આજે 17 જુન શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. સાથે જ વાંચો બિપોરજોય વાવાઝોડાના તમામ અપડેટસ તેમજ આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
અમદાવાદના કાલુપુર સ્વામિનારાયણ મંદિર પાસે મકાનના કાટમાળ નીચે દટાયેલા ત્રણેય લોકોને બહાર કાઢી લેવામાં આવ્યાં છે. ફાયર વિભાગની ટીમે ત્રણેય લોકોનું રેસ્ક્યૂ કરી સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યાં છે. બનાવની વાત કરીએ તો સ્વામિનારાયણ મંદિર પાસે મોટા નવા વાસમાં એક મકાન ધરાશાયી થયું હતું.જેમાં એક મહિલા અને બે પુરૂષ સહિત ત્રણ લોકો દટાયા હતા.
બનાવની જાણ થતાં જ ફાયર વિભાગની 9 ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી અને રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું. ભારે જહેમત બાદ ત્રણેય લોકોને કાટમાળ નીચેની બહાર કઢાયા છે અને તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. જ્યાં સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત થયુ હતુ.
બિપરજોયની આફતના સમયે પણ ધોરાજીની મહિલા ફોરેસ્ટ ઓફિસર નિહારિકા પંડ્યા જેમણે નારી શક્તિનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. વાત છે ધોરાજીની કે જ્યાં આસપાસના 26 જેટલા ગામોમાં બિપરજોય વાવઝોડાના કારણે 65 જેટલા વૃક્ષો ધરાશાયી થયા હતા અને અનેક રસ્તાઓ બંધ થઈ ગયા હતા. તેવા કપરા સમયે ધોરાજીના રેન્જ ફોરેસ્ટ ઓફિસર નિહારિકા પંડ્યાએ રાત દિવસ જોયા વગર તેમના સ્ટાફ સાથે રસ્તા પર પડેલા વૃક્ષો હટાવવાની કામગીરી હાથ ધરી હતી. રેન્જ ફોરેસ્ટ ઓફિસર નિહારિકા પંડ્યાની સાથે રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર શબનમ બહેન સાથે મળી ને 65 જેટલા વૃક્ષો રસ્તા પરથી હટાવી રસ્તાઓ ખુલ્લા કર્યા હતા.
ઉપરવાસમાં ભારે વરસાદને લઈ સાબરમતી નદીમાં નવા નીર આવ્યા છે. સાબરકાંઠા ના પોશીના, બનાસકાંઠાના દાંતા અને અંબાજી વિસ્તાર તેમજ રાજસ્થાનના સરહદી વિસ્તારો અને સાબરમતી નદીના ઉપવારસ વિસ્તારમાં ભારે વરસાદ શુક્રવાર સાંજથી વરસી રહ્યો છે. વિસ્તારમાં ભારે વરસાદને લઈ સાબરમતી નદીમાં નવા પાણીની આવક નોંધાઈ છે. શનિવારે સાંજે 5 કલાકથી ધરોઈ ડેમમાં પાણીની આવક નોંધાવવી શરુ થઈ હતી. ધરોઈમાં નવા પાણીની આવક થતા જ સ્થાનિક ખેડૂતોમાં આનંદ છવાયો હતો.
ઉત્તર અને મધ્ય ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમ 41 ટકા જેટલો જળ જથ્થો ભરેલો છે. આ દરમિયાન હવે શનિવારથી જ સાબરમતી નદીમાં નવા પાણીની આવક શરુ થતા ખેડૂતોને માટે રાહત શરુ થઈ છે. ધરોઈ જળાશયમાં 12,222 ક્યુસેક પાણીની આવક રાત્રીના 9 કલાકે નોંધાઈ હતી.
બનાસકાંઠાના નડાબેટ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. ભારે પવનને કારણે BSFની ચોકીને નુકસાન થયું છે. જેમાં ભારે પવનને કારણે BSFની કેબિનના પતરા ઉડ્યા હતા. તેમજ BSFની કેબિનના પતરા ઉડી રોડની સામેની બાજુએ પડ્યા છે. તેમજ સતત વરસાદને કારણે દરિયાના પાણી રોડ સુધી પહોંચ્યા છે.જ્યારે નડાબેટનાં રણ વિસ્તારમાં દરિયાના પાણી ફરી વળ્યાં છે. જ્યારે અસર ગ્રસ્ત નડાબેડની ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે મુલાકાત લીધી હતી. નડાબેટમા રસ્તા પર પાણી આવતા ચિંતાનો વિષય છે. તેમજ જો હજી વરસાદ આવશે તો ગ્રામ્ય વિસ્તારમાં મુશ્કેલી થશે. તેમજ વધુ વરસાદ પડે તો નડાબેટનો રસ્તો પણ બંધ થઇ શકે છે.
કોઈપણ કુદરતી આપત્તિ પૂર, ભૂકંપ કે વાવાઝોડાની સ્થિતિ હોય સોમનાથ ટ્રસ્ટ હંમેશા જનસેવા માટે તત્પર રહેતુ હોય છે. તાજેતરમાં બીપરજોય વાવાઝોડાની કપરી સ્થિતિમાં જરૂરતમંદો અને અસરગ્રસ્તોની મદદ માટે સોમનાથટ્રસ્ટ સતત કાર્યરત રહ્યુ હતુ. બિપરજોય વાવાઝોડામાં સોંમનાથ ટ્રસ્ટ નિરાધારનો આધાર બન્યુ અને જિલ્લામાં 10 હજારથી વધારે ફુડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યુ. આશ્રય સ્થાનોમાં ભોજન આપવામાં આવ્યું છે.
દેવભૂમિ દ્વારકામાં 9000 અને વેરાવળમાં 1200થી વધુ ફુડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. સોમનાથ ટ્રસ્ટ દ્વારા કોમ્યુનિટી હોલ ખાતે સ્થળાંતર થયેલા લોકો માટે સવાર સાંજ પર્યાપ્ત ભોજન મોકલવામાં આવ્યુ હતુ. સોમનાથ ટ્રસ્ટ દ્વારા વેરાવળ શહેરમાં ફુડ પેકેટ, અને ભોજન વિતરણમાં સેવાયજ્ઞમાં RSSના સ્વયંસેવકો પણ જોડાયા હતા.
બનાસકાંઠામાં ભારે વરસાદને કારણે તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. ભારે વરસાદને કારણે ખેતરો જળમગ્ન થયા છે. મુખ્ય માર્ગોની આસપાસ આવેલા ખેતરોમાં વરસાદી પાણી ભરાતા જાણે તળાવ ભરાયું હોય તેવું લાગી રહ્યું છે.બીજી તરફ ભાભર ગામની બજારોની પણ સ્થિતિ કંઈક આવી જ છે
અંબાજી -દાંતા પંથકમાં બિપરજોય વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. જેમાં રાજસ્થાન તરફ ફંટાઈ રહેલા વાવાઝોડાને પગલે અંબાજી પંથકમાં ભારે વરસાદ થયો છે. જેમાં અંબાજીમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. તેમજ કેટલીક જગ્યાએ દિવાલ ધરાશાયી થઇ છે તો કેટલાક સ્થળોએ માર્ગોમાં વૃક્ષ તૂટીને પડ્યા છે. તેમજ નીચાણ વાળા વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ભરાયા છે. જેમાં વાવાઝોડાની આગાહીના પગલે અંબાજીમાં કેટલીક દુકાનો બંધ પણ રાખવામાં આવી છે.
કચ્છમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે માંડવીની મુલાકાત લીધી હતી. મહત્વનુ છે કે વાવાઝોડા બાદની સ્થિતિનું તેમણે નિરીક્ષણ કર્યું હતું. અમિત શાહ અને CMએ સમગ્ર પરિસ્થિતિનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. આ સાથે સગર્ભા માતાઓની પણ મુલાકાત અમિત શાહે લીધી હતી. વાવાઝોડા સમયે સગર્ભા માતાઓને દાખલ કરાઈ હતી. અમિત શાહે હોસ્પિટલની કામગીરીની પણ મુલાકાત લીધી હતી. ખરાબ વાતાવરણના કારણે તેઓ પહેલા જખૌ આવ્યા. સમગ્ર કચ્છની સ્થિતિનો તેમણે તાગ મેળવી અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.
ગુજરાતમાં Cyclone Biparjoy ની અસર હજુ પણ વર્તાઇ રહી છે. જેમાં હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ કચ્છ, મહિસાગર, અરવલ્લી અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની વરસી શકે છે. આ ઉપરાંત વાવાઝોડાની કપરી અસર બનાસકાંઠા જિલ્લામાં જોવા મળી રહી છે.બનાસકાંઠામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
જેમાં ડીસા, પાલનપુર, ધાનેરા, દિયોદર, સૂઈગામ, વાવ, અંબાજી જિલ્લાનો કોઈ પંથક નથી જ્યાં વરસાદે બેટિંગ ન કરી હોય.. બનાસમાં ચારેબાજુ ભારે વરસાદ છે. તો આની જ અસર રાજ્યભરમાં પણ છે.. ક્યાંક છુટોછવાયો તો ક્યાંક ધોધમાર વરસાદ થઈ રહ્યો છે. હજુ આ માહોલ આવતીકાલ સુધી યથાવત્ રહી શકે છે.
અમદાવાદમાં 20 જૂન એટલે કે અષાઢી બીજે ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા નીકળવાની છે. આ વર્ષે ભગવાન જગન્નાથ નવા રથ પર સવાર થઇને નગર ચર્યાએ નીકળવાના છે. ત્યારે રથયાત્રાને લઇને પોલીસે જાહેરનામુ બહાર પાડ્યુ છે. જેમાં રથયાત્રાના દિવસે અમદાવાદના કેટલાક રુટ પર બંધ રાખવામાં આવ્યા છે અને તેના માટે કેટલીક વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
આ જાહેરનામાનો અમલ ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ -33ની જોગવાઈ હેઠળ મહત્તમ સમયમર્યાદાને આધીન રહીને 19 જૂન 2023 ના કલાક રાત્રે 12 કલાકથી 20 જૂન 2023ના રોજ રથયાત્રા પૂર્ણ ન થાય ત્યાં સુધી અમલી રહેશે.
અમદાવાદમાં કાલુપુરમાં ઇમારત ધરાશાયીની ઘટના બની છે. સ્વામીનારાયણ મંદિર પાછળનો આ બનાવ છે. ઇમારત ધરાશાયી થતા 3 લોકો દટાયા, બેનો બચાવ થયો છે. હજી એક વ્યક્તિની રેસ્ક્યૂની કામગીરી ચાલું છે.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે બિપરજોઇ વાવાઝોડાથી અસરગ્રસ્ત કચ્છ અને ભુજ જીલ્લાનું હવાઇ નિરીક્ષણ કર્યુ હતું તેમજ માંડવી હોસ્પિટલમાં દાખલ ગર્ભવતી મહિલાઓ અને વૃધ્ધોની મુલાકાત લઇ તેઓના ખબર-અંતર પુછી, હોસ્પિટલમાં જન્મ લીધેલ બાળકના માતાની મુલાકાત લીધી હતી. તેમજ બિપરજોઇ વાવાઝોડાથી ખેડૂતોને થયેલ નુકશાનની સમીક્ષા માટે ખેડૂતોની મુલાકાત પણ લીધી હતી.
Ahmedabad : 20 જૂન અષાઢી બીજે ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા યોજાવા જઈ રહી છે. આ વર્ષે ભગવાન જગન્નાથ નવા રથ પર સવાર થઇને નગર ચર્યાએ નીકળવાના છે. રથયાત્રાને લઇને અત્યારે જોરશોરથી તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. આવતીકાલ એટલે કે 18 જૂને નેત્રોત્સવ વિધિ યોજાવાની છે. ત્યાર બાદ રોજ જમાલપુરમાં આવેલા જગન્નાથ મંદિરના પરિસરમાં રોજ અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે. જે નીચે મુજબ છે.
World’s Best School Award 2023: દિલ્હી, ગુજરાત અને મહારાષ્ટ્રમાં સ્થિત 5 ભારતીય શાળાઓને ગુરુવારે વિશ્વના શ્રેષ્ઠ શાળા પુરસ્કાર માટે વિવિધ શ્રેણીઓમાં ટોચની 10 ની યાદીમાં પસંદ કરવામાં આવી છે. આ પુરસ્કારની ઈનામી રકમ US$2,50,000 છે. યુકેમાં સમાજની પ્રગતિમાં શાળાઓના યોગદાનની ઉજવણી કરવા અને વિશ્વભરની શાળાઓ માટે વિશ્વના શ્રેષ્ઠ શાળા પુરસ્કારોનું આયોજન કરવામાં આવે છે. શિક્ષણ સમાચાર અહીં વાંચો.
Assam Flood: એક તરફ દેશના પશ્ચિમ છેડે બિપરજોયનો (Cyclone Biparjoy) કહેર છે. વાવાઝોડા અને ભારે વરસાદે ગુજરાતમાં હાહાકાર મચાવ્યો છે, ત્યારે બિપરજોય હવે રાજસ્થાન (Rajasthan) તરફ વળ્યું છે, તો આ બાજુ દેશના પૂર્વ છેડે આસામમાં પૂરને કારણે હાહાકાર મચી ગયો છે. આસામના 7 જિલ્લામાં સ્થિતિ ખૂબ જ ગંભીર છે. તેમાં લગભગ 34 હજાર લોકો પૂરથી પ્રભાવિત હોવાનું કહેવાય છે. શુક્રવારે અસરગ્રસ્ત લોકોની સંખ્યા 29 હજાર હતી. છેલ્લા 24 કલાકમાં વધુ 5 હજાર લોકો તેનાથી પ્રભાવિત થયા છે, ત્યારબાદ કુલ અસરગ્રસ્તોની સંખ્યા વધીને 34 હજાર થઈ ગઈ છે. તેમાંથી ત્રણ હજાર માત્ર બાળકો છે. રાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.
Surat : સુરતના કતારગામ લક્ષ્મીકાંત સોસાયટી પાસે જાહેર રોડ પર મોટરસાયકલ પર જઈ રહેલા જમીન-મકાન દલાલ અને તેના મિત્ર પર ચાકુથી હુમલો કરી મોબાઈલ ફોનની લૂંટ કરનાર ત્રણ લૂંટારુઓ અને એક સગીરને ગણતરીના દિવસોમાં જ ક્રાઈમ બ્રાન્ચે પુણા BRTS રોડના સાયોના પ્લાઝા પાસેથી ઝડપી પાડ્યા હતા. આ બનાવમાં નવો ખુલાસો થયો છે. પુછપરછ દરમિયાન પ્રેમપ્રકરણ જવાબદાર હોવાનું બહાર આવ્યું છે.
Khalistan Protest: અમેરિકા અને કેનેડામાં ભારતીય હાઈ કમિશન પર થયેલા હુમલાની તપાસ પણ કેન્દ્રીય તપાસ એજન્સી NIAને સોંપવામાં આવી શકે છે. NIA પહેલાથી જ યુકે સ્થિત હાઈ કમિશન પર હુમલાની તપાસ કરી રહી છે. ખાલિસ્તાન સમર્થકોએ અમૃતપાલ સિંહ વિરુદ્ધ કાર્યવાહીના વિરોધમાં બ્રિટન, અમેરિકા, કેનેડા અને અન્ય ઘણા દેશોમાં ભારતીય હાઈ કમિશન પર હુમલો કર્યો હતો. ભારતે પણ આ મુદ્દો સંબંધિત દેશોની સામે રાખ્યો અને સુરક્ષા પ્રદાન કરવાની અપીલ કરી. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને CM ભૂપેન્દ્ર પટેલ ભુજ એરપોર્ટ સ્ટેશન પહોંચ્યા છે. આજે તેઓ વાવાઝોડાથી અસરગ્રસ્ત થયેલા માંડવી અને જખૌ વિસ્તારોની મુલાકાત લેશે. અમિત શાહ સાથે ભુજમાં વહીવટી તંત્ર સાથે કલેકટર કચેરી ખાતે બેઠક યોજી પરિસ્થિતિ સામાન્ય કરવા સૂચનો આપશે.
બનાસકાંઠાના નડાબેટના રણ વિસ્તારમાં દરિયાના પાણી ફરી વળ્યા છે. હાલમાં ધારાસભ્ય ગેનીબેન ઠાકોર નડાબેટ પહોંચ્યા છે. નડાબેટમાં રસ્તા પર પાણી આવતા ચિંતાનો વિષય બન્યો છે તેવુ ગેનીબેન ઠાકોરે જણાવ્યું છે.
Cyclone Biparjoy : બિપરજોય વાવાઝોડું પસાર થયા બાદ પણ ગુજરાતમાં તેની અસર જોવા મળી રહી છે. જેના કારણે વિવિધ જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. મોરબીમાં (Morbi) પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. જેના કારણે માળીયા-પાલનપુર હાઈવે પર આવેલા ખેતરોમાં પાણી ભરાયા છે. ખેતરો બેટમાં ફેરવાયા છે.
મોરબીમાં પણ વાવાઝોડાની અસર જોવા મળી છે. અહીં ભારે પવનના કારણે અનેક જગ્યાએ વીજપોલ ધરાશાયી થયા છે. જેના કારણે અનેક ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાયો છે. વીજ પુરવઠો ફરી શરૂ કરવા માટે કામગીરી શરૂ કરવામાં આવી છે. મોરબી જિલ્લાની વાત કરવામાં આવે તો ભારે પવનને પગલે ખુબજ નુકસાન થયું છે. જિલ્લામાં 153 જેટલા વીજપોલ ધરાશાયી થયા છે તો બીજી તરફ 34 જેટલા વીજપોલને ફરી કાર્યરત કરવામાં આવ્યા છે. 32 ગામમાં વીજ પુરવઠો ખોરવાયો છે.
Cyclone Biparjoy Impact: ચક્રવાત બિપરજોય હવે ગુજરાતથી રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે. મોડી રાત્રે બાડમેરમાં ભારે વરસાદ પડ્યો હતો. ઉદયપુર, જાલોર, જોધપુર, જેસલમેર અને આસપાસના વિસ્તારોમાં પણ ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. રાજ્યના અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતના માંડવીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. કચ્છ-સૌરાષ્ટ્રમાં સ્થિતિ ખરાબ છે. આગામી દિવસોમાં રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં પણ તેની અસર જોવા મળી શકે છે. રાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.
Cyclone Biparjoy: ગુજરાતમાં PGVCLને તાઉતે વાવાઝોડા બાદ ફરી મોટું નુકસાન થયું છે. ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાના (Cyclone Biparjoy) કારણે કુલ 23,340 વીજપોલ ધરાશાયી થયા છે. જેમાં સૌથી વધારે જામનગર (Jamnagar) સર્કલમાં 21,115 વીજપોલને નુકસાન થયું છે. તો 4582 ટીસીને નુકશાન પહોંચ્યું છે. તેમજ કુલ 3889 ફિડર હાલમાં બંધ હોવાથી અનેક ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે.
Banaskantha : વાવાઝોડાએ બનાસકાંઠામાં તારાજી સર્જી છે. બનાસકાંઠાના થરાદમાં પવન સાથે ભારે વરસાદ થઇ રહ્યો છે.બનાસકાંઠાના થરાદ, લાખણી, ભાભર સહિતના તાલુકામાં ભારે વરસાદ (Rain) છે. મોડીરાતે અતિભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. વાવાઝોડાની (Cyclone Biparjoy) અસર અતિભારે પવન ફૂંકાતા મોટાપાયે નુકસાન થયુ છે. ભારે વરસાદના કારણે બનાસકાંઠાના જિલ્લામાં અનેક જગ્યાએ પાણી ભરાયા છે. પાલનપુર અમદાવાદ હાઈવે પર ઘૂંટણ સમા પાણી ભરાયા છે. જેના કારણે અનેક વાહન ચાલકો અટવાયા છે. પાણી ભરાતા એક તરફી માર્ગ બંધ કરાયો છે. તો ભારે પવન અને વરસાદના અનેક વૃક્ષો સહીત વીજ પોલ ધરાશાયી થયા છે. બનાસકાંઠામાં અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઇ છે.
Cyclone Biporjoy: બિપરજોય વાવાઝોડાની અસર હેઠળ કચ્છ તેમજ અમદાવાદ (Ahmedabad) સહિતના અનેક જિલ્લાઓમાં હજુ પણ વરસાદ પડી રહ્યો છે. રાજ્યના 175 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છના (Kutch) માંડવીમાં સૌથી વધુ 8.5 ઈંચ વરસાદ પડ્યો છે. તો અમદાવાદમાં પણ ગઈકાલથી સતત વરસાદ પડી રહ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ વાવાઝોડા બાદ મૂશળધાર વરસાદ પડ્યો હતો. છેલ્લા 30 કલાકમાં 9 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. વાવાઝોડાને કારણે બનાસકાંઠામાં વરસાદનું રેડ એલર્ટ છે, અતિ ભારે વરસાદની આગાહી છે તો કચ્છ, પાટણ, મહેસાણામાં ઓરેન્જ એલર્ટ છે, ભારે વરસાદની આગાહી છે. તો અમદાવાદ, મોરબી, સુરેન્દ્રનગર, ગાંધીનગર અને સાબરકાંઠામાં યલો એલર્ટ છે.
Cyclone Biparjoy: બિપરજોય વાવાઝોડાની અસર હેઠળ કચ્છ તેમજ અમદાવાદ (Ahmedabad) સહિતના અનેક જિલ્લાઓમાં હજુ પણ વરસાદ પડી રહ્યો છે. રાજ્યના 175 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છના (Kutch) માંડવીમાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ પડ્યો છે. તો અમદાવાદમાં પણ ગઈકાલથી સતત વરસાદ પડી રહ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ વાવાઝોડા બાદ મૂશળધાર વરસાદ પડ્યો હતો. છેલ્લા 30 કલાકમાં 9 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે.
Cyclone Biporjoy Latest News: બનાસકાંઠા જિલ્લાના થરાદ, લાખણી, ભાભર, સૂઈગામ સહિતના તાલુકામાં ભારે નુક્સાન થયું છે. સાંજના સમયે આવેલા ભારે પવને રાત્રે 10 વાગ્યા પછી અતિ ભારે વાવાઝોડાનું રૂદ્ર રૂપ ધારણ કરી તબાહી મચાવી છે. જિલ્લામા અતિ ભારે નુકશાનનું અનુમાન છે. મોટા પ્રમાણમાં વૃક્ષો ધરાશાયી થયા છે. પતરા વાળા મકાનોના મોટા પ્રમાણમાં મકાનોના છતના પતરા ઉડ્યા છે. આખી રાત ધોધમાર વરસાદ પડ્યો છે.
Cyclone Biporjoy: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે એટલે કે શનિવારે વાવાઝોડા ગ્રસ્ત કચ્છની મુલાકાતે આવશે. અમિત શાહ વાવાઝોડાથી અસર પામેલા વિસ્તારોની મુલાકાત લેશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ કચ્છની મુલાકાત દરમિયાન સાથે રહેશે.સવારે 9 વાગ્યે અમિત શાહ મુલાકાત લેશે.
Published On - 6:24 am, Sat, 17 June 23