્લા 12 દિવસથી બેભાન અવસ્થામાં સારવાર હેઠળ છે.
અમદાવાદ જિલ્લાના વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ સામે કોર્ટમાં આમરણાંત ઉપવાસના કેસમાં ચાર્જફ્રેમ કરવામા આવ્યો હતો. વર્ષ 2018માં પાટીદાર અનામત આંદોલન સમયે નિકોલમાં આમરણાંત ઉપવાસનો કેસ દાખલ કરાયો હતો. જેના અનુસંધાને વિરમગામ મતવિસ્તારના ભાજપ ધારાસભ્ય હાર્દિક પટેલ કોર્ટ સમક્ષ હાજર થયા હતા. આજ રોજ હાર્દિક પટેલ સામે કરવામાં આવી ચાર્જફ્રેમ. આ કેસમાં કુલ 7 આરોપીઓ સામે થઈ છે પોલીસ ફરિયાદ. નિકોલ પોલીસ સ્ટેશનમાં હાલના વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ સામે નોંધાયો હતો ગુનો. હાર્દિક પટેલ કોર્ટમાં સતત ગેરહાજર રહેતા કોર્ટે વ્યકત કરી હતી નારાજગી. આરોપીઓ ગીતા પટેલ અને કિરણ પટેલ દ્વારા મૂકવામાં આવી છે ડિસ્ચાર્જ અરજી. આગામી દિવસમાં વધુ સુનાવણી હાથ ધરાશે.
સાબરમતી જેલમાં કેદીઓ વચ્ચે મારામારીનો બનાવ બન્યો છે. ગુજરાત ATS પકડેલા આતંકીને અન્ય કેદી એ માર માર્યો છે. મારામારીના બનાવને લઈ સાબરમતી જેલમાં પહોચીને પોલીસે તપાસ કરી છે. કઈ બાબતે મારામારી થઈ તેને લઇ તપાસ કરાઈ રહી છે.
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં અલગ અલગ મેડીકલ સ્ટોરમાં ચેકિંગ હાથ ધરાયું છે. મેડિકલ સ્ટોરમાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ઇસનપુર, મણિનગર, કાગડાપીઠ, વટવા સહિતના વિસ્તારોમાં ચેકિંગ કરાયું છે. ગીતામંદિર બસ સ્ટેન્ડ અને આસપાસની મેડિકલ સ્ટોરમાં પણ ચેકિંગ કરવામાં આવ્યું છે. ગેરકાયદેસર દવાના વેચાણ અંગે કરાઈ રહ્યું છે ચેકિંગ. નશાકારક દવાઓ અંગે પણ પોલીસ ચેકિંગ કરી રહી છે. મેડીકલ સ્ટોર સંચાલક દ્વારા રજીસ્ટર અને સ્ટોક અંગે પણ ચેકિંગ કરવામાં આવ્યું.
બિહારમાં નવી સરકાર, આગામી 20 નવેમ્બરે શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહ સવારે 11:00 થી બપોરે 12:30 વાગ્યા સુધી યોજાશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે રાત્રે 8:00 વાગ્યે પટના પહોંચશે.
મહિલા બુટલેગરે પોલીસ સામે બિયરના ટીન ફેંક્યા હતા. નરોડા નાના ચિલોડા સર્કલ પાસે 2 મહિલા બૂટલેગરો પકડવા જતો બન્યો બનાવ. પોલીસ પેટ્રોલીંગમાં હતી ત્યારે 2 મહિલાઓ બિયરના ટીન ભરેલા થેલા સાથે ઝડપાઈ હતી. મહિલાઓએ રોડ વચ્ચે આ થેલાઓ રાખી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ પર બિયરના ટીન ઘા કરી ને ભાંગી ગયા. પોલીસે રીક્ષા ચાલકની ધરપકડ કરી. નરોડા પોલીસે બિયરનો જથ્થો જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે. નરોડા પોલીસી તાજેતરમાં વોન્ટેડ સોનિયા ઈન્દ્રેકર છારા , અંબિકા છારા નામની મહિલાને પ્રોહીબિશન કેસ કરી ધરપકડ કરી હતી.
રાજકોટમાં રખડતાં શ્વાનનો આતંક છે. છેલ્લા 10 મહિનામાં 14,106 લોકોને બચકા ભર્યા હોવાનું સામે આવ્યું છે. આ હિસાબે, રાજકોટ શહેરમાં રખડતા શ્વાન સરેરાશ રોજ 46 લોકોને બચકા ભરે છે. ચાલુ વર્ષે 10 મહિનામાં 14,106 લોકોને શ્વાન કરડ્યાં છે. શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ સ્થિતિ કથળી છે. ગ્રામ્ય વિસ્તારમાં સરેરાશ 22 લોકોને શ્વાન કરડ્યાં હોવાનું સામે આવ્યું છે. શહેરમાં રખડતાં શ્વાનની સંખ્યા 26,000 જેટલા હોવાનો દાવો તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. RMC દ્રારા શ્વાન ખસીકરણ પાછળ કરોડોનો ખર્ચ પરંતુ સ્થિતિ હજુ ગંભીર છે. ઠંડી અને મેટરનિટી સિઝન હોવાને કારણે શ્વાન કરડવાંના કિસ્સાઓ વધ્યાં હોવાનો RMCનો દાવો.
ભારતની પહેલી બુલેટ ટ્રેન ઓગસ્ટ 2027 માં દોડશે. શરૂઆતમાં, આ ટ્રેન 100 કિલોમીટરની ઝડપે દોડશે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ 2029 માં પૂર્ણ થશે. બુલેટ ટ્રેનમાં અમદાવાદથી મુંબઈ સુધીનુ અંતર લગભગ બે કલાકમાં પૂર્ણ થશે.
જામનગરમાં મોબાઈલ શોપમાં ચોરીનો બનાવ બન્યો છે. મોબાઈલ શોપમાં ત્રાટકેલા તસ્કરોએ રૂપિયા 9 લાખની કિંમતના 15 મોબાઈલની તસ્કરી કરીને ફરાર થઈ ગયા હતા. જામનગરશહેરના અંબર ચોકડી નજીક પંચરત્ન કોમ્પ્લેક્સમાં મોબાઈલની શોપમાં ચોરી થયાની ફરિયાદ દાખલ થઈ છે. દુકાનમાં કામ કરતા કિશન ચેતનભાઈ બાવરીયા સામે ફરિયાદ નોંધાઇ છે. જામનગર સીટી બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મોરબીના લીલાપર રોડ પર પેપર મિલમાં આગનો બનાવ બન્યો છે. લીલાપર ગામ નજીક આવેલા પાર્થ પેપર મિલમાં આગ લાગી છે. પાર્થ પેપર મિલના ગ્રાઉન્ડમાં પડેલ વેસ્ટના ઢગલામાં લાગી આગ. મોરબી ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોચીને આગને કાબૂમાં લીધી હતી.
પંચમહાલના ગોધરામાં SIRની કામગીરીને કારણે અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તાલુકા સેવા સદન ખાતે ATVTની કામગીરી સંપૂર્ણ રીતે અટવાઈ ગઈ છે, કારણ કે ATVT વિભાગના કોમ્પ્યુટર ઓપરેટરોને SIRના કાર્યમાં મોકલી દેવામાં આવ્યા છે. પરિણામે, તાલુકા સેવા સદન ખાતે દાખલા લેવા માટે આવેલા અનેક અરજદારો કલાકો સુધી અટવાઈ રહ્યા છે. અરજદારોનો આક્ષેપ છે કે કામગીરી બંધ અંગે કોઈ પૂર્વ સૂચના પણ આપવામાં આવી નથી. વહેલી સવારથી દૂર–દૂરથી આવેલા લોકો પોતાના કામ માટે રાહ જોઈ રહ્યા છે, પરંતુ વ્યવસ્થા ઠપ થઈ જવાથી તેમને નિરાશાનો સામનો કરવો પડ્યો.
નવસારીમાં મરોલી રોડના સાગરા ઓવરબ્રિજ પર એક દુઃખદ અકસ્માત બન્યો છે, જેમાં કાર અને બાઈક વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં પિતા–પુત્રનું મોત થયું છે. માહિતી મુજબ, કારચાલક મોબાઈલ પર વાત કરતા સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવી બેઠો હતો. નિયંત્રણ ગુમાવેલી કાર પૂરપાટ ગતિએ સામેેથી આવતી બાઈક સાથે અથડાઈ ગઈ. અથડામણ એટલી ભયાનક હતી કે પિતાનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું, જ્યારે પુત્ર બ્રિજ પરથી નીચે પટકાઈ જતાં તેનું પણ મોત થયું. કારચાલકને સામાન્ય ઈજાઓ થઈ છે અને તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસે ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.
છોટાઉદેપુર: ચાઈનીઝ દોરીએ બાઈક ચાલકનો જીવ લીધો. બોડેલીના અલીપુરા ચાર રસ્તા પાસેની ઘટના છે. બાઈક ચાલકના ગળામાં પતંગની દોરી આવી જતા ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. સારવાર દરમિયાન બાઈક ચાલકનું મોત થયુ. ચાઈનીઝ માંજા પર નિયંત્રણ લાવવા સ્થાનિકોની માગ છે.
સુરેન્દ્રનગરમાં રમતા-રમતા એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના સામે આવી છે. SRPFના જવાને ખેલ મહાકુંભની લોન્ગ ટેનિસ સ્પર્ધામાં ભાગ લીધો હતો, ત્યારે જયાવર ગ્રાઉન્ડમાં રમત દરમિયાન તેની તબિયત અચાનક બગડી ગઇ. તાત્કાલિક 108 એમ્બ્યૂલન્સ મારફતે જવાનને સી. યુ. શાહ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન જવાનનું હાર્ટ એટેકને કારણે મોત નિપજ્યું. ડૉક્ટરના જણાવ્યા અનુસાર, આ ઘટનાનો મુખ્ય કારણ હાર્ટ એટેક છે.
છત્તીસગઢ: નક્સલીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થઇ. આંધ્રપ્રદેશ બોર્ડર પર અથડામણમાં નક્સલી હિડમા ઠાર. એક કરોડનો ઈનામી નક્સલી એન્કાઉન્ટરમાં ઠાર મરાયો. નક્સલી હિડમાની પત્ની પણ એન્કાઉન્ટરમાં ઠાર. નક્સલ વિરોધી અભિયાનમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી.
ભાવનગરના દેવળીયામાં દંપતી પર હુમલાની ઘટનાના પડઘા સુરતમાં જોવા મળી રહ્યા છે. હુમલાના વિરોધમાં પાટીદાર સમાજની બેઠક મળી. પ્લોટની પચાવી પાડવાના ઈરાદે હુમલો કર્યાનો આરોપ છે. અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા માગણી.
સુરત: એરપોર્ટ પર મુસાફર પાસેથી હાઈબ્રીડ ગાંજો ઝડપાયો છે. 1.41 કરોડની કિંમતનો હાઈડ્રોપોનિક ગાંજો જપ્ત કરાયો. મુસાફર પાસેથી 4.55 કિલોગ્રામ ગાંજાના 8 પેકેટ મળી આવ્યા. બેંગકોકથી સુરત આવેલા મુસાફર પાસેથી ગાંજો મળી આવ્યો. ક્રાઈમ બ્રાન્ચે સંયુક્ત ઓપરેશન હાથ ધરી મુસાફરને ઝડપ્યો.
અમદાવાદના ખોખરામાં આવેલી સેવન્થ ડે સ્કૂલને લઈને વિવાદ ફરી એકવાર ભડક્યો છે. વાલી મંડળ સંઘર્ષ સમિતિ સ્કૂલ મેનેજમેન્ટ પાસેથી જરૂરી દસ્તાવેજોની માંગ સાથે સ્કૂલ સુધી પહોંચી હતી. વાલીઓએ સ્કૂલની માન્યતા સંબંધિત પુરાવા—જેમ કે એફિલિએશન સર્ટિફિકેટ, લીઝ એગ્રીમેન્ટ અને BU પરમિશનની નકલ રજૂ કરવાની માંગ કરી છે. થોડા દિવસ પહેલાં AMC દ્વારા સ્કૂલને BU અને લીઝ સંબંધિત મુદ્દે શો-કોઝ નોટિસ આપવામાં આવી હતી, જ્યારે જિલ્લા શિક્ષણ અધિકારીએ પણ સ્કૂલ પાસેથી 12 મહત્વપૂર્ણ દસ્તાવેજો રજૂ કરવાની માંગણી કરી હતી. સ્કૂલ તરફથી AMC અને DEOને હજુ સુધી દસ્તાવેજો ન આપવામાં આવતા વાલીઓમાં રોષ વ્યાપી રહ્યો છે અને વિવાદ વધુ ઉગ્ર બન્યો છે.
દિલ્હી બ્લાસ્ટમાં ધરપકડ કરાયેલા બીજા આતંકવાદી જસીર વાની ઉર્ફે દાનિશને ટૂંક સમયમાં પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. NIA કોર્ટ પાસેથી જસીરના રિમાન્ડની માંગ કરશે.
દિલ્લી બ્લાસ્ટ કેસમાં તપાસ એજન્સીઓએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. અલ-ફલાહની ઓખલા સ્થિત ઓફિસ સહિત જામિયા નગર અને યુનિવર્સિટી સાથે જોડાયેલા કુલ 25 કરતાં પણ વધુ સ્થળોએ ED દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. યુનિવર્સિટીના ફંડિંગ અને સંભવિત ટેરર ફન્ડિંગને લઈને તપાસનો ધમધમાટ ચાલુ છે. યુનિવર્સિટી સાથે જોડાયેલી સંસ્થાઓ અને વ્યક્તિઓના વિવિધ ઠેકાણે સર્ચ ઑપરેશન કરી પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે. ટેરર ફન્ડિંગ એંગલને ધ્યાનમાં રાખીને અનેક એજન્સીઓ સંયુક્ત રીતે એક્શન મોડમાં આવી ગઈ છે.
રાજકોટઃ ગોંડલના સિવિલ હોસ્પિટલ ચોકમાં મારામારી થઇ છે. એક જ સમાજના બે જૂથ વચ્ચે માથાકૂટ થઇ. મારામારી ઘટનામાં 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે. PI સહિતનો પોલીસ સ્ટાફ સિવિલ હોસ્પિટલ પહોંચ્યો છે.
સુરતમાં ભેળસેળિયાઓ બેફામ થયા છે. ખટોદરાની જાણીતી સુરભી ડેરીનું પનીર સબ સ્ટાન્ડર્ડ. મનપાએ થોડા દિવસ પહેલા પનીરના સેમ્પલ લીધા હતા. પનીર દૂધના બદલે સ્ટાર્ચ અને વેજીટેબલ ફેટમાંથી બનેલું હોવાનો ખુલાસો થયો છે. પનીરમાં હાનિકારક કેમિકલની પણ હાજરી જોવા મળી.
અરવલ્લી: મોડાસાની એમ્બ્યુલન્સમાં આગ લાગતા 3નાં મોત થયા છે. રાણા સૈયદ વિસ્તાર નજીક ખાનગી હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં આગ લાગી. મોડાસાની રિચ હોસ્પિટલમાંથી બાળકને અમદાવાદ લઈ જવાતું હતું. એમ્બ્યુલન્સમાં સવાર 2 મેડિકલ ઓફિસર અને બાળક સહિત 3નાં મોત થયા છે. એમ્બ્યુલન્સમાં સવાર અન્ય બે વ્યક્તિઓ દાઝતા સારવાર માટે ખસેડાયા. એમ્બ્યુલન્સમાં આગ લગાવાનું કારણ હજુ અકબંધ છે. મોડાસા ટાઉન પોલીસે ઘટનાથી તપાસ હાથ ધરી.
દિલ્લી: આતંકી બ્લાસ્ટ કેસમાં વધુ એક ધરપકડ થઇ છે. NIA એ જસીસ બિલાલ વાણી ઉર્ફે દાનિશને ઝડપ્યો. દાનિશ જમ્મૂ કાશ્મીરનાં અનંતનાગનાં કાંજીગુડનો રહીશ છે. દાનિશે મોડિફાઇડ ડ્રોન બનાવવામાં મદદ કરી હતી. કાર બ્લાસ્ટ બાદ રોકેટ બનાવવાની તૈયારી હતી. દાનિશે બોમ ગોઠવવામાં આતંકી ડૉ. ઉમરની મદદ કરી હતી. આજે દાનિશને પટિયાલા હાઉસની સ્પેશિયલ NIA કોર્ટમાં રજૂ કરાશે.
Published On - 7:19 am, Tue, 18 November 25