નવસારીના ગણદેવી તાલુકામાં ધોળા દિવસે દીપડો દેખાતા ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે. કછોલી અને અંચેલી ગામ વચ્ચે આવેલી વાડીમાં દીપડો લટાર મારતો જોવા મળ્યો હતો. ચીકુ અને આંબાની વાડીઓમાં છેલ્લા કેટલાક સમયથી વારંવાર દીપડો દેખાવાની ઘટનાઓ સામે આવી રહી છે. છેલ્લા ત્રણ દિવસથી દીપડાની સતત અવરજવરથી ખેડૂતોમાં ભયનો માહોલ છે. દીપડાની લટાર અંગે ખેડૂતોએ વન વિભાગને જાણ કરી દીધી છે અને દીપડાને પકડવા જરૂરી કાર્યવાહી કરવાની માગ કરી છે.
ઉત્તરાખંડના ઋષિકેશમાં બીન નદીમાં ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે એક જીપ ફસાઈ જતા તેમાં સવાર બે વ્યક્તિઓ મુશ્કેલીમાં મુકાયા હતા. ઘટનાની જાણ થતાં SDRFના જવાનો ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. પાણીના તેજ પ્રવાહ વચ્ચે જવાનોને જીવના જોખમે દોરડા સહિતના રેસ્ક્યૂ સાધનોની મદદથી બંને ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. ભારે જહેમત બાદ બંનેને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મળી હતી.
ગાંધીનગરમાં વરસાદ બાદ ડેન્ગ્યુ અને મેલેરિયા સહિતના રોગચાળાને અટકાવવા આરોગ્ય વિભાગે કાર્યવાહી તેજ કરી છે. વિવિધ વિસ્તારોમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે, જ્યારે 32 જેટલા એકમોમાં મચ્છરોનું બ્રિડિંગ મળી આવતા નોટિસ ફટકારવામાં આવી છે. બાંધકામ સાઇટ ઉપરાંત દિલ્લી પબ્લિક સ્કૂલ, પી.આર. પટેલ સ્કૂલ અને ભંગારના ગોડાઉન સહિતના એકમો સામે પણ બેદરકારી બદલ કાર્યવાહી કરાઈ છે. નોટિસ પાઠવાયેલા એકમો પાસેથી 15 હજારથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે, જેમાં સરગાસણ, કોબા અને કુડાસણના એકમોનો સમાવેશ થાય છે.
ઝારખંડમાં આંદોલનકારી વિદ્યાર્થીઓની માગણીઓ સામે સરકારે મોટો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી હેમંત સોરેનની ચાર કલાકની બેઠક બાદ JPSC બાદ હવે JSSC-CGLની પરીક્ષા પણ રદ કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આઉટસોર્સિંગ એજન્સી TDPL દ્વારા લેવાયેલી તમામ પરીક્ષાઓ રદ કરાશે, જ્યારે 2014થી લેવાયેલી દરેક પરીક્ષામાં થયેલી ગેરરીતિની તપાસ કરવામાં આવશે. પરીક્ષા પદ્ધતિમાં સુધારા માટે સમિતિની રચના કરવાની પણ જાહેરાત કરાઈ છે. સરકારના આ નિર્ણય બાદ આંદોલનકારી વિદ્યાર્થીઓમાં જશ્નનો માહોલ જોવા મળ્યો.
રાજ્યમાં હાલ વરસાદની 5 સિસ્ટમ સક્રિય થતાં આગામી દિવસોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને ડિપ્રેશન સક્રિય થતાં અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. જ્યારે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે સામાન્ય વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.
આગામી દિવસોમાં રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ 23 ઓગસ્ટ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમ વરસાદની શક્યતા છે, જ્યારે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, દમણ, વલસાડ, નર્મદા અને ડાંગમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. આ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટા પડવાની પણ આગાહી કરવામાં આવી છે.
આજે 18 ઓગસ્ટને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - 7:51 am, Tue, 18 August 26