17 માર્ચના મહત્વના સમાચાર : ઉનાળામાં જ આજથી ત્રણ દિવસ માવઠાની આગાહી

આજે 17 માર્ચને  મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

17 માર્ચના મહત્વના સમાચાર : ઉનાળામાં જ આજથી ત્રણ દિવસ માવઠાની આગાહી
| Edited By: | Updated on: Mar 17, 2026 | 11:26 AM

LIVE NEWS & UPDATES

  • 17 Mar 2026 11:26 AM (IST)

    UCCની કમિટીએ મુખ્યપ્રધાનને સોંપ્યો રિપોર્ટ

    UCC (યૂનિફોર્મ સિલાઇન્ટ કોડ) અંગેની કમિટીએ મુખ્યપ્રધાનને રિપોર્ટ સોંપ્યો છે. રિપોર્ટ રિટાયર થયેલા જસ્ટિસ રંજન દેસાઈ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. ફેબ્રુઆરીમાં કમિટીની રાજ્યપ્રમુખ સાથે બેઠક યોજાઈ હતી, જેમાં ડ્રાફ્ટ અંગે ચર્ચા કરવામાં આવી હતી. વિધાનસભામાં આ રિપોર્ટ 23 માર્ચે રજૂ થઈ શકે છે, જ્યારે 24 માર્ચે સરકાર UCC અંગે બીલ વિધાનસભામાં લાવશે.

  • 17 Mar 2026 10:43 AM (IST)

    અમદાવાદ: નારણપુરા, પ્રગતિનગરમાં અસામાજિક તત્વોનો આતંક

    અમદાવાદના નારણપુરા અને પ્રગતિનગરમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો. પાર્ક કરેલી ગાડીઓમાં તોડફોડ કરવાના બનાવો થયા છે. બેફામ તત્વોએ આ આતંક કયા કારણસર મચાવ્યો તે હજુ સામે આવ્યું નથી. નારણપુરા પોલીસે ઘટના અંગે ગુનો નોંધ્યો અને વધુ તપાસ શરૂ કરી છે. બેફામ તત્વો સામે કડક કાર્યવાહી માટે તજવીજ કરવામાં આવી રહી છે.


  • 17 Mar 2026 10:43 AM (IST)

    સુરતઃ આકરી ગરમીને લઈ DEOએ જાહેર કરી માર્ગદર્શિકા

    સુરતમાં તીવ્ર ગરમીને કારણે DEOએ શાળાઓ માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. ઉનાળામાં વિદ્યાર્થીઓને લૂથી બચાવવા મેદાનની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકાયો છે અને મેદાનની જગ્યાએ ક્લાસરૂમમાં એક્ટિવિટી કરવાનું સૂચન આપવામાં આવ્યું છે. શાળાઓને ક્લાસરૂમમાં પંખા અને અન્ય ઠંડીની વ્યવસ્થા કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે. વિદ્યાર્થીઓને હીટવેવ અને તીવ્ર ગરમી વિશે સમજણ આપવામાં આવશે. શાળાના યુનિફોર્મમાં છૂટછાટ પણ આપવામાં આવી છે; જો યુનિફોર્મમાં બ્લેઝરનો સમાવેશ હોય તો ગરમી દરમિયાન વિદ્યાર્થીઓને તેમાંથી મુક્તિ આપવામાં આવશે.

  • 17 Mar 2026 09:50 AM (IST)

    પાટણઃ ચાણસ્મા ઝીલિયા રોડ પર ગેંગવોર

    પાટણના ચાણસ્મા ઝીલિયા રોડ પર બે ગેંગના ઇસમો વચ્ચે ભારે ગેંગવોર સર્જાયો હતો. ખંડણીખોર ગેંગ અને મસ્તાની ગેંગ/વામૈયાના લોકો રૂપિયાની લેવડદેવડને લઈને અથડાયા. વામૈયાના શખ્સો રામાધની ફાર્મ પર હુમલો કરવાનો ઇરાદો લઈને સ્થળ પર પહોંચ્યા હતા. સામસામે થયેલા અથડામણમાં પોલીસ પહોંચી ગઈ પણ કાબૂમાં ન આવી, અને બે જૂથના લોકો હાથમાં ધોકા, લાકડીઓ જેવા હથિયારો લઈને આતંક મચાવતા જોવા મળ્યા.

  • 17 Mar 2026 09:35 AM (IST)

    અમરેલીઃ જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો

    અમરેલી જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. કમોસમી વરસાદની આગાહી વચ્ચે જિલ્લામાં ગાઢ ધુમ્મસનો પ્રભાવ જોવા મળી રહ્યો છે. સાવરકુંડલા-અમરેલી હાઇવે પર ધુમ્મસને કારણે વાહન ચાલકોને સફર દરમિયાન મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

  • 17 Mar 2026 08:57 AM (IST)

    કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા

    ઉનાળામાં તાપમાન વધતા ગુજરાતમાં આજે ત્રણ દિવસ માટે માવઠાની આગાહી કરવામાં આવી છે. કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા રહેલી છે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણમાં કમોસમી વરસાદની આગાહી છે, જ્યારે કચ્છ, મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં પણ વરસાદની શક્યતા છે. કમોસમી વરસાદની આગાહી જોઈ ખેડૂતોમાં ચિંતાનું વાતાવરણ છે, કારણ કે પાકને નુકસાન થવાની શક્યતા વધેલી છે.

  • 17 Mar 2026 08:37 AM (IST)

    પંચમહાલઃ ગોધરા-વડોદરા હાઈવે પર 3 વાહન વચ્ચે અકસ્માત

    પંચમહાલ જિલ્લામાં ગોધરા–વડોદરા હાઈવે પર ખરસલીયા ચોકડી પાસે કન્ટેનર, ટ્રેલર અને વાન વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં GRD જવાન સહિત બે લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે આઠ લોકો ઈજાગ્રસ્ત થયા છે. વાનમાં સવાર એક જ પરિવારના ચાર સભ્યો પણ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયા હતા. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. અકસ્માતને કારણે થોડા સમય માટે હાઈવે પર ટ્રાફિક પણ અસરગ્રસ્ત બન્યો હતો.

  • 17 Mar 2026 08:36 AM (IST)

    અમદાવાદ: વિરમગામ હાઈવે પર ત્રિપલ અકસ્માતમાં બેના મોત

    અમદાવાદ જિલ્લાના વિરમગામ હાઈવે પર વિરોચનનગરના પાટીયા પાસે ભયાનક ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ કેટલાક વાહનોમાં આગ લાગી જતા પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી. આગના કારણે કારમાં સવાર બે લોકો જીવતા જ ભસ્મીભૂત થઈ જતા તેમનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. અકસ્માતને કારણે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ પણ સર્જાયો હતો અને પોલીસ દ્વારા વાહન વ્યવહારને નિયમિત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

  • 17 Mar 2026 07:36 AM (IST)

    LPG ટેન્કર નંદાદેવી આજે ગુજરાતના બંદરે પહોંચશે

    ગુજરાતમાં ગેસની અછત વચ્ચે રાહતના સમાચાર મળ્યા છે. નંદાદેવી નામનું LPG ટેન્કર આજે ગુજરાતના જામનગર નજીક આવેલા વાડીનાર પોર્ટ પર પહોંચવાનું છે. આ જહાજ પર અંદાજે 46 હજાર મેટ્રિક ટન LPGનો મોટો જથ્થો છે. બંદરે પહોંચ્યા બાદ આ ગેસનો જથ્થો અન્ય બે નાના જહાજ MTBW બ્રિઝ અને MD જગ પ્રતાપમાં ટ્રાન્સફર કરવામાં આવશે. ત્યારબાદ આ નાના જહાજો દ્વારા LPGનો જથ્થો તામિલનાડુના બંદર સુધી પહોંચાડવામાં આવશે, જ્યાં અંદાજે બે દિવસમાં ગેસ પહોંચવાની શક્યતા છે. આ પુરવઠાથી ગેસની અછત વચ્ચે થોડી રાહત મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

  • 17 Mar 2026 07:34 AM (IST)

    ટપાલ વિભાગની નવી 24 કલાક ચાલતી સ્પીડ પોસ્ટ સેવા આજે શરૂ થશે

    કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા મંગળવારે ટપાલ વિભાગની નવી 24 કલાક ચાલતી સ્પીડ પોસ્ટ સેવા શરૂ કરશે. પ્રથમ તબક્કામાં, આ સેવા દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા, બેંગલુરુ અને હૈદરાબાદમાં ઉપલબ્ધ થશે.

આજે 17 માર્ચને  મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

Published On - 7:33 am, Tue, 17 March 26